Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ નગરપાલિકા સદસ્ય સમીર પાંચાણીએ તમામ પદો પરથી આપ્યું રાજીનામું:નેતાએ પક્ષની કાર્યશૈલી સામે સવાલો ઊઠાવ્યા, કહ્યું-"વાયદા કરીને ભાજપમાં લાવ્યા પછી અન્યાય કર્યો"

    13 hours ago

    જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કેશોદ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. કેશોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય સમીર પાંચાણીએ ભારતીય જનતા પાર્ટી પર ટિકિટ વહેંચણીમાં મોટા વહીવટો અને અન્યાયના ગંભીર આક્ષેપો કરીને પક્ષના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા આ નેતાએ પક્ષની આંતરિક રણનીતિ અને કાર્યશૈલી સામે સવાલો ઉઠાવતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપમાં જે પ્રકારે ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે તે જોતા એવું લાગે છે કે પક્ષે નિષ્ઠાવાન કાર્યકરોને બદલે વહીવટ કરનારાઓને પ્રાધાન્ય આપ્યું છે. વાયદાઓ અને વિશ્વાસને આધારે કેસરીયો ખેસ પહેર્યો હતો ​સમીર પાંચાણીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે વોર્ડ નંબર એકના મતદારોએ તેમને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા. નગરપાલિકામાં સદસ્ય તરીકે તેમણે પાંચ વર્ષ સુધી લોકોના કામો નિષ્ઠાપૂર્વક કર્યા હતા. જોકે, ત્રણ વર્ષ અગાઉ ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના આગેવાનો તેમની પાસે આવ્યા હતા અને તેમને ભાજપમાં જોડાવા માટે પ્રેર્યા હતા. તે સમયે ભાજપના આગેવાનોએ તેમને ખાતરી આપી હતી કે, આગામી ચૂંટણીમાં તેમને પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવશે અને તેમની કામગીરીને યોગ્ય સ્થાન મળશે. આ વાયદાઓ અને વિશ્વાસને આધારે તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. સારા કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવશે ​પરંતુ ચૂંટણી આવતા જ ભાજપની અસલી રણનીતિ સામે આવી હોવાનું પાંચાણીનું કહેવું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, જુનાગઢ જિલ્લા ભાજપમાં ટિકિટ વહેંચણીમાં ઘોર અન્યાય અને ગફલત થઈ રહી છે. વોર્ડ નંબર એકમાં ટિકિટની દાવેદારી કરવા છતાં પક્ષે તેમનો સંપર્ક પણ કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, મીડિયામાં પણ અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે ભાજપમાં ટિકિટની ફાળવણી માટે મોટા પાયે આર્થિક વહીવટો થયા છે. જો રાજકારણમાં આવા ભ્રષ્ટ વહીવટો થતા રહેશે અને સારા કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવશે, તો રાજકારણનું સ્તર સાવ કથળી જશે એવો ભય તેમણે વ્યક્ત કર્યો છે. ભાજપમાં કોઈ પણ વ્યક્તિને ટિકિટની ગેરંટી આપવાની પરંપરા નથી ​આ મામલે કેશોદ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ભોરણીયાએ પક્ષનો બચાવ કરતા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સમીરભાઈના રાજીનામાની જાણ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી. ભાજપ પ્રમુખે ટિકિટની લાલચ આપવાની વાતને સાવ નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિને ટિકિટની ગેરંટી આપવાની પરંપરા નથી. ઉમેદવારની પસંદગી મોવડી મંડળ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એક ચોક્કસ પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. પક્ષના મતે એકવાર ઉમેદવાર જાહેર થઈ જાય પછી તમામ સભ્યોએ પક્ષના શિસ્ત મુજબ કામ કરવાનું હોય છે, જેમાં વ્યક્તિગત અપેક્ષાઓને કોઈ સ્થાન હોતું નથી. આ આક્ષેપોએ કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં નવા સમીકરણો રચ્યા ​બીજી તરફ, સમીર પાંચાણીએ ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું અન્ય કોઈ રીતે સક્ષમ ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી છે. તેમણે મતદારોને અપીલ કરી છે કે જો સજ્જન લોકો પર થતા આવા અન્યાય સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં લોકશાહીનું મૂલ્ય જોખમાશે. હાલમાં તેઓ કોઈ નવા પક્ષમાં જોડાવાના નથી પરંતુ કેશોદને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે પોતાની લડત ચાલુ રાખશે તેવી કટિબદ્ધતા દર્શાવી છે. ભાજપ સામેના આ આક્ષેપોએ કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં નવા સમીકરણો રચ્યા છે અને મતદારોમાં પણ આ વિવાદને લઈને અનેક ચર્ચાઓ જાગી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની આતંકવાદીએ જયપુરમાં નિકાહ કર્યા!:2012માં જમ્મુમાં ઘુસ્યો, ખોટા કાગળીયા કરીને નકલી પાસપોર્ટ બનાવ્યો, 2024માં વિદેશ ભાગી ગયો; એજન્સીઓમાં ખળભળાટ
    Next Article
    વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો:નારણપુરા ખાતે સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment