Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેંસાણ તાલુકામાં સરકારી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો.:​ખંભાળીયા ગામે સુવિધાપથના કામમાં એજન્સી દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયાનો પુરાવા સાથે આક્ષેપ, યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસની ચીમકી .

    22 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલા ખંભાળીયા ગામે વિકાસ કામોના નામે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ગ્રામજનો દ્વારા વર્ષોથી પૂર અને પાણીની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા સુવિધાપથ, આરસીસી રોડ તેમજ પ્રોટેક્શન દિવાલના નિર્માણ માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી હતી. આ વિકાસ કાર્યને આગળ ધપાવવા માટે જે કોન્ટ્રાક્ટર એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, તેના દ્વારા સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કરીને માત્ર લોટ, પાણી ને લાકડા જેવી નીતિથી તદ્દન હલકી ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ​આ ગેરરીતિ અંગે ખંભાળીયા ગામના સામાજિક અગ્રણી અને જાગૃત નાગરિક રોહિતભાઈ બધાભાઈ સોલંકી દ્વારા પુરાવા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. રોહિત સોલંકી એ જણાવ્યું હતું કે, નિર્માણ પામી રહેલી પ્રોટેક્શન દિવાલ અને આરસીસી રોડના કામમાં સોજીત્રા નામની એજન્સી દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. બાંધકામની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે નવનિર્મિત આરસીસી દિવાલ પર સામાન્ય પગ વડે સહેજ દબાણ કરતાની સાથે જ તેમાંથી બધું મટીરીયલ અને કોંક્રિટ બહાર નીકળી જાય છે. આ પ્રકારની નબળી કામગીરીથી સમગ્ર પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​બાંધકામના ટેકનિકલ માપદંડો અને નિયમોને નેવે મૂકીને લોખંડ એટલે કે સ્ટીલના સ્ટ્રક્ચરમાં પણ ભારે ક્ષતિઓ રાખવામાં આવી હોવાનું રોહિત સોલંકીએ સ્થળ પરથી જણાવ્યું છે. સામાન્ય રીતે પ્રોટેક્શન દિવાલ અને રોડની મજબૂતીનો આધાર તેના લોખંડના માળખા પર હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડના સળિયા ખૂબ જ દૂર-દૂર એટલે કે અઢી થી ત્રણ-ત્રણ ફૂટના મોટા ગાળે બાંધવામાં આવ્યા છે. આ પ્રકારની નિયમ વિરુદ્ધની બેદરકારીના કારણે સમગ્ર રોડ અને દિવાલની ટકાઉક્ષમતા જોખમાઈ છે. ભવિષ્યમાં ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં આ નબળું માળખું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાવાની પૂરેપૂરી સંભાવના છે. ​આ ઉપરાંત કોંક્રિટિંગના કામમાં પણ ચોંકાવનારી ગેરરીતિ સામે આવી છે, જેમાં રેતી કે સિમેન્ટના યોગ્ય મિશ્રણ વગર જ આખા રોડની અંદર માત્ર નકરી સુકી કાંકરી અને કપચી ભરીને જ ભરણ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ રોહિત સોલંકીએ વિડિયો દ્વારા કર્યો છે. આ નબળું કામ પકડાઈ જતાં જાગૃત નાગરિકો દ્વારા તેનો વિડિયો અને ફોટોગ્રાફ્સ પાડી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા રાતોરાત કપચીના નબળા માલની ઉપર માત્ર થોડો-થોડો સિમેન્ટ વાળો માલ નાખીને ફિટિંગ કરી આખી ગેરરીતિને ઢાંકી દેવાનો નિકૃષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ​આ મામલે કાર્યપાલક ઈજનેર દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગના અધિકારી પંડ્યા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતને લઈને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. જોકે, સક્ષમ અધિકારીની નોટિસ હોવા છતાં કોન્ટ્રાક્ટર અને સ્થળ પર નિરીક્ષણ કરનાર એસ.ઓ. હાર્દિક એટલા માથાભારે અને રાજકીય વગ ધરાવતા સાબિત થયા છે કે તેમણે સરકારી આદેશોની પણ ખુલ્લેઆમ અવજ્ઞા કરી હોવાનું રોહિત સોલંકીએ રોષે ભરાઈને ઉમેર્યું હતું. તેમણે નોટિસ મળ્યા પછી પણ નબળું કામ તોડી પાડવાને બદલે કોઈપણ જાતના ડર વગર તે જ કામ ચાલુ રાખ્યું હતું. ​અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની આવી મિલીભગત અને જોહુકમીના કારણે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નીતિ નિયમો વિરુદ્ધની અને અણઆવડત ભરી આવી કામગીરીના કારણે જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી આખરે કોણ લેશે? રોહિતભાઈ બધાભાઈ સોલંકી દ્વારા તારીખ ૨૨ જૂન ૨૦૨૬ ના રોજ જિલ્લા પંચાયત જુનાગઢના કાર્યપાલક ઈજનેરને એક લેખિત ફરિયાદ પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રની નકલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જુનાગઢ કલેક્ટરને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે. ​રોહિત સોલંકીએ પોતાના પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી છે કે જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર અંગે કોઈ આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી સદર સોજીત્રા એજન્સીના એક પણ સરકારી બિલની ચૂકવણી કરવામાં ન આવે અને આ એજન્સીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે. આ સાથે જ ફરજમાં બેદરકારી દાખવનાર અને કોન્ટ્રાક્ટરને સાથ આપનાર સંબંધિત એસ.ઓ. વિરૂદ્ધ પણ કડક ખાતાકીય પગલાં લેવામાં આવે. જો આ ગંભીર બાબતે આગામી સાત દિવસની અંદર તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ખંભાળીયા ગામના તમામ ગ્રામજનોને સાથે રાખીને જિલ્લા પંચાયત કચેરી સમક્ષ પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરવાની ફરજ પડશે, તેવી ચીમકી પણ રોહિત સોલંકી દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળ-કેશોદ પંથકમાં 40 ઇંચ વરસાદથી જળબંબાકાર, ડ્રોન વીડિયો:વેરાવળ-પોરબંદર હાઇવેનો કોઝવે તૂટતા 18 ST અટવાઈ, 900 મુસાફરો ફસાયા; નદીઓ ગાંડીતૂર, ઉભા પાક તણાયા
    Next Article
    મોરબીના નવલખી ફાટક-ત્રિલોકધામમાં મેયરની મુલાકાત:વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નવા નાળાનું નિરીક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment