Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાના કરોડો રૂપિયા ધૂળધાણી, ફૂડ લેબ બની માત્ર શો-પીસ:​5 કરોડના ખર્ચે વસાવાયેલી આધુનિક મશીનરી બંધ બારણે ધૂળ ખાય છે,સેમ્પલિંગ માટે આજે પણ છેક વડોદરા પર નિર્ભરતા,ખોરાકને બદલે માત્ર પાણીના સેમ્પલ લેવાય લેબમાં

    12 hours ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકામાં જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા હોવાનો અને પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો એક જીવતો-જાગતો કિસ્સો સામે આવ્યો છે. તંત્રની ઘોર બેદરકારી, અણઘડ આયોજન અને કથિત ભ્રષ્ટાચારના કારણે જૂનાગઢની જનતા આજે અનેક જીવલેણ રોગોના મુખમાં ધકેલાઈ રહી છે. ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા માટે કરોડોના ખર્ચે બનાવેલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી આજે માત્ર એક 'શો-પીસ' બનીને રહી ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​શહેરમાં શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે વર્ષ 2025-26 ના બજેટમાં પૂરા 13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી આશરે 5 કરોડ રૂપિયાના આંધણ કરી અત્યાધુનિક મશીનરી ખરીદી લેવાઈ હતી અને ત્રણ મહિના પહેલાં આ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી પણ ઊભી કરી દેવાઈ હતી. આ સેટઅપ પાછળનો મુખ્ય હેતુ એવો હતો કે જૂનાગઢના લોકોને વડોદરા સુધી ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક સ્તરે જ દૂધ, માવો અને તેલ જેવા પદાર્થોનું ટેસ્ટિંગ થઈ શકે. પરંતુ વહીવટી લાપરવાહીના કારણે કરોડોનું આ આધુનિક સેટઅપ માત્ર કાગળ પર અને બંધ બારણે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે અને મશીનરીઓ ધૂળ ખાઈ રહી છે. ​હાલની સ્થિતિએ આ લેબોરેટરીમાં ખોરાકનું ટેસ્ટિંગ કરવાને બદલે માત્ર પાણીના સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જ આ પોલંપોલ ખુલ્લી પડી છે કે કરોડોની મશીનરી હોવા છતાં આજે પણ અસલી સેમ્પલો છેક વડોદરા મોકલવા પડે છે. એક સમયે જૂનાગઢમાં ફૂડ ઇન્સ્પેક્ટરોના ડરથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ હતો, પરંતુ આજે અધિકારીઓ મોટા માથાઓ સાથે સેટીંગ કરીને શાંત બેસી ગયા હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્રનો લૂલો બચાવ એવો છે કે લેબોરેટરી માટે હજી સુધી રાજ્ય સરકારના NABL અને FSSAI ની મંજૂરી મળી નથી, તેમજ સ્ટાફ પણ ક્વોલિફાઇડ કે અનુભવી નથી. ​આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા એ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરમાં 12 થી 15 લાખની વસ્તી છે, જ્યાં અત્યારે મીઠાઈઓથી માંડી ફરસાણ અને તમામ ખાદ્ય રેસ્ટોરેન્ટોમાં સામગ્રી વેચાઈ રહી છે. આ તમામમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી મહત્વની એટલે હોય છે કે ગમે તે વ્યક્તિને ખોરાક બાબતે કાંઈ પણ ઈસ્યુ થાય તો ત્યાં ટેસ્ટિંગ કરાવી શકે. પરંતુ અત્યારે આપણે જોઈએ તો 2025ના બજેટમાં 13 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા હતા અને ત્યારબાદ 5 કરોડના kharche આખેઆખી લેબોરેટરી ઊભી કરી સાધનો લેવામાં આવ્યા, પરંતુ છેલ્લા એક વર્ષથી આ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને માત્ર પાણીના જ સેમ્પલ લેવાય છે. ખાદ્ય ખોરાક ટેસ્ટિંગ કરવાના તમામ મશીનો આવી ગયા હોવા છતાં હવે કોઈ પણ સેમ્પલ આવે તો વડોદરા મોકલવા પડે છે. ​વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા એ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આશરે 6 કરોડની આસપાસનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, તો શા માટે અહીં તાત્કાલિક ક્વોલિફાઇડ સ્ટાફ ભરી અને આ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ નથી કરવામાં આવતી. આ ચાલુ ન કરવાનું એક કારણ એ પણ હોઈ શકે કે જૂનાગઢમાં કોઈ સેફ્ટી ફૂડ ઇન્સ્પેક્ટર કાયદેસર નથી અને હમણાં જે ભરતી કરવામાં આવી એમાં પણ મોટી ભૂલો રાખી દીધી છે. જ્યારે ભરતી સેટઅપ બને ત્યારે આવા અધિકારીની નિમણૂક કરવી જોઈએ. અત્યારે એવું લાગી રહ્યું છે કે છેલ્લા 5 થી 10 વર્ષથી મહાનગરપાલિકા ફૂડ વિભાગ આખો ઊંઘમાં છે અને ચારે બાજુ ખાદ્ય ખોરાકોમાં ભેળસેળના હિસાબે કેન્સર જેવા ભયંકર રોગો થઈ રહ્યા છે. જો આ લેબોરેટરી તાત્કાલિક ચાલુ થાય તો અખાદ્ય ખોરાકો વેચાતા બંધ થાય અને તેમની ઉપર કડક કાર્યવાહી કરી શકાય. આ લેબ તાત્કાલિક ચાલુ કરવા અમારી માંગણી હતી અને સરકારને પણ વિનંતી છે કે જૂનાગઢ મનપાને ટકોર કરી આ કામગીરી તાત્કાલિક શરૂ કરાવે. ​બીજી તરફ આ બાબતે ખુલાસો આપતા જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. રવિ ડેડાણીયા એ જણાવ્યું હતું કે હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલી છે. રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસ દ્વારા તમામ મહાનગરપાલિકામાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ કરવાની સૂચના આપેલી હતી, જે સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં જ ઉભી કરવામાં આવેલી છે. તેમાં અમારી પાસે હાલ બે ફૂડ સેફ્ટી ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવેલી છે. આ બંને ફૂડ સેફ્ટી ઓફિસરની નવી નિમણૂક થયેલી હોવાથી તેમને સેમ્પલિંગ લેવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના એફ.એસ.એસ.એ.આઈ. (FSSAI) ની ગાઈડલાઈન મુજબ સત્તાવાર નોટિફિકેશન થવું જરૂરી છે. ​ટ્રેનિંગના ભાગરૂપે આ બંને અધિકારીઓને 28 દિવસની કેરલા ખાતે ભારત સરકારની એફ.એસ.એસ.એ.આઈ. (FSSAI) ની ખાસ ટ્રેનિંગ પૂર્ણ કરાવવામાં આવેલી છે. તેમના સત્તાવાર નોટિફિકેશન માટે કેન્દ્ર સરકારના એફ.એસ.એસ.એ.આઈ. (FSSAI) માં પણ દરખાસ્ત મોકલી દીધેલી છે. ત્યારબાદ આ નોટિફિકેશન આવી ગયા પછી તે બંને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નિયમ મુજબ સેમ્પલિંગ લેવાનું શરૂ કરવામાં આવશે. તે સાથે જ અમારી અત્રેની કચેરીની ફૂડ સેફ્ટી લેબ છે ત્યાં એફ.એસ.એસ.એ.આઈ. (FSSAI) ની મંજૂરી અને એન.એ.બી.એલ. (NABL) ની મંજૂરી મળ્યા બાદ સ્થાનિક કક્ષાએ આગળની તમામ ટેસ્ટિંગ કામગીરી સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવશે. હાલના સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે પણ સેમ્પલ લેવામાં આવે છે, તે જિલ્લાની ટીમ સાથે સંયુક્ત રીતે લઈને બરોડા ખાતે રાજ્ય સરકાર દ્વારા નોટિફાય થયેલી અધિકૃત લેબમાં જ તપાસ અર્થે મોકલવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોત:AMCની બેદરકારીના કારણે સ્થિતિ સર્જાઈ; સ્થાનિકોમાં રોષ; અગાઉ સાબરમતી નદીમાં બની હતી આ ઘટના
    Next Article
    જુગારના રંગમાં ભંગ પડ્યો:રાયપુર ગામમાં સાત જુગારીઓ સંકજામાં, 59 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment