Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી શાળાઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતા વાલીઓ પરેશાન.:નવું સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પણ બસ સેવા બંધ: રોજગારી ગુમાવી બાળકોને લેવા-મૂકવા જવા વાલીઓ મજબૂર, તંત્રએ આપ્યું આશ્વાસન.

    19 hours ago

    ​દેશને વિશ્વગુરુ બનાવવાની મોટી-મોટી વાતો અને દાવાઓ વચ્ચે વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. શિક્ષણના પાયા સમાન નાના ભૂલકાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 10 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સરકારી શાળાઓની ટ્રાન્સપોર્ટેશન સેવા સંપૂર્ણપણે ઠપ્પ થયાના વાલીએ આક્ષેપ કર્યા છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી પ્રાથમિક શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ હોવા છતાં સરકારી તંત્રની ઘોર આળસ અને નબળા આગોતરા આયોજનને કારણે નિર્દોષ વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમનામાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. શાળાઓ ખૂલી ગઈ હોવા છતાં હજુ સુધી વાહનોની કોઈ વ્યવસ્થા ન થતાં નાના બાળકોના શિક્ષણ અને સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. ​શાળામાં નિયમિત બસ સુવિધા બંધ હોવાને કારણે વાલીઓએ ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના માસૂમ બાળકોને વહેલી સવારે શાળાએ લેવા-મૂકવા જવા માટે અને બપોરે શાળા છૂટે ત્યારે પરત લેવા-મૂકવા જવા માટે વાલીઓએ રોજની અંદાજે 500 રૂપિયા જેટલી દૈનિક રોજગારી ગુમાવવી પડે છે. વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવવધારા વચ્ચે સામાન્ય પરિવારના નોકરિયાત કે શ્રમિક વર્ગના લોકો આ મોટું આર્થિક નુકસાન વેઠવા માટે મજબૂર બન્યા છે. સૌથી મોટો પ્રશ્ન અને ચિંતા એ વાતની છે કે જો કોઈ ભૂખ્યું-તરસ્યું બાળક એકલું ભારે ટ્રાફિકવાળો બાયપાસ હાઈવે પાર કરવા જાય અને રસ્તા પર કોઈ અકસ્માત સર્જાય, તો તેની જવાબદારી કોણ લેશે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્યથી લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સુધી રજૂઆતો કરવા છતાં માત્ર ફોન પર જ આશ્વાસનો મળી રહ્યા હતા. ​આ સમગ્ર મામલે જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારના વાલી નિલેશભાઈ દેવાણીએ જણાવ્યું હતું કે તેમનું બાળક છેલ્લા બે વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યું છે. ગયા વર્ષે શાળામાં ટ્રાન્સપોર્ટેશન અને બસની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ આ વર્ષે ખબર નથી કેમ વેકેશન પૂરું થઈને શાળાઓ ખૂલી ગયાના 8 થી 10 દિવસ પછી પણ બસ સેવા શરૂ કરવામાં આવી નથી. વાલીઓ પોતાના કામધંધે જતા હોય ત્યારે સવારે બરાબર 8 વાગ્યે બાળકને લેવા-મૂકવા આવવું પડે છે અને ત્યારબાદ બપોરે પોતાનો રોજગાર-ધંધો બંધ રાખીને કે આર્થિક નુકસાન વેઠીને ફરીથી લેવા-મૂકવા આવવું પડે છે. નાના બાળકો ક્યારેક શાળાએથી વહેલા-મોડા નીકળે અને ભારે ટ્રાફિક વચ્ચે એકલા રોડ ક્રોસ કરવા જાય ત્યારે અકસ્માતનો મોટો ડર રહે છે. જૂનાગઢની તમામ સરકારી શાળાઓમાં હજુ સુધી બસ સુવિધા શરૂ થઈ નથી ત્યારે વાલીઓ પરેશાન ન થાય અને બાળકોનું ભવિષ્ય ઉજળું બને તે માટે સરકારે વહેલી તકે આ બાબતનો કાયમી નિવેડો લાવવો જોઈએ. ​જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તેમના ધોરણ અને કિલોમીટરના નિયમોને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે મંજૂરી આપવામાં આવતી હોય છે. જૂનાગઢ જિલ્લામાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના અંદાજિત 3,827 જેટલા વિદ્યાર્થીઓ આ સરકારી ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લાભ લેવાના છે. આ તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનની વહીવટી મંજૂરી જિલ્લા કક્ષાએથી આપી દેવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમામ બાળકો માટે આ વાહન સેવા રસ્તા પર શરૂ થઈ જશે. ​જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ જ રીતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પણ ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી મેળવવા માટેની તમામ દરખાસ્તો શાળાઓ પાસેથી મંગાવી લેવામાં આવી છે. આ દરખાસ્તોમાં જે શાળાઓના પ્રમાણપત્રો ખૂટતા હતા તે પણ તાત્કાલિક મંગાવી લેવાયા છે અને આગામી એકાદ દિવસમાં તેની પણ તમામ મંજૂરીઓ અત્રેથી પૂરી પાડી દેવામાં આવશે. જૂનાગઢમાં ધોરણ 9 થી 12 ના અંદાજિત 1,365 જેટલા વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ મેળવશે. આ સરકારી વ્યવસ્થા હેઠળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી દીઠ માસિક 600 રૂપિયા સરકાર તરફથી ચૂકવવામાં આવે છે, જ્યારે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ 800 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ મંજૂરી જિલ્લા કક્ષાએથી આપ્યા બાદ વાહનની સ્થાનિક વ્યવસ્થા જે તે શાળાની એસએમસી એટલે કે સ્કૂલ કમિટી દ્વારા કરવાની રહેશે. ​તંત્ર દ્વારા વાલીઓના આક્રોશ પછી તાકીદે વહીવટી નિર્ણયો તો લઈ લેવામાં આવ્યા છે, પરંતુ અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે દર વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ આ પ્રકારનું આગોતરું આયોજન કેમ કરવામાં નથી આવતું.
    Click here to Read More
    Previous Article
    ભાજપ નેતા અને વિવાદિત બિલ્ડર લાખાણીનું કનેક્શન:ડિમોલિશનમાં દેખાયા બિલ્ડરોના આર્કિટેક્ટ રજની અને દિવ્યેશ, SMCમાં સુજલ પ્રજાપતિનો ખૌફ, અધિકારીઓ એક્શન લેતા કેમ ધ્રુજે છે?
    Next Article
    જામનગરમાં વધુ બે જર્જરિત મકાનો તોડ્યા:ગીતા લોજવાળી બિલ્ડિંગમાં ડિમોલિશન, મહાનગરપાલિકાની ઝુંબેશ યથાવત, કસ્ટમ હાઉસના જર્જરિત મકાનને તોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment