Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ખાડીપૂર માટે બેઠકો છોડી વૈશ્વિક ટેકનોલોજી અપનાવવી જ પડશે’:દ. કોરિયા, સિંગાપોર-નેધરલેન્ડ આ જ સમસ્યામાંથી મુક્ત થયા તો સુરત કેમ નહીં?; જાણો ત્રીજીવાર PhD કરનાર સ્કોલરનું સચોટ સોલ્યુશન

    1 day ago

    સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપૂરની સમસ્યા નાગરિકો માટે એક કાળી કલ્પના જેવી બની જાય છે. વેપાર-ધંધા ઠપ થઈ જાય છે, હજારો પરિવારોના ઘરોમાં ગંદુ પાણી ભરાય છે અને જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. દર વર્ષે પૂર આવે ત્યારે તંત્ર જાગે છે, બેઠકો થાય છે, આયોજનો કાગળ પર બને છે અને ચોમાસું પૂરું થતાં જ બધું વિસરાઈ જાય છે. આ વર્ષે પણ પરિસ્થિતિ કંઈ અલગ નહોતી. પરંતુ આ કાયમી શારીરિક અને આર્થિક નુકસાન વચ્ચે એક આશાનું કિરણ સુરતના જ એક વૈજ્ઞાનિક લાવ્યા છે. અર્બન પ્લાનર (CEPT અમદાવાદ) અને SVNIT ના રિસર્ચ ફેલો ડૉ. પંકજ ગાંધી, જેઓ ત્રીજીવાર પીએચડી (PhD) પૂર્ણ કરી ચૂક્યા છે, તેમણે તેમનું ત્રીજું સંશોધન ખાસ 'અર્બન ફ્લડ' (શહેરી પૂર) પર કર્યું છે. તેમના સંશોધનમાં માત્ર પૂર આવવાના કારણો જ નહીં, પરંતુ વિદેશી સિસ્ટમનો ઉપયોગ કરીને સુરતને આ આપત્તિમાંથી કાયમ માટે કેવી રીતે ઉગારી શકાય તેનું આખું મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. શા માટે આવે છે સુરતમાં ખાડીપૂર?, કુદરતી વહેણ સાથે ગંભીર છેડછાડ ડૉ. પંકજ ગાંધીના સંશોધન મુજબ, સુરતમાં ખાડીપૂર આવવા પાછળનું સૌથી મોટું કારણ ખાડી વિસ્તારમાં થતું ગેરકાયદેસર બાંધકામ છે. સુરતની કમનસીબી એ છે કે અહીં જે પણ નવો વિકાસ થઈ રહ્યો છે, તે મોટાભાગે ટી.પી. સ્કીમ (ટાઉન પ્લાનિંગ સ્કીમ) વગર થઈ રહ્યો છે. સરકારી ચોપડે ટી.પી. સ્કીમો માત્ર કાગળ પર જ રહી જાય છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર બિલ્ડરો જમીનના નેચરલ કોન્ટુર (કુદરતી ઢાળ અને વહેણ) ને સંપૂર્ણપણે તોડી-ફોડીને પોતાની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સ ઊભા કરી દે છે. આના કારણે જે વરસાદી પાણી કુદરતી વહેણ મુજબ ખાડી કે નદીમાં જવું જોઈએ, તેનો રસ્તો જ બ્લોક થઈ જાય છે. પાણી એક જગ્યાએ જમા થાય છે અને પછી રસ્તાઓ પર ફરી વળે છે, જેને ટેકનિકલ ભાષામાં અર્બન ફ્લડિંગ કહેવામાં આવે છે. ખાડી કિનારે વસેલી સંસ્કૃતિ અને ભરતીની બેકવોટર અસર સુરત સમગ્ર ભારતમાં કદાચ એકમાત્ર એવું શહેર છે જ્યાં નદી કિનારા સિવાય જો કોઈ સંસ્કૃતિ કે મોટો અર્બન એરિયા વિકસ્યો હોય તો તે ખાડી કિનારે છે. પરવત પાટીયા, કામરેજથી લઈને ન્યુ સીટી લાઈટ સુધીનો વિશાળ પ્રદેશ ખાડીના કિનારે જ ડેવલપ થયો છે. આ ખાડીઓમાં કોઈ શુદ્ધ પાણી નથી વહેતું, પરંતુ તે શહેરની ગંદકી લઈને આગળ વધે છે. સુરતની તમામ ખાડીઓ અંતે 'મીંઢોળા ક્રીક' (મુખત્રિકોણ પ્રદેશ) માં ભેગી થાય છે. જ્યારે દરિયામાં હાઈ ટાઈડ (ભરતી) હોય ત્યારે દરિયાનું પાણી રિવર્સ મારીને ખાડીઓમાં પ્રવેશે છે. જો બરાબર એ જ સમયે શહેરમાં ભારે વરસાદ પડે, તો ખાડીનું પાણી દરિયામાં જઈ શકતું નથી અને બેકવોટરની અસરને કારણે આખું પાણી શહેરમાં વહી આવે છે, જે પૂરનું મુખ્ય કારણ બને છે. પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર 'દેખાડાનું નાટક' શહેરમાં વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં ખાડી સફાઈની વાતો કરવામાં આવે છે, પરંતુ ડૉ. ગાંધીના મતે આ માત્ર ૧૫ દિવસનું નાટક હોય છે. જે રીતે આપણા મહોલ્લા કે સોસાયટીની રોજ સફાઈ થાય છે, તે જ રીતે જે-તે ઝોનની એ જવાબદારી હોવી જોઈએ કે તેમના વિસ્તારમાંથી પસાર થતી ખાડીનું અઠવાડિયે કે પંદર દિવસે નિયમિત ડી-સિલ્ટીંગ (કાંપ કાઢવો) અને સફાઈ થાય. અત્યારે પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર જેસીબી મશીનો ઉતારવામાં આવે છે અને કચરો કે કાદવ એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ નાખી માત્ર ફોટા પડાવવા પૂરતો દેખાડો કરવામાં આવે છે, જેનાથી ખાડીની વહન ક્ષમતા વધતી નથી. પેરિ-અર્બન વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્કનો સદંતર અભાવ સુરત મહાનગરપાલિકામાં કાગળ પર તો કામરેજ, સીમાડા, વાલક જેવા નવા વિસ્તારો (Peri-Urban Areas) ભેળવી દેવાયા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારોમાં કોઈ 'સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ' (વરસાદી પાણીના નિકાલની લાઈન) વિકસાવવામાં જ આવી નથી. ગ્રામ્ય કે અર્ધ-શહેરી વિસ્તારોનું આ બધું જ પાણી સીધું જ ખાડીઓમાં આવી જાય છે. જો આ વિસ્તારોમાં પ્રોપર ડ્રેનેજ લાઈનો નાખીને પમ્પિંગ સ્ટેશનો ડીઝાઈન કરવામાં આવે, તો આ વધારાનું પાણી ખાડીઓમાં આવતું રોકી શકાય અને પૂરનું જોખમ અડધું કરી શકાય તેમ છે. ઇન્ટિગ્રેટેડ અર્બન વોટર મેનેજમેન્ટ (IUWM) મોડેલ શું છે? ડૉ. પંકજ ગાંધી જણાવે છે કે જો સુરતને ખાડીપૂર, ગંદુ પાણી અને હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસની અસહ્ય દુર્ગંધથી મુક્ત કરવું હોય તો તાત્કાલિક "ઈન્ટીગ્રેટેડ અર્બન વોટર મેનેજમેન્ટ" (IUWM) મોડેલ અપનાવવું પડશે. આ મોડેલ મુજબ ખાડીઓને ગંદી ગટર ગણવાને બદલે 'અર્બન વોટર બોડી' એટલે કે સુંદર જળાશય તરીકે વિકસાવવી જોઈએ. આ અંતર્ગત ખાડીઓનું નિયમિત ચેનલાઈઝેશન કરવું, તેની પહોળાઈ વધારવી અને ઈન્ટરસેપ્ટર સુઅરેજ લાઈન નાખવી જરૂરી છે. આ લાઈન ખાડીમાં પડતા ગંદા પાણીને સીધું એસટીપી (STP) પ્લાન્ટ સુધી પહોંચાડશે અને ખાડીઓ ચોખ્ખી થશે. વિદેશી સિસ્ટમ: દક્ષિણ કોરિયા અને સિંગાપોરે કેવી રીતે મેળવ્યો ઉકેલ? વિશ્વના ઘણા દેશો ભૂતકાળમાં આ જ સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે અને તેમણે ટેકનોલોજીથી તેનો કાયમી ઈલાજ કર્યો છે. દક્ષિણ કોરિયાના સિઓલ (Seoul) માં ગંદકીથી ભરાયેલી નદી પર બનેલો હાઈવે હટાવીને 'ચેઓન્ગ્વેચિયોન રિવર રિસ્ટોરેશન' પ્રોજેક્ટ કરાયો, જેણે પૂરનું જોખમ અને શહેરનું તાપમાન બંને ઘટાડ્યું. તેવી જ રીતે, સિંગાપોરે 'NEWater' અને 'ABC Waters Programme' દ્વારા ગટરના પાણીનું ટર્શિયરી ટ્રીટમેન્ટ કરી તેને પીવાલાયક અને ઉદ્યોગો લાયક બનાવ્યું છે. સિંગાપોરે પોતાની નહેરોને જાહેર હરવા-ફરવાના સ્થળોમાં ફેરવી આખા શહેરને “સ્પોન્જ સિટી” (પાણી સોષી લેતું શહેર) તરીકે ડેવલપ કર્યું છે. નેધરલેન્ડનું 'રૂમ ફોર ધ રિવર' અને ચીનનું વેટલેન્ડ મોડેલ પૂર નિયંત્રણમાં વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કામ નેધરલેન્ડે કર્યું છે. તેમણે ‘Room for the River' પ્રોજેક્ટ હેઠળ નદી-ખાડીઓને સંકોચવાને બદલે તેમને વહેવા માટે વધુ જગ્યા આપી, ફલડપ્લેઇન અને કૃત્રિમ ડિટેન્શન પોન્ડ્સ બનાવ્યા. બીજી તરફ, ચીનના વુહાન અને ક્વાનઝોઉ (Quanzhou) શહેરોમાં પરમીએબલ પેવમેન્ટ્સ (પાણી આરપાર જઈ શકે તેવા રોડ) અને કન્સ્ટ્રક્ટેડ વેટલેન્ડ્સ (કૃત્રિમ હરિયાળા વિસ્તારો) બનાવીને વરસાદી પાણીનું કુદરતી શુદ્ધિકરણ અને પૂર નિયંત્રણ સફળતાપૂર્વક કરાયું છે. સુરત પણ આ જ મોડેલ પર આગળ વધી શકે છે. SVNIT નું GIS મેપિંગ: ડીટેન્શન પોન્ડ્સ માટે જમીન તૈયાર જ્યારે ટૂંકા સમયમાં અતિભારે વરસાદ પડે (હાઈ ડેન્સિટી રેઈન) ત્યારે પાણીના નિકાલ માટે જગા જોઈએ. SVNIT ખાતે થયેલા અભ્યાસમાં જી.આઈ.એસ. (GIS) મેપિંગ દ્વારા સુરત શહેરની બહાર કઈ કઈ જગ્યાએ 'ડિટેન્શન પોન્ડ્સ' (વધારાના પાણીનો સંગ્રહ કરવા માટેના તળાવો) બનાવી શકાય, તે વિસ્તારો ઓલરેડી આઈડેન્ટીફાઈ કરી લેવાયા છે. જો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન થોડી આર્થિક અને વહીવટી સહાય પૂરી પાડે તો આ પીએચડી સંશોધનનો સીધો લાભ સુરતના લાખો લોકોને મળી શકે છે. વરસાદી પાણીને આ પોન્ડ્સમાં ડાયવર્ટ કરવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબતા બચી જશે. સ્કાડા (SCADA) સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રીયલ વોટર યુઝ: અલ્ટીમેટ સોલ્યુશન કાયમી ઉકેલ માટે સુરતની તમામ ખાડીઓ જ્યાં દરિયા કે નદીને મળે છે ત્યાં હાઈ-કેપેસિટી ફ્લડ ગેટ્સ, પમ્પિંગ સ્ટેશન્સ અને SCADA આધારિત ઓટોમેટેડ ગેટ વાલ્વ સિસ્ટમ મુકવી પડશે. આ સિસ્ટમ હાઈ ટાઈડ વખતે ઓટોમેટીક બંધ થઈને દરિયાનું પાણી ખાડીમાં આવતું રોકશે અને લો ટાઈડ વખતે ખુલીને પાણી બહાર કાઢશે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વરસાદી પાણીને પ્રોસેસ કરી કડોદરા, કામરેજ કે જોલવાની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝને ટ્રીટેડ વોટર તરીકે આપી શકાય (જેમ પાંડેસરા CETP માં થાય છે). આનાથી તાપી નદીના ચોખ્ખા પાણીનો બગાડ અટકશે, ઉદ્યોગોનો વિકાસ થશે અને સુરત કાયમ માટે અર્બન ફ્લડિંગની આફતમાંથી મુક્ત થશે.
    Click here to Read More
    Previous Article
    લણવા ખાતે સ્વ. એમ.આઈ. પટેલના જન્મદિવસે વૃક્ષારોપણ:પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં 'ગ્રીન વિલેજ'ના સ્વપ્નદ્રષ્ટાને ભાવાંજલિ અપાઈ
    Next Article
    Motilal Oswal Says Credit Growth Has More Legs; ICICI Bank, HDFC Bank, SBI Among Top Bets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment