Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:મેઘાણી 80 વર્ષેય પણ કેમ ભૂલાતાં નથી

    1 week ago

    લલિત ખંભાતિયા ઘટાટોપ લીમડાનાં વૃક્ષો પસાર કરીએ ત્યાં લાંબું-પહોળું મકાન આવે. રતાશપડતું બાંધકામ જોઈને એટલો ખ્યાલ આવે કે ઈતિહાસ સાથે સંકળાયેલું કંઈક છે. બે કદાવર પૈકીના એક દરવાજામાંથી અંદર પ્રવેશ્યા પછી ઈતિહાસ તમારું સ્વાગત કરવા સામો ઊભો હોય છે. માત્ર ઈતિહાસ નહીં, ગુજરાતી સાહિત્યનો એક આખો યુગ. મેઘાણી યુગ. એ મકાનનું નામ છે ‘ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય’. ચોટીલામાં આવેલા મેઘાણીના જન્મસ્થળ પાછળની જમીન જ વિકસાવીને સરકારે ત્યાં અદભુત સંગ્રહાલય ઊભું કર્યું છે. મેઘાણી રહેતા એ તો એક ઓરડાનું મકાન હતું. એ મકાન પણ યથાવત્ રીતે જાળવી રખાયું છે. ગુજરાતમાં સાહિત્ય સર્જકોનાં ઘરો સાચવી રાખવાનો ધારો બહુ ઓછો છે. નડિયાદનાં ગુણીજનોએ બેશક ગોવર્ધનરામના ઘરને અને ગોવર્ધનરામને જીવંત રાખ્યા છે. એવા બહુ ઓછા કિસ્સામાં મેઘાણીના ઘરનો સમાવેશ થાય છે. મેઘાણીના ઘર તેની સાથે સંકળાયેલાં વિવિધ સ્થળો પણ સાચવવાં પૂરતો પ્રયાસ થયો છે. મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ એ માટે અવિરત કાર્યરત છે, તો સામે પક્ષે સરકાર અને સંસ્થાઓનો પણ ટેકો મળે છે. એટલે જ ચોટીલાનું મેઘાણી સંગ્રહાલય ગુજરાતમાં કોઈ લેખક-સર્જક-સાહિત્યકારનું ન હોય એવું બન્યું છે. ચોટીલાની ધાર્મિક ઓળખ તો ચામુંડાદેવી છે, પણ સાંસ્કૃતિક ઓળખ આ સંગ્રહાલય બનશે. મેઘાણીના જન્મથી મૃત્યુ સુધીની ઘટનાઓ આધુનિક જમાનાને માફક આવે એ રીતે રજૂ કરાઈ છે. મેઘાણીને જોવા છે? તો ફોટા અને વિડીયો છે. મેઘાણી વિશે માહિતી મેળવવી છે? તો સ્ક્રીન પર ટચ કરો એટલે એકથી વધુ ભાષામાં સામગ્રી ઉપલબ્ધ છે. મેઘાણીના પત્રો વાંચવા છે? તો એ પણ સંગ્રહાયેલા છે. મેઘાણીને સાંભળવા છે? તો એમના અવાજમાં સચવાયેલાં ગીતો-વાર્તા-વ્યાખ્યાનો પણ છે. એ સિવાય બીજું ઘણુંય છે, જેમાંથી પસાર થઈએ એટલે સમજાય કે મેઘાણી શા માટે ભુલાતા નથી. મેઘાણી ભુલાતા નથી એનાં ઘણાં કારણો પૈકી એક કારણ ચોટીલાના પાદરમાં ઊભેલું એ સંગ્રહાલય છે. *** બીજું કારણ ધંધુકામાં આવેલું ચારણકન્યા સ્મારક છે. મેઘાણીનું ચારણકન્યા કાવ્ય જાણીતું છે. એ કાવ્ય સત્યઘટના આધારિત હતું એટલે તેનાં પાત્રો પણ હતા. એ પાત્રોને લઈને જ ધંધુકામાં સ્મારક બનાવાયું છે, જેમાં મેઘાણી છે, કવિ કાગ છે, વાછરડી છે, ગાય છે, વનરાજ છે અને બેશક ચારણકન્યા તો છે જ. કુલ તો ત્રીસ પૂતળાં છે. કોઈ કવિતાનું સ્મારક બન્યું હોય એવી એ ગુજરાતી સાહિત્યની સંભવિત પ્રથમ ઘટના છે. એ કવિતા મેઘાણીની છે. એટલે મેઘાણી નથી ભુલાતા. *** દૂરથી આવતા જોઈને લાગે કે 2026ના વર્ષે, નિધનના 79 વર્ષ પછી મેઘાણી ચાલ્યા આવે છે કે કેમ? નજીક આવ્યા પછી પણ એવું જ લાગે કેમ કે પાલિતાણાના રણછોડભાઈ મારુ દાયકાઓથી મેઘાણી વેશે જીવે છે, મેઘાણી ફર્યા ત્યાં ફરે છે, મેઘાણી જ્યાંથી સંશોધન કરી આવ્યા ત્યાં આજે શું છે એની તપાસ માંડે છે અને પોતાના ઘરને ‘મેઘાણી ભુવન’ બનાવીને મેઘાણીમય રહે છે. નાનપણમાં મેઘાણી રચનાઓ સાંભળીને રણછોડભાઈને એમાં રસ પડવા લાગ્યો. પછી તો મોટા થયા એટલે મેઘાણી સાથે સંકળાયેલાં સ્થળો ફરતા થયા. પોતે મજૂર એટલે એવી મૂડી તો હોય નહીં, પણ લ્યુના લઈને નીકળી પડે. ફરતા જાય, નોંધ કરતા જાય. એમ કરતાં કરતાં 16 વર્ષમાં સવા ચારસોથી વધારે ગામો ફરી લીધાં. બધાંની નોંધ ભેગી કરીને સાડા બારસો પાનાંના બે ગ્રંથો તૈયાર કર્યા. નામ આપ્યું, ‘મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરોમાં’. મેઘાણીના નામે ક્યાં કેવો આવકારો મળ્યો એની વાતો એમાં પાંનેપાંને પથરાયેલી છે. પછી તો મેઘાણીના પગલે ‘મેરની મેમાનગત’ એવો ગ્રંથ પણ આપ્યો. ને હજુય યાત્રા ચાલુ છે. *** 1558માં સ્થપાયેલી જર્મનીની ‘ફ્રેડરિક શિલર યુનિવર્સિટી’ના પ્રાર્થનાખંડમાં ટોળું એકઠું થયું. જૂન 22, 2019ના દિવસે ગુજરાતી યુવક અમિત કણા કણાકિયાએ ત્યાં ગીત રજૂ કર્યું. યુનિવર્સિટીના જૂના બાંધકામની છતો એ ગીતથી ગૂંજી ઊઠી અને હાજર ઓડિયન્સે પણ સમજાયું કે ન સમજાયું તેની પરવા કર્યા વગર તાલ મિલાવ્યો. રજૂ થયેલું ગીત ટાગોરના કાવ્યનું મેઘાણીએ કરેલું અનુસર્જન ‘મન મોર બની થનગાટ કરે..’ હતું. સ્વાભાવિક રીતે બધું ઓડિયન્સ કંઈ ગુજરાતી કે ભારતીય ભાષા સમજનારું હતું નહીં. પછી તો ઈન્ટરનેટ પર એ ખૂબ વાઈરલ થયું. આજે વરસાદ આવે ત્યારે ટ્રેન્ડમાં અચૂક રહેતાં ગીતોમાં મેઘાણીની એ અને બીજી રચનાઓ સાંભળવા મળે જ છેને. *** 2019માં કિર્ગિસ્તાનના બિશ્કેક નગરમાં ‘શાંઘાઈ કોઓપરેશન સમિટ’ની બેઠક મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં જાહેરાત કરી કે ભારતની ઉત્તમ 10 સાહિત્યકૃતિઓને અનુવાદિત કરીને તમારી ભાષામાં રજૂ કરાશે. 2020માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અનુવાદનું વિમોચન કર્યું. અનુવાદ રશિયન અને ચાઈનીઝ ભાષામાં હતો. દસ કૃતિમાં એક હતી મેઘાણીની નવલકથા ‘વેવિશાળ’. 2002માં મેઘાણીના પુત્ર અશોકભાઈએ ‘વેવિશાળ’નો ‘ધ પ્રોમિસ્ટ હેન્ડ’ નામે અંગ્રેજી અનુવાદ કર્યો હતો. એ પરથી પછી રશિયન, ચાઈનીઝ અનુવાદો થયા. સમગ્ર ભારતમાંથી દસ જ કૃતિ પસંદ કરવાની હતી એમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ મેઘાણી પર પસંદગી ઉતારી હતી. *** ચાહકો ભેગા થયા. હવન જેવું આયોજન કર્યું. મેઘાણીની છબી રાખી અને અંજલિ અર્પણ કરી. મેઘાણીના સર્જન વિશેની વાતો-ચીતો કરી. મેઘાણીના જન્મ-મરણ દિવસે તેમને યાદ કરવામાં આવે છે. લગ્ન વખતે વળી મેઘાણીનાં સંપાદિત ગીતોમાંથી લગ્નગીતોની રમઝટ બોલ છે. મેઘાણીના ચાહકો આવી કંઈ પ્રવૃત્તિ કરે એમાં નવાઈ શી? નવાઈ એટલી જ કે એ પ્રવૃત્તિ ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં પડોશી પાકિસ્તાનમાં થાય છે. પાકિસ્તાનના કરાંચીમાં ગુજરાતીઓની વસ્તી ઘણી છે. એ નિયમિત રીતે મેઘાણીને વાંચે-માણે છે. ગુજરાતથી જરૂરી પુસ્તકો પણ મગાવતા રહે છે. *** બોલચાલની ભાષા બોલી છે, એમાં સર્જન થઈ ન શકે. થઈ શકે તો ટકી ન શકે. એવી ટીકા મેઘાણી વખતે નરસિંહરાહ દિવેટિયા સહિતના સર્જકોએ કરી હતી. મેઘાણીએ ટીકામાં બહુ પડવાને બદલે સર્જન કર્યા કર્યું. એટલે આજે એમના ટીકાકારો કરતાં મેઘાણી વધારે યાદ છે. અખબારી સાહિત્યને આભડછેટની નજરે જોનારા ત્યારે હતા, આજેય છે. મેઘાણીએ એમનીય પરવા કરી નથી. એટલે એવા સર્જકો પણ ભુલાયા, મેઘાણી યાદ રહ્યા. મેઘાણીએ આજીવન અખબારમાં લખ્યું, લોકો સુધી સાહિત્ય પહોંચતું કર્યું. *** ઓનલાઈન યુગનો ફાયદો એ છે કે મેઘાણીનાં ગીતો ગાઈને ગાયકો વિડીયો મૂકી રહ્યા છે. ડાયરા-મેળાવડામાં મેઘાણીની રચનાઓ નિયમિત રીતે રજૂ થાય છે. લોકવાર્તા કહેવાની હોય તો કહેનારે મેઘાણીના ગ્રંથો ઉથલાવ્યા વગર અધિકૃત માહિતી મળે નહીં. મેઘાણીનાં પુસ્તકો તો અનેક પ્રકાશકો પ્રકાશિત કરે છે. સાહિત્ય અકાદમીએ મેઘાણીનું સમગ્ર સર્જન 20થી વધારે ગ્રંથોમાં ઉપલબ્ધ કરાવ્યું છે. તો બીજી તરફ ‘એકત્ર’ ફાઉન્ડેશન (ekatrafoundation.org), ઈન્ટરનેટ આર્કાઈવ્ઝ (archive.org), વિકિમીડિયા કોમન્સ (Wikimedia Commons), રેક્તા ગુજરાતી (rekhtagujarati.org).. વગેરે જેવા પ્રયાસોને કારણે મેઘાણીનાં પુસ્તકો, સર્જન ઓનલાઈન પણ બહુ સરળતાથી ઉપલ્બ્ધ બન્યું છે. મેઘાણીનાં પુસ્તકોની સંખ્યા કેટલી? કોઈ ચોક્કસ જવાબ આપવો અઘરો છે, કેમ કે મેઘાણી વખતે સ્વતંત્ર રીતે પ્રકાશિત થયેલાં પુસ્તકો હવે વિવિધ સપાંદનો સ્વરૂપે આવવાં લાગ્યાં છે. પણ તોય મેઘાણીના ગ્રંથોની સંખ્યા 100થી વધારે તો થાય છે. તેમના લેખનના કોપી-રાઈટ ખતમ થયા હોવાથી ઘણા પ્રકાશકો એમનાં પુસ્તકો પ્રગટ કરતા રહે છે. એટલે પુસ્તકમેળા હોય કે સાહિત્યોત્સવ કોઈ સર્જકોના પુસ્તક વિપુલમાત્રામાં ઉપલબ્ધ થતા હોય તો એમાં મેઘાણી અચૂક હોવાના. મેઘાણી કેમ નથી ભુલાતા એના આવા તો ઘણાય જવાબો છે. }
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:મુક્તકો : તૃણની અણી પર ઝાકળનાં બિંદુ
    Next Article
    ટાઇમલાઈન:‘હું ક્યાં છું? કોણ છે અહીં? કોણ રોકી રહ્યું છે મને?'

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment