Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બાબા બાગેશ્વરે હુંકાર કરતા જ મહિલા-પુરુષો ધુણ્યા, 'ભૂત-પ્રેત'ની મારામારી:પીપળીયાએ કહ્યું-ડાકીની, પિચાશીનીને ધુણાવી લોકો પર હુમલો કરાવ્યો, બાબા સામે પોલીસ સુઓમોટો કરે

    1 सप्ताह पहले

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 'દિવ્ય દરબાર' બાદ જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના અને કાયદો-વ્યવસ્થા જોખમાવવાના ગંભીર આક્ષેપો સાથે મોટો વિવાદ ઊભો થયો છે. દરબારમાં કથિત પ્રેત આત્માઓના નામે ધૂણતા લોકો દ્વારા પત્રકારો પર કરાયેલા હુમલા અને એક નિર્દોષ બાળકને ધૂણાવવાની ઘટનાને સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળીયાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આ સમગ્ર ઘટનાક્રમને પૂર્વનિયોજિત અને 'પ્લાન્ટેડ ઢોંગ' ગણાવીને તેમણે બાબા પર અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ આર્થિક લાભ ખાટવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પ્રશાસન સમક્ષ આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરૂદ્ધ તાત્કાલિક ‘સુઑમોટો’ ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગ કરી છે. સૌરાષ્ટ્રના અગ્રણી સહકારી અને પાટીદાર આગેવાન પુરષોત્તમભાઈ પીપળીયાએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાજકોટમાં યોજાયેલા દિવ્ય દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા પૂરી કરીને જાહેરમાં અનેક લોકોને ધુણાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો છે. આ ઘટનાના સંદર્ભમાં પુરુષોત્તમભાઈ પીપળીયાએ બાબાનું નામ લઈને સીધી ચેલેન્જ આપતા લખ્યું છે કે, જો તેમનામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીના મીડિયા હાઉસમાં આવીને 'મોરે મોરો' (સામસામે) ચર્ચા કરે અને જો તેઓ ચર્ચામાં 'ડાયપર' ન બગાડી નાખે તો કહેજો. અગાઉ પણ બાબા બાગેશ્વર સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના ગંભીર આરોપો લગાવી ચૂકેલા પીપળીયાએ ગઈકાલે દિવ્ય દરબારમાં ભૂત-પિશાચના નામે લોકોને ધુણાવવાની કથિત ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. પ્રેત દરબારમાં બાબાએ ડાકીની, સાકીની, પિચાશીનીને ધુણાવી લોકો પર હૂમલો કરાવ્યો રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીનો દિવ્ય દરબાર વિવાદમાં આવ્યો છે. અહીં ધુણતા લોકોએ હૂમલો કરતા આ ઘટનાને સામાજિક અગ્રણી અને કાયદેઆઝમ પરસોતમ પીપળીયાએ વખોડી છે અને હૂમલો કરતી મહિલાઓ સહિતના લોકોને બાબાએ બોલાવેલી ડાકીની, સાકીની, પિચાશીની ગણાવી હતી અને એક બાળકને ધુણાવવામાં આવ્યો તે બાબાનું હીન કૃત્ય હોવાનું કહ્યું હતું. આ સાથે જ પોલીસે આ મામલે સુઑમોટો દાખલ કરવી જોઈએ તેવી માંગણી કરી હતી. ‘ચિઠ્ઠી ચબરખી નાખવી અને વરતારો આપવો તે ઢોંગ અને ધતિંગ છે અને જાદુગરી’ આ ઘટના થવાની જ હતી. જેનો વરતારો એક અઠવાડિયાથી હું આપું છું. બાબા ડાકીની, સાકીની, પિચાશીની અને પ્રેત આત્માને બોલાવીને તેમજ ધુણાવીને પોતે અંધશ્રદ્ધા ફેલાવે છે. જે અંધશ્રદ્ધા દ્વારા પોતે આર્થિક લાભ મેળવે છે. બાબાને હનુમાન ચરિત્રની કથામાં કોઈ રસ ન હતો તે તેમની બે દિવસની કથા ઉપરથી સાબિત થાય છે. બાબાને હનુમાન ચરિત્ર વિશે કોઈ નોલેજ પણ નથી. જે માત્ર દિવ્ય દરબારમાં રસ ધરાવે છે જેને હું પ્રેત દરબાર કહું છું. જે આજે સાબિત થઈ ગયું છે. ચિઠ્ઠી ચબરખી નાખવી અને વરતારો આપવો તે ઢોંગ અને ધતિંગ છે અને જાદુગરી છે. જાદુગર પણ આ પ્રકારની જાદુગરી કરે છે પરંતુ તેઓ એવું નથી કહેતા કે ઈશ્વરીય શક્તિ છે પરંતુ તે એવું કહે છે કે આ ટ્રીક અને ટેકનીક છે. ‘પત્રકારોને જોઈ જોઈને તેમના ઉપર હુમલાઓ કરતા હતા’ જાદુગરો પોતાના માવઠાઓ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજે છે. અહીં પણ બાબા પોતાના માવઠા સાથે લઈને આવ્યા હતા. પઢાવેલો પોપટ બોલતો હોય એવું માવઠાઓ બોલ્યા. તેમાં કોઈ પણ પ્રકારની દિવ્ય શક્તિ છે તેવું માનવાને કોઈ કારણ નથી. જે ધુણતા હતા તેને પત્રકારો જ દેખાતા હતા. તે પત્રકારોને જોઈ જોઈને તેમના ઉપર હુમલાઓ કરતા હતા તો ડાકીની, શાકીનીને ખબર છે કે આ પત્રકાર છે ? જે બચી ગયા તે પણ પત્રકાર હતા અને જેની સાથે ઝપાઝપી થઈ તે પણ પત્રકાર હતા. પત્રકારને ભગાડવા માટે ડાકીની હતી બાકીની શાકીની અને પિચાશીની ધુણતા હતા. આ બધું પ્લાન્ટેડ હતું. આ દરમિયાન એક બાળકને ધુણાવવામાં આવ્યો તે હિન પ્રકારનું કૃત્ય કહી શકાય. બાળકને આપણે વૈજ્ઞાનિક કે એન્જિનિયર બનાવો છે કે પછી અંધશ્રદ્ધામાં લઈ જવો છે. જે આપણે નક્કી કરવાનું છે. બાબાએ આ પ્રકારની કૃત્ય કરવું ન જોઈએ. તેમણે જણાવ્યું કે, પોલીસે બાબા વિરુધ્ધ સુઑમોટો ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ પ્રકારે અગાઉ નિર્મલ બાબા, આસારામ બાપુ અને રામ રહીમ જેવા અનેક બાબાઓ થઈ ગયા પરંતુ આ પ્રકારના બાબાઓને રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટી ઉપર પ્રોત્સાહન આપે છે. જેથી હું આ પ્રવૃત્તિઓ માટે આ પ્રકારના લોકોને જવાબદાર ગણું છું નહીં કે પબ્લિકને. ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ મહિલા ધૂણી વાયરલ થઈ રહેલા વીડિયો અને ઘટનાની વિગતો મુજબ, દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે હુંકાર કર્યો હતો. આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને કેટલાક લોકો 'ધૂણવા' લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર 'પ્રેત' આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં અને લોકો અંદરોઅંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હોવા છતાં, ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટનાક્રમ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને આયોજકો સામે ગુનો દાખલ કરવા માંગ વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, તેમજ કથાના આયોજકો સામે ગુન્હો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. આ રજુઆત કરતા તેમને જણાવ્યું હતું કે, સનાતન હનુમાન કથાને બદલે લવ જેહાદ, ચાદર, માનસિક રોગી સાથે ખિલવાડ થયો છે. જાહેરનામા ભંગનો આયોજકો ઉપર ગુન્હો દાખલ કરવામાં આવે કારણ કે કથાને રાત્રિના 10 વાગ્યા સુધી મંજુરી હતી. દિવ્ય દરબારમાં ચિઠ્ઠી, નામાવલિ, પ્રશ્નો ષડયંત્રનો ભાગમાં તર્કટ બાબા સાબિત થયો છે. દેશનું દુર્ભાગ્ય છે કે વિકાસ, રોજગારીને બદલે ચમત્કારો, ચાદર, લવ જેહાદની કથામાં વાતો થાય છે. આ ઉપરાંત કથાના છેલ્લા દિવસે માનસિક રોગીઓના મેળાવડામાં અવૈજ્ઞાનિક સારવાર કરવામાં આવી તેનો અમે વિરોધ કરીએ છીએ. જયંત પંડ્યા અને પુરુષોત્તમ પીપળીયાએ લગાવ્યા ગંભીર આરોપો ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કથિત ચમત્કારો અને દિવ્ય દરબાર સામે સ્થાનિક સ્તરેથી વિરોધનો સૂર ઉઠ્યો છે. જયંત પંડ્યા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ પરસોતમ પીપળીયાએ મીડિયા સાથેની વાતચીતમાં બાબાના કાર્યક્રમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ વાસ્તવમાં ‘પ્રેત દરબાર’ છે. કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ કે તબીબી ડિગ્રી વિના લોકોની ગંભીર બીમારીઓ અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાની ખાતરી આપવી કે આશીર્વાદ આપવા, તે સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય છે. તેમના મતે, સ્ટેજ પરથી લોકોના નામની ચિઠ્ઠીઓ અને ચબરખીઓ કાઢીને ભૂતકાળ કે ભવિષ્ય ભાખવું એ કોઈ દૈવી ચમત્કાર નથી, પરંતુ માત્ર એક જાદુગરીની સામાન્ય ટેકનિક છે. જોકે, પીપળીયા તેના ઘરેથી નીકળી કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઘરની બહાર પહેલાથી તહેનાત પોલીસ જવાનોએ તેની અટકાયત કરી બોલેરોમાં બેસાડી દીધા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગા થયા:શરદ પવારે કહ્યું- એકજુથ રહેવું જરૂરી, I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા,રાહુલ, મમતા, અખિલેશ હાજર
    Next Article
    નવસારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલે પદભાર સંભાળ્યો:દીકરીના હાથે શુભ શુકન કરાવી કેબિનમાં પ્રવેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment