Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની પ્રી-મોન્સૂન બેઠકમાં શાસકો લાલઘૂમ:અધિકારીઓની આળસ પર સ્થાયી સમિતિ ચેરમેને ધૂળ કાઢી નાખી, ઝીંગા તળાવ મુદ્દે માત્ર 5% કામગીરી થતાં ભારે નારાજગી

    2 weeks ago

    અગાઉના વર્ષોના કડવા અનુભવોમાંથી પાઠ ભણીને સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ચોમાસા દરમિયાન શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે મેયરની અધ્યક્ષતામાં એક મહત્વની પ્રી-મોન્સૂન રિવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તેમજ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરો અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, બેઠક દરમિયાન ચોમાસાની પૂર્વતૈયારીઓમાં અધિકારીઓની ઘોર બેદરકારી, આળસ અને પૂરતા ડેટાના અભાવે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. ખાસ કરીને સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે વિગતો વિના આવેલા જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો અને વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. ડેટા વગર જ મીટિંગમાં આવી ગયેલા અધિકારીઓની આકરી ઝાટકણી મળતી માહિતી મુજબ, મેયરની અધ્યક્ષતામાં મળેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં જ્યારે વિવિધ ઝોનની કામગીરી અને ચોમાસાના આયોજન અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી, ત્યારે મોટાભાગના ઝોનના અધિકારીઓ પાસે કોઈ નક્કર આંકડા કે રિપોર્ટ તૈયાર નહોતા. અધિકારીઓની આ પ્રકારની બિનજવાબદાર કાર્યપદ્ધતિ જોઈને સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે તીખા શબ્દોમાં અધિકારીઓની આળસની ધૂળ કાઢી નાખી હતી. ચેરમેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના બજેટ અને આટલા મોટા સ્ટાફ હોવા છતાં ગંભીર વિષયો પર અધિકારીઓ હોમવર્ક કર્યા વિના અને ડેટા વગર જ મીટિંગમાં આવી જાય તે ચલાવી લેવાય નહીં. સુરત માટે દર ચોમાસે માથાનો દુખાવો બનતી ખાડી પૂરની સમસ્યા અંગે પણ બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. ચોમાસામાં ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની સંયુક્ત આગેવાની હેઠળ ખાડી પૂર નિવારણ સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં એવું ચિત્ર બહાર આવ્યું છે કે આ કમિટી બન્યા બાદ શરૂઆતમાં એકાદ-બે મીટિંગો થઈ હતી, પરંતુ ત્યારબાદ મનપા કમિશનરની બદલી થતાં જ આખી કમિટી જાણે નિષ્ક્રિય થઈ ગઈ છે અને સદંતર ઊંઘી ગઈ હોય તેવી હાલત સર્જાઈ છે. આ સમિતિ પર જામેલી ધૂળ ખંખેરવા માટે શાસકોએ આદેશ આપ્યા છે. આ આળસના પરિણામે આગામી અઠવાડિયે હવે નવા મનપા કમિશનર આ ગંભીર મુદ્દે સુરત કલેક્ટર સાથે એક વિશેષ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરશે. પ્રભારી મંત્રીની સૂચના તંત્ર ધોળીને પી ગયું સુરતના ડાયમંડ બુર્સની પાછળ અને મીંઢોળા નદીના મુખ પર ગેરકાયદેસર રીતે ધમધમતા ઝીંગાના તળાવો ચોમાસામાં ભયાનક ખાડી પૂર નોતરે છે. નદીના કુદરતી પ્રવાહને અવરોધતા આ તળાવોને તાકીદે દૂર કરવા માટે આજથી 6 મહિના પહેલા રાજ્યના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ વહીવટી તંત્રને કડક સૂચના આપી હતી. આમ છતાં, આજની મીટિંગમાં જે ચોંકાવનારો ખુલાસો થયો તેનાથી શાસકો સ્તબ્ધ થઈ ગયા હતા. અધિકારીઓની ઢીલી નીતિના કારણે આટલા મહિનાઓમાં ઝીંગા તળાવો હટાવવાની બાબતે માત્ર 5 ટકા જેટલી જ કામગીરી થઈ શકી છે. જાણે પ્રભારી મંત્રીની સૂચનાને તંત્ર ઘોળીને પી ગયું હોય તેવી બેદરકારી સામે આવતા ચેરમેન રાજન પટેલે તમામ જવાબદાર અધિકારીઓને આડે હાથ લીધા હતા અને પ્રક્રિયા ઝડપી બનાવવા તાકીદ કરી હતી. શહેરમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અગાઉની બેઠકોમાં જ્યાં પણ પ્રી-મોન્સૂન દરમિયાન પાણી ભરાવાના સ્પોટ (વોટર લોગિંગ એરિયા) આઈડેન્ટિફાય થયા હોય, ત્યાં ફરજિયાતપણે વોટર હાર્વેસ્ટિંગ બોર બનાવવાની સૂચના આપવામાં આવી હતી. આ કામગીરીની સમીક્ષા કરતા માલૂમ પડ્યું હતું કે, માત્ર રાંદેર ઝોન દ્વારા આ દિશામાં સંતોષકારક કામગીરી કરવામાં આવી છે, જ્યારે તે સિવાયના મોટાભાગના તમામ ઝોનમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરી અત્યંત મધ્યમ અને ધીમી ગતિએ ચાલી રહી છે. ચેરમેને આ તમામ પ્રોજેક્ટ્સને યુદ્ધના ધોરણે ગતિ આપવા માટે એન્જિનિયરિંગ વિભાગને સૂચના આપી છે. ભારે વરસાદને પહોંચી વળવા ડી-વોટરિંગ પંપ તૈયાર રાખવા આદેશ ચોમાસા દરમિયાન ટૂંકા ગાળામાં જો ભારે વરસાદ ખાબકે, તો લો-લાઈંગ એરિયા અને ગરનાળાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક પાણીના નિકાલ માટે હાઈ-કેપેસિટી ધરાવતા ડી-વોટરિંગ પંપ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. સ્થાયી સમિતિના ચેરમેને તમામ ઝોનલ ચીફને આદેશ આપ્યો છે કે, શહેરમાં સહેજ પણ પાણી ભરાય કે તરત જ પંપિંગ શરૂ થઈ શકે તે માટેના તમામ મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ પંપો અત્યારથી જ ચાલુ કન્ડિશનમાં ટેસ્ટ કરીને તૈયાર રાખવામાં આવે. પંપ ઓપરેટ કરનારા સ્ટાફ અને ડીઝલની ઉપલબ્ધતામાં કોઈ પણ પ્રકારની ખામી ચોમાસા દરમિયાન ચલાવી લેવામાં આવશે નહીં. શાસકોની અધિકારીઓને છેલ્લી ચેતવણી આ હાઈ-લેવલ પ્રી-મોન્સૂન મીટિંગના અંતે શાસક પક્ષ તરફથી અધિકારીઓને કડક શબ્દોમાં અંતિમ ચેતવણી આપી દેવામાં આવી છે. મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાએ સંયુક્ત સૂર પુરાવતા જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન મનપાના પદાધિકારીઓ કે અધિકારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું બહાનું ચાલશે નહીં. ગત વર્ષોમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે સ્થાનિક નાગરિકોને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. વહીવટી તંત્ર અને શાસકો જનતા પ્રત્યે જવાબદારી ધરાવે છે, તેથી જો આગામી ચોમાસામાં કોઈ પણ વિસ્તારમાં તંત્રની આળસના કારણે પાણી ભરાવાની કે પૂરની સ્થિતિ સર્જાશે અને જનજીવન પ્રભાવિત થશે, તો તેવા તમામ કિસ્સામાં સંબંધિત ઝોનના વડા અને જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. આ કડક આદેશ બાદ હવે આગામી દિવસોમાં મનપાનું વહીવટી તંત્ર કેટલી ઝડપથી સફાળું જાગે છે અને કામગીરી પૂર્ણ કરે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ:કીટ મુદ્દે કર્મચારીઓ અને વહીવટી તંત્ર સામસામે, કામચોરી કરનારાઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની મોટી ચેતવણી
    Next Article
    ટીપી રોડ પર આવતા દબાણો દૂર કરાયા:ઇસનપુરમાં રોડ કપાતની 18 દુકાનો તોડી પાડવામાં આવી, કાંકરિયા લેકમાં સાયકલ અને ઇ-બાઇક શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment