Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારને શું ફરક પડે છે? કોઈ જીવે કે મરી જાય:NEETનું પેપર ફરીથી કરાવી લેશો, દીકરી પાછી લાવી શકશો? માતાના સવાલ, દીકરી મેં ગુમાવી; ભ્રષ્ટ સિસ્ટમે લીધો દીકરીનો જીવ

    2 weeks ago

    “પેપર તો ફરીથી કરાવી લેશો, પણ મારી દીકરીને પાછી લાવી શકશો ખરા?... તે આજે પણ મારી આંખો સામે આવીને કહે છે- મા મને માફ કરી દેજે. હું ડોક્ટર ન બની શકી. તમારા અને પપ્પાના સપના પૂરા ન કરી શકી. મારી દીકરીનો શું વાંક હતો? શું ગરીબ પરિવારમાં જન્મ લઈને ડોક્ટર બનવાનું સપનું જોવું એ જ તેનો ગુનો હતો?” આ કહેતા કહેતા નીલમ ચતુર્વેદી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. શબ્દો ગળામાં અટકી જાય છે. આંસુ રોકાવાનું નામ નથી લેતા. નીટ પેપર લીક મામલા પછી નાગપુરમાં આત્મહત્યા કરનાર મઉગંજની વિદ્યાર્થીની આકાંક્ષા ચતુર્વેદીના ઘરમાં 11 દિવસ પછી પણ શોકનો માહોલ છવાયેલો છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે પરિવારના હાલ જાણવા તેમના ઘરે પહોંચી ત્યારે એક જૂના જર્જરિત નળિયાવાળા મકાનમાં આખો પરિવાર ભાંગી પડ્યો હતો. મા રડી રડીને દીકરીને યાદ કરી રહી હતી, જ્યારે પિતા હોસ્પિટલમાં જીવન સામે લડી રહ્યા છે. પરિવાર પર 15 લાખ રૂપિયાથી વધુનું દેવું છે. માએ કહ્યું- હવે શું બોલું અને કેવી રીતે બોલું... મારી તો આખી જિંદગી ખતમ થઈ ગઈ. એકમાત્ર દીકરી પેપર લીકનો શિકાર બની. પેપર લીકથી તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી પરિવારજનોના મતે, આકાંક્ષા ભણવામાં એક હેશિયાર વિદ્યાર્થિની હતી. તેને 650થી વધુ માર્ક્સ મળવાની આશા હતી, પરંતુ NEET પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના સમાચારોએ તેને માનસિક તણાવમાં ધકેલી દીધી. પરીક્ષા ફરીથી યોજાવાની આશંકાઓ વચ્ચે તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. દીકરીને ડોક્ટર બનાવવા માટે પિતા કૃષ્ણકુમાર ચતુર્વેદીએ લગભગ 15-20 લાખ રૂપિયાથી વધુનું દેવું લીધું છે. પિતા પોતાની દીકરીના અંતિમ સંસ્કાર પણ જોઈ શક્યા નહીં. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમની તબિયત એટલી બગડી ગઈ કે તેમને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ડોકટરોના મતે, તેઓ ડિપ્રેશનમાં છે. પરિવારનું કહેવું છે કે જે દીકરીના ભણતર માટે પિતાએ આખી જિંદગીની કમાણી અને ભવિષ્ય દાવ પર લગાવી દીધું, તે જ દીકરીને છેલ્લી વિદાય આપવી પણ તેમના નસીબમાં નહોતી. અહીં ખાનગી હોસ્પિટલમાં સારવારના કારણે પરિવાર પર આર્થિક બોજ વધી રહ્યો છે. બે વખત હાર્ટએટેક આવી ગયા અને લકવા પછી પણ મહેનત કરતા રહ્યા નીલમ જણાવે છે- પતિ હાર્ટના પેશન્ટ છે. તેમને બે વાર એટેક આવી ચૂક્યો છે. દરેક વખતે ભગવાને તેમને બચાવી લીધા. 2 વર્ષ પહેલાં તેમને લકવો થયો હતો. એક સમય એવો આવ્યો કે હાથ-પગ ચલાવવા પણ મુશ્કેલ થઈ ગયા. ઘણા સમય સુધી પથારીમાં પડ્યા રહ્યા. એક દિવસ ખૂબ ઉદાસ થઈ ગયા. એક દિવસ કહેવા લાગ્યા, જો હું આ જ રીતે પથારીમાં પડ્યો રહીશ તો આગળ શું થશે? દીકરીના ભણતરના કારણે પહેલાથી જ ઘણું દેવું થઈ ગયું છે. મારે કંઈ પણ કરીને ફરીથી કામ શરૂ કરવું પડશે. મેં તેમને સમજાવવાની કોશિશ કરી. તેમને કહ્યું- તમે બે-બે વાર હાર્ટએટેકમાંથી બહાર આવ્યા છો. હાલમાં લકવાનો શિકાર છો. તમને કંઈ થઈ ગયું તો અમે શું કરીશું. તેમણે કહ્યું- મને કંઈ નહીં થાય. તું ચિંતા શા માટે કરે છે. દીકરી ભણી-ગણીને ડોક્ટર બની જશે તો બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. થોડા દિવસો પછી તેઓ કામ પર જવા લાગ્યા. મૃત્યુના 3 દિવસ પહેલા ખાવા-પીવાનું છોડી દીધું હતું આકાંક્ષાના નાના ભાઈ રાજ ચતુર્વેદીએ જણાવ્યું કે દીદી હંમેશા પોતાના ડોક્ટર બનવાના સપના વિશે જ વાત કરતી હતી. ક્યારેય બીજી કોઈ વાત કરતી ન હતી. હું પણ દીદી સાથે નાગપુરમાં જ રહેતો હતો. તે જે દિવસે પેપર આપીને આવી હતી ત્યારે ખૂબ ખુશ હતી. તેની આંખોમાં એક ચમક હતી. કહી રહી હતી કે મારું પેપર તો એવું ગયું છે કે બધું જ બની ગયું. હવે મારું ડોક્ટર બનવાનું સપનું પૂરું થઈ જશે. જ્યારેથી પેપર લીક થવાની વાત સામે આવી, ત્યારથી તે ડિપ્રેશનમાં જતી રહી. સુસાઈડના 3 દિવસ પહેલાથી જ ખાવા-પીવાનું છોડી દીધું હતું. ચૂપચાપ રહેવા લાગી હતી. અમે વાત કરવાની કોશિશ પણ કરી, પરંતુ તેણે કંઈ જણાવ્યું નહીં. 90 વર્ષના દાદી બોલ્યા - આના કરતાં તો મોત આવી જાય તો સારું આકાંક્ષાના 90 વર્ષના દાદી યશોદા ચતુર્વેદી પણ હવે પોતાના નસીબ પર રડી રહ્યા છે. તેમણે કહ્યું- હવે બોલવા માટે શું બાકી રહ્યું? જે ઉંમરે હવે મારે પોતે થોડા દિવસો પછી મરી જવાનું છે, તે ઉંમરે હવે પૌત્રીનું મૃત્યુ જોયું. ક્યારેય વિચાર્યું ન હતું કે એવો પણ દિવસ આવશે કે પોતાની ત્રીજી પેઢીનું મૃત્યુ પોતાની આંખો સામે જોવું પડશે. પહેલા પોતાની લાંબી આયુને ભગવાનનો વરદાન માનતી હતી, પરંતુ હવે એવું લાગે છે કે જાણે આ કોઈ શાપ જેવું છે. આ દિવસો જોવા કરતાં તો મને મોત આવી જાત. ઓછામાં ઓછું શાંતિથી મરી જાત. મોટા બાપા બોલ્યા- ડોલી ઉઠાવવાની હતી, અર્થી ઉઠાવવી પડી મોટા પિતા હનુમાન પ્રસાદ ચતુર્વેદીએ કહ્યું કે જે ઉંમરે દીકરીની ડોલી ઉઠાવવાની હતી, હવે તે ઉંમરે દીકરીની અર્થી ઉઠાવવી પડી. ભલા, આનાથી વધુ દુઃખદાયક શું હોઈ શકે? મારું કાળજું કંપી ગયું, જ્યારે મેં મારા આ જ ખભાથી તેની અર્થીને કાંધ આપી. માતા બોલી- આ ભ્રષ્ટ સિસ્ટમે લીધો છે દીકરીનો જીવ આકાંક્ષાની માતા નીલમે રડતા રડતા કહ્યું કે મારી દીકરીનો જીવ આ ભ્રષ્ટ સિસ્ટમે લઈ લીધો છે. સરકારને શું ફરક પડે છે? કોઈ ગરીબ જીવે કે મરી જાય. આજે જો પેપર લીક ન થયું હોત તો મારી દીકરી જીવતી હોત. તેમણે કહ્યું કે પેપર ફરીથી કરાવી લેશે. શું તમે મારી દીકરીનો જીવ ફરીથી પાછો લાવી શકશો? શું તમારામાં અમારા નુકસાનની ભરપાઈ કરવાની ક્ષમતા છે? અમારી એકમાત્ર દીકરી જતી રહી. પેપર લીક થતાં જ તેને પિતાના ભારે દેવાનો બોજ યાદ આવ્યો અને તેણે આ પગલું ભરી લીધું. વિપક્ષના પ્રતિનિધિ મંડળે અઢી લાખની મદદ કરી આકાંક્ષાના પિતરાઈ અને મોટા ભાઈ રાહુલ ચતુર્વેદીએ જણાવ્યું કે સત્તાધારી પક્ષે અહીં કોઈ મદદ કરી નથી, પરંતુ વિપક્ષના કેટલાક લોકો અહીં આવ્યા હતા. તેમણે અઢી લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. હવે ગામમાં દીકરીઓને બહાર ભણવા મોકલવા નથી માંગતા લોકો પરિવારના જ કુસુમ ચતુર્વેદીએ જણાવ્યું કે આ ઘટનાએ દરેક વ્યક્તિને અંદરથી હચમચાવી દીધા છે. ગામ અને આસપાસમાં પહેલાથી જ લોકો દીકરીઓના શિક્ષણ પર એટલું ધ્યાન આપતા ન હતા કે તેમને ડોક્ટરનો અભ્યાસ કરવા બહાર મોકલી શકે.
    Click here to Read More
    Previous Article
    South Delhi hotel owner saw property up in flames, fled: Police
    Next Article
    ટ્રક-કાર વચ્ચે ભયાનક ટક્કર, પોરબંદરના શિક્ષકનું મોત:4 વર્ષના બાળક સહિત 3 ગંભીર, ધંધુકા-રાણપુર રોડ પર પરિવારની નજર સામે જ ઘરનાં મોભીનું મોત થતાં ચીસાચીસ મચી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment