Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીટવેવ સામે વન્યપ્રાણીઓને રક્ષણ આપવા પ્રશાસન સજ્જ.:​સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની આકરી ગરમીથી વન્યજીવોને બચાવવા વોટર સ્પ્રિંકલર,આઈસ કેન્ડી અને ઓ.આર.એસ. યુક્ત પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.

    12 hours ago

    ​રાજ્યભરમાં જ્યારે ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વન્યપ્રાણીઓની સુરક્ષા માટે ઝૂ પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉનાળાની ઋતુ દરમિયાન વધતા જતા તાપમાન અને તીવ્ર ગરમીના મોજાથી વન્યપ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક અને પરંપરાગત ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. સક્કરબાગના ડી.એફ.ઓ. રાજદીપસિંહ ઝાલાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને માર્ચના મધ્યથી જૂન મહિના સુધી જ્યારે ગરમી પરાકાષ્ઠાએ હોય છે, ત્યારે પ્રાણીઓની અનુકૂળતા અને પ્રવાસીઓની સુગમતા માટે તંત્ર દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.તાપમાનના નિયંત્રણ માટે લેવામાં આવેલા ઉપાયોમાં મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેવા કે એશિયાટિક સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખ માટે તેમના પાંજરાઓમાં અત્યાધુનિક વોટર સ્પ્રિંકલર્સ અને ફોગર્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ આકરો હોય છે, ત્યારે આ ફુવારાઓ સતત ચાલુ રાખવામાં આવે છે જેથી પાંજરાની અંદરનું તાપમાન જળવાઈ રહે અને પ્રાણીઓને લૂ ન લાગે. આ ઉપરાંત જે પાંજરાઓમાં કુદરતી છાંયો ઓછો છે ત્યાં ખાસ પ્રકારની ગ્રીન નેટ લગાવીને કૃત્રિમ છાંયડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી સૂર્યના સીધા કિરણો પ્રાણીઓ પર ન પડે. વન્યપ્રાણીઓને પૂરતો આરામ મળી રહે તે માટે વૃક્ષોના કુદરતી છાંયામાં પણ અનુકૂળ વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે. ​પ્રાણીઓના સ્વાસ્થ્ય અને હાઇડ્રેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કે વન્યપ્રાણીઓને હંમેશા સ્વચ્છ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના કુંડની દૈનિક ધોરણે સાફ-સફાઈ કરવામાં આવે છે. આ કુંડાઓમાં નિયમિતપણે ચૂનો કરવામાં આવે છે જેથી પાણીની શુદ્ધતા જળવાઈ રહે. ગરમીના કારણે પ્રાણીઓના શરીરમાં પાણીનું સ્તર ઘટી ન જાય તે માટે પીવાના પાણીમાં ઓ.આર.એસ. એટલે કે ઇલેક્ટ્રોલાઇટ સપ્લિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. વાઘ અને રીંછ જેવા મોટા પ્રાણીઓ માટે પાણીના હોજમાં બરફની મોટી પાટો મૂકવામાં આવે છે, જેનાથી તેઓ પાણીમાં બેસીને ઠંડક મેળવી શકે છે. ખોરાકની વાત કરીએ તો, રીંછ, મર્મોસેટ અને વાંદરાઓ માટે ફળોને પાણીમાં થીજવીને બનાવવામાં આવેલી 'ફ્રોઝન ફ્રૂટ આઈસ કેન્ડી' આપવામાં આવે છે, જે તેઓ ખૂબ જ હોંશથી ખાય છે અને તેમના શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે. ​પક્ષીઓ અને સરીસૃપ વર્ગના જીવો માટે પણ સક્કરબાગ તંત્રએ વિશેષ કાળજી લીધી છે. પક્ષીઘરોમાં વિવિધ પ્રકારના ફુવારા અને ગ્રીન નેટની સુવિધા સાથે તેમના ખોરાકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પક્ષીઓને અત્યારે વધુ પાણી ધરાવતા તરબૂચ અને ટેટી જેવા ફળો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે. પક્ષીઓને ગરમીથી બચાવવા માટે કુદરતી વાતાવરણ જેવા આર્ટિફિશિયલ નેસ્ટ એટલે કે કૃત્રિમ માળાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે સાપ અને અન્ય સરીસૃપો માટે આખો દિવસ છાંયો રહે તેવી જગ્યાઓ અને પાણીના નાના કુંડ બનાવવામાં આવ્યા છે. તૃણાહારી પ્રાણીઓ માટે તાજા લીલા ઘાસચારાની સાથે પાણીના પોઈન્ટ નજીક ભીના કંતાન રાખવામાં આવે છે, જેથી વન્યજીવોની સાથે સાથે મધમાખી જેવા જીવજંતુઓને પણ સરળતાથી ભેજ અને પાણી મળી રહે. ​સક્કરબાગના સફારી વિસ્તાર અને ફ્રી રેન્જિંગ એરિયામાં મુક્ત રીતે વિહરતા વાંદરા, મોર, હરણ અને સાહુડી જેવા પ્રાણીઓ માટે પણ ઠેકઠેકાણે પાણીની કુંડીઓ ભરેલી રાખવામાં આવે છે. ઝૂના નિષ્ણાત સ્ટાફ દ્વારા તમામ વન્યપ્રાણીઓનું સી.સી.ટી.વી. કેમેરા દ્વારા ૨૪ કલાક હેલ્થ મોનીટરીંગ કરવામાં આવે છે. જો કોઈ પ્રાણી બીમાર કે અશક્ત જણાય અથવા નાના બચ્ચા હોય જે ગરમી સહન ન કરી શકતા હોય, તો તેમના માટે વિશેષ શેલ્ટર રૂમમાં કુલરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ, ઉનાળાની આ અસહ્ય ગરમીમાં પણ વન્યજીવોની તંદુરસ્તી જળવાઈ રહે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સક્કરબાગ પ્રશાસન દ્વારા તમામ સ્તરે તકેદારી રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આપના ધારાસભ્યએ સરકારનો આભાર માનતા કોંગ્રેસ નેતાનો કટાક્ષ:પેટ્રોલ-ડીઝલ પરના વેટ અને સેસથી રાજ્યને બે વર્ષમાં રૂ. 41 હજાર કરોડની આવક, સરકારી શાળામાં 9400થી વધુ ઓરડાની ઘટ
    Next Article
    સાવરકુંડલામાં ચાલું બાઈકમાં આગ લાગી:બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment