Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાને ઘડિયાળ ગિફ્ટ આપી, ગીત સાંભળી આમિર રડ્યો:પિતાએ કહ્યું હતું- આત્મહત્યા કરજે પણ 30 દિવસ મહાદેવને આપી જો, સિંગર જયદેવ ગોસાઇની જિંદગી આમ પલટાઇ

    4 days ago

    એક કાર્યક્રમમાં સલમાનખાન સ્ટેજ પર મારી પાસે આવ્યાં અને કહ્યું તુમને જો ગરબા ગાયા થા ના વો સુના દે… એટલે મેં તરત જ તેમને ગરબો સંભળાવ્યો અને સલમાને પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ ઉતારીને મને ગિફ્ટમાં આપી દીધી. આમિરખાન પ્રોડક્શન પર બોલાવીને આમિરખાને છૂપાઇને મારા ગીતો સાંભળ્યા. હું જ્યારે બહાર આવવા માટે સ્ટુડિયોનો દરવાજો ખોલવા ગયો તો સામે આમિરખાન હતા. તેમની આંખોમાં આંસુ હતા, તે મને ભેટી પડ્યાં. આ શબ્દો છે ભાવનગરના મહુવા તાલુકાના ખારી ગામથી માયાનગરી મુંબઇ અને દેશ વિદેશમાં પોતાના સૂરથી ચાહકોને ડોલાવનારા જાણીતા સિંગર અને કમ્પોઝર જયદેવ ગોસાઇના. ભજનથી લઇને બોલિવૂડના ગીતો અને ગુજરાતીથી માંડીને રાજસ્થાની, બંગાળી તેમજ સંસ્કૃત સહિતની ભાષામાં ગીતો ગાનારા જયદેવ ગોસાઇ આજે અમદાવાદમાં એક અનોખા કોન્સર્ટનું આયોજન કરવા જઇ રહ્યાં છે. આ કોન્સર્ટમાંથી થનારી તમામ આવક તેઓ માનસિક રોગોથી પીડાઇ રહેલા બાળકોની સારવાર અને તેમના પર રિસર્ચ કરવા માટે આપી દેશે. દિવ્ય ભાસ્કરે જયદેવ ગોસાઇ સાથે વાતચીત કરીને તેમના બાળપણથી માંડીને બોલિવૂડ સ્ટાર્સને મળવા સુધીના કિસ્સાં જાણ્યાં હતા. જયદેવ ગોસાઇએ ખારી ગામની જ સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન પ્રાર્થના ગવાતી હતી. જેમાં જયદેવ અને બીજા વિદ્યાર્થીઓ પણ ભાગ લેતા હતા. એ સમયે શિલ્પાબેન નામના એક શિક્ષિકાએ જયદેવને કહ્યું હતું કે તુ ખરેખર સારૂં ગાય છે. તે જયદેવ પાસે પ્રાર્થના ગવડાવતા હતા. 3 વર્ષની ઉંમરે ધૂન ગાઇ ખારીમાં શનિવારે, ચૌદસના દિવસે, આઠમ અને બીજના દિવસે ભજનો થતાં હતા. આ સમયે જયદેવ ગોસાઇની ઉંમર કદાચ ત્રણેક વર્ષની હશે. તે તેના પિતા સાથે જતાં. ભજનની શરૂઆત થાય એ પહેલાં તેના પિતા જયદેવ પાસે ધૂન ગવડાવતાં હતા. એ પછી જ્યારે ભજનો શરૂ થાય ત્યારે જયદેવભાઇ પિતાના ખોળામાં જ સૂઇ જતાં હતા એટલે તેમના માટે તો ભજનો જ હાલરડું બની ગયા હતા. તેઓ કહે છે કે, એ સમયે આખી રાત ભજનો ચાલતાં એ પછી સવારે ઠાકર થાળી થતી હતી. હું ગાવા મળે એટલે નહીં પણ ઠાકર થાળીમાં જે મીઠાઇ હોય તે ખાવા મળે એટલે મારા પિતા સાથે જતો હતો. સફળતાનો શ્રેય પરિવારને આપ્યો જયદેવ ગોસાઇ અને તેના કાકા બાપાના પરિવારમાં કુલ 13 ભાઇઓ છે. એ બધા જ ગાય છે પણ પ્રોફેશનલ સિંગર તરીકે જયદેવ ગોસાઇએ નામના મેળવી છે. આ સફળતા પાછળ તેના પરિવાર તરફથી મળેલા સાહિત્ય, શાસ્ત્ર, ઉપનિષદના જ્ઞાનનો પણ ખૂબ જ મોટો ફાળો છે. બોર્ડની પરીક્ષા અને વ્હાલસોયી મોટી બહેનનું અવસાન અભ્યાસમાં ધોરણ 9 સુધી ખૂબ જ સારું પરિણામ લાવનારા જયદેવ ગોસાઇ બોર્ડની પરીક્ષામાં એક વિષયમાં ફેલ થયાં હતા. આ બાબતે જ્યારે પૂછ્યું ત્યારે થોડીક ક્ષણ માટે તે ચૂપ થઇ ગયા. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા અને ગળામાં ડુમો ભરાઇ ગયો. થોડી ક્ષણ પછી તેમણે કહ્યું, મારી બોર્ડની પરીક્ષા અગાઉ જ મારાથી મોટી બહેનનું અવસાન થયું હતું એટલે મારા મનમાં સતત મારી બહેનના જ વિચારો ચાલતાં હતા કેમ કે અમારા પરિવારમાં સૌથી વધારે પ્રેમ તેણે મને કર્યો હતો. જ્યારે બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે મને ખબર પડી કે હું એક વિષયમાં ફેલ થયો છું. એક મ્હેણાંએ ભણતર બદલ્યું 'આ દરમિયાન મારા ભીખુ કાકાએ મને બોલાવ્યો અને પૂછ્યું કે પરીક્ષામાં શું પરિણામ આવ્યું ? ત્યારે મેં તેમને પરિણામ બતાવ્યું. તેમણે મને કહ્યું હતું કે બેટા ત્રેવડના હોય ને તો આપણે ભણાય જ નહીં. આવું મ્હેણું માર્યું હતું. જેના પછી મેં તરત જ બીજા મહિને પરીક્ષા પણ આપી હતી અને તેમાં પાસ થઇ ગયો ત્યારથી મેં નક્કી કર્યું કે આગળના ભણતરમાં ક્યારેય 75%થી ઓછા નહીં લાવું અને એવું જ થયું. આગળના ભણતરમાં પણ હું સારા માર્કે જ પાસ થયો.' દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ આવતી હોય છે જ્યારે તેની સામે બે રસ્તાઓ હોય છે અને તેમાંથી તેણે એક રસ્તો પસંદ કરવાનો હોય છે. આવું જ કંઇક જયદેવના કિસ્સામાં પણ બન્યું. તેને ક્રિકેટ અને સંગીત બન્ને એટલા જ પ્રિય હતા પણ તેણે ક્રિકેટનેના મેદાનની જગ્યાએ સંગીતના સૂરને પસંદ કર્યા. ક્રિકેટ અને સંગીતમાંથી કોઇ એકની પસંદગી કરવાની કસોટી તેઓ જણાવે છે કે, હું મોરારિબાપુના ગુરુકૂળમાં ભણવા માટે ગયો હતો. બાપુને ત્યાં ધણાં કલાકારો પર્ફોમન્સ કરવા માટે આવતાં એટલે હું તેમને સાંભળતો અને તેમની સેવા પણ કરતો. અમે ક્રિકેટ પણ રમતાં હતા એટલે મનમાં સતત એવું જ હતું કે મારે ક્રિકેટર બનવું છે અને આ જ ફિલ્ડમાં કરિયર બનાવવું છે. ‘મારા ગૃહપતિ તરીકે જયદેવભાઇ માંકડ હતા તેમણે મને કહ્યું કે બેટા તારે ક્રિકેટ કરતાં મ્યુઝિક ફિલ્ડમાં જવું જોઇએ. એ પછી તેઓ મને મોરારિબાપુને મળવા લઇ ગયા હતા. બાપુએ પણ મને કહ્યું કે તારે મ્યુઝિક ફિલ્ડમાં જવું જોઇએ એટલે તેમની આજ્ઞા લીધી. એ પછી MS યુનિવર્સિટીમાં ગયા પણ ત્યાં એડમિશન ફૂલ થઇ ગયું હતું એટલે રાજકોટની હિરાણી કોલેજમાં એડમિશન લીધું હતું.’ તેમણે રાજકોટમાં કોલેજકાળ દરમિયાન રેસ્ટોરન્ટના વેઇટર તરીકે પણ કામ કરેલું છે. 20 કલાક સુધી કામ કરતા જયદેવ ગોસાઇ કહે છે કે, 2004-05ના વર્ષમાં હું રાજકોટમાં કોલેજનો અભ્યાસ કરતો હતો. મેં નક્કી કર્યું હતું કે ઘરેથી એક પણ રૂપિયો લેવો નથી એટલે સવારથી બપોર સુધી જોબ કરતો એ પછી કોલેજમાં અભ્યાસ માટે જતો અને સાંજના સમયે એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરતો હતો. સતત બે વર્ષ હું ફક્ત 4-4 કલાક જ ઊંઘ લેતો હતો બાકીના 20 કલાક કામ કરતો હતો. હિરાણી કોલેજમાંથી સંગીતનો અભ્યાસ કર્યા બાદ તેમણે કોલકાતામાં પંડિત અજય ચક્રવર્તી પાસેથી સંગીત શીખ્યું. એ પછી રાશિદખાન પાસેથી શીખ્યા બાદમાં પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગ્લાલિયર જઇને ત્યાંના સંગીત શીખ્યા. તેમણે ઉમેર્યું કે, હું જ્યારે કોલકાતા હતો ત્યારે મારા ગુરુજી પંડિત અજય ચક્રવર્તીને એક સવાલ પૂછ્યો હતો કે એકદમ સચોટ સૂરો ગાવા માટે કેવી રીતે રિયાઝ કરવો. તેમણે મને કહ્યું હતું કે બેટા માણસાઇ અને નીતિ મત્તા જ સૂરિલું ગાવાનો સાચો રિયાઝ છે બાકી કોઇ ઉપાય નથી. પહેલા કાર્યક્રમના 250 રૂપિયા મળ્યાં ગળથૂંથીમાંથી જ સંગીતનું જ્ઞાન મેળવનાર જયદેવ ગોસાઇનો પહેલો કાર્યક્રમ 1997માં ખાંભા ગીરની પાસે આવેલા એક ગામમાં હતો. આ અંગે તેમણે કહ્યું, મારા મિત્ર રાજુભાઇને ત્યાં કથા હતી એટલે તેમણે મને ત્યાં બોલાવ્યો હતો. અમે ગયા અને મેં એક દિવસનો કાર્યક્રમ કર્યો. તેમણે મને બીજા દિવસે પણ રોકાઇને કાર્યક્રમ કરવાનું કહ્યું. આમ કરતાં કરતાં 9 દિવસ દરમિયાન મેં 9 કાર્યક્રમો કર્યા હતા. જયદેવે 2009થી 2014 સુધી મુંબઇમાં રહીને અલગ અલગ સિરિયલના બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કરવાની સાથોસાથ કમ્પોઝિશન કરવાનું અને ગાવાનું પણ કામ કર્યું હતું. આ દરમિયાન તેમના જીવનમાં એક એવી ઘટના બની જે તેમને હજુ સુધી યાદ છે. તેઓ કહે છે કે, મારા જીવનનો આ એવો સમય હતો કે મારે ખાવાના પણ ફાંફા હતા. આ સમયે મારા પિતા હયાત હતા. હું ખૂબ જ નીતિ મત્તાથી કામ કરતો હોવા છતાં મને સફળતા નહોતી મળતી અને હું કંટાળી ગયો હતો, હારી ગયો હતો. આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું 'મેં આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. મેં મુંબઇથી મારા પપ્પાને ફોન કરીને કહ્યું કે મારે હવે આત્મહત્યા કરી લેવી છે. મારા પપ્પાએ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર કહ્યું કે હા બેટા બરાબર છે, તારે આત્મહત્યા કરી લેવી જોઇએ પછી તેમણે પૂછ્યું કે કેમ અચાનક શું થયું? મેં તેમને કહ્યું મહેનત કરવા છતાં કામ નથી મળતું એટલે હું થાકી ગયો છું. મારા પપ્પાએ મને એટલું જ કહ્યું કે તે તારી કરિયર માટે અત્યાર સુધી આટલો ટાઇમ આપ્યો છે તો બીજા 30 દિવસ તુ મહાદેવને આપી જો. એ પછી તું જેમ કહીશ એ મને મંજૂર છે.' 15 દિવસમાં અમિતાભ બચ્ચના હસ્તે સન્માન થયું વાતને આગળ વધારતા તેઓ જણાવે છે કે, 15 દિવસ વિત્યાં એ પછી મને એક સિમેન્ટની કંપનીમાંથી ફોન આવ્યો કે તમારું કામ છે. હું કંપનીના ફાઉન્ડરને મળ્યો અને તેમના માટે કમ્પોઝિંગ કર્યું. આ દરમિયાન મને મોટી રકમ મળી. એ સિમેન્ટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન હતા. તેમના હસ્તે આલ્બમ રિલીઝ થયું અને તેમના હસ્તે જ મારું સન્માન કરાયું હતું. સલમાનખાનને ત્યાંથી ફોન આવ્યો તો લાગ્યું કે કોઇ મજાક કરે છે. આ કિસ્સાંને યાદ કરતાં તેમણે કહ્યું, 2016-17ના વર્ષમાં હું એક કાર્યક્રમ કરવા ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યારે હું ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે સલમાનખાન પ્રોડક્શનમાંથી મને એક કોલ આવ્યો હતો પણ હું ફ્લાઇટમાં હતો તેના કારણે મારી સાથે વાત થઇ શકી નહોતી. હું જ્યારે ભારત આવ્યો ત્યારે મારા પર ફોન આવ્યો અને કહ્યું કે સલમાનખાન પ્રોડક્શનમાંથી બોલું છું. અમારે તમારી સાથે કંઇક કામ કરવાનું છે ત્યારે મને એવું લાગ્યું કે કોઇક મિત્ર મારી સાથે મજાક કરતો લાગે છે એટલે મેં તે વાતને હળવાશમાં લીધી હતી. ‘બીજી વાર ફોન આવ્યો કે મેનેજર તમારી સાથે વાત કરવા માંગે છે ત્યારે તેમના અવાજ પરથી લાગ્યું કે આ કોઇ ગુજરાતી વ્યક્તિ નથી પછી તેમણે કહ્યું કે લવયાત્રી ફિલ્મ આવી રહી છે. તેના પ્રમોશનમાં નવરાત્રિનું આયોજન કરવાનું છે. આ માટે ઘણાં ગુજરાતી સિંગર્સને સાંભળ્યા પણ તમને નવરાત્રિમાં લીડ સિંગર તરીકે બોલાવવા છે. એ પછી હું ત્યાં ગયો, મીટિંગો થઇ. શરૂઆતના 2 દિવસ તો એ કાર્યક્રમમાં સલમાનખાન આવ્યાં નહોતા પણ ઘણી બધી સેલિબ્રિટી ગરબા રમી હતી.’ સલમાનને વા વાયાને વાદળ ઉમટ્યાં સંભળાવ્યું 'ત્રીજા દિવસે સલમાનખાન બાળકો સાથે આવ્યાં હતા. એ સમયે હું સ્ટેજ પર હતો અને અમે લોકો પર્ફોર્મન્સ કરી રહ્યાં હતા. જ્યારે પર્ફોર્મન્સ પૂરૂં થયું એ પછી સલમાનખાન સ્ટેજ પર અમને બધાને મળવા આવ્યાં હતા. જ્યારે સલમાનખાન મારી પાસે આવ્યાં ત્યારે તેમણે મને કહ્યું આપ અચ્છા ગાતે હો... તુમને વો ગરબા ગાયા થા વો સુના દે ના પછી મેં તેમને વા વાયાને વાદળ ઉમટ્યાં એ સંભળાવ્યું.' 'આ સંભળાવતાં જ તેઓ મને ભેટી પડ્યાં અને તરત જ તેમણે પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ ઉતારીને મને આપી દીધી. તેમણે મને કહ્યું કે હું તારાથી ખૂબ જ ખુશ છું આ ગિફ્ટ તારા માટે છે.' સલમાનના લાખો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તરસતા હોય છે પણ તેણે જયદેવ ગોસાઇને ઘડિયાળ ભેટમાં આપી હતી. આ ઘડિયાળ આજે ક્યાં છે તે અંગે તેઓ કહે છે કે, મુંબઇમાં સ્ટાર પ્રોડક્શન હતું ત્યાં એક દિનેશ નામનો વોચમેન હતો. જે મારો સારો મિત્ર બની ગયો હતો. હું ત્યાં રોજ ટી.પી અગ્રવાલને મળવા જતો પણ મને કોઇ મળતું નહીં. તેણે મને કહ્યું કે આવી રીતે થોડું કંઇ તમારું કામ થવાનું છે. હું અહીં વોચમેન તરીકે કામ કરું છું પણ અહીંથી સલમાનખાનને ત્યાં જોબ કરવા માટે જવાનો છું. હું અહીં એક મોકા માટે અહીં કામ કરી રહ્યો છું કેમ કે હું પોતે પણ એક રાઇટર છું આટલું સાંભળીને હું ચોંકી ગયો. આ દરમિયાન તે મારા ખૂબ જ સારા મિત્ર બની ગયા અને તેમણે મને ખૂબ જ મદદ પણ કરી હતી એટલે મેં સલમાનખાને મને જે ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી તે ઘડિયાળ મેં દિનેશને આપી દીધી. જયદેવ ગોસાઈની આમિર ખાન સાથે પણ એક અણધારી મુલાકાત થઇ હતી. આ અંગે તેમણે જણાવ્યું કે, આમિરખાન પ્રોડક્શનમાં એક ગુજરાતી વ્યક્તિ કામ કરતી હતી. મારા ગુજરાતી લગ્ન ગીતની એક ઓડિયો કલીપ તેમની પાસે હતી. એ વ્યક્તિએ મારી ઓડિયો ક્લિપની રિંગ ટોન રાખી હતી. એ સમયે તેઓ આમિરખાન સાથે બેઠા હશે ને તેમના ફોનમાં રિંગ વાગી. એ વ્યક્તિ ફોન કાપવા જતી હતી ત્યારે આમિરખાને તેને કહ્યું કે અરે બજને દે.... જેના પછી આમિરખાને મને બોલાવવા માટે કહ્યું હતું. ‘હું સ્ટુડિયોમાં ગયો ત્યારે એ વ્યક્તિએ એટલું જ કહ્યું હતું કે તમે જે ગીત ગાયું છે તે અમને સ્ટુડિયોમાં ગાઇને સંભળાવો. અમારે બસ તમને સાંભળવા છે એટલે હું રેકોર્ડિંગ રૂમમાં ગયો અને હાર્મોનિયમ સાથે ગીત ગાયું.’ રાજકોટમાં સચિન તેંડુલકર સાથે જયદેવ ગોસાઇની એક યાદગાર મુલાકાત થઇ હતી. તેઓ કહે છે કે, એક રિક્ષા વાળા ભાઇનો દીકરો 10માં ધોરણમાં ભણતો હતો અને તેને કેન્સર હતું. ડૉક્ટરે તેમના પિતાને કહ્યું હતું કે તમારા દીકરાનું આયુષ્ય ખૂબ જ ઓછું છે. 'આ દીકરાના ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર હતા એટલે એક મેચ માટે સચિન તેંડુલકર આવ્યાં હતા ત્યારે એ ભાઇએ મને કહ્યું કે મારા દીકરાની ખૂબ ઇચ્છા છે કે તે સચિન તેંડુલકરને મળે. મેં કોઇક રીતે સચિન સુધી આ વાત પહોંચાડી. એ પછી સચિન તરફથી ટાઇમ મળ્યો એટલે હું એ બાળક અને તેના પિતાને હોટલ પર મળવા લઇ ગયો.' સચિને 11 લાખ રૂપિયાનો ચેક આપ્યો 'સચિન અમને તેમના રૂમમાં લઇ ગયા અને બાળકને સાઇન કરેલું બેટ, કેપ અને ટી શર્ટ ગિફ્ટમાં આપ્યા. એ પછી તેમણે 11 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો અને કહ્યું કે અત્યારે આ લેતા જાવ બાકી કંઇ પણ હોય તો તમે મારા મેનેજરને કહેજો પણ કોઇ વાતમાં કોમ્પ્રોમાઇઝ કરતાં નહીં. હું સચિન તેંડુલકર છું, આપણે સિક્સ મારીશું. એક પ્લેયર તરીકે તો તે મને ગમતાં જ હતા અને માણસ તરીકે પણ તેઓ ખૂબ જ સારા વ્યક્તિ છે.' પાકિસ્તાની ગાયકે ફોન કરીને પ્રશંસા કરી તેમણે કહ્યું, મેં મિતવા સોંગ ગાયું હતું ત્યારે તે સાંભળીને પાકિસ્તાનમાં રહેતા તેના ઓરિજિનલ ગાયક સફાકત અમાનત અલીખાને મને ત્યાંથી કોલ કરીને કહ્યું હતું તે તે તો મારા ઓરિજિનલ સોંગ કરતાં પણ ખૂબ જ સારી રીતે ગાયું એટલું જ નહીં શંકર મહાદેવનનો પણ મારા પર ફોન આવ્યો હતો. સંગીતમાં કરિયર બનાવવા માટે વતન ખારીથી માયાનગરી મુંબઇ જવાની પ્રેરણા કોણે આપી તે અંગે તેમણે જણાવ્યું કે, પહેલીવાર મને સંજયભાઇ ધકાણે મોકો આપ્યો હતો કે તુ મારા સ્ટુડિયોમાં કામ કર. આ એ સમય હતો જ્યારે સાથિયા સિરિયલ ખૂબ ટ્રેન્ડિંગ હતી. હું તેનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને થીમ તેમની પાસે શીખતો હતો. દિનેશ ઘાટેએ પણ મને બહુ શો આપ્યાં હતા. એક કરતાં વધારે ભાષામાં ગીત ગાયા કોઈ વ્યક્તિને એક કરતાં વધારે ભાષા શીખવી હોય તો તે માટે સતત પ્રયત્નો કરવા પડે છે પણ જ્યારે સંગીતની વાત આવે ત્યારે આખું ગણિત અલગ જ હોય છે. તેના માટે તો વર્ષોનો રિયાઝ કરવો પડે પણ જયદેવ ગોસાઇએ એક કરતાં વધારે ભાષામાં ગીત ગાયા છે. આ કેવી રીતે શક્ય બન્યું તે અંગે તેઓ કહે છે કે, આની પાછળનો શ્રેય મારા પિતાને જાય છે. તેમણે બાળપણથી જ મને વિવિધ તાલીમ આપી છે. તેઓ મને સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી સહિતની ભાષાઓ શીખવતા હતા. જેના કારણે મને આ બધી ભાષાઓમાં રિયાઝ કરવામાં ખૂબ જ સરળતા રહી. મેં સૌથી વધારે શાસ્ત્રીય સંગીતનો રિયાઝ કર્યો છે. જો એક સંગીત આવડી જાય તો બધા જ સંગીત આવડી જાય છે. સ્કૂલ ટાઇમમાં કરેલા તોફાન જયદેવ ગોસાઇ જ્યારે સ્કૂલમાં ભણતાં ત્યારે ખૂબ તોફાની હતા. સ્કૂલમાં રિસેસનો સમય અને બાજુની શેરીમાં રહેતાં કુબેરદાદાનો ઊંઘવાનો સમય એક જ હતો. જ્યારે રિસેસમાં બધા મિત્રો ઘરે જતાં ત્યારે કુબેરદાદાના કાનમાં સળી કરતાં અને તેમના ઘોતીયાને ખાટલા સાથે બાંધી દેતાં. કુબેર દાદા જેટલી સ્પીડથી તેમને મારવા દોડતાં હતા એટલી જ સ્પીડથી પાછા જતાં પણ રહેતા કેમ કે તેમનું ધોતિયું નીકળી જતું હતું. કુબેરદાદા જયદેવના માતાને ફરિયાદ કરતા કે આવું કરવાવાળો તારો દીકરો જ હોય, બીજું કોઇ ન હોય.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રમુખના મોઢા પર પરસેવો બાજી ગયો:કાર્યકરો માટે તડકે શેકાયા, ચાલુ સ્પીચમાં જ છાંયડો આવી ગયો; ટેલિફોન ઊંધો મુકતાં જ PGVCLની ઓફિસે ટોળાંએ ગરમી કરી
    Next Article
    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:લાંચ આપનાર વ્યક્તિ કોણ? ડોક્ટર અને સફીના નામનો સંવાદમાં ઉલ્લેખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment