Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠાકરે પરિવારની રાજનીતિનો ધ એન્ડ?:દિશા સાલિયાન CBI કેસ સુશાંત મર્ડરની ચાવી, મોટા માથાઓ પર તલવાર, પોલીસના ભોપાળાથી HC બગડ્યું

    6 hours ago

    તમે ત્રણ ઘટનાઓને ધ્યાનથી જોડો. બોલીવૂડના વ્યક્તિનું એક શંકાસ્પદ મોત, બે ભાઈઓના અબોલા તૂટ્યા અને પૂર્વ એક્ટર સુશાંત સિંહના ટેલેન્ટ મેનેજર દિશા સાલિયાનના મર્ડર કેસમાં સીબીઆઈની એન્ટ્રી. આ બધી ઘટનાઓ અત્યારે એ સવાલ ઉભો કરવા મજબૂર કરે છે કે શું દિશા સાલિયાન કેસ મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારનું પોલિટિક્સ પતાવી દેશે? શું સુશાંત સિંહના મોતનું સાચું કારણ સામે આવી શકે તેમ છે? શું હવે મહારાષ્ટ્રમાં ભાજપનું રાજ ચાલશે? કે પછી ખરેખર આ પોલિટિકલી મોટિવેટેડ મામલો છે? ચાલો વિગતે વાત કરીએ નમસ્કાર... કહેવાય છે કે રાજકારણમાં ટાઈમિંગનું બહુ મહત્વ હોય છે. બોમ્બે હાઈકોર્ટના લાલઘૂમ થવા પછી સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા દિશા સાલિયાન કેસમાં CBI એટલે કે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને FIR નોંધી છે. નિશાના પર છે સીધા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે. બીજી બાજુ આ ઘટના પહેલા મુંબઈ મહાનગરપાલિકા જીતવા માટે ઠાકરે પરિવારના ઉદ્ધવ અને રાજના 20 વર્ષ પછી અબોલા તૂટ્યા છે, છતાં ભારતીય જનતા પાર્ટી મુંબઈ મનપામાં 89 બેઠકો પર મેદાન મારી ગઈ છે. તમે સાંભળ્યું હશે કે મુંબઈ કોઈ સામાન્ય શહેર નથી, સપનાની નગરી છે. દેશના લાખો લોકો સપના લઈને દેશની આર્થિક રાજધાનીમાં પગ મૂકે છે. અમુકના સપના પૂરા થાય છે અને અમૂકના અધૂરા જ રહી જાય છે. એવામાં જ્યારે આ ધરતીના સત્તાના પાયા હલે છે ત્યારે તેના આંચકા આખા દેશમાં જોવા મળે છે. એવી જ એક ઘટનાની આપણે વાત કરવાની છે. પણ તેના પહેલા આખી ટાઈમલાઈન ચાર સ્ટેપમાં જાણી લઈએ. 8-9 જૂન 2020ની મધરાતે મુંબઈના મલાડમાં આવેલી રેજેન્ટ ગેલેક્સી નામની બિલ્ડિંગ પરથી સુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન કૂદીને આપઘાત કરે છે. પછી પોલીસ તપાસ થાય છે, પોસ્ટ મોર્ટમ થાય છે અને પોલીસ એ નિષ્કર્ષ પર આવે છે કે આ બનાવ આત્મહત્યાનો છે. અમુક લોકોનું કહેવું છે કે દિશા 14મા માળેથી કૂદી હતી જ્યારે અમુકનું કહેવું છે કે 12મા માળેથી કુદકો લગાવીને આત્મહત્યા કરી હતી. 2021થી 2024 સુધી તપાસ ચાલે છે. જેમાં મૃત્યુ મામલે આક્ષેપો થાય છે અને રાજકીય બખેડો પણ થાય છે. 2023માં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બને છે અને પછી આખો મામલે ઠંડા બસ્તામાં ચાલ્યો જાય છે. ગયા વર્ષે દિશા સાલિયાનના પિતા અચાનક ફરી નવી ફરિયાદ કરે છે અને આ કેસની સત્ય હકિકત જાણવા માટે પોલીસ તપાસની માગ કરે છે. ત્યારથી અત્યાર સુધી હાઈકોર્ટમાં લાંબી કાર્યવાહી ચાલે છે. હાઈકોર્ટને પોલીસ તપાસમાં વાંધો લાગે છે અને 13 સપ્ટેમ્બરે નવી ફરિયાદ નોંધવામાં આવે છે અને મામલો આખો સીબીઆઈ પાસે જતો રહે છે. હવે આપણે આ ટાઈમલેપ્સના ડિટેઈલમાં ડોકિયું કરીએ. સપ્ટેમ્બર 2026નો આ આખો મહિનો મહારાષ્ટ્રની જનતા અને પોલીસ માટે થ્રિલર ફિલ્મથી ઓછો નથી. એક બાજુ હાઈકોર્ટ મુંબઈ પોલીસ તપાસના ધજાગરા ઉડાવતી હતી અને બીજી બાજુ રાજકીય આરોપો પણ થઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર હાઈકોર્ટે કહ્યું છે કે" 14મા માળેથી પડવા છતાં શરીરનું એક પણ હાડકું ન તૂટે? આ તો તબીબી જગતમાં લગભગ અશક્ય વાત છે." CBI ફરિયાદમાં ગેંગરેપ અને ષડયંત્રની કલમો અને અહીંથી દિશા સાલિયાન મોત કેસના આખા મામલાની દિશા બદલાય જાય છે. હવે 6 વર્ષ પછી સીબીઆઈ આ કેસમાં ખાલી આત્મહત્યા જ નહીં પણ હત્યા અને પુરાવાના નાશ કરવાના ષડયંત્રના એંગલથી પણ તપાસ કરી રહી છે. સીબીઆઈની ફરિયાદમાં મોટી વાત એવી છે કે આ બનાવને મર્ડર, ગેંગરેપ, કોન્સ્પિરસી વગેરેની કલમો પણ નોંધાઈ છે. પણ હજુ આ કેસમાં મર્ડર સાબિત થયું નથી. આદિત્ય ઠાકરેએ પાવરના જોરે સબૂતો ગાયબ કર્યા? આપણી જાણકારી માટે કે સીબીઆઈની ફરિયાદમાં કોઈ પણ વ્યક્તિને આરોપી તરીકે નથી દેખાડ્યાં. પણ શંકાસ્પદ તરીકે બાળા સાહેબ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરે આ ઘટનામાં છે કે નહીં તેની તપાસ કરવાની માગ ઉઠાવી છે. આ બનાવના કારણે રાજકીય ગરમાવો જરૂરથી ઉભો થયો છે. આક્ષેપ છે કે આદિત્ય ઠાકરે અને તેમના સિક્યોરિટી ગાર્ડ્સ દિશા સાલિયાન મોત પાછળના કાવતરામાં કથિત રીતે શામેલ હતા. આદિત્ય ઠાકરેએ ઠાકરે પરિવારની સત્તાનો દુરુપયોગ કરીને મુંબઈ પોલીસની મદદથી પૂરાવા નાશ કર્યા છે એવા ગંભીર આક્ષેપો છે. જો કે આદિત્યનો પક્ષ એવો છે કે, “આ બધા આક્ષેપો પાયાવિહોણા છે અને આ આખો મામલો રાજકીય રીતે મોટિવેટેડ છે. હું દિશા સાલિયાનને મળ્યો નથી અને ઓળખતો પણ નથી.” નાસિકમાં આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, પોલિટીકલ મોટિવેટેડ મામલાવાળી વાત સાંભળતાની સાથે જ દિશાના પિતા સતિશ સાલિયાન મેદાને આવ્યા. તેમણે આદિત્ય ઠાકરે પર 500 કરોડની માનહાનીનો દાવો કર્યો છે. આટલું જ નહીં અનીલ દેશમુખે કહ્યું હતું કે દિશા કેસ આદિત્યને બદનામ કરવાની કોશીષ છે તો તેમના પર પણ દિશાના પિતાએ માફીની માગ કરી હતી. મરાઠી અસ્મિતાનો છેલ્લો જુગાર રમતી શિવસેના હવે થોડા મહિના ફ્લેશબેકમાં જઈ. મુંબઈ મનપા ચૂંટણી ટાણે ઠાકરે બંધુઓનું સાથે આવવું એ મરાઠી અસ્મિતાનો છેલ્લો જુગાર હતો એવું ઘણા પોલિટિકલ પંડીતોએ કહ્યું અને આપણે સાંભળ્યું પણ ખરાં. પણ કોંગ્રેસનું એકલાહાથે લડવું અને મુસ્લિમ મતોનું વિભાજન ઉદ્ધવ ઠાકરે માટે મોતનો કૂવો સાબિત થયું. આ બધી ઘટના અત્યારે અલગ છે પણ આપણે આખા બનાવને એક મોટા કેનવાસ પર લઈ જઈ રહ્યા છીએ માટે ક્રોનોલોજી મુજબ સમજવી જરૂરી છે. ખૈર ફરી પાછા મુદ્દા પર આવીએ... દિશા સાલિયાન કેસની ટાઈમિંગ અને મેડિકલ સાયન્સ દિશા સાલિયાન કેસ મામલે હાઈકોર્ટે મુંબઈ પોલીસની થીયરીના ચીંથરા ઉડાવી દીધા છે. હવે તેના આંકડા અને ફોરેન્સિક પુરાવાની આખી બબાલ સમજવા માટે આપણે ઘટનાનું મેડિકલ સાયન્સ અને ટાઈમિંગ પણ જાણી લઈએ. દિશા સાલિયાનનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોઈને મહારાષ્ટ્ર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે 14 માળ પરથી પડ્યા છતાં દિશાની દાઢી પર ખાલી 1x1x1 સેન્ટીમીટરનો નાનો ઘા હતો. બાકી ચહેરો એમનો એમ હતો. મેડિકલ સાયન્સમાં આવું કેમ શક્ય છે કે 14મા માળેથી કોઈ પડે અને ખાલી નાની એવી ખરોચ જ આવે? 14 માળથી પડ્યાં છતાં મોઢું હેમખેમ કેમ? આ જ મામલે ગુરુગ્રામના ફોરેન્સિક એક્સપર્ટ પ્રોફેસર ડો. ભૂપેશ કુમાર શર્માનો રિપોર્ટ ધ કહે છે કે દિશા સાલિયાનના મોત પછીના ફોટોગ્રાફ્સમાં દિશાના આગળના દાંત જ તૂટેલા હતા. જ્યારે નાક, આંખો, કપાળ અને ચહેરા પર કોઈ ગંભીર ઈજા ન જોવા મળી. મેડિકલ સાયન્સનું માનવું છે કે આવું તો શક્ય જ નથી કે 14મા માળે પડ્યા પછી આટલી સામાન્ય ઈજા થાય. મુંબઈ પોલીસની FIRમાં મોટા ભોપાળાં આ સવાલના કારણે પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી કે કંઈક તો ભોપાળું ભજવાઈ ગયું છે. જ્યારે ઘટના બની ત્યારે પોલીસ ગણતરીની મિનિટોમાં બિલ્ડિંગ પર પહોંચી ગઈ હતી પણ ફ્લેટમાંથી દિશા પડી એનું પંચનામું કરવામાં પોલીસને 9 કલાક લાગી ગયા. એટલે કે આગલા દિવસે 9 જૂન 2020ના સવારે 9 વાગીને 40 મિનિટે પંચનામું થયું. શું આ સમયગાળા દરમિયાન કોઈ પૂરાવા સાથે રમત થઈ શકે ખરા? આ સવાલ બહુ મોટો હતો. સાક્ષીએ લોહી જોયું પણ ફોરેન્સિકમાં ગાયબ બીજી ભૂલ એ જોવા મળી કે ઘટના ઘટી ત્યારે ત્યાં હાજર સાક્ષીઓએ કહ્યું હતું કે છોકરીના માથામાંથી લોહી નીકળતું હતું પણ પોલીસે એ લોહીના સેમ્પલ કે માટીના સેમ્પલ કબજે ન કરી. બચાવમાં સરકારી વકીલે કહ્યું કે વરસાદમાં લોહી ધોવાઈ ગયું હતું. પણ હવામાન વિભાગના ઓફિશિયલ ડેટા જોયા તો ખબર પડી કે દિશા સાલિયાનના મોત થયાના ઘણા કલાકો પછી વરસાદ પડ્યો હતો. મતલબ અહીં કંઈક લાપરવાહી થઈ હોય શકે. યોની-ગુદાનો સ્વેબ ન પહોંચી શક્યો લેબ તેનાથી પણ મોટો લોચો કપડાં અને ફોરેન્સિક સેમ્પલમાં જોવા મળ્યો. ઓફિશિયલ પંચનામામાં લખાયું કે મૃતદેહ પર કોઈ કપડા ન હતા. પણ હોસ્પિટલના શબઘરના ફોટો છે તેમાં તો કપડાં ચોખ્ખા દેખાય છે. આટલું જ નહીં પોસ્ટમોર્ટમ ટાણે યોનીમાર્ગ અને ગુદામાર્ગનો સ્વેબ લેવામાં આવ્યો પણ જ્યારે ફોરેન્સિક લેબ સુધી આ પહોંચ્યું ત્યારે સ્વેબ નહીં પણ ખાલી સ્મીયર્સ જ હતું. તો શું પુરાવો નષ્ટ કરાયાનું કાવતરું થયું હોય શકે ખરાં? આદિત્યની શિવસેનાની પડતીના આંકડા ફરી પાછા આપણે ઘટનાથી હટીને કાનૂની ખેલ ખેલાયો તે પછીના રાજકીય આંકડા જોઈએ. જાન્યુઆરી 2026ના મુંબઈ મનપાની ચૂંટણીના પરિણામો આવ્યા. જેમાં મુંબઈની જનતાનો મૂડ બદલાયો. અંદાજે 20 વર્ષ પછી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનું ઐતિહાસિક મિલન થયું હતું છતાં શિવસેનાને રિઝલ્ટ્સમાં ખાલી 65 બેઠકો અને 31 ટકા વોટ જ મળ્યા. તેમની સામેની પાર્ટી ભાજપને મરાઠી મતોમાં ફૂટ અને નોન મરાઠી વોટર્સના ધ્રુવીકરણનો સીધો ફાયદો મળી ગયો. આ બધુ કરીને ભાજપને રેકોર્ડ બ્રેક 89 બેઠકો મળી અને તે મુંબઈ મનપાની ચૂંટણી જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઈ. મતલબ કે કોંગ્રેસ અલગ લડી એટલે મહાવિકાસ અઘાડીના વોટ વહેંચાઈ ગયા અને શિવસેનાએ મુંબઈ પરની પકડ ગુમાવી દીધી. શિવસેનાની પડતી 2014થી શરૂ થઈ જો કે અગાઉ પણ શિવસેના આવા અપડાઉન્સ જોઈ ચૂકી છે. આફ્ટર બાળા સાહેબ એરાની વાત કરીએ તો શિવસેનાને સૌથી પહેલો અને મોટો સેટબેક 2014માં મળ્યો. 11માંથી 4 શિવસૈનિક સાંસદ પાર્ટી છોડીને જતા રહ્યા. વર્ષ 2019ની વાત કરીએ તો શિવસેનાને સૌથી મોટો ફટકો પડ્યો. ભાજપ-શિવસેનાના ગઠબંધનને બહુમતિ મળી પણ મુખ્યમંત્રી અને સત્તા વહેંચણીમાં ડખો થયો અને બંનેની દોસ્તી તૂટી. અંતે કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી સાથે સરકાર બની અને ઉદ્ધવ મુખ્યમંત્રી બન્યા. ઉદ્ધ પિતાથી મળેલો પક્ષ કે ચિહ્ન પણ ન સાચવી શક્યા જો કે ત્યાર બાદ એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો ફૂંકી દીધો. શિવસેનાના બે ફાડિયા થઈ ગયા. ઉદ્ધવના હાલ ત્યાં સુધી ખરાબ થઈ ગયા કે પિતાના વારસાથી મળેલી પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કે નામ પણ સાચવી ન શક્યા. હાલ શું થઈ રહ્યું છે તે કહેવાની તો કોઈ આવશ્યકતા જ નથી. ટૂંકમાં બાળાસાહેબ પછી શિવસેનાને સમયાંતરે સાતેક જેટલા સેટબેક્સ જોવા મળ્યા. ટૂંકમાં બાળાસાહેબના નિધન બાદ શિવસેનાએ વારસાની લડાઈથી લઈને BJP સાથેના સંબંધો, MVA સરકાર, શિંદે બળવો અને પછી નામ-ચિહ્નના વિવાદ સુધી અનેક મોટા રાજકીય વળાંકો જોયા. દિશાનો કેસ સુશાંતની મોતના મિસ્ટ્રીની ચાવી ફરી પાછા મુદ્દા પર આવી જઈએ. જ્યારે મુંબઈ મનપાની રાજકીય સત્તા ભાજપના હાથમાં ગઈ ત્યારે દિશા સાલિયાન કેસનો ગાળિયો આદિત્ય ઠાકરે પર ઠોકાઈ ગયો હતો. હવે સીબીઆઈ નવેસરથી આ મામલે તપાસ કરવાની છે. એક વસ્તુ અહીં નોટ કરવા જેવી હતી જે કહેવાની રહી ગઈ એ હતી કે દિશાના મોતના બરાબર 6 દિવસ પછી જ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું. અમુક ક્રિમિનલ મામલાઓના એક્સપર્ટ્સનું માનવું છે કે સીબીઆઈની નવી તપાસમાં જે સામે આવશે તે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની માસ્ટર કી બની જશે. હવે રિયા ચક્રવર્તી અને આદિત્ય ઠાકરેના નામ ફરિયાદમાં આવ્યા છે, બની શકે કે આવનાર સમયમાં સુશાંત સિંહ રાજપૂતનો કેસ પણ ખુલી શકે. શું હવે મહારાષ્ટ્ર ભાજપનું? હાલ મહારાષ્ટ્રમાં જે ચાલી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે દિશા સાલિયાન કેસ ઠાકરે પરિવારની રાજનીતિનો અંત હોઈ શકે છે. સીબીઆઈની આગળની તપાસમાં ખબર પડશે કે આગળ શું થશે પણ જો આદિત્ય ઠાકરે પર લાગેલા આક્ષેપો જરા પણ સાચા પડશે તો મહારાષ્ટ્રની રાજનીતિમાં મેઈન પોલિટિકલ પાર્ટી બચીને રહી જશે તો તે માત્ર ભાજપ હશે. જોવાનું રહેશે આગળ શું થશે. અને છેલ્લે… વાત થોડી અલગ છે પણ ટ્રમ્પે સાઉદી અરેબિયાને ફાયટર જેટ આપવાની હા પાડી દીધી છે. કોંકડું ત્યાં ગૂંચવાયું છે કે આ ડિલ પર ચીન નજર તાકીને બેઠું છે. એવામાં અમેરિકાને બીક છે કે સાઉદી અને ચીન નજીક આવી રહ્યા છે. ક્યાંક તેમની ટેક્નોલોજી ચીનના હાથે ન લાગી જાય અને તે સસ્તામાં નવું ફાયટર જેટ ન બનાવી નાખે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    મરાઠી ફિલ્મ 'ગોંધલ'થી ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી:ધુરંધર, બોર્ડર 2, હનુમાન અંશ જેવી 33 ફિલ્મોની રેસમાં બાજી મારી; લોક પરંપરા પર આધારિત છે સ્ટોરી
    Next Article
    AMCએ ભારે વરસાદની આગાહી કરી, લોકો ઘરમાં પૂરાતા તડકો નીકળ્યો:અમદાવાદમાં સિઝનનો 35 ઇંચ વરસાદ, સરેરાશ 3 ઇંચ વરસાદથી જ બોપલથી લઈ વાસણા સુધીના વિસ્તારો જળબંબાકાર થયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment