Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: મોદી-અમિત શાહનો નવો ગેમપ્લાન:ભાજપ દાયકાઓ સુધી રાજ કરી શકે, દેશનો રાજકીય નકશો જ બદલાઇ જાય, ત્રણ ફોર્મ્યૂલાથી સમજો પરિસીમન બિલ પાસ કરાવવાનો ચક્રવ્યૂહ

    एक दिन पहले

    દેશની રાજનીતિ અત્યારે એવા મોડ પર આવીને ઊભી છે, જ્યાંથી ભારતનો ભવિષ્યનો પોલિટિકલ મેપ કાયમ માટે બદલાવા જઈ રહ્યો છે. તમે જ વિચારો, માત્ર બે મહિના પહેલાં એપ્રિલ 2026માં જે વિપક્ષ એકદમ મજબૂત દેખાતો હતો અને જેણે સંસદમાં સરકારના સૌથી મોટા કાયદાને રોકી દીધો હતો, તે જ વિપક્ષ આજે પત્તાના મહેલની જેમ વિખાઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત બીજી પાર્ટીઓએ ભેગું થઈને નેશનલ લેવલે બનાવેલું ઇન્ડિયા ગઠબંધન અત્યારે પોતાના જ અસ્તિત્વ માટે લડી રહ્યું છે. બીજી બાજુ, કેન્દ્રમાં બેઠેલી સત્તાધારી ભાજપ સરકાર પોતાના પરિસીમન બિલ 2026ને પાસ કરાવવાના ચક્રવ્યૂહને ભેદવાની બિલકુલ નજીક પહોંચી ગઈ છે. આટલું વાંચીને તમને એવું લાગે કે આ બધું દિલ્હીના એસી રૂમમાં બેઠેલા નેતાઓ પૂરતું જ લાગું પડે છે, મારે કેટલા લેવાદેવા? પણ હકીકતમાં આ આપણા ગલી મહોલ્લા અને વિસ્તારની ઓળખ, આપણા નેતાઓની તાકાત અને દેશના ભવિષ્ય સાથે જોડાયેલો સૌથી મોટો મુદ્દો છે. આજે આપણે એ જાણવાનું છે કે રાજનીતિના આ ભુલભુલામણી જેવા રસ્તાઓમાં કેન્દ્ર સરકાર પોતાનો રસ્તો કેવી રીતે સાફ કરી રહી છે? નમસ્કાર... સરકારનો આ પરિસિમન પ્લાન ખાલી સીટો વધારવા પૂરતો જ નથી, પણ તે આવતા 50 વર્ષ સુધી સંસદમાં કેટલા નેતાઓ અને કયા નેતાઓ બેસશે એ નક્કી કરશે. 16 એપ્રિલ 2026ના દિવસે સરકારે 131મું બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું હતું. જેનું કહેવું હતું કે, આ સાથે જ વન નેશન વન ઇલેક્શન એટલે કે આખા દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો મુદ્દો પણ ચર્ચામાં છે, જેના પર સરકાર અને બધી જ પોલિટિકલ પાર્ટીની બનેલી જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે JPC કામ કરી રહી છે. દક્ષિણ ભારત ઉત્તર ભારતથી અલગ છે, માટે દક્ષિણ ભારતના રાજ્યોને ડર હતો કે વસ્તીના બહાને સીટો વધશે તો તેમને નુકસાન થશે. ગૃહમંત્રી અમિત શાહે એવી ઓફર પણ કરી હતી કે દરેક રાજ્યમાં એકસરખી 50 ટકા સીટો વધારી શકાય. છતાં એપ્રિલમાં વિપક્ષ એકજૂટ રહ્યો. કોઈપણ બંધારણીય સુધારો કરવા માટે આર્ટિકલ 368 મુજબ બે-તૃતિયાંશ બહુમતી જોઈએ. એટલે કે જેટલા સાંસદો હાજર હોય તેમાંથી 66 ટકા લોકોએ બિલની પક્ષમાં વોટ આપવો પડે. એપ્રિલમાં 528 સાંસદો હાજર હતા. સરકારને 352 વોટ જોઈતા હતા, પણ મળ્યા માત્ર 298. 54 મતો ઘટ્યા અને બિલ પડી ગયું. આર્ટિકલ 368 અને વોકઆઉટનું રાજકીય ગણિત હવે સવાલ એ થાય કે સરકાર પાસે આંકડા નથી તો બિલ પાસ કેવી રીતે થશે? અહીં જ અસલી ચાણક્ય નીતિ કામે લાગે છે. બંધારણના આર્ટિકલ 368નો નિયમ છે કે બહુમતી એ સાંસદોની ગણાય જેઓ ગૃહમાં હાજર હોય અને મતદાન કરે. જો સરકાર વિપક્ષી સાંસદોને તરફેણમાં વોટ આપવા ન મનાવી શકે, તો બીજો રસ્તો તેમને વોટિંગથી દૂર રાખવાનો છે. તમે ક્રિકેટ મેચ જોતા હશો, જેમાં જો વરસાદ પડે અને ઓવર ઘટી જાય તો ડકવર્થ-લુઈસ નિયમ મુજબ ટાર્ગેટ એટલે કે જેટલા રન કરવાના હોય એ આંકડો પણ ઘટી જાય છે. સંસદમાં વોકઆઉટનો નિયમ રાજકારણનો ડકવર્થ-લુઈસ નિયમ જ છે. એટલે વિપક્ષી સાંસદોને જ સંસદમાંથી હટાવી દેવામાં આવે તો સાંસદોની સંખ્યા આપમેળે ઘટી જાય. જો આવું થાય તો સરકારને 352નો આંકડો પકડવાને બદલે બિલ પાસ કરાવવા ખાલી 302 સાંસદોના મતો જોઈએ. એપ્રિલમાં સરકારે 298 વોટ તો મેળવી જ લીધા હતા. જો આવતા સંસદ સત્રમાં વિપક્ષના 40-50 સાંસદો હાજર ન રહે અથવા વોકઆઉટ કરે, તો સરકાર આસાનીથી બિલ પસાર કરાવી શકે છે. વિપક્ષ જ્યારે સદનનો ત્યાગ કરીને બહાર નીકળી જાય છે, ત્યારે હકીકતમાં તેઓ સરકારને છૂપો ટેકો જ આપતા હોય છે. હવે આ સાંસદો ક્યાંથી ગાયબ થશે અને આ સોગઠીઓ કેવી રીતે ગોઠવાઈ રહી છે, તેના તાર પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત સાથે જોડાયેલા છે. પશ્ચિમ બંગાળનો ભૂકંપ અને દીદીના ગઢમાં મોટો બળવો હવે આપણે એ જોવાનું છે કે આ વોકઆઉટનું સેટિંગ ક્યાંથી અને કેવી રીતે થઈ રહ્યું છે. વાતની શરૂઆત થાય છે પશ્ચિમ બંગાળથી. પશ્ચિમ બંગાળ એટલે કે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સૌથી મજબૂત ગઢ. તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસી અત્યારે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ અને ખતરનાક અંદરૂની લડાઈ લડી રહી છે. ચૂંટણીના પરિણામો પછી બંગાળમાં ટીએમસીની અંદર જે મોટો ભડકો થયો છે, તેણે દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓના ચહેરા પર એક બહુ જ મોટી મુસ્કાન લાવી દીધી છે. બંગાળમાં આ વિખવાદ કંઈ રાતોરાત અચાનક નથી થયો. તેનું મુખ્ય કારણ મમતા દીદીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમની કામ કરવાની એકદમ કોર્પોરેટ સ્ટાઇલ છે. પાર્ટીના જે વર્ષો જૂના નેતાઓ હતા, જે જમીન પર સામાન્ય માણસ સાથે જોડાયેલા હતા, તેમને હવે એવું લાગી રહ્યું છે કે તેમને સાવ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. ઋતબ્રત બેનર્જીનો માસ્ટરસ્ટ્રોક પાર્ટીની અંદર વાત ત્યાં સૌથી વધુ બગડી જ્યારે હાઈકમાન્ડે બ્યાસી વર્ષના એકદમ પીઢ નેતા શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવી દીધા. ટીએમસીના કદાવર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીએ આ વાતનો ખુલ્લો વિરોધ કર્યો. તેમણે સીધો આરોપ લગાવ્યો કે આ નિર્ણય માટે લેવાયેલી સહીઓ સાવ ખોટી અને બનાવટી છે. બસ પછી શું, પાર્ટીએ તાબડતોબ એક્શન લઈને ઋતબ્રત અને તેમના સાથીઓને પક્ષમાંથી કાઢી મૂક્યા. પણ રાજકારણમાં ક્યારેક ગુસ્સામાં લીધેલા નિર્ણયો ભારે પડી જાય છે, અને અહીં આ દાવ મમતા દીદીને જ ઊંધો પડ્યો. હવે તમે જ કહો, જ્યારે પાર્ટીના પોણા ભાગના ધારાસભ્યો અલગ થઈ જાય, ત્યારે અસલી ટીએમસી કોની, એ જ સૌથી મોટો સવાલ ઊભો થઈ જાય છે. લઘુમતી ધારાસભ્યોમાં ડર અને દીદીનો વળતો પ્રહાર આટલા મોટા બળવાને જોઈને મમતા બેનર્જી શાંત બેસે એવા તો નથી જ. તેમણે ડેમેજ કંટ્રોલ માટે એક નવો દાવ ખેલ્યો છે. જે ધારાસભ્યો ઋતબ્રત સાથે ગયા છે, તેમાં 31 જેટલા ધારાસભ્યો મુસ્લિમ સમાજના છે. દીદીના અંગત માણસો હવે આ ધારાસભ્યોના મગજમાં ડર પેદા કરી રહ્યા છે. તેઓ સમજાવી રહ્યા છે કે જો ઋતબ્રત બેનર્જી ભવિષ્યમાં ભાજપ સાથે કોઈ અંદરખાને સેટિંગ કરી લેશે, તો તમારા મુસ્લિમ વોટરો ક્યારેય તમને માફ નહીં કરે. આ ડર ખરેખર મેદાન પર કામ કરી રહ્યો છે. સંગીતા રોય જેવા કેટલાક ધારાસભ્યોએ હવે કહેવાનું શરૂ કરી દીધું છે કે અમારા નેતા તો મમતા બેનર્જી જ છે. એટલે કે બળવાખોર છાવણીમાં પણ હવે ધીમે ધીમે ડરનો માહોલ છે. બંગાળના બળવાની દેશની સંસદ પર અત્યંત સીધી અસર હવે તમને એક સીધો સવાલ થશે કે બંગાળના ધારાસભ્યો અંદરોઅંદર લડે એમાં દિલ્હીમાં ભાજપ સરકારને શું ફાયદો થઈ જવાનો? આપણે બંગાળની વાત તો દિલ્લીને સમજવા માટે કરી છે. રાજકારણમાં આ બધું જ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલું હોય છે. જો બંગાળ વિધાનસભામાં આટલા મોટા પાયે ધારાસભ્યો બળવો કરી શકતા હોય, તો પછી દિલ્હીની સંસદમાં બેઠેલા સાંસદો કેમ નહીં કરી શકે? ટીએમસીના રાજ્યસભાના સિનિયર નેતા સુખેન્દુ શેખર રૉયે તો ખુલ્લેઆમ ચેતવણી પણ આપી દીધી છે કે મેં આટલા ઓછા સમયમાં આટલા ધારાસભ્યોને પાર્ટી છોડતા નથી જોયા, અને આવું જ ભવિષ્યમાં લોકસભામાં પણ થઈ શકે છે. એટલે કે સાંસદો પણ પાર્ટી છોડી શકે છે. એટલું જ નહીં, કાકોલી ઘોષ જેવા મમતાના સૌથી વફાદાર સાંસદે પણ અકળાઈને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ બતાવે છે કે બંગાળનું રાજકારણ અત્યારે જબરદસ્ત ઉકળતા ચરુ જેવું છે. સાંસદોનું વોકઆઉટ અને બિલ થઈ જશે પાસ સંસદમાં અત્યારે ટીએમસી પાસે કુલ 41 સાંસદો છે, જેમાં 28 લોકસભામાં અને 13 રાજ્યસભામાં બેસે છે. બંગાળમાં જે રીતે જૂના નેતાઓ અને નવી પેઢીના નેતાઓ વચ્ચે ગળાકાપ ડખા ચાલી રહ્યાં છે, એ જોતાં ઘણા સાંસદો ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે. જ્યારે સંસદમાં પરિસીમન બિલ ટેબલ પર આવશે, ત્યારે ભાજપની પૂરી કોશિશ એ જ રહેશે કે આ નારાજ સાંસદો ટીએમસીના વ્હીપને એટલે કે પાર્ટીના આદેશને જરા પણ ન માને. ભલે આ સાંસદો ભાજપમાં સીધા ન જોડાય, પણ જો તેઓ વોટિંગના દિવસે માત્ર સંસદની બહાર જતા રહે અથવા ગેરહાજર રહે, તો પણ સંસદમાં કુલ હાજર સંખ્યા ઓટોમેટિક ઘટી જશે. ટૂંકમાં કહીએ તો, મમતા બેનર્જીની પાર્ટીમાં લાગેલી આ આગ દિલ્હીમાં ભાજપની સરકાર માટે ઠંડક અને એક મોટી રાજકીય તકનું કામ કરી રહી છે. એક મજબૂત રાષ્ટ્રીય પાર્ટી તરીકે ટીએમસી હવે પોતાના જ અસ્તિત્વને બચાવવામાં એટલી હદે વ્યસ્ત થઈ ગઈ છે કે સંસદમાં સરકારની સામે એક મોટો અને મજબૂત વિરોધ નોંધાવવો તેમના માટે હવે લગભગ અશક્ય બની ગયું છે. અને ખરેખર જોવા જઈએ તો, આ જ તો ભાજપ સરકારનો અસલી માસ્ટરસ્ટ્રોક છે! ઇન્ડિયા ગઠબંધનમાં મોટી તિરાડ હવે વાત કરીએ દક્ષિણ ભારતની, જે ઇન્ડિયા ગઠબંધન માટે હંમેશાં એક બહુ મોટો અને મજબૂત કિલ્લો મનાતો હતો. પણ મે 2026માં તમિલનાડુમાં એવું કંઈક બન્યું, જેણે આ કિલ્લાના પાયા જ હચમચાવી દીધા છે. તમિલ સુપરસ્ટાર થલપતિ વિજયે પોતાની નવી પાર્ટી TVK બનાવી અને પહેલી જ ચૂંટણીમાં 234માંથી 108 સીટો જીતીને ઇતિહાસ બનાવી દીધો. હવે અહીં કોંગ્રેસે એક બહુ મોટો દાવ ખેલ્યો. કોંગ્રેસ, જે વર્ષોથી DMKની ખાસ મિત્ર હતી, તેણે અચાનક DMKનો સાથ છોડી દીધો અને થલપતિ વિજય સાથે હાથ મિલાવીને સરકાર બનાવી લીધી. બદલામાં કોંગ્રેસને રાજ્યસભાની એક મહત્ત્વની સીટ પણ મળી ગઈ, જેના પર તેમણે પોતાના નેતા પ્રવીણ ચક્રવર્તીને ઉમેદવાર પણ બનાવી દીધા. કોંગ્રેસના આ પગલાંને DMK એ સીધો વિશ્વાસઘાત ગણાવ્યો છે. જો DMK નારાજ થઈને બિલના વોટિંગ વખતે સંસદમાંથી વોકઆઉટ કરે, તો 32 સાંસદો ઘટી જાય. આનો સીધો ફાયદો ફરીથી ભાજપને જ થશે, કારણ કે 2/3 બહુમતીનો આંકડો વધુ નીચે આવી જશે. એટલે કે, દક્ષિણ ભારતમાં કોંગ્રેસ અને DMKનો આ ઝઘડો ભાજપ સરકાર માટે બિલ પાસ કરાવવાનો રસ્તો વધુ સરળ બનાવી રહ્યો છે. રાજ્યસભાનું ગણિત અને આમ આદમી પાર્ટીનો મોટો ઝટકો લોકસભામાં તો બધું સેટ થઈ રહ્યું છે, પણ રાજ્યસભામાં બહુમતી મેળવવી સરકાર માટે હંમેશાં અઘરું કામ રહ્યું છે. પણ અહીં પણ એક મોટો ખેલ થઈ ગયો છે. એપ્રિલ 2026માં આમ આદમી પાર્ટીના 10માંથી 7 સાંસદો અચાનક ભાજપમાં જોડાઈ ગયા. આ સાંસદોમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા મોટા માથાઓ છે. રાજ્યસભામાં 2/3 બહુમતી માટે 163 વોટ જોઈએ. સરકાર અત્યારે 145 સુધી તો પહોંચી જ ગઈ છે, એટલે કે ખાલી 18 વોટ જ ઘટે છે. જો કેટલાક પ્રાદેશિક પક્ષો ટેકો આપે અથવા TMC અને DMKના નારાજ સાંસદો વોકઆઉટ કરી જાય, તો આ 163નો આંકડો પણ 145-150 ની આસપાસ આવી જશે. એટલે કે સરકાર માટે રાજ્યસભામાં પણ બિલ પાસ કરાવવું હવે લગભગ સાવ રમતવાત બની ગયું છે. પરિસીમન બિલ 2026 છે શું? પરિસીમન બિલને અંગ્રેજીમાં ડિલિમિટેશન બિલ કહેવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે દેશમાં વસ્તીના આધારે લોકસભા અને વિધાનસભાની સીટોની સંખ્યા અને તેમની જમીનની સરહદો નક્કી કરતો કાયદો. આવનાર સમયમાં દેશમાં વસ્તી ગણતરી બાદ આ બિલ મુજબ સંસદમાં કુલ સીટો 543થી વધારીને 815 જેટલી કરવાની જોગવાઈ છે, જેથી દરેક રાજ્યને યોગ્ય લીડરશીપનો નંબર મળી રહે. જો આ બિલ પાસ થઈ ગયું, તો તે છેલ્લા 50 વર્ષનો સૌથી મોટો ફેરફાર હશે. નવું પરિસીમન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે થશે. ઉત્તર ભારતના રાજ્યો જેમ કે યુપી, બિહાર, રાજસ્થાનની વસ્તીમાં મોટો વધારો થયો છે, જ્યારે દક્ષિણના રાજ્યોએ વસ્તી કાબૂમાં રાખી છે. આનો સીધો મતલબ એ છે કે જો સીટો 543થી વધીને 850 થશે, તો નવી ઉમેરાયેલી મોટાભાગની સીટો ઉત્તર ભારતને જશે. જે વિસ્તારોમાં સીટોમાં વધારો થશે ત્યાં કોનો દબદબો છે? ભાજપનો. તો ફાયદો ભાજપનો જ થશે કારણ કે જ્યાં તેમનો દબદબો છે ત્યાં સીટો વધશે, ત્યાં સીટો વધશે તો તે ભાજપના ખાતામાં જ જશે. આનાથી થશે એવું કે દક્ષિણ ભારતના ટેકા વિના પણ આસાનીથી કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવી શકશે. કારણ કે દક્ષિણ ભારતમાં વસ્તી નથી વધી, વસ્તી નથી વધી તો તેમની સંસદમાં સીટો નહીં વધે, સીટો નહીં વધે તો તેમના વિસ્તારની લીડરશીપ કરનાર નેતાઓની સંખ્યા ઓછી રહેશે. ભાજપ માટે આ એક એવો ફાયદો છે જે તેમને આવનારા ઘણા દાયકાઓ સુધી સત્તામાં અજેય બનાવી શકે છે. મહિલા અનામત બિલના નામે ભારતે રમેલી ડિલિમિટેશન ચાલ કેન્દ્ર સરકારની બીજી સૌથી મોટી અને અત્યંત ચતુર રાજકીય ચાલ આ પરિસીમન બિલને 33 ટકા મહિલા અનામત બિલ સાથે કાનૂની રીતે જોડી દેવાની છે. જેના કારણે કોંગ્રેસ, બીજી કોઈ પાર્ટી કે રીજનલ પાર્ટી માટે આ સ્થિતિ બેધારી તલવાર બની જશે. આવું એટલા માટે કારણ કે ભાજપ સરકારને લાગુ કરવું છે ડિલિમિટેશન બિલ, જેમાં ઘૂસાડી દીધું છે મહિલા અનામત બિલ. જો વિપક્ષ ડિલિમિટેશન બિલનો વિરોધ કરે તો ઓટોમેટિક મહિલા અનામત બિલનો વિરોધ થાય. જો આવું થાય તો દેશની મહિલાઓમાં વિપક્ષ માટે માન ઘટે અને તેમની મહિલા વિરોધી છબી ઉભી થાય. ને ભાજપને બસ આ જ તો જોઈએ છે. આ જ કારણ છે કે વિપક્ષના ઘણા નેતાઓ હવે વોટિંગના સમયે ગૃહમાં હાજર રહીને ના પાડવાને બદલે ચૂપચાપ વોકઆઉટનો રસ્તો અપનાવવા મજબૂર થશે. તેઓ ક્યારેય ઓપન ફ્લોર પર મહિલા અનામતના વિરોધમાં ઊભા રહેવા માંગતા નથી, અને આ જ વસ્તુ આખરે સરકારનો રસ્તો આસાન કરશે. વન નેશન, વન ઇલેક્શન: અમલવારી માટે ભાજપનો નવો પ્લાન આ બધા જ રાજકીય ઉઠાપટક વચ્ચે આપણે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને જરા પણ નજરઅંદાજ ન કરવો જોઈએ. આ મુદ્દો પણ પરિસીમન બિલ જેટલો જ ગંભીર અને ભારતીય ચૂંટણી પ્રણાલી માટે ઐતિહાસિક છે. આ ખૂબ જ સેન્સેટિવ બિલ પર અત્યારે 39 સભ્યોની જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને તેનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં આવવાની પૂરી શક્યતા છે. સરકાર હવે એપ્રિલ મહિનામાં થયેલી ઉતાવળમાંથી બહુ મોટો બોધપાઠ લઈ ચૂકી છે. આ કાયદાને આખા દેશમાં એકસાથે બળજબરીથી થોપવાને બદલે હવે એક નવી અને સ્માર્ટ રણનીતિ અપનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ પણ સંસદમાં દક્ષિણના રાજ્યોને એવી ઓફર કરી હતી કે જો વિપક્ષ સાથ આપે, તો બંધારણમાં એવો સુધારો લાવી શકાય કે દરેક રાજ્યમાં એકસરખી 50 ટકા સીટો વધારી શકાય. આનાથી દક્ષિણ ભારતના રાજ્યોની નેતાગીરી જળવાઈ રહેશે અને તેમનો ડર દૂર થશે. સરકાર હવે 2/3 બહુમતી પાક્કી કર્યા પછી અને બધાને વિશ્વાસમાં લીધા પછી જ આ બિલ ગૃહમાં લાવશે. બંગાળથી લઈને તમિલનાડુ સુધી વિપક્ષનું વિસર્જન આ બધી એવી ચર્ચાઓ છે જે તમને કોઈ કહેશે નહીં પણ આપણે આ વિષયમાં તેનાથી પણ ઉંડે ઉતરીએ તો સમજાય કે જૂન 2026 નો આ સમયગાળો વિપક્ષી ગઠબંધન માટે એક પરફેક્ટ સ્ટોર્મ એટલે કે તહસનહસ કરી નાખે એવું વાવાઝોડું બનીને આવ્યો છે. રાજકારણમાં જ્યારે એકસાથે બધી જ બાજુથી મુસીબતો આવે ત્યારે આવું થાય છે. એકબાજુ મમતા બેનર્જીનો પશ્ચિમ બંગાળનો અભેદ્ય ગણાતો ગઢ 60 ધારાસભ્યોના મોટા બળવાથી પાયામાંથી હચમચી ગયો છે. આંતરિક કલહને કારણે ટીએમસીના સાંસદો પણ નારાજ છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં તમિલનાડુ ખાતે થલપતિ વિજયના ઝંઝાવાતી ઉદયે આખી બાજી પલટી નાખી છે. સત્તાની લાલચમાં કોંગ્રેસે DMKના દાયકાઓ જૂના વિશ્વાસને પૂરી રીતે તોડી નાખ્યો છે. આમ આદમી પાર્ટીનો કાનૂની બળવો આ બધાની ઉપર આમ આદમી પાર્ટી માટે રાજ્યસભામાં તેમના 70 ટકા એટલે કે 10માંથી 7 સાંસદોનું સીધેસીધું ભાજપમાં ભળી જવું એ કોઈ નાનીસૂની ઘટના નથી. આ ખાલી થોડા આંકડાઓનું નુકસાન નથી, પણ આખા વિપક્ષના મનોબળ પર એક જીવલેણ અને બહુ મોટો મનોવૈજ્ઞાનિક હુમલો છે. આ બધુ કહી જાય છે કે શાસક પક્ષ વિપક્ષની નબળી કડીઓને બહુ સારી રીતે ઓળખે છે અને બરોબર ટાઈમે હથોડો મારતા જાણે છે. જ્યારે આવનાર સત્રમાં સંસદ ફરી મળશે, ત્યારે સરકાર નવી તાકાત અને પૂરા આંકડાઓ સાથે 131મું બંધારણીય સુધારા બિલ ફ્લોર પર લાવશે. દિશાહીન અને વિખેરાયેલું ઇન્ડિયા ગઠબંધન અત્યારે આંતરિક વિખવાદનાં ICUમાં છે. રાજ્યસભામાં બહુમતીનો 163નો આંકડો હોય કે લોકસભાનું ગણિત, બે-તૃતિયાંશ બહુમતીનો જાદુઈ આંકડો પાર કરવો હવે ભાજપ માટે અગાઉની જેમ ખાલી ફોર્માલિટી બનીને રહી શકે એમ છે. જો આ પરિસીમન બિલ કાયદાનું રૂપ લેશે અને લોકસભાની સીટો 543થી વધીને 850 થશે, તો તે આવનાર અનેક દાયકાઓ માટે ભારતની પોલિટિકલ પાવરનું સેન્ટર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રહી જશે. ભારતીય રાજકારણમાં કોઈ મોટો કાયદો માત્ર સંસદમાં બિલ રજૂ થવાથી પાસ નથી થતો. સંસદની બહાર રમાતી જટિલ માઇક્રો-લેવલની રણનીતિ, વિપક્ષની એકતાને કાનૂની રીતે તોડવી અને પ્રાદેશિક પક્ષોને પોતાના ફાયદા માટે મેનેજ કરવા... આને જ રાજકારણની અસલી ચાણક્ય નીતિ કહેવાય છે! આ નવો યુગ આવનારા 50 વર્ષ સુધી દેશની દિશા અને દશા નક્કી કરશે. અને છેલ્લે.... મોંઘવારી હવે પોતાનું મોઢું વધારે ફાડવાની છે. આ વાત અમે નહીં પણ રિઝર્વ બેંકના ગવર્નર કહી રહ્યા છે. તેમણે ખાલી એટલું જ નથી કીધું કે બધું મોંઘું થઈ જશે. તેમણે હમણા થોડા દિવસ પહેલા એવું પણ કહ્યું છે કે જીડીપી પણ ઘટવાની છે. આમાં આપણા કામની વાતને બીટવીન ધ લાઈન્સ સમજીએ તો આપણે પૈસા બચાવવાનું શરૂ કરી દેવું પડશે બાકી આવનાર સમય વધુ ખતરનાક સાબિત થઈ શકે એમ છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પહેલાં PoKમાં હિંસા ભડકી:4 પોલીસકર્મી સહિત 11 લોકોનાં મોત, અનામત સીટ રદ કરવાની માગ; જમ્મુ-કાશ્મીરથી આવેલા શરણાર્થીઓને મળે છે અનામત
    Next Article
    ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના:11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે, 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment