Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​વરસાદ ખેંચાતા ખેતરોના પાક સુકાવાની ભીતિ:15-20 ગામને દુષ્કાળથી બચાવવા ખેડૂતો મેદાને, સાબલી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા માગ

    1 day ago

    ​ચાલુ વર્ષે ચોમાસાનો વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. કેશોદ અને વંથલી પંથકના ખેડૂતો દ્વારા સાબલી જળ સંપત્તિ યોજનામાં સૌની યોજનાનું પાણી છોડવા માટે સરકારમાં રજૂઆતોનો દોર તેજ કરવામાં આવ્યો છે. વંથલી તાલુકાના ખોરાસા આહીર ગામ પાસે વર્ષ 2011માં સાબલી જળ સંચય યોજના બનાવવામાં આવેલ છે, પરંતુ હાલ ડેમમાં ડેડ સ્ટોરેજમાં માત્ર 9.91 ટકા જેટલું જ પાણી બચ્યું હોવાથી કટોકટી સર્જાઈ છે. વરસાદ વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે ત્યારે 15થી 20 ગામના ખેડૂતોને દુષ્કાળની સ્થિતિમાંથી ઉગારવા અને વહેલી તકે સૌની યોજનામાં સાબલી જળ સંપત્તિ યોજનાનું નામ ઓફિશિયલી ઉમેરાય તે માટે ખેડૂતો સરકારમાં સતત મહેનત અને રજૂઆતો કરી રહ્યા છે. સીએમ, જળસંપતિ મંત્રી સહિતના સુધી ખેડૂતોની રજૂઆત કેશોદ તાલુકાના મઘરવાળા ગામના ખેડૂત કાનાભાઈ સિંહારે જણાવ્યું હતું કે, તેમના ગામથી 6 કિલોમીટર દૂર ખોરાસા ગામમાં સાબલી જળ સંપત્તિ યોજનાનો ડેમ આવેલો છે. આ ડેમમાં પાણી છોડાવવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનો દ્વારા અત્યાર સુધીમાં સરકારમાં બે વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. તેઓ અગાઉ આ પ્રશ્ન અંગે મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળ્યા હતા, જેના પગલે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત વિભાગને પત્ર લખી કામગીરી ક્યાં પહોંચી છે તેની વિગતો મંગાવી હતી. આ ઉપરાંત જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ ખેડૂત આગેવાનો સાથે મળીને આ અંગે ભલામણ કરવામાં આવી છે. તેમણે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, સરકારના વર્તમાન નિયમ મુજબ વાલ્વથી માત્ર 7 કિલોમીટર સુધી જ પાણી છોડી શકાય છે, જ્યારે સાબલી ડેમ અને વાલ્વ વચ્ચેનું અંતર અંદાજિત 14 કિલોમીટર જેટલું હોવાથી ટેકનિકલ અવરોધ ઉભો થયો છે. જો આ ડેમમાં પાણી પડી જાય, તો ઓછામાં ઓછા 15થી 20 ગામના ખેડૂતોના આગોતરા વાવેતર બચી જશે અને મોટો ફાયદો થશે. ‘વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં પાક સુકાઈ રહ્યા’ ​મઘરવાળા ગામના અન્ય ખેડૂત અશ્વિનભાઈએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના પાક ખેતરોમાં જ સુકાઈ રહ્યા છે. ઉનાળા દરમિયાન ઉપલબ્ધ પાણીના કારણે વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી સહિતના પાકોનું આગોતરું વાવેતર કરી દીધું હતું, પરંતુ હવે પાક ઊભો સુકાઈ રહ્યો છે તેવી ગંભીર હાલત સર્જાઈ છે. જો ડેમમાં સમયસર પાણી છોડવામાં આવે તો મગફળીના પાકને નવું જીવનદાન મળી શકે તેમ છે. આ ઉપરાંત ગામડાઓમાં ઢોર-ઢાંખર અને મનુષ્યોને પીવા માટે યોગ્ય પાણી મળી રહેશે તેમજ પશુઓ માટેના લીલા ચારાની સમસ્યા પણ હલ થઈ જશે, જેથી સરકાર તાકીદે આ અંગે યોગ્ય નિર્ણય કરે તેવી તમામ ખેડૂતોની માંગ છે. સૌની યોજનાનું પાણી સાબલી ડેમમાં નાખવામાં આવે તેવી ખેડૂતોની માગ ​મઘરવાળા ગામના ખેડૂત હિતેશ નંદણિયાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે, મઘરવાળા ગામમાં હાલ પાણીની બહુ જ તકલીફ છે. બાજુમાં સાબલી નદી પર ડેમ આવેલો હોવા છતાં અત્યારે પાણીની જ્યારે સૌથી વધુ જરૂર છે ત્યારે પાણી આવતું નથી. જો આ યોજનાનું પાણી ડેમમાં આવી જાય તો ખેડૂતોને મોટો આર્થિક લાભ મળે તેમ છે. હાલ પરિસ્થિતિ એવી છે કે ક્યાંય પાણી ઉપલબ્ધ જ નથી. જ્યારે પાણી જોઈએ છે ત્યારે પાણી મળતું નથી અને જ્યારે ચોમાસામાં કુદરતી પાણી હોય છે ત્યારે ડેમમાં પાણી આવે છે. જ્યારે ખેડૂત સિંચાઈ માટે પાણી માંગે છે ત્યારે વ્યવસ્થા મળતી નથી, જેના કારણે ખેડૂતો યોજનાનો સાચો લાભ લઈ શકતા નથી. આથી સૌની યોજનાનું પાણી સાબલી ડેમમાં નાખવામાં આવે તેવી તેમની નમ્ર અપીલ છે. ‘ખેડૂતને જરૂર હોય તે દિવસે કેનાલમાં પાણી આવતું નથી’ ખેડૂત માંડણભાઈ હેરભાએ જણાવ્યું છે કે, સાબલી ડેમને વહેલી તકે સૌની યોજના હેઠળ ભરી દેવો જોઈએ. જો સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવે, તો આજુબાજુના 10 ગામના ખેડૂતો અને ગ્રામજનોને પીવાના તેમજ સિંચાઈના પાણીનો મોટામાં મોટો ફાયદો થાય તેમ છે. ચોરવાડ પાસેથી જે પાઇપલાઇન નીકળે છે ત્યાં સૌની યોજનામાં જો એક વાલ્વ મૂકી દેવામાં આવે અને ત્યાંથી સાબલી ડેમમાં પાણી છોડવામાં આવે, તો આ ગંભીર મુશ્કેલીનો કાયમી નિકાલ આવી શકે તેમ છે. આ અંગે સરકારમાં અનેક વાર રજૂઆત પણ કરાઈ છે. વધુમાં કેનાલની પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, જે દિવસે ખરેખર ખેડૂતને જરૂર હોય તે દિવસે કેનાલમાં પાણી આવતું નથી અને જ્યારે પાણીની જરૂર ન હોય ત્યારે પાણી આવે છે, જેના કારણે હાલ કેનાલમાં પાણી આવવાની કોઈ જોગવાઈ દેખાતી નથી. અધિકારીએ કહ્યું- સરકાર મંજૂર આપે તો જ સાબલી યોજનામાં પાણી પુરુ પાડીશું ​બીજી તરફ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર વિવેક ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રગતિ હેઠળની 'સૌની યોજના લિંક 4-બી પેકેજ 7' ના મૂળભૂત આયોજન મુજબ જૂનાગઢ જિલ્લાના કુલ 11 જળાશયો ભરવાનું નક્કી થયેલ છે, જેમાં સાબલી યોજનાનો સમાવેશ નથી. સરકારી સૂચના મુજબ મુખ્ય લાઈનની બંને સાઈડના વોકળામાં સ્કાઉર વાલ્વ મારફતે 7 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તળાવો ભરવાના નકશા અંદાજો મંગાવાયા છે, જ્યારે સૌની યોજનાની લાઈનના ચોરેશ્વરથી સાબલી ડેમનું અંતર 13થી 14 કિલોમીટર જેવું થતું હોવાથી તે ત્રિજ્યા બહાર છે. આમ છતાં, ખેડૂતોની વ્યાપક રજૂઆતોને ધ્યાને રાખીને, સ્પેશિયલ કેસ તરીકે લાઈન લંબાવીને કે સ્કાઉર વાલ્વ મારફતે સાબલી ડેમમાં પાણી પહોંચાડી શકાય તે માટેની એક વિશેષ દરખાસ્ત સિંચાઈ વિભાગ દ્વારા અલગથી સરકારમાં સાદર કરવામાં આવી છે. સરકારમાંથી મંજૂરી અને પાણીની ઉપલબ્ધતાના આધારે સાબલી યોજનામાં પાણી પૂરું પાડવા માટે આગળનું આયોજન હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી:8 સમિતિઓની રચના, 765 કે.વી. વીજ લાઈન વળતર ઠરાવ પસાર
    Next Article
    ભુજની વાઈબલ હોસ્પિટલમાં AC બ્લાસ્ટ બાદ ભીષણ આગ:2 દર્દીઓનું રેસ્કયૂ, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી, સદનસીબે જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment