Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાકોરમાં હવે ભક્તો જાતે જ નીચેથી ધજા ચડાવી શકશે:રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની પદ્ધતિ બદલાશે, દોરડા અને ગરગડીની સિસ્ટમ ઉભી કરવાની કામગીરી શરૂ

    1 week ago

    ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજતા રાજાધિરાજ રણછોડરાયના મંદિરે આવતા હજારો ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજીની જેમ ડાકોરમાં પણ ગરગડી અને દોરડાના માધ્યમથી ભક્તો નીચે ઊભા રહીને ધજા શિખર સુધી પહોંચાડી શકશે. આ નવી વ્યવસ્થા માટે અત્યારે મંદિરના સુવર્ણ શિખર પર જરૂરી ટેકનિકલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા ધજા ચડાવવામાં આવતી હતી. ભક્તોનો કેવો પ્રતિસાદ મળે છે તેની સમીક્ષા કરાશે હાલમાં મંદિરના શિખર પર આ માટેના જરૂરી સાધનો ફિટ કરવાની અને લોખંડના માળખામાં ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંદિર કમિટીના જણાવ્યા અનુસાર આ એક પ્રાયોગિક ધોરણે લેવાયેલો નિર્ણય છે. શરૂઆતના તબક્કામાં આ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે અને ભક્તોનો કેવો પ્રતિસાદ મળે છે તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે અને વ્યવસ્થા જાળવવામાં અનુકૂળતા રહેશે તો તેને કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવશે. આગામી સમયમાં જ ભક્તો માટે નવી સિસ્ટમ ખુલ્લી મૂકાશે આ નવી સુવિધાથી મંદિરના સ્ટાફ પરનું ભારણ પણ ઘટશે અને ભક્તોને પણ સંતોષ મળશે. અંબાજી જેવા મોટા યાત્રાધામોમાં આ પ્રકારની વ્યવસ્થા વર્ષોથી કાર્યરત છે અને તેનાથી ભક્તોને ધજા ચડાવવામાં ખૂબ જ સરળતા રહે છે. એ જ તર્જ પર હવે ડાકોરમાં પણ કામગીરી શરૂ થતા આગામી ટૂંકા સમયમાં જ ભક્તો માટે આ નવી સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવશે તેવી શક્યતા છે. ભક્તોમાં શિખર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ ડાકોર મંદિરમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. આ ભક્તોમાં ભગવાનના શિખર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ રહેલું છે. અત્યાર સુધીની પરંપરા મુજબ શિખર પર ધજા ચડાવવા માટે મંદિરના શ્રમિક કે કર્મચારીની મદદ લેવી પડતી હતી. ભક્તો નીચે ઉભા રહીને ધજા આપતા અને કર્મચારી તેને શિખર પર જઈને લહેરાવતા હતા. જોકે, હવે આ પદ્ધતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પ્રક્રિયા વધુ ઝડપી બનશે સોનાના શિખર પાસે દોરડા અને ગરગડી નાખવાની કામગીરી અત્યારે જોરશોરથી ચાલી રહી છે. આ ટેકનિકલ ફેરફાર બાદ ભક્તો મંદિરના પરિસરમાં નીચે ઉભા રહીને જ દોરડાના માધ્યમથી ધજાને શિખર સુધી પહોંચાડી શકશે. રણછોડરાયના મંદિરે મનોરથ પૂરો કરવા અથવા બાધા રાખનારા ભક્તો મોટી સંખ્યામાં ધજા ચડાવતા હોય છે. ઘણી વખત ધજા ચડાવવા માટે ભક્તોને લાંબો સમય રાહ જોવી પડતી હતી અથવા શ્રમિકોની ઉપલબ્ધતા પર આધાર રાખવો પડતો હતો. નવી સિસ્ટમ અમલમાં આવ્યાં બાદ આ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. ભક્તો પોતે જ ધજાને ઉપર મોકલી શકશે, જેનાથી તેમની શ્રદ્ધા અને ઉત્સાહમાં વધારો થશે. ભક્તોની સુવિધા અને સલામતીને પણ ધ્યાને લેવામાં આવી મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પાછળ ભક્તોની સુવિધા અને સલામતીને પણ ધ્યાને લેવામાં આવી છે. કર્મચારીઓએ વારંવાર ઉંચાઈ પર જવાની જરૂર નહીં રહે અને ગરગડીની મદદથી સુરક્ષિત રીતે ધજા બદલી શકાશે. હાલમાં શિખર પર એન્જિનિયરો અને કારીગરો દ્વારા સ્ટ્રક્ચરની મજબૂતી તપાસીને દોરડા લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ડાકોર મંદિરના ઇતિહાસમાં આ એક મહત્વનો બદલાવ માનવામાં આવી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પરંપરાગત વિધિઓને વધુ સુગમ બનાવવાનો આ પ્રયાસ યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં ધજાનો ઇતિહાસ ડાકોર મંદિરમાં ધજા આરોહણ એ મુખ્ય સેવાઓમાંની એક છે. ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર દિવસ-રાત મંદિરે ધજા અર્પણ કરે છે. પરંપરા મુજબ, જ્યારે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાથી ડાકોર પધાર્યા, ત્યારે આ પવિત્ર સ્થળ પર ભક્તો દ્વારા ધજા ચઢાવવાની પ્રથા શરૂ થઈ હતી. ભક્તો દૂર-દૂરથી આવીને, ઘણીવાર પગપાળા, રણછોડરાયજીના મંદિરે નવી ધજા ચઢાવીને પોતાની માનતા પૂરી કરે છે. મંદિરના ગુંબજ પર ધજા લગાવવાની પ્રક્રિયા ખૂબ જ ભવ્ય હોય છે, અને તેમાં પૂજારીઓ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં નેશનલ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટતા આગ લાગી:રસ્તા પર 200 મીટર સુધી આગ ફેલાઈ; એક વ્યક્તિ જીવતો સળગી ગયો, બીજો માંડમાંડ બચ્યો
    Next Article
    અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ સર્જાયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment