Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં રાજુ સોલંકી પર હત્યાનો આરોપ, ઓડિયો ક્લિપ વાઇરલ:દીકરીને ભગાડી જનાર લઘુમતી યુવકના પિતાને ઝાડ પર લટકાવી દીધોનો ઉલ્લેખ, પોલીસે તપાસ શરૂ કરી

    17 hours ago

    જૂનાગઢના ચકચારી રાજુ સોલંકી અને તેના પરિવાર સામે સલીમભાઈ શેખની હત્યાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. દાતાર રોડ પર રહેતા શેખ ફૈઝલ સલીમભાઈએ જૂનાગઢ કલેક્ટર, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને તેમના પિતા સલીમભાઈ શેખના મૃત્યુને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા ગણાવી છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે, 2025માં તેમના પિતાની હત્યા રાજુ સોલંકીના કહેવાથી કરવામાં આવી હતી. અત્યારે વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી પોતે આ ગુનાની કબૂલાત કરતા સંભળાઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો? ​આ સમગ્ર વિવાદની જડમાં એક વર્ષ પહેલા બનેલી પ્રેમ પ્રકરણની ઘટના જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ફૈઝલ શેખે જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈને રાજુ સોલંકીની પુત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ પોતાની મરજીથી સાથે રહેવા લાગ્યા હતા. જે તે સમયે રાજુ સોલંકી અને તેમના પત્ની હંસાબેન જેલમાં હતા, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ હંસાબેન અને તેમના સાગરિતો દ્વારા ફૈઝલના પિતા સલીમભાઈને સતત ટોર્ચર કરવામાં આવતા હતા. ગેંગના માણસો દ્વારા તેમની રેકી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી, જેના કારણે સલીમભાઈ ભારે માનસિક તણાવમાં રહેતા હતા. ઓડિયો ક્લિપમાં હત્યાની ચર્ચા, વર્ષ બાદ પરિવાર ન્યાય માટે મેદાને ​14 મે, 2025ના રોજ સલીમભાઈ કોડીનારથી જૂનાગઢ આવી રહ્યા હતા, ત્યારે તેમનો મૃતદેહ વંથલી પાસે ઓઝત નદીના કાંઠે નવાગામની સીમમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તે સમયે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો, પરંતુ પરિવાર તેને પહેલેથી જ હત્યા ગણાવતો હતો. હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી એવું બોલતા સંભળાય છે કે, મારી દીકરીને ભગાડી જનારના બાપને મેં મારીને સોનારડી પાસે લટકાવી દીધો અને પોલીસ તપાસમાં તો આત્મહત્યા જ આવી છે. આ ઓડિયો ક્લિપને મુખ્ય પુરાવો ગણીને પરિવારે ફરી ન્યાયની ગુહાર લગાવી છે. અરજદારનો આરોપ, લાશના પગ જમીનને અડેલા હતાં ​અરજદાર ફૈઝલે આવેદનપત્રમાં અલગ-અલગ મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા જતી હોય તો તે રસ્તામાંથી પરિવાર માટે કેસર કેરીની ખરીદી ન કરે. વધુમાં, સીસીટીવી ફૂટેજમાં સલીમભાઈ રાજુ સોલંકીના માણસોથી જીવ બચાવીને ભાગતા દેખાયા હતા. ઘટનાસ્થળની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવતા તેમણે કહ્યું કે, લાશના પગ જમીનને અડેલા હતા અને પગમાં ચપ્પલ પહેરેલા હતા, જે ગળેફાંસો ખાવાની સ્થિતિમાં અશક્ય છે. ગરદન પર પનીયું જે રીતે વિંટાયેલું હતું તે પણ શંકાસ્પદ છે, કારણ કે ત્યાં કોઈ ફાંસો બનાવવામાં આવ્યો નહોતો. પરિવારે આંદોલનની ચીમકી ઉચ્ચારી ​પરિવારની માગ છે કે, રાજુ સોલંકી જેલમાં હોવા છતાં આ આખું કાવતરું રચ્યું હોય, તેમની સામે આઈપીસી કલમ 302 અને 120-બી મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવે. વાયરલ ઓડિયો ક્લિપનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવામાં આવે અને આરોપીઓના નાર્કો તેમજ લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ફૈઝલ શેખે ચીમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે તટસ્થ તપાસ કરી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો તેમનો પરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતરશે. આ આવેદનપત્રની નકલ રાજ્યના ડીજીપી અને માનવ અધિકાર આયોગને પણ મોકલવામાં આવી છે. FSLની ટીમ દ્વારા સ્થળે ઝીણવટભરી તપાસ કરાઈ હતીઃ DySp ​આ સમગ્ર મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું કે, આશરે એક વર્ષ પહેલા 14 મે, 2025ના રોજ વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ સીમ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની હતી. સલીમભાઈ અબ્દુલરહેમાન શેખ નામના વ્યક્તિ મચ્છોયા મંદિરની પાછળ આવેલા વડલાના ઝાડ પાસે શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાતો હતો. ​આ ઘટના બાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ અને FSL (Forensic Science Laboratory)ની ટીમ દ્વારા સ્થળ પર જઈને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મૃતકનું 'કોઝ ઓફ ડેથ' (મૃત્યુનું કારણ) પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ‘ઓડિયો ક્લિપના રાજુ સોલંકીની ગર્ભિત ધમકી’ ​તપાસ દરમિયાન એક મહત્વનો વળાંક આવ્યો જ્યારે આરોપી રાજુ સોલંકી અને અન્ય એક વ્યક્તિ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઓડિયોમાં રાજુ સોલંકી મૃતકની આત્મહત્યા બાબતે વાત કરી રહ્યા છે અને તેમાં ગર્ભિત ધમકીઓ આપતા હોવાનું પણ જણાય છે. આ ઓડિયો સામે આવ્યા બાદ આ ઘટના આત્મહત્યા છે કે પૂર્વ આયોજિત મર્ડર (હત્યા), તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ​ઉચ્ચ અધિકારીઓના આદેશ અને ટેકનિકલ તપાસ ​એસપી જૂનાગઢ દ્વારા આ કેસની તપાસ જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપીને સોંપવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે મૃતકને કોઈ અગાઉથી ધમકી મળી હતી કે કેમ? આ ઉપરાંત, શકમંદોની ટેકનિકલ તપાસ (CDR એનાલિસિસ) પણ કરવામાં આવી છે. FSL અધિકારીઓ, જેમણે ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યું હતું, તેમના પણ નિવેદનો ફરીથી લેવામાં આવ્યા છે. ​જાહેર જનતાને અપીલ ​ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે આ ઘટનાને લગતા કોઈ પણ પુરાવા કે માહિતી હોય, તો તેઓ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરી શકે છે. પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે માહિતી આપનાર વ્યક્તિનું નામ અને તેની વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નવસારી નજીક ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:નીરમા કંપનીના MD સહિત 5 લોકો સવાર હતા, પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
    Next Article
    પેટ્રોલ-ડીઝલ બચત માટે સરકારનો મોટો નિર્ણય:ઋષિકેશ પટેલે કહ્યું- CM હવે માત્ર 2 ગાડીઓના કોન્વોયમાં ફરશે, હેલિકોપ્ટરના ઉપયોગ પર બ્રેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment