Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ‘ગન કલચર’ વધ્યું:પોલીસ લોકોની સુરક્ષા માટે નહીં પણ AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવાનું કામ કરે છે : ગોપાલ ઇટાલીયાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

    15 hours ago

    આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં ગન કલચર વધ્યું હોવાનો દાવો કર્યો હતો. સાથે પોલીસ લોકોની સુરક્ષા માટે નહીં પણ ભાજપનાં ઈશારે AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવા કામ કરતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા તેમજ આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરો સામે થઈ રહેલી પોલીસ હેરાનગતિ મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. તેમણે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નોના ઉત્તર અને વર્તમાન રાજકીય સ્થિતિને ટાંકીને ગુજરાતમાં વધતા જતા ‘ગન કલચર’ અને પોલીસ તંત્રના કથિત દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. ગોપાલ ઇટાલીયાએ જનતાનું ધ્યાન ગુજરાતમાં વધતા હથિયાર લાયસન્સ તરફ દોર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિધાનસભામાં તેમના દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખાસ કરીને સુરત અને અમદાવાદ જિલ્લામાં સ્વરક્ષણ માટે હથિયાર રાખનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગૃહમંત્રીએ આપેલા સરકારી આંકડાઓ મુજબ, હાલમાં સુરતમાં 2900 અને અમદાવાદમાં 5100 જેટલા લોકો પાસે રિવોલ્વરના લાયસન્સ છે. ઇટાલીયાએ દાવો કર્યો હતો કે જો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો અંદાજીત 1,00,000 લોકો પાસે રિવોલ્વર લાયસન્સ હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, હથિયારો મેળવવા માટે મોટાભાગના લોકોએ ‘જીવનું જોખમ’ હોવાનું કારણ દર્શાવ્યું છે. આ બાબતે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, જો આટલી મોટી સંખ્યામાં લોકો સુરક્ષા માટે હથિયારો વસાવી રહ્યા હોય, તો તે સાબિત કરે છે કે ગુજરાતમાં હવે બિહાર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને રાજ્યમાં ‘ગન કલચર’ પગપેસારો કરી ચૂક્યું છે. જો નાગરિકો પોતે સુરક્ષિત અનુભવતા ન હોય તો સરકારના સલામત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થાય છે. બીજા મહત્વના મુદ્દે બોલતા ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પોલીસ તંત્ર સત્તાધારી પક્ષના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને નિશાન બનાવી રહ્યું છે. પોલીસ દ્વારા કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે છે અને તેમને ધમકાવીને પાર્ટીનો અંગત ડેટા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગરની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કાલે ત્યાંના SPએ અમારા કાર્યકરોને ખુલ્લેઆમ ધમકીઓ આપી છે. ભાજપ એક તરફ એવું કહે છે કે AAP તેમની સાથે છે, પરંતુ પડદા પાછળ અમારા ઉમેદવારોને ડરાવવામાં આવે છે અને ચૂંટણી ન લડવા માટે દબાણ કરવામાં આવે છે. આજે હું એ બતાવવા આવ્યો છું કે પોલીસનો ઉપયોગ જનતાની સુરક્ષા માટે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ડરાવવા, ધમકાવવા અને જેલમાં નાખવા માટે થઈ રહ્યો છે. ગયા કેટલાક દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં અમારા કાર્યકરોને પોલીસે હેરાન કર્યા છે. 13 માર્ચે સાબરકાંઠામાં ત્રણ કલાક સુધી એક કાર્યકરને ધમકી આપવામાં આવી. ધરમપુરમાં ઉમેદવારોના ઘેર જઈ તેમના મોબાઇલ અને લેપટોપ ચેક કરવામાં આવ્યા. વાંસદા અને અમદાવાદમાં કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કલાકો સુધી બેસાડવામાં આવ્યા. પાલનપુર, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા, બાપુનગર, એલિસબ્રિજ સહિત અનેક વિસ્તારોમાં આવી જ કાર્યવાહી થઈ છે. કાર્યકરો પાસેથી ચૂંટણી સંબંધિત ડેટા માંગવામાં આવ્યો અને ન આપવાથી ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં અમારા આગેવાનોને પોલીસ અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને રાજકીય દબાણની ધમકી આપવામાં આવી છે. આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા માટે થઈ રહ્યો છે, જ્યારે સામાન્ય જનતા ગુંડાઓ, માફિયા અને ગુનાખોરોના ભરોસે છોડી દેવામાં આવી છે. પરિણામે લોકો હવે પોતાનું રક્ષણ કરવા માટે હથિયાર લાયસન્સ લેવાનું પસંદ કરી રહ્યા છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઊભી થયેલી લડાયક પાર્ટી છે. અમે ડરવાના નથી. આ લડાઈ સત્ય અને ન્યાય માટે છે. તેથી જનતાએ સત્યનો સાથ આપવો જોઈએ. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે આ બાબતે અમે ફરિયાદ નોંધાવી છે, પરંતુ અમારી ફરિયાદ ક્યાંય સ્વીકારવામાં આવતી નથી. પોલીસે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ઉપરથી “કમલમ” તરફથી આદેશ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો, ધમકાવો અને તેમના ઉમેદવારોનો ડેટા મેળવો. અમે નિયમ મુજબ ફરિયાદ કરી રહ્યા છીએ, પરંતુ અમારી ફરિયાદને યોગ્ય રીતે લેવામાં આવતી નથી. હાલમાં પણ એ જ પ્રક્રિયા ચાલુ છે અને અમને પણ એ જ રીતે આગળ વધવાનું કહેવામાં આવે છે. ધરમપુર, વાંસદા, પાલનપુર, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા સહિત અનેક વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવ્યા છે. આ તમામ મામલાઓમાં અમે પ્રથમ તબક્કે પોલીસ પાસે જ રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો પોલીસ સ્ટેશનમાંથી અમને યોગ્ય અને લેખિત જવાબ નહીં મળે, તો અમે કોર્ટમાં પણ જઈશું, કારણ કે આ ઘટનાઓ તાજેતરમાં બની છે અને હજુ પણ ચાલુ છે. આંકડાઓ મુજબ, માત્ર બે જિલ્લાઓમાં જ આશરે આઠ હજારથી વધુ લોકો પાસે હથિયાર લાયસન્સ છે અને પાંચસોથી વધુ નવા લાયસન્સ માટે અરજીઓ થઈ રહી છે. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. જો માત્ર બે જિલ્લાઓમાં આટલો આંકડો હોય, તો સમગ્ર રાજ્યમાં આ સંખ્યા ખૂબ મોટી થઈ શકે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના ઘણા લોકો હવે હથિયાર લાયસન્સ લઈ રહ્યા છે, કારણ કે તેઓ મુશ્કેલી વખતે પોલીસ પર સંપૂર્ણ ભરોસો રાખી શકાતો નથી અને પોતાની સુરક્ષા માટે પોતે જ સજ્જ રહેવું જરૂરી છે. ઇટાલીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે, "અમે SP કે IGની દલાલી કરવા વાળા લોકો નથી." આ મામલે હાલમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને જો પોલીસ તંત્ર દ્વારા યોગ્ય સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ લડાઈ કોર્ટ સુધી લઈ જવાની તૈયારી છે. લોકોએ પણ આ બાબત ખાસ સમજવી જરૂરી છે કે, તમે જેને મત આપ્યા છે તે સરકાર હાલમાં તમારી સુરક્ષા કરવાને બદલે પોલીસનો AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવા માટે ઉપયોગમાં લઇ રહી છે. ત્યારે આગામી ચૂંટણીમાં આ બાબતને ધ્યાનમાં લઈ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. કેજરીવાલના બંગલા મુદ્દે વિવાદ અને વળતો પ્રહાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાન (બંગલા) અંગે ચાલી રહેલા વિવાદ પર પણ ગોપાલ ઇટાલીયાએ મૌન તોડ્યું હતું. તેમણે ભાજપ અને વિરોધીઓ દ્વારા કરવામાં આવતા રૂ. 25 કરોડના ખર્ચના આક્ષેપોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, જે લોકો 25 કરોડના ખોટા નિવેદનો આપી રહ્યા છે, તેમણે પહેલા પોતાની સરકારના વહીવટ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે 'રહેમાન ડકેત' જેવા શબ્દોના પ્રયોગ કરનારા નેતાઓને સલાહ આપી હતી કે બીજા ઉપર આંગળી ઉઠાવતા પહેલા પોતાનું નિરીક્ષણ કરે. ઇટાલીયાએ આક્ષેપ કર્યો કે, એક બાજુ સામાન્ય કોર્પોરેટરો રૂ. 100 કરોડના કૌભાંડો આચરી રહ્યા છે અને બીજી બાજુ એક પૂર્વ મુખ્યમંત્રી સામે રૂ. 25 કરોડના ખર્ચના પાયાવિહોણા આરોપો લગાવીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. હવે તો અદાલત દ્વારા પણ સાબિત થઈ ચૂક્યું છે કે, અરવિંદ કેજરીવાલ સાવ નિર્દોષ છે, ત્યારે તેમના વિશે ખોટી અફવા ફેલાવવી એ જરાપણ યોગ્ય નથી. તો ગોપાલ ઇટાલીયાએ આક્રમક તેવર બતાવી AAPનાં આગેવાનોને પોલીસની હેરાનગતિ મામલે આગામી દિવસોમાં કાયદાકીય તેમજ રાજકીય લડત ઉગ્ર કરવાના સંકેતો આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડેનમાર્કના વડાપ્રધાને હાર બાદ રાજીનામું આપ્યું:પર્યાવરણની ચિંતાને કારણે મેકઅપ છોડી દીધો હતો, ટ્રમ્પને પણ પડકાર્યા હતા
    Next Article
    વેરાવળમાં રામ નવમી, રઘુવંશી ગૌરવ દિવસ ઉજવાયો:હાલાઈ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ એકતા સાથે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment