Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાધારી પૈસાના પૂજારીઓ CCTVમાં કેદ:ગિરનાર પર અંબાજી મંદિરની દાનપેટીમાંથી રૂપિયાની થેલી ભરી, કોંગ્રેસે ગંગાજળ-ગૌમૂત્રથી શુદ્ધીકરણ કર્યું ને ભાજપ ચૂપ

    12 hours ago

    લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર સ્થિતમાં અંબાના મંદિર પરિસરમાં તાજેતરમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોથી નવો વિવાદ શરૂ થયો છે. આ વીડિયોમાં મંદિરના ભંડારા ગૃહમાં કેટલાક શખ્સો દ્વારા દારૂ અને નોનવેજની મિજબાની કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે તંત્રએ તાત્કાલિક અસરથી મંદિરના દસ પૂજારીઓ અને એક રસોઈયાને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા છે અને તેમના મંદિર પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે આ ઘટનાક્રમ વચ્ચે પૂજારીઓ દ્વારા દાનપેટીમાંથી પૈસા લેવાના વધુ વીડિયો સામે આવ્યા છે. તેમજ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મંદિરના શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાઇરલ થઈ રહેલા આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પાસે બે પૂજારીઓ આસન જમાવીને બેઠા છે. તેમની બિલકુલ પાસે એક મોટી દાનપેટી રાખવામાં આવી છે. મંદિરના પવિત્ર વાતાવરણમાં શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા સાથે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે અને પોતાની યથાશક્તિ મુજબ દાનપેટીમાં દાન, દક્ષિણા અર્પણ કરી રહ્યા છે. ​CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે દાનપેટીની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે તેમાં નાખવામાં આવેલા પૈસા ઘણીવાર સીધા અંદર જવાના બદલે ઉપરના ભાગે જ અટકી જાય છે. શ્રદ્ધાળુઓ જ્યારે દાન અર્પણ કરીને ત્યાંથી વિદાય લે છે, ત્યારે આ તકનો લાભ લઈને બંને પૂજારીઓ અત્યંત સાવચેતીપૂર્વક આજુબાજુ નજર દોડાવે છે. જેવું કોઈ જોતું ન હોય તેમ લાગતા જ તેઓ દાનપેટી પર પડેલી રોકડ રકમ એકઠી કરવાનું શરૂ કરે છે. ​સીસીટીવીના ફૂટેજમાં આગળ જોવા મળે છે કે આ પાપી પૂજારીઓ પવિત્રતાની મર્યાદા ઓળંગીને શ્રદ્ધાળુઓના દાન પર હાથ સાફ કરી રહ્યા છે. તેઓ દાનપેટી પરથી વીણેલા પૈસામાંથી અમુક રકમ બાજુમાં રાખેલી એક થેલીમાં સરકાવી દે છે.જ્યારે બાકીની નોટો ખૂબ જ ઝડપથી દાન પેટી નજીક રાખેલી થેલી અને પોતાના ગજવામાં છુપાવી દે છે. ​આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાની સાથે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મના ઓથા હેઠળ ચાલતા આ ગોરખધંધાનો ભાંડો ફૂટી જતાં હવે કાયદાનો સકંજો પણ કસાય તેવી શક્યતા દેખાય રહી છે. હાલમાં આ સમગ્ર શરમજનક ઘટના મામલે વહેલી તકે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરે તેવી પણ પૂરી શક્યતાઓ છે. શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે માતાજીના ચરણોમાં જે દાન અર્પણ કરે છે, તે રકમ ગરીબ કલ્યાણ કે મંદિરના વિકાસમાં વાપરવાને બદલે ત્યાં બેઠેલા પૂજારીઓ પોતે પોતાના ગજવા ભરી રહ્યા છે. આ રીતે આસ્થા સાથે રમત રમવામાં આવે છે. શહેર કોંગ્રેસ દ્વારા ગૌમૂત્ર-ગંગાજળથી મંદિરનું શુદ્ધકરણ તો બીજી તરફ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસ સમિતિ દ્વારા જે સ્થળે આ અપવિત્ર કૃત્ય આચરવામાં આવ્યું હતું તે ભંડારા ગૃહ અને સમગ્ર મંદિર પરિસરને ગૌમૂત્ર અને ગંગાજળના છંટકાવથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. દારૂ અને નોનવેજની પાર્ટીઓ કરોડો હિન્દુઓની આસ્થા પર સીધો પ્રહાર: કોંગ્રેસ આ અંગે મનોજ જોશીએ જણાવ્યું હતું કે આ પવિત્ર ભૂમિ પર જ્યાં હજારો વર્ષોથી સાધુ-સંતોએ તપસ્યા કરી છે, ત્યાં આ પ્રકારે દારૂ અને નોનવેજની પાર્ટીઓ થવી તે કરોડો હિન્દુઓની આસ્થા પર સીધો પ્રહાર છે. મંદિરને ફરીથી પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ કરવું અનિવાર્ય હતું, જે કામગીરી આજે કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ‘પ્લાસ્ટિક બોટલ લઈ જવાની મનાઈ છે ત્યાં દારૂ અને નોનવેજ કેવી રીતે પહોંચે?’ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, ગિરનાર પર્વત પર જ્યારે રોપવે દ્વારા ઉપર જતી વખતે કડક સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવતું હોય અને જે વિસ્તારમાં સાદી પ્લાસ્ટિકની બોટલ લઈ જવાની પણ સખત મનાઈ હોય, ત્યાં દારૂની બોટલો અને નોનવેજ કેવી રીતે પહોંચી શકે? આ બાબત તંત્રની ઘોર બેદરકારી અને સુરક્ષામાં મોટી ખામી હોવાનું પુરવાર કરે છે. ‘પ્રતિબંધિત વસ્તુઓ અંદર પહોંચાડવામાં કોનો હાથ?તપાસ કરો’ જો સામાન્ય યાત્રીઓનું ઝીણવટભર્યું ચેકિંગ થતું હોય તો આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ અંદર પહોંચાડવામાં કોનો હાથ છે તેની પણ તપાસ થવી જરૂરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડમાં જે કોઈ પણ જવાબદાર હોય, પછી તે પૂજારી હોય, સિક્યુરિટી ગાર્ડ હોય કે અન્ય કર્મચારી, તેમની સામે પોલીસ ફરિયાદ નોંધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાશે તો કોંગ્રેસ આંદોલન કરશે તંત્ર દ્વારા આ બંને ઘટનાઓને જોડીને એક વિસ્તૃત તપાસ સમિતિની રચના કરવામાં આવે અને જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય તેમની સામે કાયદેસરના પગલાં ભરી આકરી સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો તંત્ર માત્ર સસ્પેન્ડ કરીને આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરશે તો આગામી સમયમાં જનતાના સહકારથી આંદોલન છેડવામાં આવશે. જાહેર કાર્યક્રમોમાં શૂરોપૂરો ભાજપ આસ્થા પર પ્રહાર છતાં ચૂપ જોકે આ મામલે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢની ટીમ જ્યારે પ્રદેશ કક્ષાએથી નેતાઓ આવતા હોય કે જૂનાગઢ શહેરમાં સરકારી કે પોતાના પ્રાઇવેટ કાર્યક્રમ હોય ત્યારે અચૂક હાજરી આપતા હોય છે. પરંતુ અંબાજી મંદિર પર બનેલી આ નિંદનીય ઘટના મામલે હજુ સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર, પદાધિકારી કે નેતાએ નિવેદન આપ્યું નથી. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે ત્યારે આજે કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા અંબાજી મંદિરને શુદ્ધિકરણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:છૂટાછેડાના કેસ માટે આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવી લીધું
    Next Article
    વડોદરાના ભાયલીમાં અસહ્ય દુર્ગંધ:GPCB દ્વારા 24 કલાક એર મોનિટરિંગ શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment