Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસીમ ફ્રુટવાલાએ ખોલી ‘શ્રી રામ એજન્સી’ની પોલ!:100 પરિવારોને રસ્તા પર લાવી તેજુ 14 દિવસથી મિસ્ટર ઇન્ડિયા, સેન્ટ્રલ ઝોનમાં ટેન્ડર વિના જ એજન્સીને ડિમોલિશનનો કોન્ટ્રાક્ટ

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કાયદાના લીરેલીરા ઉડાડીને નાસીરનગર ખાતે કરાયેલા કથિત ‘ભૂતિયા ડિમોલિશન’(ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી)નો મુદ્દો હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કરોડોના કૌભાંડમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં છે, પરંતુ આ સમગ્ર કાળા કારોબારની ધરી સમાન મુખ્ય સૂત્રધાર તરીકે જેનું નામ સૌથી વધુ ગાજી રહ્યું છે, તે છે તેજસ ઉર્ફે તેજુ રાજપૂત. આ સમગ્ર કૌભાંડમાં વપરાયેલા પોકલેન મશીનના વ્યવસાયી વસીમભાઈ ફ્રુટવાલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો. 'મને શ્રી રામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતનો સીધો ફોન આવ્યો હતો' પોકલેન મશીનના વ્યવસાયી વસીમભાઈ ફ્રુટવાલાએ મીડિયા સમક્ષ આક્ષેપો કરતા જણાવ્યું કે,"હું પોકલેન મશીન ભાડે આપવાનું વ્યવસાયિક કામ કરું છું. તાજેતરમાં મને શ્રી રામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતનો સીધો ફોન આવ્યો હતો, જેમણે તાબડતોબ જીલાની બ્રિજ પર મશીન મોકલવા માટે જણાવ્યું હતું. જ્યારે મેં પ્રોફેશનલ રીતે પૂછ્યું કે, કયું કામ છે અને તેના અસલી માલિક કોણ છે ત્યારે તેમણે વિગતો છુપાવી બસ મશીન મોકલી દેવા દબાણ કર્યું હતું. મેં આવવા-જવાના 7,000 રૂપિયા ફિક્સ ભાડું અને કલાકના 2200થી 2500 રૂપિયા નક્કી કરીને મારું મશીન ત્યાં મોકલ્યું હતું." 'આ કૌભાંડમાં મારી કોઈ સંડોવણી નથી' વધુમાં ઉમેર્યું કે, "ત્યાં ગેરકાયદેસર ડિમોલિશન થયા પછી મીડિયાવાળાઓએ મશીન પર લખેલા નંબર પરથી મારો સંપર્ક કર્યો અને આક્ષેપ કર્યો કે, સુરતના મોટા સ્ક્રેપ ડીલર સલીમભાઈ ફ્રુટવાલા હોવાના નાતે આ ગરીબોના ઘર અમે જ તોડ્યા છે! જો કે, મેં મીડિયા સામે સ્પષ્ટતા કરી છે કે મેં માત્ર વ્યાપારી ધોરણે મશીન ભાડે આપ્યું હતું, આ કૌભાંડમાં મારી કોઈ સંડોવણી નથી. ત્યાં જે રીતે રાતોરાત ડિમોલિશન કરીને નિર્દોષ લોકોને ઉજાડવામાં આવ્યા છે, તે જોઈને સ્પષ્ટ થાય છે કે ગરીબ પરિવારો સાથે ખરેખર ઘણો મોટો અને ક્રૂર અન્યાય થયો છે, જેની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ." શ્રીરામ એજન્સીનો આડો વહીવટ અને 100 પરિવારોની બરબાદી સુરતના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોઈપણ કાનૂની નોટિસ આપ્યા વિના અધિકારીઓ સાથે મળી રાતોરાત ઘર વિહોણા કરનાર તેજુ રાજપૂત 'શ્રીરામ એજન્સી' નામથી પેઢી ચલાવે છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં જેટલી પણ ડિમોલિશન કે દબાણ હટાવવાની કામગીરી થાય છે તેનો તમામ વહીવટ, લેબર મેનેજમેન્ટ અને આયોજન આપખુદશાહી રીતે માત્ર તેજુ રાજપૂત કરે છે. અધિકારીઓની છત્રછાયા અને મિલીભગતથી તેજુ રાજપૂત એટલો બેફામ નબ્યો હતો કે તેણે કાયદાના લીરેલીરા ઉડાવી દીધા. આ કથિત ભૂતિયા ડિમોલિશનના કારણે આજે નાસીરનગરના 100થી વધુ પરિવારો રસ્તા પર આવી ગયા છે અને વનવાસ જેવી અત્યંત દયનીય સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પોતાના આશિયાના તૂટી જતાં ગરીબો રડી રહ્યા છે, ત્યારે આ અમાનવીય કૃત્યનો અસલી ચેહરો તેજુ રાજપૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિવાદ વધતાં જ તજુ રાજપૂત બન્યો મિસ્ટર ઇન્ડિયા ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો મીડિયા અને ઉચ્ચ કક્ષાએ ગુંજ્યો ત્યારે ભ્રષ્ટ અધિકારીઓની જેમ તેજુ રાજપૂત પણ અચાનક મિસ્ટર ઇન્ડિયા બનીને ગાયબ થઈ ગયો છે. છેલ્લા 14 દિવસતી સતત તપાસ એજન્સીઓ, સ્થાનિક લોકો અને મીડિયા તેનો સંપર્ક કરવાનો અવિરત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે અને તે કોઈના સંપર્કમાં નથી. આ દરમિયાન જ્યારે તપાસ ટીમ તેના સગરામપુરા સ્થિત નિવાસસ્થાને રૂબરૂ તપાસ માટે પહોંચી હતી ત્યારે તેની પત્નીએ ઘરમાં હાજર રહીને એવો લૂલો બચાવ કર્યો હતો કે, તેજુ એક દિવસ પહેલાં જ ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા માટે નીકળી ગયો છે. જોકે, સ્થાનિકોના મતે આ માત્ર પોલીસ અને કાયદાની પકડમાંથી બચવા માટે ઊભું કરાયેલું નાટક છે. સેન્ટ્રલ ઝોનનો માંડવલી બાદશાહ અને ગુનાહિત ઇતિહાસનો ચિઠ્ઠો ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, તેજુ રાજપૂતે આશરે 1 વર્ષ પહેલાં જ સુરતના મોંઘા ગણાતા સગરામપુરા વિસ્તારમાં એક નવું આલીશાન મકાન ખરીદ્યું હતું, જે તેની કાળી કમાણી તરફ ઈશારો કરે છે. આ કોઈ પ્રથમ ઘટના નથી, જ્યારે તેજુ વિવાદોમાં આવ્યો હોય. અગાઉ પણ તે અનેક ગંભીર વિવાદો અને સેટલમેન્ટના કેસોમાં ફસાઈ ચૂક્યો છે. સુરતના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ અનેક અરજીઓ થઈ હોવાની જાણકારી સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓને પહેલેથી જ હતી છતાં તેને છાવરવામાં આવતો હતો. પાલિકાના સેન્ટ્રલ ઝોનના વર્તુળોમાં તેજુ 'માંડવલી બાદશાહ' તરીકે કુખ્યાત છે. કોઈપણ વિવાદાસ્પદ સરકારી કામ હોય, ગેરકાયદે બાંધકામની અરજી દબાવવાની હોય કે અધિકારીઓ વતી પૈસાની તોડબાજી કરવાની હોય, માંડવલી એટલે કે સેટલમેન્ટ કરવા માટે તેજુ જ આગળ આવતો હતો. સરકારી ટેન્ડર પ્રક્રિયાના ધજાગરા અને કરોડોના ભંગારની બારોબાર ઉચાપત સુરત મહાનગરપાલિકાના નિયમ મુજબ, દરેક ઝોન વાઇઝ ડિમોલિશન અને દબાણ હટાવવા માટે કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા બહાર પાડીને એજન્સીઓની પારદર્શક નિમણૂક કરવાની હોય છે. આશ્ચર્યની વાત એ છે કે, સમગ્ર પાલિકામાં એકમાત્ર સેન્ટ્રલ ઝોનમાં જ કોઈ પણ પ્રકારનું સરકારી ટેન્ડર બહાર પાડ્યા વિના જ ડિમોલિશનનું તમામ મોટું કામ સીધું 'તેજુ' નામના આ ચોક્કસ કોન્ટ્રાક્ટરને જ સોંપી દેવામાં આવતું હતું, જે પાલિકાના ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા અને ભ્રષ્ટાચાર પર મહોર મારે છે. આ ઉપરાંત, નિયમ એવો છે કે ડિમોલિશન દરમિયાન નીકળતો લોખંડ, સળિયા અને અન્ય કિંમતી ભંગાર કોર્પોરેશનના સરકારી ડેપોમાં જમા કરાવવાનો હોય છે. પરંતુ પાલિકામાં સત્તાવાર ફરિયાદો થઈ છે કે તેજુ આ આખો કિંમતી ભંગાર ડેપોમાં મોકલવાને બદલે બારોબાર વેચીને લાખો રૂપિયા ખિસ્સામાં સરકાવી લેતો હતો અને મજૂરોના વહીવટી ચાર્જમાં પણ મોટો ગોલમાલ કરતો હતો.
    Click here to Read More
    Previous Article
    બિમારીથી સિંહોના મોત મામલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી:કહ્યું-આ અપ્રિય સમાચાર, સિંહ કોરિડોરમાં વિસ્ટાડોમના આયોજન અંગે સરકારને પૂછ્યું
    Next Article
    દીપડો સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક રીવર રાફ્ટિંગ વિસ્તારમાં દેખાયો:પ્રવાસીઓમાં ભય, વન વિભાગે પાંજરા ગોઠવી પકડવાની કવાયત શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment