Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ સિવિલ હોસ્પિટલ લિકર પરમિટ કૌભાંડ, 5 કર્મચારીની હકાલપટ્ટી:આરોગ્ય મંત્રીએ 4 આઉટસોર્સિંગ કર્મચારીને ફરજ પરથી બરતરફ અને ક્લાર્કને સસ્પેન્ડ કર્યા, ત્રણ આરોપીની ધરપકડ

    1 week ago

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટના નામે આચરવામાં આવેલા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા તાત્કાલિક અસરથી પાંચ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે. જેમાં ચાર આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે એક કાયમી સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. અમદાવાદમાં ત્રણ આરોપીની ધરપકડ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટના વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક અને આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા પૈસા ઓનલાઈન ખાતામાં જમા કરાવવાની જગ્યાએ રોકડ રકમમાં લઈને અંગત લાભ માટે વાપરી નાખ્યા હતા. સવા ત્રણ મહિનામાં 9 લીકર પરમિટધારકોના પરમિટની યુઝર ફી કુલ રૂ. 1.80 લાખ લઈ લીધી હોવાનું સામે આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના લીકર પરમિટ વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર દ્વારા સમગ્ર મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. લીકર પરમિટ ઓફિસમાં કૌભાંડ મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ડો. જયંત સોલંકી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને લીકર પરમિટ વિભાગના ઇન્ચાર્જ તરીકે પણ કામગીરી કરે છે. લીકર પરમિટ ઓફિસમાં સિનિયર ક્લાર્ક તરીકે કરસનસિંહ વાઘેલા અને કેશિયર તરીકે આઉટસોર્સિંગના કર્મચારી નવીન ડાભી, અન્ય એક કર્મચારી વસંત નીનામા અને મેહુલભાઈ પીઠે નોકરી કરે છે. લીકર પરમીટના યૂઝર ફીના નવા પરમીટના ₹25,000 અને પરમીટ રીન્યુ કરવાના 20,000 રૂપિયા ઓનલાઈન રોગી સમિતિના બેન્ક એકાઉન્ટમાં લેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટરને ઉચાપત થઈ હોવાની ધ્યાને આવ્યું હતું. ‘1.80 લાખ રૂપિયા થતા હતા જે ખાતામાં જમા થયા નથી’ એસીપી રીના રાઠવાએ જણાવ્યું હતું કે, ડો. જયંત સોલંકીના દ્વારા લીકર પરમિટના અરજદારોના રજીસ્ટર તપાસવામાં આવ્યા હતા. એમાં નવ જેટલા લીકર પરમિટ ધારકો દ્વારા જાન્યુઆરી 2026થી અત્યાર સુધી પરમિટ લેવા માટે અરજી કરવામાં આવી છે. તેના ઓનલાઈન પૈસા કુલ 1.80 લાખ રૂપિયા થતા હતા જે ખાતામાં જમા થયા નથી. જેથી આ બાબતે તપાસ કરતા સિનિયર ક્લાર્ક કરશનસિંહ અને આઉટસોર્સિંગના ત્રણ કર્મચારીઓ દ્વારા ઓનલાઇન ખાતામાં પૈસા જમા કરાવવાની જગ્યાએ રોકડ રકમમાં અરજદારો પાસેથી પૈસા લઈ લેતા હતા. કેસર તરીકે તેઓ પહોંચ પણ ઓનલાઇન ખાતામાં પૈસા જમા થયા હોવાની આપવામાં આવતી હતી. ‘નવ અરજદારોના પૈસા જમા કરાવવામાં આવ્યા નથી’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નવ જેટલા અરજદારોના પૈસા જમા કરાવવામાં આવ્યા નથી. આ અગાઉ પણ અન્ય કોઈ લીકર પરમિટ માટે અરજદારના પૈસાની ઉચાપત કરી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. લીકર પરમીટ વિભાગના જેટલા પણ રજીસ્ટર તેમજ બેન્ક એકાઉન્ટ છે તેનું વેરિફિકેશન કરી અને સમગ્ર બાબતે આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે. રોગી કલ્યાણ સમિતિના ફંડમાં ઉચાપતનું કૌભાંડ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર મુજબ, લિકર પરમિટ મેળવવા માટે અરજદારે નિયત ફી રોગી કલ્યાણ સમિતિ (RKS) ના ફંડમાં જમા કરાવવાની હોય છે. નવી પરમિટ માટે 25,000 અને જૂની પરમિટના નવીનીકરણ માટે 20,000ની ફી નક્કી કરવામાં આવી છે. આ રકમ સીધી સમિતિના ખાતામાં જમા થાય તે હેતુથી ક્યુઆર (QR) કોડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જોકે, કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ આ સરકારી નાણાં પોતાના અંગત ખિસ્સામાં પધરાવી દઈ સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. લિકર પરમિટ ઓફિસમાં QR કોડ હોવા છતાં રોકડ વ્યવહાર કરાયો હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા પરમિટ ધારકોની સુવિધા માટે અને પારદર્શિતા જાળવવા માટે ખાસ ક્યુઆર કોડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. સૂચના મુજબ કોઈપણ સંજોગોમાં રોકડ રકમ સ્વીકારવાની મનાઈ હતી. આમ છતાં, લિકર પરમિટ ઓફિસમાં રોકડ વ્યવહારો થતા હોવાની ફરિયાદ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને મળી હતી. સમિતિના સત્તાવાર ખાતામાં રુપિયા જમા થતા નહોતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કર્મચારીઓ અરજદારો પાસેથી રોકડા રૂપિયા લેતા હતા અને રેકોર્ડ પર વ્યવહારને ઓનલાઇન ટ્રાન્સફર તરીકે દર્શાવતા હતા, જે ખરેખર રોગી કલ્યાણ સમિતિના સત્તાવાર ખાતામાં જમા થતા નહોતા. અરજદારોએ રોકડા નાણાં ચૂકવ્યા છતાં રસીદમાં ઓનલાઇન પેમેન્ટ બતાવાયું આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે કેટલાક ફરિયાદકર્તાઓએ પુરાવા રજૂ કર્યા. આ પુરાવાઓમાં રોગી કલ્યાણ સમિતિની રસીદો તો હતી, જેમાં રસીદ નંબર, તારીખ અને સમય સાચા હતા, પરંતુ ટ્રાન્ઝેક્શન મોડ ખોટો દર્શાવ્યો હતો. અરજદારોએ રોકડા નાણાં ચૂકવ્યા હોવા છતાં રસીદમાં ઓનલાઇન પેમેન્ટ બતાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આવા 6 થી વધુ કિસ્સાઓ મળી આવ્યા હતા. જ્યારે સિવિલ ઓફિસ દ્વારા પરમિટ ધારકોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ પુષ્ટિ કરી કે તેઓએ ઓફિસમાં રોકડ રકમ જ ચૂકવી છે. કર્મચારીઓની પૂછપરછ અને વહીવટી મડાગાંઠ શંકાસ્પદ ગેરરીતિ જણાતા લિકર પરમિટ ઓફિસમાં કાર્યરત સ્ટાફને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ સ્ટાફમાં એક કાયમી ક્લાર્ક અને ત્રણ આઉટસોર્સિંગ ડેટા એન્ટ્રી ઓપરેટરોનો સમાવેશ થતો હતો. અડધા કલાકથી વધુ ચાલેલી સઘન પૂછપરછ છતાં, આ કર્મચારીઓએ મચક આપી નહોતી અને તેઓએ કોઈપણ પ્રકારના રોકડ વ્યવહાર કર્યા હોવાનો સાફ ઇનકાર કર્યો હતો. કર્મચારીઓના અસહકારભર્યા વલણને કારણે વહીવટી તંત્રએ આ મામલે કાયદાકીય માર્ગ અપનાવવાનો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો મક્કમ નિર્ણય લીધો હતો. બેઠક યોજાઈ અને પોલીસ ફરિયાદનો નિર્ણય કરાયો પરિસ્થિતિની ગંભીરતાને જોતા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એડિશનલ MS, સિનિયર પ્રોફેસરો, RMO અને એકાઉન્ટ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. લાંબી ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાયો કે વહીવટી તંત્રએ વધુ વિલંબ કર્યા વિના પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. ત્યારબાદ તુરંત જ સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા. આ સાથે જ ડો. જયંત સોલંકીને પોલીસ ફરિયાદ અને સંબંધિત કાયદાકીય મુદ્દાઓ માટે ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરાઈ માત્ર પોલીસ કાર્યવાહી જ નહીં, પણ સંસ્થાકીય સ્તરે પણ ઊંડી તપાસ કરવા માટે પાંચ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીએ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોતાની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. તપાસ સમિતિએ બાબતની પણ ચકાસણી કરશે કે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોઈ મોટા અધિકારીઓની સંડોવણી છે કે કેમ. અત્યાર સુધીના ડેટાના આધારે પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. પ્રફુલ પાનસુરીયાએ પાંચ આરોપીની હકાંલપટ્ટી કરી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે આવતા પૈસા રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાના હોય છે. નવી પરમિટ માટે 25,000 અને જૂની રીન્યુ કરવા માટે 20,000ની ફી QR કોડ દ્વારા જમા કરાવવાની જોગવાઈ છે. કેટલાક કર્મચારીઓ આ પૈસા રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકતા હતા. ફરિયાદકર્તાઓએ પૈસા આપ્યા હોવા છતાં તેમના નામ જમા થયેલા પૈસાની યાદીમાં નહોતા. 4 આઉટસોર્સિંગ કર્મચારી બરતરફ અને સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરાયા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યુ હતું કે, આ કૌભાંડમાં સામેલ 4 આઉટસોર્સિંગ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. એક સરકારી ક્લાર્કને પણ સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ ટીમ આ અંગે ઝીણવટભરી તપાસ કરશે અને જેટલા પણ પૈસાની ગેરરીતિ થઈ છે તે વસૂલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચેટીચાંદની રેલી બાદ સિંધી યુવકો પર પાઇપ-છરીથી હુમલો:યુવકને માથામાં 20થી વધુ ટાંકા આવ્યા, 15 દિવસમાં મારામારીની બીજી ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ
    Next Article
    નવસારી યુવક સાથે સાયબર ફ્રોડ:ફેસબુક પર લોનની જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરતા જ 4900 રૂપિયા ગુમાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment