Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત:ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો; દાયકા પછી સેશન્સ કોર્ટનો ચૂકાદો, 38 નિર્દોષ

    11 hours ago

    11 જુલાઈ 2016ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (16 માર્ચ 2026)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય 38 વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 2016ની 11 જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા 4 અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. FIR અને લાંબી કાનૂની લડત જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી FIRમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જોકે, 1 દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે 5 શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે. દોષિત ઠરેલા આરોપીઓની યાદી સજા પર દલીલો આવતીકાલે કોર્ટે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે પરંતુ તેમને કેટલી સજા થશે તે અંગેનો નિર્ણય હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. અદાલતના જણાવ્યા અનુસાર, આવતીકાલે 17 માર્ચ 2026ના રોજ બચાવ પક્ષ અને સરકારી પક્ષના વકીલો સજાની અવધિ અંગે આખરી દલીલો કરશે. આ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ પોતાનો અંતિમ ચૂકાદો સંભળાવશે. અન્ય આરોપીઓ નિર્દોષ મુક્ત આ કેસમાં સામેલ અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ સંવેદનશીલ કેસ પર સ્થાનિક લોકો અને વિવિધ સામાજિક સંગઠનોની નજર હતી. આવતીકાલે સજાની જાહેરાત સાથે જ આ લાંબી કાનૂની લડતનો અંતિમ પડાવ પૂર્ણ થશે. હવે જાણો આખો બનાવ શું હતો… 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના એક અનુસૂચિત જાતિ પરિવારના સાત સભ્યો મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષક હોવાનો દાવો કરનારા કેટલાક શખસે આવીને આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને ગૌહત્યાનો પાયાવિહોણો આરોપ લગાવી પરિવાર પર હુમલો કર્યો હતો. પીડિતોને ગાડી સાથે બાંધી લાકડીઓ અને લોખંડના પાઈપથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં ચાર યુવકોને ઉના શહેરમાં લાવી જાહેરમાં અર્ધનગ્ન કરી ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને ‘દલિત અસ્મિતા યાત્રા’ વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં અમદાવાદથી ઉના સુધીની 'દલિત અસ્મિતા યાત્રા' યોજાઈ હતી. 15 ઓગસ્ટ 2016ના રોજ ઉના ખાતે હજારોની સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને પરંપરાગત સફાઈ તથા મરેલા પશુઓના નિકાલના કામનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાનૂની કાર્યવાહીની ટાઈમ લાઈન પીડિતોની મુલાકાતે જનસૈલાબ ઉમટ્યો હતો મોટા સમઢીયાળા ગામે જ્યારે આ અમાનવીય ઘટના બની ત્યારે પીડિત પરિવારોને સાંત્વના આપવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી સામાજિક કાર્યકરો, દલિત સંગઠનો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને પીડિતોના ઘરની આસપાસ સતત લોકોની અવરજવર રહેતી હતી. આ મુલાકાતો માત્ર સહાનુભૂતિ પુરતી મર્યાદિત ન રહેતા એક મોટા જનઆંદોલનમાં પરિવર્તિત થઈ હતી, જેમાં 'ચલો ઉના' જેવા નારાઓ સાથે હજારો લોકોએ પદયાત્રામાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી પણ ઉના પહોંચ્યા હતા આ ઘટનાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓ પીડિતોને મળવા ઉનાના મોટા સમઢીયાળા અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી જેવા નેતાઓએ પીડિતોની મુલાકાત લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તત્કાલિન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પીડિતોના ઘરે જઈને ન્યાયની ખાતરી આપી હતી. આ રાજકીય મુલાકાતોને કારણે આ મુદ્દો સંસદ સુધી ગાજ્યો હતો અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ અત્યાચારનો ભોગ બનેલા યુવાનોને જ્યારે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે હોસ્પિટલ પરિસર એક છાવણીમાં ફેરવાઈ ગયું હતું. હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હતા, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. પીડિતોની તબિયત જાણવા આવતા લોકો અને નેતાઓની ભીડને સંભાળવી તંત્ર માટે પડકારજનક બની હતી. આ દરમિયાન આત્મવિલોપનના પ્રયાસો જેવી ઘટનાઓ પણ હોસ્પિટલના પટાંગણમાં બની હતી, જે લોકોમાં વ્યાપેલી તીવ્ર નારાજગી દર્શાવતી હતી. ઉશ્કેરાયેલા દલિતોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો આ ઘટનાએ દલિત સમુદાયમાં એક નવી જાગૃતિ અને એકતાના દર્શન કરાવ્યા હતા. પીડિતોને મળવા આવેલા લોકોમાં માત્ર એક જ જ્ઞાતિના નહીં, પરંતુ વિવિધ સમાજના અગ્રણીઓ પણ સામેલ હતા જેમણે આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ મુલાકાતો દરમિયાન પીડિતોને આર્થિક સહાયની જાહેરાતો થઈ અને ન્યાય માટે સ્પેશિયલ કોર્ટની માંગણીઓ ઉઠી હતી. બીજી તરફ ભોગ બનનાર દલિત પરિવારે એ વખતે મીડિયા સામે એવું કહેલું કે અમને હિન્દુ માનવામાં નથી આવતા એટલે અમે બૌદ્ધ ધર્મ અંગિકાર કરીશું. થયું પણ એવું જ. એપ્રિલ 2018માં હજારો દલિતોની હાજરીમાં 450 જેટલા દલિતોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    તાપીના સોનગઢના ગીધમાડી આયા ડુંગર પર દબાણનો મુદ્દો ગરમાયો:મુખ્યમંત્રીના આદેશ છતાં દબાણ કેમ દૂર નથી થતું? કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી
    Next Article
    ચેકબાઉન્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:ગીર સોમનાથ પોલીસે રૂ. 19.50 લાખના દાવા સાથે ત્રણ સજા વોરંટ હેઠળ આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment