Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર અભયારણ્ય નજીક વિસ્તારમાં વન વિભાગની નોટિસ:જૂનાગઢના દૂબળી વિસ્તારમાં વન વિભાગે ફટકારેલી 83 નોટિસોથી ગણેશનગરમાં ફફડાટ, રહીશો ન્યાય મેળવવા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું,

    1 day ago

    ​વન વિભાગ દ્વારા જુનાગઢ શહેરના દૂબળી વિસ્તારના રહીશોને નોટિસો પાઠવવામાં આવી છે, જેને લઈ ગણેશનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. વર્ષોથી આ વિસ્તારમાં સ્થાયી થયેલા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં આ નોટિસના કારણે ભારે ચિંતા અને ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. ચોમાસાની શરૂઆત થતાં જ વન વિભાગ દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકો હવે પોતાના ઘર બચાવવા માટે કાયદાકીય અને વહીવટી લડત લડવાના મૂડમાં આવી ગયા છે. ​આ સમગ્ર મામલે ગણેશનગરના સ્થાનિક જીગ્નેશ મારુએ જણાવ્યું હતું કે, તેઓ ગણેશનગરના કાયમી અને જૂના રહીશ છે. બે દિવસ પહેલા જ જંગલ ખાતા તરફથી અચાનક એક શો-કોઝ નોટિસ આપવામાં આવી છે, જેમાં માત્ર બે જ દિવસની અંદર જમીનની માલિકી અંગેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આટલા ટૂંકા સમયમાં પુરાવા એકત્ર કરવા ખૂબ મુશ્કેલ છે. વર્ષો પહેલા તત્કાલીન કલેક્ટર સાહેબે બંધારા ગામની ગ્રામ પંચાયત હસ્તકની જે જમીન હતી, તેનો યોગ્ય ઠરાવ કરીને તે જમીન ફોરેસ્ટ ખાતાને સુપ્રત કરી દીધી હતી. તે જમીનના બદલામાં ગણેશનગરમાં નગરપાલિકાએ કાયદેસરનો ઠરાવ કરીને અમારી પાસેથી નિયમ મુજબના પૈસા પણ વસૂલ કર્યા હતા. હવે આટલા બધા વર્ષો વીતી ગયા બાદ અચાનક જંગલ ખાતાના અધિકારીઓ અમારી જમીનની માંગણી કરી રહ્યા છે અને અમને ત્યાંથી વિસ્થાપિત કરવા માંગે છે. આ અન્યાયી પ્રક્રિયા સામે અમે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી છે કે વહીવટી તંત્ર પાસે રહેલી જૂની સરકારી ફાઇલો અને ઠરાવો બહાર લાવવામાં આવે અને અમને અમારી જમીનના કાયદેસરના દસ્તાવેજો બનાવી આપવામાં આવે જેથી અમારું આશરો છીનવાય નહીં. ​ગણેશનગરના રહીશ મેપાભાઇ કટારીયાએ જણાવ્યું હતું કે ગિરનાર દરવાજાની બિલકુલ બાજુમાં આવેલો ગણેશનગર વિસ્તાર તેમનું વર્ષો જૂનું સરનામું છે. આ પ્રકારની પરિસ્થિતિ વર્ષ 2007-08 ના સમયગાળામાં પણ ઊભી થઈ હતી, જ્યારે ફોરેસ્ટ વિભાગના માણસો તેમના મકાનો તોડી પાડવા માટે જે-તે સમયે આવી પહોંચ્યા હતા. તે સમયે કલેક્ટર અને ભારતીય જનતા પક્ષના સ્થાનિક ધારાસભ્યો સહિતના તમામ સભ્યોએ સ્થળ પર આવીને આ તોડફોડની કામગીરી અટકાવી હતી. તે સમયે તમામ જરૂરી કાગળો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને જમીનના બદલામાં દોઢી જમીન આપવાનું નક્કી કરાયું હતું. ભોપાલ ખાતે મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ પર્યાવરણને નુકસાન ન થાય તે માટે વન વિભાગને બંધારા પંચાયતનો ઠરાવ કરીને જમીન સોંપવામાં આવી હતી. મામલતદાર અને કલેક્ટરે બંધારા ખાતે જમીન પર યોગ્ય કાર્યવાહી કરી હતી જેને આજે ઓગણીસ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. અમે આપેલી તે જમીન પર ફોરેસ્ટે પાંચ વીઘા જેટલા વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને ડેવલપમેન્ટ પણ કરી નાખ્યું છે. વન વિભાગે ત્યાં મોટા ખાડા પણ કરેલા છે જેની ખાતરી કોઈપણ વ્યક્તિ બંધારાના તે સ્થળ પર જઈને વિડીયો ઉતારીને કરી શકે છે. આવી પરિસ્થિતિ વચ્ચે દર વર્ષે જ્યારે ચોમાસું નજીક આવે ત્યારે જ વન વિભાગના અધિકારીઓ જાગે છે અને શનિ કે રવિવાર જેવા જાહેર રજાના દિવસોમાં આવી નોટિસો બજાવવાની કાર્યવાહી કરે છે જેથી સામાન્ય નાગરિક કોઈ કાનૂની મદદ કે સરકારી કચેરીનો સંપર્ક ન કરી શકે. ગયા શનિ-રવિવારે પણ તેમણે આ જ રણનીતિ અપનાવીને મજૂર વર્ગના લોકોને પરેશાન કર્યા છે. આ વિસ્તારમાં તમામ લોકો રોજગારી કરીને પેટ ગુજારતા હોવાથી સવારે કામે ચાલ્યા જાય છે. અમે આજે કલેક્ટર સાહેબ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે કે અમે વન વિભાગને જમીન આપી દીધી હોવા છતાં સામાન્ય નાગરિકોને શા માટે હેરાન કરવામાં આવે છે. ફોરેસ્ટ વિભાગ તરફથી હાલમાં 86 લોકોને લેખિત નોટિસો આપવામાં આવી છે અને અન્ય લોકોને મૌખિક રીતે ઘર ખાલી કરવા ધમકાવવામાં આવ્યા છે, આમ કુલ મળીને 173 જેટલા લોકોને અસર થઈ રહી છે. વન વિભાગ મકાનો પાડી નાખવાની ધમકી આપી રહ્યું છે ત્યારે અમારી પાસે જે-તે સમયે નગરપાલિકાએ માપણી કરીને પૈસા લીધાની પહોંચ અને 45-50 વર્ષ જૂના લાઈટ બિલ જેવા પાકા પુરાવા ઉપલબ્ધ છે. ​આ સમગ્ર વિવાદ અંગે જુનાગઢ વન વિભાગના જવાબદાર અધિકારી ગુલાબ સુહાગીયાએ વન વિભાગનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ વન વિભાગ હેઠળ આવતી ડુંગર દક્ષિણ રેન્જના ખોડિયાર રાઉન્ડની દૂબળી બીટમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. દૂબળી વિસ્તાર તરીકે ઓળખાતા ગિરનાર અભયારણ્યના સંરક્ષિત વિસ્તારમાં વન વિભાગની મંજૂરી વગર ગેરધોરણે મોટા પાયે પેશકદમી એટલે કે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી હતી. આ અન્વયે વન વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે નોટિસો આપવાની શરૂઆત કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 83 જેટલી કારણદર્શક નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવી છે. ​હાલમાં જે પણ લોકોએ અભયારણ્યની સરકારી જમીનમાં પેશકદમી કે દબાણ કરેલું છે, તે તમામ લોકોને પોતાની માલિકી સાબિત કરવા માટે કોઈ કાયદેસરના આધાર પુરાવા હોય તો તે રજૂ કરવા માટે નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. આ નોટિસના આધારે સ્થાનિક રહીશો દ્વારા અત્યારે વન વિભાગની કચેરી ખાતે પોતાના આધાર પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા રહીશોએ જમા કરાવેલા આ તમામ દસ્તાવેજોની ઝીણવટભરી વેરિફિકેશન એટલે કે ચકાસણી કરવાની કાનૂની કાર્યવાહી હાલ ગતિમાં છે. આ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને આગળની કક્ષાએથી આ મામલે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રહીશો દ્વારા રજૂ કરાયેલા ફાઈલો અને ડોક્યુમેન્ટ વન વિભાગે સ્વીકાર્યા છે પરંતુ આ તમામ કાગળોની સરકારી રેકોર્ડ સાથે ચકાસણી કર્યા બાદ જ આગળનું પગલું ભરવામાં આવશે. જો વેરિફિકેશનના અંતે એવું સાબિત થશે કે આ તમામ રહેણાંક દબાણો કાયદેસરના નિયમો વિરુદ્ધ અને ગેરધોરણે જ ઊભા કરવામાં આવ્યા છે, તો તે તમામ ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ડિમોલિશન એટલે કે મકાનો તોડી પાડવાની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલના તબક્કે વન વિભાગના સત્તાવાર સરકારી રેકોર્ડમાં એવી કોઈ વિગત કે નોંધ ઉપલબ્ધ નથી કે આ વિવાદિત જગ્યા વન વિભાગ દ્વારા અન્ય કોઈ સંસ્થા કે રહીશોને રહેણાંક હેતુ માટે ફાળવણી કરવામાં આવી હોય.
    Click here to Read More
    Previous Article
    સિવિલનાં તબીબોએ ઇતિહાસ રચ્યો:PDU સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી કરાઈ, દર્દીને હાથ વાળવામાં થતી મુશ્કેલી કાયમી દૂર કરી
    Next Article
    સુરત SOGનું ઓપરેશન કારાવાસ-2:કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત અને ભાઈ યુનુસ કોઠારી ઝડપાયો, 5 મેના રોજ કોર્ટે આપ્યો હતો કસ્ટડીનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment