Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બનશે આધુનિક ફૂડ લેબોરેટરી:સૌરાષ્ટ્રભરના ખાદ્ય પદાર્થોનાં નમુના બહાર મોકલવા નહીં પડે, બે મહિને આવતા રિપોર્ટ બે-ત્રણ દિવસમાં મળશે; આરોગ્ય કેન્દ્રનું પણ નિર્માણ

    16 hours ago

    ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટનાં કાલાવડ રોડ પાસેથી નાનામવા રોડ તરફ જતાં પ્લોટમાં TRP ગેમ ઝોન નજીક અંદાજે રૂ. 4.60 કરોડના ખર્ચે એક વિશાળ અને આધુનિક ફૂડ લેબોરેટરી અને આરોગ્ય સુવિધા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સચોટ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. આ લેબોરેટરી તૈયાર થતા રાજકોટ અને સૌરાષ્ટ્રભરનાં જિલ્લાઓમાં ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમુના તપાસ માટે વડોદરા મોકલવા નહીં પડે અને રાજકોટમાં તેની તપાસ થશે. અત્યારે વડોદરાથી બે-ત્રણ મહિને આવતા રિપોર્ટ રાજકોટની ફૂડ લેબોરેટરીમાં બે-ત્રણ દિવસમાં મળી જશે. આ સાથે અહીં તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પણ કરવામાં આવશે, જેને લઈને ઇમરજન્સીમાં લોકોને સારવાર પણ મળી રહેશે. સૌરાષ્ટ્રભરથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ રાજકોટ આવશે વર્તમાન વ્યવસ્થા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) ચકાસણી માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવા પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થાય છે અને રિપોર્ટ આવવામાં વિલંબ થવાથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી પડે છે. પરંતુ નવું બિલ્ડિંગ કાર્યરત થયા બાદ રાજકોટમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ થશે, જેના પરિણામે દૂધ, ઘી, તેલ કે અન્ય ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળને પકડવા માટેના રિપોર્ટ ગણતરીના દિવસોમાં જ મળી શકશે. આનાથી ભેળસેળિયા તત્વોની સામે ઝડપથી કાર્યવાહી કરી શકાશે અને નાગરિકોને શુદ્ધ આહાર મળવાની ખાતરી થશે. આ બિલ્ડિંગના આયોજન અને સ્થાપત્યની વાત કરીએ તો, તેને કુલ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા બંનેનો સમન્વય જોવા મળશે. ગ્રાઉન્ડ ફ્લોર: સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને કટોકટીની તબીબી સેવાઓ કેન્દ્રિત કરવામાં આવી છે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. ખાસ કરીને માતૃ-બાળ કલ્યાણ માટે B.F. કોર્નર, ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) રૂમ અને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમની ફાળવણી કરવામાં આવી છે. પુરુષ અને મહિલાઓ માટે અલગ વોર્ડ તેમજ શૌચાલયની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત પેથોલોજી લેબ અને સેમ્પલ લેબ જેવી સુવિધાઓથી નિદાન પ્રક્રિયા વધુ સરળ બનશે. પ્રથમ માળ: આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બિલ્ડિંગનો પ્રથમ માળ સંપૂર્ણપણે ખાદ્ય સુરક્ષા વિભાગને સમર્પિત રહેશે. અહીં 3 અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે. આ લેબમાં હાઈ-ટેક સાધનો માટે ઇન્સ્ટ્રુમેન્ટ રૂમ, ડિસ્ટિલેશન રૂમ, ફ્યુમિંગ રૂમ, બેલેન્સ રૂમ અને કેમિકલ સ્ટોરની સુવિધા હશે. ફૂડ એનાલિસ્ટ માટે અલગ ચેમ્બર અને ડેટા મેનેજમેન્ટ માટે એડમિન વિસ્તારની જોગવાઈ છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે એક વિશેષ એક્ઝિબિશન રૂમ અને ટ્રેનિંગ રૂમ પણ બનાવવામાં આવશે, જ્યાં હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો અને નાગરિકોને ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે માહિતગાર કરી શકાશે. બીજો માળ: વોટર ટેસ્ટિંગ અને વહીવટી સુવિધાઓ બિલ્ડિંગના બીજા માળે પાણીની શુદ્ધતા ચકાસવા માટે 2 ખાસ વોટર ટેસ્ટિંગ રૂમ ફાળવવામાં આવશે. શહેરમાં વિતરણ થતા પીવાના પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે આ લેબ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. અશુદ્ધ પાણીથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આધુનિક પદ્ધતિથી અહીં પાણીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવશે. દોઢથી બે વર્ષની અંદર લેબ બનીને તૈયાર થઈ જશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેકટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ ત્રણેય સુવિધાઓના નિર્માણ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 4,59,67,751 (GST સિવાય) નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 18 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, ચોમાસાના ત્રણ મહિના (1 જુલાઈથી 30 સપ્ટેમ્બર)ને કાર્યકાળમાંથી બાકાત રાખવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ વર્કઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવે તો અંદાજે દોઢ-બે વર્ષની અંદર સૌરાષ્ટ્રનાં લોકોને આ સુવિધાનો લાભ મળતો થવાની શક્યતા છે. કોન્ટ્રાક્ટરો માટે પાત્રતાના ધોરણો આ કામ માટે માત્ર 'A' ક્લાસમાં નોંધાયેલા અનુભવી કોન્ટ્રાક્ટરો જ અરજી કરી શકશે. કોન્ટ્રાક્ટરોએ છેલ્લા સાત વર્ષમાં આ પ્રકારના કામનો ઓછામાં ઓછો 40 ટકા જેટલો અનુભવ ધરાવવો આવશ્યક છે. આ ઉપરાંત, ટેન્ડર સાથે રૂ. 4,59,678ની અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) અને રૂ. 7,500ની ટેન્ડર ફી જમા કરાવવાની રહેશે. કોન્ટ્રાક્ટરે કામના સ્થળે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવી પણ ફરજિયાત છે. વિવિધ પ્રકારના રસીકરણ પણ અહીં કરાશે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં ફૂડ લેબોરેટરીની સાથે આરોગ્ય સુવિધા ભવનનું પણ નિર્માણ કરવામાં આવશે,જેમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને ઇમરજન્સી તબીબી સેવાઓ મળી રહેશે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. એટલું જ નહીં વિવિધ પ્રકારના રસીકરણ પણ અહીં કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ફાડરવાળા મેલડી મંદિરે મહાપ્રસાદ યોજાયો:ડાકડમરુ કાર્યક્રમમાં 15 હજારથી વધુ ભક્તોએ લાભ લીધો
    Next Article
    પ્રતિબંધિત ગોગો કોન-પ્રિ-રોલ સ્ટિકનું વેચાણ કરતો શખસ ઝડપાયો:ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પાનની દુકાનમાં પોલીસની રેડ, તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment