Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંદુ પિતા-પુત્રને કાપી નાખ્યા, બંગાળમાં ચૂંટણીનો મુદ્દો નથી:હિંસાવાળી 76 બેઠકો, લોકો બોલ્યા- પોલીસ છુપાઈ જાય છે, મમતા બચાવતી નથી

    6 days ago

    પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદનો જાફરાબાદ વિસ્તાર. સાંજના આશરે 5 વાગ્યાનો સમય. પારુલ દાસ રોજની જેમ ઘરના ઉંબરે બેઠા હતા. પાસે જ થાંભલા પર CCTV કેમેરા લાગેલા છે. દીવાલ પર શમશેરગંજ પોલીસનો નંબર લખેલો છે. ઘરની આસપાસ સેના અને BSF જવાન તૈનાત છે. 50 ડગલાં દૂર BSFની બખ્તરબંધ ગાડી ઉભી છે. સુરક્ષાની આ વ્યવસ્થા એક વર્ષ પહેલા થયેલી હિંસાના કારણે હતી. 11 એપ્રિલ 2025ના રોજ વક્ફ સુધારા કાયદાના વિરોધમાં અહીં રેલી કાઢવામાં આવી હતી. બેકાબૂ ભીડે પારુલના પતિ હરગોવિંદ દાસ અને પુત્ર ચંદનને ઘરની સામે જ કાપી નાખ્યા. માત્ર બંગાળ જ નહીં, દેશભરમાં આ ઘટનાનો વિરોધ થયો. રાજ્યમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી છે. જાફરાબાદમાં લોકો તેને મોટો ચૂંટણી મુદ્દો ગણાવી રહ્યા છે અને TMCને હટાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે અહીંથી 142 કિમી દૂર માલદામાં તેની ચર્ચા પણ નથી. માત્ર મુર્શિદાબાદ જ નહીં, છેલ્લા 5 વર્ષમાં માલદા, કૂચબિહાર, નાદિયા, ઝાડગ્રામ, બીરભૂમ અને સંદેશખાલીમાં અનેક હિંસક ઘટનાઓ બની છે. આ વિસ્તારોમાં વિધાનસભાની કુલ 76 બેઠકો છે. તેમાંથી 54 બેઠકો TMC અને 22 BJP પાસે છે. ‘ભીડે પતિ-પુત્રને મારી નાખ્યા, સરકાર પાસેથી આજ સુધી કોઈ મદદ મળી નથી’ સૌથી પહેલા અમે પારુલ દાસને મળ્યા. અમને જોતા જ ત્યાં કેટલાક અન્ય લોકો કેમેરા લઈને પહોંચી ગયા. પૂછપરછ કરતા ખબર પડી કે તેઓ ઇન્ટેલિજન્સ ઓફિસર છે અને અમારી વાતચીત રેકોર્ડ કરવા આવ્યા છે. પરિવાર સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા જ પારુલ ભાવુક થઈ ગયા. તેઓ બાંગ્લામાં કહે છે, ‘આજે પણ પતિ અને પુત્રની રાહ જોઉં છું. જાણું છું કે તેઓ નહીં આવે, પણ શું કરું. ભીડે જે રીતે આંખોની સામે બંનેને કાપી નાખ્યા, તે દ્રશ્ય આજે પણ સપનામાં આવે છે. અમને પોલીસ અને સરકાર તરફથી ન ત્યારે મદદ મળી હતી, ન અત્યારે મળી રહી છે. જે કંઈ પણ કર્યું, તે શુભેન્દુ અધિકારીએ કર્યું. તેઓ જ સમયાંતરે મદદ કરતા રહ્યા છે.’ તમારા ઘર પર અનેક પાર્ટીઓના ઝંડા લાગ્યા છે, શું ચૂંટણીમાં મદદનું કોઈ વચન મળ્યું છે? પારુલ કહે છે, ‘આસપાસ TMC વાળા આવે છે, પણ અમારે ત્યાં શુભેન્દુ અધિકારી સિવાય કોઈ આવ્યું નથી.’ પારુલ હવે બીડી બનાવીને પરિવારનો ખર્ચ ચલાવી રહ્યા છે. તેઓ કહે છે, ‘અફસોસ એ જ છે કે પતિ-પુત્રની હત્યાના 13 દોષિતોને સજા થઈ, પણ ફાંસી ન મળી.’ ‘પાર્ટીઓ ચૂંટણીમાં માત્ર વોટ માગે છે, મુસીબતમાં આવતી નથી’ જાફરાબાદમાં અમે કેટલીક અન્ય મહિલાઓને પણ મળ્યા. હિંસાના સવાલ પર તેઓ કહે છે, ‘અમે ફાળના માહોલમાં જીવી રહ્યા હતા, પરંતુ 24 કલાક BSFની તૈનાતી અને CCTV કેમેરા લાગવાથી ડર ઓછો થયો છે.’ ચૂંટણીને લઈને તેમનું કહેવું છે કે નેતાઓ બસ વોટ માંગવા આવે છે, પણ મુસીબત પડવા પર કોઈ પૂછતું નથી. આ વખતે શાંતિ જળવાઈ રહે તે માટે વોટ કરીશું. ‘હિન્દુ-મુસ્લિમ કહીને ભડકાવે છે BJP, TMC પાસેથી સુરક્ષાની આશા નથી’ ત્યારબાદ અમે મુર્શિદાબાદના ઘનશ્યામપુર ગામ પહોંચ્યા. આ બોર્ડર વાળો વિસ્તાર છે. બાંગ્લાદેશ માત્ર 4 કિમી દૂર છે. અહીં મળેલા સલીમ હિંસાના મુદ્દે કહે છે, ‘અત્યારે શાંતિ છે કારણ કે મમતા સારા CM છે. હિંસા પાછળ BJPનો હાથ છે. તે જ હિન્દુ-મુસ્લિમ કરે છે, તેથી માહોલ બગડે છે. અમે બધા હળીમળીને રહીએ છીએ.’ મુર્શિદાબાદના ધુલિયાનમાં રહેતા મનોરંજન ઘોષનું કહેવું છે કે, ‘ગયા વર્ષે 11 એપ્રિલે વક્ફ બિલને લઈને રેલી નીકળવાની જાણકારી હતી, પણ તે જ લોકોએ હિંસા કરી દીધી. અહીં 33.21% હિન્દુ છે, બાકીના મુસ્લિમ છે. આ વખતે TMCની સરકાર બદલી નાખીશું.’ અહીં જ રહેતા સુમન દાસ કહે છે, ‘હિંસાવાળા દિવસે પોલીસે જ પોલીસ સ્ટેશન પર તાળું લગાવી દીધું હતું. આ સરકાર પાસે સુરક્ષાની આશા કેવી રીતે રાખી શકાય.’ માલદામાં હિન્દુ બોલ્યા- રમખાણોમાં સ્ટેશન બંધ કરીને છુપાઈ જાય છે પોલીસ મુર્શિદાબાદ પછી અમે માલદા પહોંચ્યા. અહીં ગયા વર્ષે મોથાવાડી વિસ્તારમાં રામનવમી પહેલા હિંસા ભડકી હતી. પોલીસ સ્ટેશન પાસેના ચોક પર જ્યાં હિંસા થઈ, ત્યાં મસ્જિદ-મંદિર આસપાસ છે. અહીં મોટાભાગના લોકો કેમેરા પર વાત કરવા તૈયાર ન થયા, માત્ર કૃષ્ણ મંડલ સાથે વાત થઈ. તેઓ કહે છે, ‘રામનવમીના દિવસે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. હિન્દુઓ પર આરોપ લાગ્યો કે તેમણે મસ્જિદ પાસે ફટાકડા ફોડ્યા, જ્યારે એવું બન્યું નહોતું. સેંકડોની ભીડે દુકાનો અને ઘરોમાં તોડફોડ કરી નાખી. બધું લૂંટી લીધું. અમે ફરિયાદ પણ ન કરી શક્યા કારણ કે હિંસા શરૂ થતા જ પોલીસ પોતે છુપાઈ ગઈ હતી. BSF જવાનોના આવવા પર પરિસ્થિતિ કાબૂમાં આવી. અમે ડરમાં જીવીએ છીએ, તેથી આમાંથી છુટકારો મેળવવા માટે વોટ કરીશું.’ નાદિયા, ઝાડગ્રામ અને બીરભૂમમાં તણાવ, જવાનો તૈનાત હવે વાત બાકીના હિંસાવાળા વિસ્તારોની. નાદિયામાં રાજકીય હત્યા મુદ્દો છે અને લોકોની વચ્ચે તેની ચર્ચા પણ છે. અહીં હાઈવે પરથી જ BSF તૈનાત જોવા મળે છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ જવાનો હાજર છે. નિષ્ણાતોનું માનવું છે કે અહીં હિંસા થાય છે, પણ તેને વોટમાં કન્વર્ટ કરવું સરળ નથી. બીરભૂમના ઘણા વિસ્તારોમાં ચૂંટણી પહેલા તણાવનો માહોલ છે. અમે જ્યાં પણ કેમેરા ઓન કરવાની કોશિશ કરી, લોકોએ એ જ પૂછ્યું કે કઈ પાર્ટીએ મોકલ્યા છે. કોઈ પણ વાત કરવા તૈયાર ન થયું. અહીં TMC મજબૂત દેખાઈ રહી છે. વોટિંગ અને પરિણામના દિવસે હિંસાની આશંકાને લઈને પોલીસ સજ્જ છે. બીજી તરફ, 74.06% હિન્દુ વસતી ધરાવતા કૂચબિહારમાં ઠેર-ઠેર કમળના પોસ્ટર દેખાયા. અહીંની 9માંથી 7 બેઠકો પર BJPનો કબજો છે અને તે આ વખતે પણ મજબૂત દેખાઈ રહી છે. ચૂંટણી પર હિંસા અને તણાવની અસર દેખાતી નથી. ત્યાં જ, ઝાડગ્રામમાં ચૂંટણી માહોલમાં થનારી હિંસાને રોકવા માટે સુરક્ષા દળો સતત ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. TMC, BJP અને લેફ્ટ વચ્ચે કડો મુકાબલો છે. સંદેશખાલીમાં જમીન પચાવી પાડવાના અને મહિલાઓના શોષણના કેસોની ચર્ચા છે, કારણ કે BJP તેને લઈને ખાસ અભિયાન ચલાવી રહી છે. જોકે, લોકોની વચ્ચે તેની ચર્ચા નથી. નિષ્ણાતો બોલ્યા- બંગાળમાં હિંસા સામાન્ય વાત, આ ચૂંટણીમાં મુદ્દો નથી આ વખતે ચૂંટણીમાં હિંસા મુદ્દો છે કે નહીં, તે પર રાજકીય વિશ્લેષક પ્રભાકર મણિ તિવારી કહે છે, ‘બંગાળ ચૂંટણીમાં હિંસા પરંપરા બની ચૂકી છે. મુર્શિદાબાદ, બીરભૂમ અને તેની આસપાસના વિસ્તારોમાં નાની-મોટી ઘટનાઓ બને છે, પણ મુદ્દો બની શકતી નથી. હાવડા અને હુગલીમાં પણ પહેલા ઘણી વખત હિંસા થઈ, પણ ચૂંટણીમાં ક્યારેય તેની અસર દેખાઈ નથી.’ હિંસાવાળા વિસ્તારોમાં કઈ પાર્ટી મજબૂત છે? તે પર તેઓ કહે છે, ‘માલદા, ગની ખાનના સમયથી જ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જોકે, હવે ઘણા વિસ્તારોમાં TMCએ ઘૂસણખોરી કરી લીધી છે. ગયા વર્ષે 4 બેઠકો BJPએ પણ જીતી હતી. એ જ રીતે મુર્શિદાબાદમાં પણ 22માંથી 20 બેઠકો TMC પાસે છે, પણ બે બેઠકો પર BJP જીતી છે. બીરભૂમ અને મુર્શિદાબાદમાં TMC મજબૂત છે. માલદામાં પણ એકાદ બેઠક કોંગ્રેસ જીતી શકે છે, તે સિવાય TMC જ મજબૂત દેખાઈ રહી છે.’ મુર્શિદાબાદના શમશેરગંજમાં ચંદન હત્યાકાંડની ઘણી ચર્ચા છે, ચૂંટણીમાં તેની કેટલી અસર થશે? પ્રભાકર કહે છે, ‘તેની ખાસ અસર થવાની નથી. અત્યારે ત્યાં TMC મજબૂત છે.’ રાજકીય નિષ્ણાત સુમન ભટ્ટાચાર્યનું પણ માનવું છે કે બંગાળમાં હિંસા થાય છે, પણ તે ચૂંટણી મુદ્દો બનતી નથી. ખાસ કરીને મુર્શિદાબાદ, માલદા અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસા સામાન્ય વાત છે. મમતા બોલ્યા હતા- મુસ્લિમ હિંસા પણ કરશે, તો સપોર્ટ કરીશું BJP પ્રવક્તા બિમલ શંકર નંદા કહે છે, ‘મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે જે ગાય દૂધ આપે છે, જો તે લાત પણ મારશે તો સહન કરી લઈશું. તેમના કહેવાનો અર્થ સ્પષ્ટ છે કે જો આ સમુદાયના (મુસ્લિમ) લોકો હિંસા પણ કરે છે, તો તેને સપોર્ટ કરશે.’ બીજી તરફ, TMC પ્રવક્તા રિજૂ દત્તા કહે છે, ‘રાજ્યમાં લો એન્ડ ઓર્ડરની જવાબદારી અમારી છે. જો ક્યારેય હિંસા થાય, તો અમારી જ જવાબદારી બનશે. દેશના PM અને કેન્દ્રીય ગૃહ મંત્રી બંગાળમાં આવીને બોલે છે કે બધાનો હિસાબ થશે, કબરથી કાઢીશું. BJP જ હિંસા અને મારામારી કરાવે છે.’
    Click here to Read More
    Previous Article
    નાચતી છોકરીનો હાથ પકડ્યો અને છોકરો ભગાડી ગયો:મૈતેઈ લોકોમાં લગ્નની અનોખી પરંપરા, જન્મતાની સાથે જ બાળકને ખવડાવે છે મીઠું
    Next Article
    Pakistani Woman Shares "Amazing" Experience Of 10-Hour Layover In Mumbai

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment