Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: ઈરાન યુદ્ધની આગ આપણાં રસોડાં સુધી પહોંચી:બાટલાની બબાલ વચ્ચે પાઈપ ગેસવાળાને પણ પરસેવા છૂટશે, ગેસની અછત પાછળના કારણોનું સચોટ એનાલિસિસ

    4 days ago

    જે લોકોનું ઘર ગેસના બાટલા પર ચાલે છે તેમને ચિંતા થવા લાગી છે. જે લોકો કોમર્શિયલ ગેસના બાટલાથી રેસ્ટોરન્ટ, નાની હોટેલ ચલાવે છે તેમણે તાળાં મારવાનો વારો આવ્યો છે. જ્યાં પાઈપ લાઈનથી ગેસ પહોંચે છે તેમણે પણ ચિંતા કરવી પડશે. આ બધું થઈ રહ્યું છે મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે. ઈઝરાયલ-ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની આગ હવે આપણાં રસોડાં સુધી પહોંચી ગઈ છે. આગળ શું થશે, તેની ચિંતા દરેકને થવા લાગી છે. યુદ્ધની અસર માત્ર ભારત પર જ થઈ છે એવું નથી. 9 દેશોમાં તેની અલગ અલગ રીતે અસર થઈ છે. પણ આજે આપણે ભારતમાં ગેસની જે બૂમરાણ મચી છે, તેની વાત કરવાની છે. નમસ્કાર, ભારતમાં ગેસના બાટલામાં જે ગેસ ભરવામાં આવે છે તેને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે LPG કહે છે. ઘરે ઘરે પાઈપ લાઈનથી જે ગેસ આવે છે તેને પાઈપ્ડ નેચરલ ગેસ એટલે PNG કહે છે. LPG બને છે તો ક્રૂડ ઓઈલમાંથી જ, એટલે તેની તંગી વધારે થવાની પૂરી શક્યતા છે. જ્યારે PNGને એટલે કે પાઈપ ગેસને લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે LNGમાંથી પ્રોસેસ કરીને બનાવાય છે. ભારતમાં 80 ટકા ગેસ ગલ્ફ દેશોમાંથી શિપમાં આયાત થાય છે. મોટાભાગના ગેસ LNG એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસમાં પ્રોસેસ કરીને બનાવાય છે. પણ અત્યારે તો કતારે LNGનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. માનો કે યુદ્ધ પૂરું થઈ જાય તો પણ કતારને ગેસ પ્રોડક્શન શરૂ કરતાં બીજા 15 દિવસ થઈ જાય. દેશમાં રાતોરાત ગેસની અછત ઊભી થઈ ભારતમાં રાંધણગેસની અછત ઊભી થઈ છે. રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં મુંબઈ અને કર્ણાટકમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ કરી દેવાઈ છે. મુંબઈમાં 20% રેસ્ટોરન્ટ બંધ કરવા પડ્યા છે અને બે દિવસમાં 50% રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. ભારત સરકારે એશેન્શિયલ સર્વિસ મેઈન્ટેનન્સ એક્ટ (એસ્મા) લાગૂ કરી દીધો છે. આ કાયદો એવો છે કે જે વસ્તુની કટોકટી થઈ હોય તે વસ્તુઓના વપરાશમાં મર્યાદા રાખવાની. જેમ કે કોમર્શિયલ ગેસની અછત વધારે છે તો તેને હોટેલ, રેસ્ટોરન્ટ, ઈન્ડસ્ટ્રીમાં નહીં આપવાનો પણ હોસ્પિટલો અને એજ્યુકેશન સંસ્થાઓમાં જ આપવાનો. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. છતાં સંગ્રહખોરો બ્લેકમાં બાટલા વેચી રહ્યા છે, આ હકીકતથી આંખ આડા કાન કરી શકાય નહીં. કોમર્શિયલ ગેસ પર કરોડો લોકો આધાર રાખે છે. એક કોમર્શિયલ ગેસના બાટલાથી કોઈ એક વ્યક્તિનું ઘર ચાલતું હોય છે. તે ચા, ગાંઠીયા બનાવીને કમાતો હોય છે. નાનાં રેસ્ટોરન્ટવાળા પણ કોમર્શિયલ ગેસના બાટલાના આધારે જ ધંધો ચલાવે છે. મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ થાય તો તેની સીધી અસર ઝોમેટો, સ્વીગીમાં ફૂડ ડિલિવરી કરનારા ડિલિવરી બોયની કમાણી પર પડવાની છે. નાના મોટા કેટરિંગવાળાના ધંધા પર પણ અસર થવાની છે. પીજી કેન્ટીન, હોસ્ટેલની મેસ અને ટિફિન સર્વિસ ચલાવીને રોટી બનાવતા લાખો લોકોની 'રોજીરોટી' છીનવાઈ રહી છે. યુદ્ધ લાંબુ ચાલશે તો સંજોગો વધારે ખરાબ થઈ શકે છે. ભારતમાં LPG ગેસની અછત કેમ થઈ? ભારતનું પોતાનું LPG ગેસ પ્રોડક્શન બહુ લિમિટેડ છે અને મોટાભાગનો LPG ગેસ આયાત થાય છે. 2024-25માં ભારતમાં LPG ગેસની ખપત 3 કરોડ ટન રહી. તેમાંથી 1 કરોડ ટન ગેસનું પ્રોડક્શન દેશમાં જ થયું. એનો મતલબ એવો થયો કે ભારતે ગેસની જરૂરિયાત પૂરી કરવા માટે 58% આયાત પર નિર્ભર રહેવું પડે છે. LPG ગેસની આયાત કતાર, સાઉદી અરબ, UAE અને કુવૈતમાંથી થાય છે. ગલ્ફ દેશોમાંથી શિપના કન્ટેનરમાં ગેસ ભારત આવે છે. આ ગેસ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાંથી પસાર થઈને આવે છે પણ અત્યારે ઈરાને દરિયાનો રસ્તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે એટલે આ દેશોમાંથી ભારત તરફ ગેસ આવી શકતો નથી. એટલે ભારતમાં ગેસની અછત થઈ. ભારત વર્ષમાં 3 કરોડ LPG ગેસના બાટલાનો ઉપયોગ કરે છે. તેમાંથી 87% હિસ્સો ડોમેસ્ટિકમાં જાય છે. બાકીનો 13% ભાગ કોમર્શિયલમાં જાય છે. LPG ગેસની આયાતના 85 ટકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થઈને ભારત આવે છે. આ રસ્તો બંધ છે એટલે આયાત પણ બંધ છે. ભારતમાં LPG સપ્લાય ભારત પાસે સ્ટોક કેટલો? કતારે LNG ગેસ બનાવવાનું બંધ કરી દેતાં ભારત પર સંકટના વાદળો જે રીતે રાંધણગેસને LPG કહે છે તે રીતે બીજા ઉપયોગોમાં લેવાતા ગેસને LNG એટલે લિક્વિફાઇડ નેચરલ ગેસ કહે છે. LNGનો ઉપયોગ પાવર જનરેશન, ઈન્ડસ્ટ્રીની પ્રોડક્ટ બનાવવા માટે વધારે થાય છે. ટૂંકમાં નાની મોટી ફેક્ટરીઓ, કારખાનાઓમાં LNG વધારે વપરાય છે. ભારત કતાર પાસેથી મોટા પ્રમાણમાં LNG ખરીદે છે અને હવે તો યુદ્ધના કારણે કતારે જ આ ગેસ ઉત્પાદન બંધ કરી દીધું છે. યુદ્ધ શરૂ થયાના ચાર-પાંચ દિવસમાં જ ભારતની કંપનીઓએ સાવચેતીના પગલાં તરીકે ઈન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયમાં લગભગ 20% ઘટાડો કરી નાખ્યો. એટલે પ્રોડક્શન પર પણ અસર પડશે. ભારત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો વિશ્વનો ચોથો સૌથી મોટો આયાતકાર અને LPG નો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. આ બંને ગેસ કતાર જ વધારે બનાવે છે. ભારત તેની મોટાભાગની LPG અને તેની LNG જરૂરિયાતોનો બે તૃતીયાંશ ભાગ મિડલ ઈસ્ટમાંથી ખરીદે છે. હવે મિડલ ઈસ્ટમાં સ્થિતિ ખરાબ છે એટલે ભારત તરફ ગેસ આવતો નથી. LPG ગેસ પણ બને છે તો ક્રૂડ ઓઈલમાંથી જ!! આપણા રસોડાં સુધી ગેસ પહોંચે છે પણ તે કેવી રીતે બને છે અને પહોંચે છે મોટાભાગના લોકો જાણતા નથી હોતા. રાંધણગેસ બને છે તો ક્રૂડ ઓઈલમાંથી જ. ક્રૂડ ઓઈલ કાઢીને તેને રિફાઈન કરવાની પ્રોસેસ થાય ત્યારે બે તત્વો ક્રૂડ ઓઈલમાંથી મળે છે. પ્રોપેન અને બ્યુટેન. આ બે તત્વોને મિક્સ કરીને LPG ગેસ બનાવાય છે. આ ગેસને પહેલાં ટેન્કમાં ભરાય છે. ગેસ ઠંડો પડે તો પ્રવાહી રૂપમાં ફેરવાઈ જાય છે. વધારે પ્રેશરથી તરલ પદાર્થરૂપે બાટલામાં ભરવામાં આવે છે. સિલિન્ડરમાં તે લિક્વિડ ફોર્મમાં હોય છે એટલે બાટલો પછડાય તો અંદર પાણી જેવો અવાજ આવે છે. બાટલામાંથી આ ગેસ જ્યારે બહાર આવે છે ત્યારે તે હવામાં ગેસ બની જાય છે. LPGનો પોતાનો કોઈ રંગ કે ગંધ નથી હોતા પણ લિકેજની જાણ થઈ શકે એટલે તેમાં તીવ્ર દુર્ગંધવાળો પદાર્થ મિક્સ કરવામાં આવે છે. આ ગંધવાળા પદાર્થનું નામ છે- એથિલ મરકેપ્ટન. આપણે કહીએ છીએ કે કાંઈક ગેસ જેવી ગંધ આવે છે. તે હકીકતે ગેસની પોતાની ગંધ નથી હોતી. એથિલ મરકેપ્ટનની ગંધ હોય છે. પાઈપ લાઈનથી ગેસ આવે છે, તેમણે પણ ચિંતા કરવી પડશે અત્યારે બાટલાની બૂમરાણ વચ્ચે એ લોકો મનમાં રાહત લઈને બેઠા છે કે, હાશ! મારે ત્યાં તો પાઈપ લાઈનથી ગેસ આવે છે એટલે ચિંતા નથી. પણ આ માન્યતા ભૂલભરેલી છે. પાઈપથી ગેસ આવતો હોય તો પણ ચિંતા તો કરવી જ પડે એવું છે. કારણ કે જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો પાઈપમાંથી આવતો ગેસ પણ બંધ થઈ જશે. ઘરમાં જે પાઈપ લાઈનથી ગેસ આવે છે તેને PNG - પાઈપ્ડ નેચરલ ગેસ કહે છે. ઈન્ડસ્ટ્રી માટે જે ગેસ બને છે LNG- લિક્વિફાઈડ નેચરલ ગેસ. તેના પર રિ-ગેસિફાઈંગની પ્રોસેસ થાય છે. તેમાંથી બને છે PNG. આ ગેસ આમ તો જમીનમાંથી સીધો નીકળે છે પણ તેના પર અલગ અલગ પ્રોસેસ થયા પછી પાઈપ મારફત તમારા રસોડાં સુધી પહોંચે છે. ભારતમાં મિડલ ઈસ્ટમાંથી LNG આયાત થાય છે અને ભારતનો પોતાનો સ્થાનિક કુદરતી ગેસ, તે બંને ભેગા કરીને PNG બનાવાય છે. હવે કતારથી જ શિપમાં LNG આવતો બંધ થઈ જશે તો પાઈપ ગેસ બનશે કેવી રીતે? ભારતમાં 25 હજાર કિલોમીટરમાં ગેસ લાઈનનું નેટવર્ક ફેલાયેલું છે. આ નેટવર્ક ગેઈલ, મહાનગર ગેસ, ગુજરાત ગેસ, અદાણી જેવી અલગ અલગ કંપનીઓ સંભાળે છે. નળમાં પાણીનો સમય નક્કી હતો, તેમ ગેસ પણ બબ્બે કલાક જ આવી શકે એક સમય એવો હતો કે ગુજરાતમાં પાણીની તંગી હતી. ત્યારે મહાનગર પાલિકાએ પાણીના નળના સમય નક્કી કર્યા હતા. એક કલાક નળ ખુલે એટલે લોકો પાણી ભરવા અલગ અલગ વાસણો તૈયાર રાખતા. આ દિવસો ગેસની બાબતમાં પણ આવી શકે. પાઈપ્ડ ગેસ તદ્દન તો બંધ નહીં થાય પણ તેના ભાવ વધી શકે. બીજું એવું પણ થઈ શકે કે જેમ એ સમયે નળમાં પાણી માટે ચોક્કસ સમય રહેતો તેમ ગેસનો ફ્લો ચાલુ કરવા ચોક્કસ સમય નક્કી થઈ શકે. જેમ કે સવારે 10થી 12 બે કલાક અને સાંજે 7થી 9 એમ બે કલાક ગેસ આવશે. બાકીના સમયમાં ઉપરથી જ વાલ્વ બંધ કરી દેવામાં આવશે. આપણે આના માટે પણ તૈયારી રાખવી પડશે. પાઈપ ગેસ તમારા ઘર સુધી પહોંચે છે કેવી રીતે? જમીનની અંદર કુદરતી ગેસ બને છે. આ ગેસ સૌથી વધારે મિડલ ઈસ્ટના દેશોની જમીનમાં છે. જેમ ભગવાને ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટને આપ્યું છે તેમ ગેસના ભંડાર પણ તેમને આપ્યા છે. એમાંય સૌથી વધારે ગેસ કતારની જમીનમાં છે. એક્સપર્ટ પહેલાં તો ચેક કરે છે કે જમીનમાં ગેસ ક્યાં છે? જે જગ્યાએ વધારે ગેસ જણાય ત્યાં ડ્રિલિંગ કરવામાં આવે છે. માનો કે દરિયામાં કે રણમાં જમીનની નીચે ગેસ છે તેવું જણાયું તો ત્યાંથી ડ્રિલિંગ કરીને ગેસ કાઢવામાં આવે છે. આ ગેસને પાઈપલાઈન મારફત પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. ભારતમાં પણ ઘણી જગ્યાએ પ્રોસેસિંગ પ્લાન્ટ છે. એટલે કતારની જમીનમાંથી નીકળેલો ગેસ દરિયાની અંદર બિછાવેલી લાઈનમાંથી ભારતના પ્લાન્ટમાં આવે છે. પણ કતારે હવે આ ગેસનું ઉત્પાદન ઓછું કર્યું છે અને લગભગ બંધ જેવું જ કરી નાખશે. જમીનની અંદરથી નીકળેલો ગેસ શુદ્ધ નથી હોતો એટલે પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગેસ શુદ્ધ થાય છે. પછી તેને ગ્રીડ લાઈન મારફત આગળ મોકલાય છે. આ પ્રોસેસિંગ પ્લાન્ટને ગ્રીડ (પાઈપ લાઈન) સાથે કનેક્ટ કરી દેવાય છે. પ્લાન્ટમાંથી નીકળતી મોટી ગ્રીડ લાઈન અંડર ગ્રાઉન્ડ હોય છે. ત્યાંથી ટેપિંગ કરી કરીને દરેક શહેર સુધી પહોંચાડાય છે. ત્યાં સિટી ગેસ સ્ટેશન હોય છે. સિટી ગેસ સ્ટેશન એ પોઈન્ટ છે જ્યાંથી તમારા શહેરમાં ગેસ એન્ટર થાય છે. આ ગેસ PNG ગેસ હોય છે. તેમાં પણ LPGની જેમ ગંધ નથી હોતી, રંગ નથી હોતો. ગંધહિન ગેસ લિક થઈ જાય તો ખબર પડતી નથી કે ક્યાંથી લિક થાય છે. એટલે સિટી ગેસ સ્ટેશનમાં જ્યારે ગ્રીડમાં થઈને ગેસ આવે છે ત્યારે તેમાં ચોક્કસ પ્રકારની ગંધ એથિલ મરકેપ્ટન ઉમેરવામાં આવે છે. જેથી ક્યાંય પણ લિકેજ થાય તો ખબર પડે. પછી સિટી ગેસ સ્ટેશનથી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન મારફત આગળ મોકલી દેવાય છે. સિટી સ્ટેશનમાંથી નીકળેલો ગેસ અંડર ગ્રાઉન્ડ પાઈપથી ડિસ્ટ્રીક્ટ રેગ્યુલેટિંગ સ્ટેશનમાં પહોંચે છે. આ સ્ટેશનને DRS પણ કહે છે. અહીંથી આખા વિસ્તારનું ગેસ પ્રેશર મેઈન્ટેન થાય છે. માનો કે ક્યાંય રસ્તા કે શેરીમાંથી ગેસ લિકેજ થાય છે તો તરત આ ડિસ્ટ્રીક્ટ રેગ્યુલેટિંગ સ્ટેશનમાંથી સપ્લાય કટઓફ કરી નાખવામાં આવે છે. આ DRSમાંથી નીકળેલો ગેસ તમારી સોસાયટી પાસે ફીટ કરેલા સર્વિસ રેગ્યુલેટર સુધી આવે છે. આ રેગ્યુલેટરમાં પણ વાલ્વ હોય છે. જેથી ચોક્કસ સોસાયટીમાં લિકેજ હોય તો માત્ર વાલ્વ બંધ કરી દેવાય છે. આ રેગ્યુલેટરમાંથી તમારા કીચન સુધી ગેસ પહોંચે છે. કતારથી શિપમાં ગેસ આવે તે ખાસ ટર્મિનલમાં ઉતરે છે ભારતમાં LNGના ટેન્કર શિપમાંથી અનલોડ કરવા માટે ખાસ ટર્મિનલ્સ બનાવાયા આવ્યા છે. ગુજરાતમાં દહેજ LNG ટર્મિનલ, તમિલનાડુમાં ઇનોર LNG ટર્મિનલ અને મહારાષ્ટ્રમાં જયગઢ LNG ટર્મિનલ પર જહાજોમાંથી LNGના ટેન્કર અનલોડ કરવામાં આવે છે. અહીં લિક્વિફાઇડ ગેસને ફરીથી ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને દેશના પાઇપલાઇન નેટવર્ક મારફત ઈન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ અને ડોમેસ્ટીક ઉપયોગ માટે મોકલવામાં આવે છે. LNGમાં અનેક પ્રકારની પ્રોસેસ કરીને અલગ અલગ પ્રકારના ગેસ બનાવાય છે. ભારતમાં પાઈપ્ડ ગેસ બને છે, પણ ઓછો ભારતે ગેસની બાબતમાં મોટાભાગે મિડલ ઈસ્ટ પર નિર્ભર રહેવું પડે છે. ભારતમાં PNG બને છે પણ બહુ ઓછો બને છે. એટલો PNG બનતો નથી કે આખા દેશને ગેસ સપ્લાય કરી શકાય. ભારતમાં 4 રાજ્યો એવા છે જ્યાં PNG ગેસ બને છે. જે ભારતની 50% જરૂરિયાત પૂરી પાડે છે. બાકીનો 50% PNG ગેસ બહારથી આયાત કરેલા LNG ગેસમાંથી બને છે. ભારતના 4 રાજ્યોમાં પાઈપ્ડ ગેસ બને છે જેનાથી વાહન ચાલે છે તે CNG ગેસમાં પણ તકલીફ પડવાની ઘણી પ્રકારના ગેસ છે તેમાંથી એક CNG ગેસ પણ છે. CNGનું ફૂલફોર્મ છે- કંપ્રેસ્ડ નેચરલ ગેસ. આ મિથાઈન પ્રકારનો કુદરતી ગેસ છે જે જમીનમાંથી નીકળે છે. તેને LNG, LPG કે PNG સાથે કોઈ લેવાદેવા નથી. આના ઘટકો જ અલગ હોય છે. આ ગેસને એકદમ ઊંચા દબાણથી કંપ્રેસ્ડ કરીને બોટલમાં ભરવામાં આવે છે. પહેલા અલગથી CNG કીટ ફીટ કરાવવી પડતી હતી, હવે કંપની જ વાહનોમાં ફીટ કરીને આપે છે. મોટાભાગની ઓટો રિક્ષા અને ટેક્સીમાં CNG ફીટ હોય છે. પેટ્રોલ-ડીઝલ કરતાં ઓછું પ્રદૂષણ કરે છે એટલે તેની ડિમાન્ડ વધારે છે. પેટ્રોલ-ડીઝલની સામે તેનો ભાવ પણ ઓછો છે. અત્યારે ભારતના લગભગ 300થી વધુ જિલ્લાઓમાં CNG નેટવર્ક પહોંચી ગયું છે. ભારતમાં CNG સ્ટેશનોની સંખ્યામાં ગુજરાત મોખરે છે. ભારતનું CNG ઉત્પાદન થાય છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને રિલાયન્સ જેવી કંપનીઓ મુંબઈ હાઈ, ગુજરાતના દરિયાકાંઠે અને આંધ્રપ્રદેશના કૃષ્ણા-ગોદાવરી બેસિનમાંથી ડ્રિલિંગથી આ ગેસ બહાર કાઢે છે. ગેઈલ જેવી કંપનીઓ આ ગેસને સ્ટેશન સુધી પહોંચાડવાનું કામ કરે છે. અલબત્ત, ભારતમાં જરૂરિયાતના 50% ટકા CNG બને છે અને 50% LNGમાંથી પ્રોસેસ કરીને બનાવાય છે. LNG આયાત થાય છે એટલે યુદ્ધ લાંબુ ચાલ્યું તો CNGમાં પણ તકલીફ પડવાની. છેલ્લે, ઈરાનની તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર ફોઆદ ઇઝાદીએ કહ્યું છે કે જ્યાં સુધી ઈરાનને યુદ્ધથી થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ નહિ થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ઘણા મહિનાઓ સુધી બંધ રહી શકે છે. આ પ્રોફેસરની વાત સાચી હોય તો એ માત્ર ભારત માટે નહિ, આખી દુનિયા માટે ચિંતાજનક છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    133 મુસાફરોના જીવ માંડ બચ્યા!:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન પૈડું નીકળી ગયું, નોઝ ગિયર તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ
    Next Article
    રાજસ્થાનમાં તાપમાન 40°C થી વધુ, MPમાં 39°C પહોંચ્યું:બિહારમાં વરસાદનું યલો એલર્ટ; જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદ-બરફવર્ષાની સંભાવના

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment