Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભારે વરસાદી કહેર, ફાયર જવાનો દેવદૂત બન્યા:મીઠાપુર ડુંગરીમાં 68થી વધારે લોકોનું રેસ્ક્યૂ, ચલાલામાંથી 100 લોકોનું સ્થળાંતર, વઢેરા ગામ આખેઆખું જળમગ્ન

    21 hours ago

    અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાબકેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નદી-નાળાઓમાં ઘોડાપૂર આવતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ આપત્તિજનક સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસકાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાત-દિવસ જોયા વગર પ્રશંસનીય કામગીરી કરી રહી છે. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વઢેરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરનાં પાણી વચ્ચે ફસાયેલા 68થી વધારે લોકોનું ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સફળતાપૂર્વક બચાવ કર્યું છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને નદીઓના જળસ્તર તેમજ વરસાદની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચલાલા નગરપાલિકા વિસ્તારમાં 100 લોકોનું સલામત સ્થળાંતર ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લીધે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. સંકલિત બચાવ કામગીરી હાથ ધરીને નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજિત 100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ ચલાલામાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને તંત્ર દ્વારા પળેપળની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જાફરાબાદના વઢેરા ગામમાં બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડાયા જાફરાબાદ તાલુકાના વઢેરા ગામના પ્લોટ વિસ્તારમાં પૂરના ધસમસતા પ્રવાહ ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ફસાઈ ગયા હતા. આ સમયે સ્થાનિક પોલીસના જવાનો વહારે આવ્યા હતા. પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, પોતાની જાનના જોખમે પૂરના પાણીમાં ઊતરીને માસૂમ બાળકો અને અસહાય વૃદ્ધોને તેડીને તથા સહારો આપીને સુરક્ષિત સ્થળે બહાર કાઢ્યા હતા. પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. સાવરકુંડલાના જુના સાવર ગામે 5 કલાક ચાલેલું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન સફળ સૌથી ચોંકાવનારી ઘટના સાવરકુંડલાના જુના સાવર ગામે બની હતી. ઉનાથી જામનગર તરફ કાર ટોઇંગ કરીને લઈ જઈ રહેલી એક ક્રેન અને કાર જુના સાવર ગામ નજીક અચાનક નદીના વહેણમાં તણાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક યુવક મન્સૂરી રિજવાનભાઈ રફીકભાઈ, ઉંમર 21 વર્ષ, રહે. ઉના) જીવ બચાવવા માટે કારની છત પર ચડી ગયો હતો અને ભારે પૂર વચ્ચે 5 કલાક સુધી ફસાયેલો રહ્યો હતો. રાત્રે 2 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય મહેશ કસવાળા, નગરપાલિકા સદસ્ય નાસીર ચૌહાણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, ટી.ડી.ઓ., મામલતદાર અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ રાત્રે 2 વાગ્યે યુવકને સહી-સલામત રીતે બહાર કાઢી નવજીવન આપવામાં આવ્યું હતું. મીઠાપુર ડુંગરીમાં 68 લોકોનું દિલધડક રેસ્ક્યુ ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા 68 લોકો માટે ફાયર વિભાગે વિશેષ બચાવ અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની સીધી સૂચનાના આધારે શરૂ કરાયેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં અમરેલી ફાયર વિભાગના જવાનોએ જોખમ વચ્ચે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. વઢેરા ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી, લોકોને શાળામાં ખસેડાયા જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં સતત વરસાદ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. દિવ્ય ભાસ્કરની ડિજિટલ ટીમ મોડી રાત્રે ગામમાં પહોંચી ત્યારે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાનું અને સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, જનપ્રતિનિધિઓ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની દેખરેખ હેઠળ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામની શાળામાં અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, સૂવાની તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને હીરાભાઈ સોલંકી સહિતના જનપ્રતિનિધિઓ મોડી રાત સુધી સ્થળ પર રહી રાહત કામગીરીમાં જોડાયા હતા. વરસાદ સતત ચાલુ રહેતા લોકોને ચિંતા વધી રહી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વઢેરા ગામના 200થી 300 ઘરોમાં પાણી ઘૂસ્યાનો ગ્રામજનનો દાવો વઢેરા ગામના રહેવાસી મંગાભાઈ પેઠાભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે સવારથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગામના અંદાજે 200થી 300 ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ રાત વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને સવાર સુધી પાણી ઉતરવાની કોઈ શક્યતા દેખાતી નથી. તેમણે જણાવ્યું કે પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યાં રહેવા અને જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામના સરપંચ, આગેવાનો અને સરકારી તંત્રના કર્મચારીઓ સતત રાહત કામગીરીમાં વ્યસ્ત છે. જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં અમરેલી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. દરિયાકાંઠાના તેમજ નીચાણવાળા ગામોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. નદીઓના જળસ્તર, વરસાદની સ્થિતિ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ સ્થળાંતર અને બચાવ કામગીરી માટે ટીમોને સજ્જ રાખવામાં આવી છે. વરસાદ યથાવત રહેતાં આગામી કલાકોમાં પરિસ્થિતિ પર સૌની નજર ટકેલી છે. 5 તાલુકાની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ: રજા જાહેર ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની સૂચના અનુસાર, જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા 5 તાલુકાઓ: સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્રની નાગરિકોને અપીલ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદની સ્થિતિમાં ધૈર્ય રાખવા અને સુરક્ષિત રહેવા જણાવાયું છે. તંત્રએ ખાસ અપીલ કરી છે કે: ------ આ પણ વાંચો : અમરેલીમાં મેઘતાંડવની LIVE 20 તસવીરો:ખોડિયાર અને ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો થતા નદીઓમાં પૂર, રોડ-રસ્તાના ટૂકડા થયા અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ધારી, રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને અમરેલી તાલુકા સહિત અનેક વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ડેમો ઓવરફ્લો થયા છે અને અનેક માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. અહીં ક્લિક કરી જુઓ અમરેલી જિલ્લામાં મેઘતાંડવની 20 તસવીરો.
    Click here to Read More
    Previous Article
    વારસિયામાં ચાલી રહેલી ગેંગવોર રેસકોર્સ સુધી પહોંચી:હરિ સિંધી અને તેના સાગરીતોએ અલ્પુ સિંધીના સાગરિત પર જીવલેણ હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    ગીરમાં સાવજો રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા:અમરાપુર ગામમાં શિકારની શોધમાં બે સિંહોના CCTV ફૂટેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment