Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુ-શિષ્યના સંબંધને શર્મસાર કરતો કિસ્સો:ધો.10માં જે શિક્ષિકા પાસે ભણ્યો તેનો 12 વર્ષ પછી સંપર્ક કરી લગ્ન કરવાની લાલચ અને વિદેશ સ્થાયી થવાનું સ્વપ્ન બતાવી અઢી વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું

    2 weeks ago

    ગુરુ-શિષ્યના સંબંધને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. જે શિક્ષિકા પાસે ધો.10માં અભ્યાસ કરતો હતો તે શિક્ષિકાનો 12 વર્ષ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી લગ્ન કર્યા બાદ વિદેશ સ્થાયી થવાની લાલચ આપી શિક્ષિકા પર અનેકવખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ ઉપરાંત બિઝનેસમાં ખોટ ગઈ છે તેવું કહી રોકડ રકમ, પીએફ અને સોનું વેચાવી 7 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. લગભગ અઢી વર્ષ સુધી શારીરિક સંબંધો રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતા શિક્ષિકાએ તેના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજકોટમાં એકલા જ રહેતા શિક્ષિકાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 25 જૂન 2024ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તે તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. વિદ્યાર્થી 12 વર્ષ નાનો હતો આમ છતાં તેને શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકોટમાં સંસ્કાર સિટી બી વિંગ 404 મવડીમાં રહેતા ધ્રુવીલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જુલાઈ 2024માં શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, ‘હું જ્યારે ધો.10માં ભણતો હતો ત્યારથી જ તમે મને ગમો છો, હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું.’ ત્યારબાદ ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મૂકીને શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2025માં શિક્ષિકાના માતાને પણ મળીને ‘હું શિક્ષિકા સાથે લગ્ન કરવા માગું છું અને અમે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ જશું’ તેવી વાત કરી હતી. ત્યારબાદ લગભગ દરરોજ રાત્રિના સમયે ધ્રુવીલ શિક્ષિકાના ઘેર આવતો જતો હતો અને લગ્ન કરી જ લેવાના છે તેથી શિક્ષિકા પણ તેમની સાથે પત્નીની જેમ રહેતા હતા. નવેમ્બર 2025માં બંને થાઈલેન્ડ પણ ફરવા ગયા હતા અને ચાર જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025માં ધ્રુવીલના માતાનો ફોન આવ્યો હતો કે, તે મારા છોકરાને ફસાવ્યો છે, જોકે આ સમયે ધ્રુવીલ પોતાની પાસે જ હતો. ત્યારે ધ્રુવીલે એમ કહ્યું હતું કે, તમારે માત્ર હાએ હા જ કરવાની છે. બાકી બધું હું ટેકલ કરી લઈશ. જોકે ધ્રુવીલે માર્ચ 2025માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની પોતાને જાણ થતાં તે શું કરવા માગે છે તેમ પૂછતા ધ્રુવીલે સ્પષ્ટ કહ્યું હતું કે, પરિવારના દબાણથી આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું અને છેક 23-12-2025 સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધ્રુવીલે જ્યારે સગાઈ કરી લીધી ત્યારબાદ ધ્રુવીલના માતા અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી પણ પોતાને મળવા આવ્યા હતા અને ધ્રુવીલની હવે સગાઈ થઈ ગઈ છે તેથી તેની સાથેનો સંબંધ પૂરો કરી નાખવા કહ્યું હતું. જોકે ધ્રુવીલ સ્પષ્ટ રીતે કહેતો હતો કે, તેની સાથે જ લગ્ન કરશે અને આથી જ ધ્રુવીલને ધંધામાં ખોટ જતા રોકડા 2 લાખ, 4 લાખ પીએફ જમા હતું તેમાંથી અઢી લાખ અને સોનાના દાગીના વેચીને કુલ 7 લાખ રૂપિયાની મદદ પણ કરી હતી. ડિસેમ્બર 2025માં ધ્રુવીલે લગ્ન કરવા માટે ના પાડી દેતા અને રૂપિયા પણ પરત દેવાની ના પાડી દેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર અરજી લઈ અઢી મહિને કાર્યવાહી કરી શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરી 2026ના રોજ પોતે પોલીસને અરજી કરી હતી. પોલીસે નિવેદન લેવા માટે બોલાવી પણ હતી. જોકે તે સમયે ગુનો નોંધ્યો ન હતો. પીએસઆઈ જોશીએ એમ કહ્યું હતું કે, અત્યારે અરજી લઈ છીએ. તમને વિચારવાનો સમય આપીએ છીએ. અમારે સામેવાળાને પણ સમય આપવો પડે. આથી તમે વિચારીને આવો પછી આગળની કાર્યવાહી કરીશું. આ સમય દરમિયાન ધ્રુવીલના માતા-પિતા અને ધ્રુવીલે જેની સાથે સગાઈ કરી લીધી હતી તે યુવતી ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાને પણ ત્યાં બોલાવી હતી. આ સમયે ધ્રુવીલના પિતાએ બે હાથ જોડીને માફી આપી દેવા વિનંતી કરી હતી. જોકે પોતે પોલીસ ફરિયાદ કરવા મક્કમ હતી. આમ છતાં તપાસના નામે પોલીસે અઢી મહિના બાદ ગુનો નોંધ્યો હતો. અત્રે એ વાત નોંધનીય છે કે, રાજકોટ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે, જ્યારે દુષ્કર્મ જેવો ગંભીર ગુનો હોય ત્યારે તાકીદે ફરિયાદ નોંધી લેવી પરંતુ આ કેસમાં પણ અરજીના નામે પોલીસે દુષ્કર્મ પીડિતાને અઢી મહિના સુધી માત્ર ધક્કા ખવડાવ્યા હતા. નફ્ફટાઈની પરાકાષ્ઠા: વિદ્યાર્થીએ અઢી વર્ષ સુધી દુષ્કર્મ કર્યા બાદ શિક્ષિકાનેકહી દીધું, ‘હું તમને ઓળખતો પણ નથી, તમે મને રૂપિયા પણ આપ્યા નથી’! શિક્ષિકાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની કથની વર્ણવતા કહ્યું હતું કે, અઢી વર્ષ સુધી ધ્રુવીલે પોતાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પૈસાની પણ મદદ મેળવી હતી. તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી આમ છતાં તે મારી પાસે ખોટું બોલીને મને ભોગવતો હતો. છેલ્લે અઢી વર્ષ બાદ જ્યારે હું તેના દૂધના પાર્લર પર ગઈ હતી અને કહ્યું હતું કે, તું મારા રૂપિયા તો પાછા આપી દે. ત્યારે ધ્રુવીલે કહ્યું હતું કે, ‘હું તને ઓળખતો પણ નથી તે મને પૈસા પણ આપ્યા નથી. તારા જેવી કેટલી મારા જીવનમાં આવી ગઈ છે અને તેમાંથી બે ત્રણે તો સ્યૂસાઈડ પણ કરી લીધું છે. તારે જે કરવું હોય તે કરી લેજે.’ ધ્રુવીલની આ અત્યંત આઘાતજનક વાતથી પોતે સ્તબ્ધ થઈ ગઈ હતી અને પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Foetus Found In Fridge At Kerala Flat, Case Filed Against Couple
    Next Article
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધે સિરામિક ઉદ્યોગની કમર ભાંગી:મોરબીમાં 600 ફેક્ટરીને તાળાં વાગ્યાં, 4 લાખ શ્રમિકોએ વતનની વાટ પકડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment