Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જે ગુનેગારથી રાજસ્થાન પોલીસ પણ કાંપતી તેને ગુજરાતની SITએ પકડ્યો:કારની ટક્કર મારીને દબોચવાનો પ્લાન બનાવ્યો, સામે ધારિયા-લાકડીઓ લઇને ટોળું ઊભું હતું

    2 days ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વીસનગરના ઉમતા ગામે આવેલા જૈન દેરાસરમાં રાતના સમયે 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા હતા અને 2 ચોકીદારને માર મારીને ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરી હતી. આ મૂર્તિ 1500 વર્ષ જૂની હતી. જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું મનાતું હતું. એ સમયે CCTV કે બીજા કોઇ સગડ ન મળતા પોલીસ પાસે કોઇ કડી નહોતી. બીજીતરફ લૂંટારૂં ન પકડાતા જૈન મુનિએ ઉપવાસ ચાલુ કર્યા હતા. જેના કારણે ગુજરાત સરકાર પર દબાણ વધ્યું હતું અને SITની રચના કરવી પડી હતી. SITએ ટેકનિકલ ડેટાના આધારે તપાસ આગળ વધારી હતી. શરૂઆતના એક-દોઢ મહિના સુધી તો પોલીસના હાથ ખાલી રહ્યા હતા. હવે આગળ વાંચો.... ટેકનિકલ એનાલિસિસ પોલીસ માટે મહત્વનું સાબિત થવાનું હતું. પોલીસે લાખો મોબાઇલ નંબરની ચકાસણી કરી.જેમાંથી ફક્ત એક જ શંકાસ્પદ નંબર મળ્યો. આ મોબાઇલ નંબર દેરાસરમાં લૂંટ થઇ તેના આગલા દિવસે સવારે 9 વાગ્યાના અરસામાં જયપુરથી બંધ થયો અને અંબાજીમાં ચાલુ થયો હતો. તેમાં રોમિંગનો એક SMS આવ્યો હતો અને તરત વળી પાછો મોબાઇલ બંધ થઇ ગયો હતો. મોબાઇલમાં SMS આવ્યો અને તે બંધ થયો એ દરમિયાન મોબાઇલ અંબાજીમાં એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું. જે રાત્રે મૂર્તિની લૂંટ થઇ તેના પહેલા રોમિંગનો મેસેજ આવ્યો હતો. આ નંબર બીજા દિવસે સવારે જયપુર પાસે ચાલુ થયો હતો. પોલીસે આ શંકાસ્પદ નંબરની કોલ ડિટેઇલ કઢાવી અને નામ-સરનામું મેળવ્યું હતું. આ નંબર રાજસ્થાનના દોસા જિલ્લામાં રહેતાં શિવચરણ મીણા નામની વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું. હવે પોલીસે ચોકીદારોની પૂછપરછ અને મોબાઇલના માલિકના એડ્રેસની કડી મેળવી. ચોકીદારોએ જણાવ્યું હતું કે લૂંટારૂંઓ હિન્દી બોલતા હતા અને મોબાઇલ રાજસ્થાનમાં એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું એટલે પોલીસને આ કેસમાં રાજસ્થાની ગેંગની સંડોવણી હોવાની વધુ એક કડી મળી ગઇ હતી. જેથી તપાસ આગળ વધવાની આશા જન્મી હતી.જે.ડી.પુરોહિતે શિવચરણનો મોબાઇલ નંબર ક્રાઇમ બ્રાન્ચમાં સુપરવિઝનમાં રાખ્યો હતો. જેના પર દિલીપ ઠાકોર નજર રાખી રહ્યાં હતા. શંકાસ્પદ નંબર વિશે ખબર પડ્યા બાદ મહેસાણા LCBની ટીમ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI જે.ડી.પુરોહિત દોસા જવા રવાના થયા. પોલીસે જયપુરથી અંદાજે 65 કિલોમીટર દૂર આવેલા દોસા જિલ્લાના છેવાડે આવેલા સાદપર ગામે પહોંચવાનું હતું. ગુજરાત પોલીસની ટીમ પહેલા દોસા પહોંચીને સ્થાનિક SPને મળી હતી. તેમણે ગુજરાત પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપ્યો. ગામમાં તપાસ કરાવી તો ખબર પડી કે શિવચરણ મીણા ઉર્ફે છપ્પન મૂલ્યારામ સામે લૂંટ, ખૂન, ધાડ અને આર્મ્સ એક્ટ સહિતના 35 જેટલા ગુના નોંધાયેલા છે. તેની પત્ની આ જ ગામની સરપંચ છે. 35 જેટલા ગુના નોંધાયેલા હોવાથી શિવચરણ અઠંગ ગુનેગાર હોવાનું નક્કી હતું. તેની સામે આર્મ્સ એક્ટ હેઠળના ગુના પણ નોંધાયેલા હોવાથી એવી પૂરેપૂરી શક્યતા હતી કે તે પોતાની પાસે હથિયાર રાખતો હોય. તેની પત્ની ગામની સરપંચ હતી એટલે તે રાજકીય વગ ધરાવતો હોવાનું પણ નક્કી હતું. આવા આરોપીને આસાનીથી પકડી ન શકાય એટલે પોલીસે શિવચરણને પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો. પોલીસે સૌથી પહેલાં ગામની ભૌગોલિક પરિસ્થિતિ અને શિવચરણ વિશે માહિતી મેળવવાનું નક્કી કર્યું. સાદપર ગામની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણવા પોલીસ તેનાથી વીસેક કિલોમીટર દૂર આવેલા બીજા ગામમાં રોકાઇ હતી. રોજ સવાર પડે એટલે ખાનગી વાહન અને ખાનગી ડ્રેસમાં પોલીસ ગામની આસપાસ તપાસ કરવા જાય. પોલીસને ગામમાંથી ખબર પડી હતી કે આરોપી પોતાની પાસે 1-2 હથિયાર રાખે છે. તેની સાથે 3 કે 4 જણાં સતત રહેતાં હતા. શિવચરણ ખુલ્લી જીપ લઇને ફરતો હતો અને જીપની આગળ સરપંચ લખેલું હતું. શિવચરણ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે ગુના નોંધાયા હતા તે પોલીસ સ્ટેશન ગામથી 8 કિલોમીટર જ દૂર હતું. તેણે આચરેલા 35 ગુનામાંથી આ જ પોલીસ સ્ટેશનના 25 ગુનામાં તે વોન્ટેડ હતો. જ્યારે સ્થાનિક પોલીસ બીજા કોઇ આરોપીને પકડતી ત્યારે તેને છોડાવવા ખુદ શિવચરણ જ પોલીસ સ્ટેશન જતો તેમ છતાં સ્થાનિક પોલીસ તેને પકડવાની હિંમત નહોતી કરતી. આટલી તેની ધાક હતી. આ હકીકત જાણ્યા બાદ ગુજરાત પોલીસને ખ્યાલ આવી ગયો કે જો શિવચરણને પકડવો હોય તો તેના માટે 10થી 15 પોલીસકર્મીઓની ટીમ હોવી જરૂરી હતી. પોલીસને વધુ એક ગુપ્ત માહિતી મળી કે શિવચરણને એક શિક્ષિકા સાથે સારો સંબંધ હતો. આ શિક્ષિકા નજીકના ગામમાં રહેતી હતી અને ગામના વિદ્યાર્થીઓને ભણાવતી હતી. શિવચરણ ઘણીવાર આ શિક્ષિકાને એકલો મળવા જતો હતો. આ એક જ પોઇન્ટ એવો હતો જેમાં પોલીસ સાથે શિવચરણની અથડામણ થવાની શક્યતાઓ ઘટી જતી હતી. પોલીસે આ દિશામાં વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે શિક્ષિકાની સ્કૂલનો સમય સવારનો હતો. બપોરે 12:30 વાગ્યા આસપાસ તે સ્કૂલેથી છૂટે એટલે શિવચરણ તેને રસ્તામાં મળીને પાછો ગામમાં આવતો રહેતો હતો એટલે આ જ સમય એવો હતો કે જેમાં તે એકલો હોય ત્યારે પોલીસ તેને પકડી શકે. જો કે શિવચરણ એકલો હોય તો પણ પોતાની પાસે 1-2 હથિયાર તો રાખતો જ હતો. તત્કાલીન PI જે.ડી.પુરોહિતે આ બધી વાત જાણીને પોતાની ટીમના સભ્યો અને SITના ઉચ્ચ પોલીસ અધિકારીઓને વાકેફ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ એકબીજા સાથે ચર્ચા-વિચારણાં કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તે વખતના PI અને હાલ રાજ્યના પ્રિઝન ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ (DySP) તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્ર યાદવને તેમની ટીમ સાથે દોસા મોકલ્યા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI અને હાલના DySP પરેશ સોલંકીની બીજી ટીમ તપાસ માટે રાજસ્થાનમાં જ હતી. તેમને પણ મદદ માટે પહોંચી જવા સૂચના આપી હતી. સૂચના મુજબ ત્રણેય ટીમ દોસાના SPને ત્યાં ભેગી થઇ હતી અને ચર્ચા કરી રહી હતી. તે જ વખતે જે.ડી. પુરોહિતને બાતમીદાર પાસેથી એવી માહિતી મળી હતી કે શિક્ષિકાએ આરોપી શિવચરણને પોતાને ફાયરિંગ કરવાનું શીખવાડવાની વાત કરી હતી. જેથી શિવચરણ તે શિક્ષિકાને સૂમસામ જગ્યાએ ફાયરિંગ કરાવવા લઇ જવાનો હતો. હવે પોલીસે શિવચરણને પકડી લેવા વ્યૂહરચના ગોઠવી. જે.ડી.પુરોહિત ગામની ભૌગોલિક સ્થિતિથી વાકેફ થઇ ગયા હોવાથી તેમણે કાગળ પર આખો મેપ બનાવીને બીજી બન્ને ટીમને સમજાવી દીધું હતું. આના પછી પોલીસની 3 ગાડીઓ તૈયાર કરાઇ હતી. એક ગાડીમાં જે.ડી.પુરોહિત અને જીતેન્દ્ર યાદવ તથા બીજા બે કોન્સ્ટેબલ વિજય અને સ્થાનિક કોન્સ્ટેબલ હતો. બીજી ગાડી મહેસાણા પોલીસની હતી અને ત્રીજી ગાડી તત્કાલીન PI પરેશ સોલંકીની હતી. ત્રણેય ગાડીઓ અલગ અલગ દિશામાં રવાના થઇ હતી. આ સમયે પોલીસ પાસે આરોપીનો ફક્ત એક જ ફોટો હતો. જેનાથી તેની ઓળખ થઇ શકે તેમ હતી. આ દરમિયાન શિવચરણે શિક્ષિકાને ફાયરિંગ કરાવીને તેને સ્કૂટી પર રવાના કરી દીધી હતી પછી તે નજીકના ગામના સરપંચને મળવા ગયો હતો. સરપંચને મળ્યા બાદ તે ત્યાંથી તેના મિત્ર સાથે બાઇક પર પોતાના ગામ આવવા નીકળ્યો હતો. આ સમયે જે.ડી.પુરોહિતની ટીમે તેને સામેથી આવતો જોઇ લીધો હતો. જીતેન્દ્ર યાદવ કાર ચલાવતા હતા. બન્નેએ અંદરોઅંદર ચર્ચા કરી કે જો શિવચરણને રોકવા જઇશું તો કદાચ સામસામે ફાયરિંગ ચાલુ થઇ જશે. ટીમમાં જે બીજા બે કોન્સ્ટેબલ્સ છે તેમની પાસે કોઇ હથિયાર નથી. સામે શિવચરણ અને તેનો મિત્ર એમ બે જણાં છે. જો બન્ને પાસે હથિયાર હોય તો તે છટકી જાય તેવા ચાન્સ વધુ રહે. આના પછી જે.ડી.પુરોહિત અને જીતેન્દ્ર યાદવે ગાડીમાં જ નવો પ્લાન બનાવી લીધો અને શિવચરણને ટક્કર મારવાનું નક્કી કરી લીધું. કાર હંકારવામાં માસ્ટર જીતેન્દ્ર યાદવે શિવચરણની બાઇકને સામાન્ય ટક્કર મારી. કારની ટક્કર વાગે એટલે સ્વભાવિક છે કે કોઇપણ બાઇકચાલક 8-10 ફૂટ ઉછળીને દૂર પડે. શિવચરણ સાથે પણ એવું જ થયું. તે અને તેનો મિત્ર 8-10 ફૂટ ઉછળીને પડ્યાં. આના પછી જે.ડી.પુરોહિત અને બીજા 2 કોન્સ્ટેબલ્સ ચિત્તાની ઝડપે ગાડીમાંથી કૂદ્યા અને આરોપી પાસે દોડી ગયા. અહીં તેમની અને આરોપી વચ્ચે ઝપાઝપી થઇ. જેમાં જે.ડી.પુરોહિતનો શર્ટ ફાટી ગયો હતો પણ શિવચરણ પાસેનું હથિયાર ઝૂંટવી લેવામાં તેમને સફળતા મળી હતી. આ તરફ જીતેન્દ્ર યાદવની ગાડી નજીકના સાતેક ફૂટ ઊંડા ખાડામાં પડી ગઇ. ગાડીના આગળના બે વ્હીલ ખાડામાં જતાં રહ્યાં અને પાછળના બે વ્હીલ ખાડાની બહાર હતા. છતાં હિંમત કરીને જીતેન્દ્ર યાદવ ગાડીમાંથી કૂદીને આરોપી પાસે દોડી આવ્યા. બધાએ ભેગા મળીને બન્ને આરોપીને પકડીને બુરખો પહેરાવી, હાથકડી બાંધીને ગાડીમાં બેસાડી દીધા. આ દૃશ્ય ત્યાંથી પસાર થઇ રહેલા એક સ્થાનિક વ્યક્તિએ જોઇ લીધું. તે સ્થાનિક વ્યક્તિ શિવચરણને ઓળખતો હતો. જ્યાં આ ઘટના ઘટી ત્યાંથી સાદપર ગામ 700 થી 800 મીટર જ દૂર હતું. તેણે ગામમાં જઇને વાત કરી કે શિવચરણને કોઇ સાથે ઝઘડો થયો છે એટલે ગામમાંથી 8થી 10 લોકો ધારિયા, લાકડાંના ધોકા લઇને જ્યાં આ ઘટના ઘટી હતી ત્યાં આવવા નીકળ્યા હતા. આ તરફ આરોપીને ગાડીમાં બેસાડ્યા બાદ જીતેન્દ્ર યાદવ સ્ટિયરિંગ પર ગોઠવાઇ ગયા. દોસાનો સ્થાનિક કોન્સ્ટેબલ ગાડી પાસે બહાર ઊભો રહી ગયો હતો પણ ગાડીના આગળના બે વ્હીલ તો ખાડામાં હતા અને ખાડામાં કાંટા હતા. છતાં જીતેલી બાજી હારી ન જવાય અને ગુનેગારો છટકી ન જાય તે માટે જે.ડી. પુરોહિત અને કોન્સ્ટેબલ વિજય બોનેટ ઊંચું કરવા ખાડામાં ઉતર્યાં હતા. જીતેન્દ્ર યાદવે ગાડીને રિવર્સ લીધી અને એક્સીલેટર પર પગ દબાવ્યો. તરત જ ગાડી ખાડામાંથી બહાર નીકળી ગઇ. જો કે આ ટીમની સામે એક વધુ આફત આવીને ઊભી હતી. ગામમાંથી ધારિયા, લાકડાંના ધોકા લઇને નીકળેલું ટોળું એકદમ નજીક આવી પહોંચ્યું હતું. જેવું ટોળું ગાડી પાસે આવ્યું કે બહાર ઊભા રહેલા કોન્સ્ટેબલે 4-5 વ્યક્તિને મારીને નીચે પછાડી દીધા. હવે પોલીસને તરત જ ત્યાંથી નીકળી જવાની તક મળી. બહાર ઊભેલો કોન્સ્ટેબલ ગાડીમાં ગોઠવાયો અને જીતેન્દ્ર યાદવે ગાડી હંકારી મૂકી. ગાડીને ભાગતા જોઇ ટોળાંએ તેના પર પથ્થરમારો પણ કર્યો પરંતુ કોઇને ઇજા ન પહોંચી. થોડી જ ક્ષણોમાં પોલીસની ગાડી દોસા તરફ દોડી રહી હતી. રસ્તામાંથી અન્ય ટીમને પણ ઓપરેશન પૂરૂં થયા અંગેની જાણ કરી દીધી. પોલીસે જ્યારે બીજી ટીમને જાણ કરી ત્યારે વાતચીત પરથી શિવચરણને ખબર પડી ગઇ કે આ તો ગુજરાત પોલીસ છે. બાદમાં જ્યારે તેને દોસા SP ઓફિસે લવાયો અને SPએ સામે બેસાડ્યો ત્યારે તેણે સામેથી જ કહી દીધું કે મૂર્તિ વરધીચંદે ચોરી છે અને મથુરામાં છે. કોઇએ પૂછ્યું નહોતું છતાં તેણે સ્વીકારી લીધું એટલે ગુજરાત પોલીસ પણ ચોંકી ઉઠી. આ દરમિયાન SITના અધિકારીઓને ખબર પડી કે શિવચરણ પકડાઇ ગયો છે એટલે વરધીચંદ મૂર્તિ સગેવગે ન કરી દે તે માટે તેમના તરફથી સૂચના આવી કે રાજસ્થાન ગયેલી ગુજરાત પોલીસની ટીમ તરત જ મથુરા પહોંચે અને મૂર્તિનો કબજો લઇ લે. જેથી પોલીસ રાત્રે જ દોસાથી મથુરા જવા નીકળી હતી. દોસાથી મથુરાનું અંતર અંદાજે 164 કિલોમીટર જેટલું હતું. વહેલી સવારે 4-5 વાગ્યે તો પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ. શિવચરણે જે એડ્રેસ આપ્યું હતું ત્યાં પહોંચીને જોયું તો ખેતરમાં ફક્ત છાપરાં જેવું મકાન હતું. ત્યાં ન વરધીચંદ મળ્યો ન મૂર્તિ મળી. પોલીસની ટીમ ખાલી હાથે દોસા પાછી ફરી. ફરી શિવચરણની પૂછપરછ કરી. તેણે પોલીસને કહ્યું કે અમે તો મૂર્તિ ચોરીને સીધા મથુરા આવ્યા હતા અને વરધીચંદને મૂર્તિ આપીને સાદપર ગામે પાછા આવતા રહ્યા હતા. જો કે પોલીસને તેની આ વાત ગળે ન ઉતરી. જે.ડી.પુરોહિતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં દિલીપ ઠાકોરને ફોન કરીને શિવચરણની કોલ ડિટેઇલ મગાવી હતી. જેમાં ખુલાસો થયો કે શિવચરણ જયપુરથી સીધો જ સાદપર ગામ ગયો હતો, તે મથુરા ગયો જ નહોતો. જો તે મથુરા ગયો હોત તો રસ્તામાં કેટલાય મોબાઇલ ટાવર્સ બદલાઇ જાય. જેથી શિવચરણ ખોટું બોલી રહ્યો હતો તે સ્પષ્ટ થઇ ગયું હતું. હવે પોલીસે શિવચરણની કડકાઇથી પૂછપરછ કરી. જેમાં તેણે કબૂલ્યું કે મૂર્તિ તેણે સાદપર ગામના ખેતરમાં છુપાવી છે. શિવચરણની આ કબૂલાત બાદ પોલીસ સામે વધુ એક પડકાર આવ્યો કેમ કે મૂર્તિ મેળવવા પોલીસે શિવચરણના ગામમાં જવાનું હતું. ભૂતકાળમાં પોલીસ જ્યારે-જ્યારે તેના ગામમાં ગઇ હતી ત્યારે પોલીસ પર હુમલો થયો હતો. હવે જો શિવચરણને સાથે રાખીને પોલીસ તેના ગામમાં જાય તો ત્યારે પણ પોલીસ પર હુમલો થવાનો ભય હતો. આવી સ્થિતિમાં ફરીવાર ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરાઇ. જેથી IG ઝેબલિયાએ રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી. જેના પછી રાજસ્થાનની ખાસ ટીમના DySPના નેજા હેઠળ 20-25 હથિયારધારી પોલીસ જવાનોની ટીમ તૈયાર કરાઇ હતી અને તેને ગુજરાત પોલીસ સાથે સાદપર ગામે મોકલાઇ હતી. રસ્તામાં ગુજરાત પોલીસને વિચાર આવ્યો કે જો શિવચરણને ગામમાં લઇ જઇએ અને ગામવાળા હુમલો કરીને તેને છોડાવી જાય તો બધી મહેનત પર પાણી ફરી વળે એટલે પોલીસે રસ્તામાં જ નક્કી કર્યું કે શિવચરણને ગામમાં જ નથી લઇ જવો. જીતેન્દ્ર યાદવની એક ટીમે સાદપર ગામથી 10 કિલોમીટર દૂર અવાવરૂં સ્થળે ગન પોઇન્ટ પર શિવચરણને બેસાડી દીધો. બીજીતરફ જે.ડી.પુરોહિત, પરેશ સોલંકી સહિતની રાજસ્થાન પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી. અહીં શિવચરણની પત્નીને લઇને ખેતરમાં ગઇ. શિવચરણે જે જગ્યા કહી હતી તે જગ્યા પર ખોદ્યું પણ કંઇ મળ્યું નહીં. પોલીસને અંદાજો આવી ગયો કે શિવચરણ ફરીથી તેને ગોથે ચડાવી રહ્યો છે એટલે જે.ડી.પુરોહિતે શિવચરણ સાથે રહેલા પોલીસ અધિકારી જીતેન્દ્ર યાદવને ફોન કર્યો અને બધી વાત કરી. જીતેન્દ્ર યાદવે કડકાઇ વાપરી એટલે શિવચરણ ઢીલો પડ્યો. તેણે કહ્યું કે મારી પત્નીને ફોન આપો એટલે હું તેને સાચું લોકેશન બતાવું. જો કે હવે પોલીસ થાપ ખાય તેમ નહોતી. પોલીસે ફોન સ્પીકર પર રાખ્યો કેમ કે ત્યાં રાજસ્થાનના DySP ત્યાં હાજર હતા અને જો શિવચરણ પોતાની ભાષામાં પત્નીને કોઇ આડી અવળી વાત કરે તો તે સમજી શકે. પોલીસે વિચાર્યા પ્રમાણે જ શિવચરણે તેની પત્ની સાથે વાત કરી ત્યારે ગુજરાત પોલીસને તો કંઇ ખબર ન પડી પણ રાજસ્થાનના DySPને ખબર પડી ગઇ કે શિવચરણ તેની પત્નીને કંઇક જુદું જ કહી રહ્યો છે એટલે તેમણે ફોન કટ કરાવી દીધો અને તેની જ ભાષામાં શિવચરણની પત્ની સાથે વાત કરી. શિવચરણની પત્નીએ તેને કહી દીધું કે મૂર્તિ અહીં નથી પણ બીજી જગ્યાએ છે પણ ફક્ત તમે જ મારી સાથે આવો. જેના પછી તેઓ પાંચેક કિલોમીટર દૂર જઇને એકાદ કલાકમાં મૂર્તિ લઇને પાછા આવ્યા હતા. મૂર્તિ મળી જતાં પોલીસે હાશકારો અનુભવ્યો અને લાવવા લઇ જવામાં મૂર્તિ ખંડિત તો નથી થઇ ગઇને તે ચેક કરી લીધું. મૂર્તિ સલામત હોવાથી ગુજરાત પોલીસ રાજસ્થાન પોલીસનો આભાર માનીને શિવચરણને પકડીને મૂર્તિ સાથે મહેસાણા પહોંચી ગઇ. ચકચારભર્યો કેસ હોવાથી ડી.જી.ઓફિસમાં જ પોલીસવડા ચિત્તરંજનસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કેસ ઉકેલાયાની જાહેરાત કરી હતી. મૂર્તિ ચોરીનો ગુનો દાખલ થયો હોવાથી ચોરીનો મુદ્દામાલ પોલીસે પોતાની પાસે રાખવો પડે પણ લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં એટલે મૂર્તિને દેરાસરમાં મૂકીને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એકાદ સપ્તાહ બાદ કોર્ટનો હુકમ આવી જતાં પોલીસ બંદોબસ્ત હટાવી લીધો હતો. શિવચરણની પૂછપરછમાં વરધીચંદ ઠાકુર અને દરજી ભગવાનસિંહ એમ વધુ 2 આરોપીઓના નામ ખૂલ્યા હતા. વરધીચંદ મૂર્તિ ચોર છે. મોટાભાગની મૂર્તિ ચોરીમાં તેનો જ હાથ હોય છે. તે મૂર્તિ જોઇને ફોટો પાડી લેતો અને પછી તેનો સોદો કરતો હતો. ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરવા માટે તેણે શિવચરણને 10 લાખ રૂપિયા અને ગેંગના બીજા સભ્યોને 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આ નક્કી થયા બાદ શિવચરણ અને બીજા આરોપીઓ લૂંટના 15 દિવસ પહેલાં ઉમતા ગામે આવીને રેકી કરી ગયા હતા. શિવચરણ અને બીજા આરોપી જ્યારે જયપુરથી ઉમતા આવવા નીકળ્યાં ત્યારે મોબાઇલ બંધ કરી દીધો હતો. સીધા અંબાજી આવ્યા હતા ત્યાં ઊભા રહ્યાં હતા. આ દરમિયાન શિવચરણે જીન્સનું પેન્ટ પહેરેલું હતું. જીન્સનું પેન્ટ હોવાથી તે ફિટ હોય તે સ્વાભાવિક છે. તેના કારણે પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ચાલુ થઇ ગયો. જેથી તેમાં રોમિંગનો મેસેજ આવ્યો હતો. મેસેજના અવાજથી શિવચરણને ખબર પડી જતાં તેણે તરત જ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો પણ ત્યાં સુધીમાં તો મોબાઇલ કંપનીના નેટવર્કમાં શિવચરણનું લોકેશન નોંધાઇ ચૂક્યું હતું. આમ મૂર્તિ ચોરવા જઇ રહેલા શિવચરણનો મોબાઇલ અંબાજીમાં ફક્ત 2 સેકન્ડ માટે ચાલુ થઇ ગયો. તેમાં આવેલા મેસેજના કારણે પોલીસને આખો કેસ ઉકેલવામાં સફળતા મળી હતી જેથી જે.ડી.પુરોહિતે મા અંબાનો મનોમન આભાર માન્યો હતો. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પણ વાંચો રાજસ્થાનના ગામડાંમાં ઘૂસીને ગુજરાત પોલીસે ફિલ્મી સ્ટાઇલથી મૂર્તિ ચોરને ઉઠાવ્યો, પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    Priyanka Gandhi Assam Rally LIVE : नाजिरा-शिवसागा में प्रियंका गांधी की जोरदार रैली | Assam Election
    Next Article
    આજે સાંજે થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત:ફાઈનલ મતદાર યાદી પણ જાહેર કરાશે, 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment