Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 5નાં મોત:લિંબાયતમાં રૂમમાં 8 ટન સાડીનું મટિરિયલ પડ્યું હતું, ઘરમાં બે ગેસના બાટલા પણ હતા

    6 days ago

    સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું. જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોર્મ સીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં તણખાં ઝરતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી. જો કે, ફોર્મ આગ ન પકડતું હોવાથી ધૂમાડો ફેલાયો હતો. જેથી તેમાં રહેલા કેમિકલ વાળા ધૂમાડાના કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગૂંગળામણથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકોના નામ શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65) હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ.18) શુભાન રમઝાન અલી અંસારી (ઉં.વ. 4) શબીનાં રમઝાન અલી અંસારી (ઉં.વ. 28) પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19) સાડીના જથ્થા અને જવલનશીલ કેમિકલથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ મળતી માહિતી અનુસાર, આજે સવારે 11 કલાકની આસપાસ લિંબાયત ખાતે આવેલ મીઠીખાડીમાં બેઠી કોલોની વિસ્તારમાં ગ્રાઉન્ડ સહિત બે માળનાં મકાનમાં આગ ફાટી નીકળી હતી. અચાનક આગ પ્રસરીને પાસે જ મુકેલા સાડીના જથ્થા અને જવલનશીલ કેમિકલ પર પ્રસરતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘરમાંથી ધુમાડાનાં ગોટે ગોટા બહાર નીકળતાં આસપાસનાં લોકો પણ ભયભીત થઈ ગયા હતા અને ત્વરિત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને માન દરવાજા અને ડુંભાલ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. એક જ પરિવારનાં પાંચ સભ્યોને બેશુદ્ધ હાલતમાં નિહાળીને ફાયર જવાનો અવાક ઘટના સ્થળે પહોંચ્યા બાદ લશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવાની સાથે મકાનમાંથી એક જ પરિવારનાં પાંચ સભ્યોને બેશુદ્ધ હાલતમાં નિહાળીને અવાક રહી ગયા હતા. તાત્કાલિક તમામને સહારા દરવાજા ખાતે આવેલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તમામનાં મોત નિપજ્યાં હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં ફાયર વિભાગનાં ઉચ્ચાધિકારીઓ પણ ઘટના સ્થળે ઘસી ગયા હતા. 10 ટન સાડીઓના જથ્થાના કારણે ઘરમાં ચાલવાનો પણ રસ્તો નહોતો પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હમણાં જ મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરને મેં કીધું. ઘરકામ કરતી બહેનો ઘરે કામ લાવે છે. તમારે જેટલું કામ મળે એટલું લાવો, સ્ટોક નહીં કરો. 10 ટન જેટલી સાડી એટલે ઘરમાં ચાલવાનો પણ રસ્તો નહોતો રાખ્યો. હમણાં મારી સુરત મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ આ વિસ્તારમાં એનાઉન્સ કરી દેશે, જે કોઈ ઘરમાં આવો મોટો જથ્થો મળશે તો સાંજ સુધીમાં તમે ખાલી કરી નાખો, જો તમે ખાલી નહીં કરો તો અમે બીજા દિવસે સીલ મારી દઇશું. આજે 5 જેટલી કેઝ્યુલિટી થઈ છે, ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. આગમાં 4 મહિલાઓ અને 1 બાળક અંદર ફસાઈ ગયા હતા બસંત પરીખ (ચીફ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, 11 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. આ ઘટના મીઠી ખાડી વિસ્તારની બેઠી કોલોનીમાં બની હતી. આગમાં 4 મહિલાઓ અને 1 બાળક અંદર ફસાઈ ગયા હતા. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો અને ફસાયેલા પાંચેય લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક ફાયરની ગાડી અને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ વાયરિંગ બળેલું દેખાય છે અને અંદરથી બે ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. વધુ તપાસ બાદ જ સચોટ કારણ જાણી શકાશે. ચાર વર્ષીય બાળક સહિત પરિવારનું મોત મૃતકોમાં 65 વર્ષીય શેહનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી, 18 વર્ષીય હુસના બેગમ અબ્દુલ કલામ અંસારી અને 28 વર્ષીય શબીના રમઝાન અલી અંસારી તથા 19 વર્ષીય ખુશનુમા અબ્દુલ અંસારી સહિત માત્ર ચાર વર્ષીય માસુમ સુભાન રમઝાન અલી અંસારીનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોતને પગલે સમગ્ર વિસ્તારમાં પણ અરેરાટી પ્રસરી જવા પામી હતી. આગ પ્રસરતાં જ ઘર ગણતરીનાં સમયમાં જ ચપેટમાં આવી ગયું લિંબાયતમાં બેઠી કોલોની ખાતે આવેલ ગ્રાઉન્ડ સહિત બે માળનાં મકાનમાં પરિવારજનો સાડી પર ચરકનું કામકાજ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે ઘરમાં સાડીઓનો મોટા પ્રમાણ જથ્થો હોવાની સાથે સાથે જવલનશીલ કેમિકલ પણ હતું. આ સાડીના જથ્થા અને કેમિકલ સુધી આગ પ્રસરતાં જ આખે આખું ઘર ગણતરીનાં સમયમાં જ ચપેટમાં આવી ગયું હતું અને પરિવારનાં તમામ સભ્યો કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેઓ કાળનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. આગનો બનાવ બનતા તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસ આવી ગઈ હતી ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું કે, લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠી ખાડીમાં ત્રણ માળનું મકાન છે, નીચે ત્રણ રૂમ રસોડાનું મકાન છે. જે પોતે માલિક છે એ લોકો સાડીનું પેકિંગનું કામ કરે છે. આજે રજા હોવાથી આજે ઘણો બધો મુદ્દામાલ એ લોકો પેકિંગ માટેનો લઈ આવ્યા હતા અને જ્યારે આગનો બનાવ બન્યો અને પોલીસને અને ફાયર અને 108ને જાણ થઈ, તરત પોલીસ અને ફાયર બ્રિગેડ અને 108 આવી ગઈ હતી. પેટ્રોલની વરાળ નીકળે તેમ અંદર ગરમી અને ધુમાડો હતો અન્ય એક યુવકે જણાવ્યું હતું કે, અંદર પૂરેપૂરી આગ લાગેલી હતી, અંદર જવાની કોઈ તક નહોતી. નહીંતર અમે અંદર પહોંચી જ ગયા હોત, પણ ઓક્સિજનના અભાવે અને ધુમાડાને કારણે અંદર જઈ શકાય તેમ નહોતું. અંદરથી 5થી 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેઓની હાલત ખૂબ જ ગંભીર હતી. જેમ પેટ્રોલની વરાળ નીકળે તેમ અંદર ગરમી અને ધુમાડો હતો, જેનાથી આ આગ લાગી હતી. ટ્રાફિક અને સાંકડી ગલીઓને કારણે ફાયરને ભારે હાલાકી શહેરનાં સૌથી ગીચ વિસ્તારોમાં સમાવિષ્ટ બેઠી કોલોનીમાં આગની ઘટના અંગે જાણકારી મળતાં જ માન દરવાજા અને ડુંભાલ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. અલબત્ત, બેઠી કોલોની વિસ્તારમાં સવારનાં સુમારે ભારે ટ્રાફિક અને સાંકડી ગલીઓને કારણે ફાયર વિભાગને ઘટના સ્થળે સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ લાશ્કરો દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવાની સાથે ઘરમાં રહેલા પરિવારનાં સભ્યોનું રેસક્યુ પણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન ઘણું મોડું થઈ ગયું હતું અને પરિવારજનોનાં ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં. દરવાજો ખોલ્યો ત્યારે અંદર બધા મૃત હાલતમાં મળી આવ્યા યુનુસ ખાન (સંબંધી) એ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ તરત જ આગ તો ઓલવી નાખી હતી, પણ જ્યારે પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે અંદર બધા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકી નહોતી કારણ કે રસ્તામાં લોકોએ આડેધડ બાઈક, ટેમ્પો અને ગાડીઓ પાર્ક કરી હતી. આ પ્રકારનું 'ફોર્મ' ખૂબ જ ખતરનાક છે, જે ગરમીમાં આપોઆપ પણ આગ પકડી શકે છે. સરકાર આ બાબતે યોગ્ય પગલાં ભરે અને રસ્તાઓ ખુલ્લા કરાવે તેવી તેમની માગ છે. પાંચેય લોકોએ ગભરાઈને દરવાજો બંધ કરી દેતા ગૂંગળામણથી મોત થયું કાદિર શેખ (સ્થાનિક) એ જણાવ્યું હતું કે, આજની ઘટના મીઠી ખાડી, બેટી કોલોનીના રહેણાંક વિસ્તારમાં બની હતી. અહીં યુપીથી આવેલા ઘણા પરપ્રાંતીય લોકો (ખાસ કરીને બનારસના) વસવાટ કરે છે. તેઓ ગુજરાન ચલાવવા માટે ઘરે સાડી પેકિંગ અને મજૂરીકામ કરે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. કેટલાક તેને શોર્ટ સર્કિટ કહે છે, તો કેટલાક સ્ટોવને કારણે આગ લાગી હોવાનું કહે છે. ઘરમાં ફોર્મ પેપરનો જથ્થો ઘણો વધારે હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. ગભરાટમાં લોકો ઘરની પાછળના ભાગે ગયા અને દરવાજો બંધ કરી દીધો. આગના ધુમાડાને કારણે ગૂંગળામણ થવાથી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જેમાં ચાર મહિલાઓ અને એક ચાર વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ઈટાલીએ અમેરિકાને સૈન્ય બેઝ આપવાનો ઇનકાર કર્યો:સ્પેને પણ એરસ્પેસ આપવાની ના પાડી હતી, રશિયાએ કહ્યું- અમેરિકા-ઈઝરાયલ શાંતિ નથી ઈચ્છતા
    Next Article
    પોરબંદરમાં બાલા હનુમાન મહોત્સવ:10,000 બોટલ રક્ત લક્ષ્યાંક સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન, કેન્દ્રીય મંત્રી પ્રારંભ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment