Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અન્નામલાઈ ભાજપ માટે ખતરો કે સિક્રેટ પ્લાનનો ભાગ?:5 મહિનામાં નવો પક્ષ બનાવશે, થલાપતિ વિજય સામે કેવી રીતે ટકી શકશે?

    1 day ago

    વાત 17 જૂન 2015ની છે. કે. અન્નામલાઈ કર્ણાટકના ઉડુપીના SP હતા. તેમની નિમણૂકના 6 મહિના પછી 17 વર્ષની એક સગીરા પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવાનો મામલો સામે આવ્યો. અન્નામલાઈ પરિવારને મળવા પહોંચ્યા. પીડિતાની માતાએ તેમને પૂછ્યું- 'શું તમે મારી દીકરીને પાછી લાવી શકો છો?' અન્નામલાઈએ જવાબ આપ્યો- 'ના, પણ હું એટલું ચોક્કસ કરી શકું છું કે તે બધાના દિલમાં જીવતી રહે અને દરેક વ્યક્તિ તેને યાદ રાખે.' અન્નામલાઈએ તે છોકરીના નામે 10 હજાર રૂપિયાની સ્કોલરશિપ શરૂ કરી દીધી. પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા અન્નામલાઈના આવા અનેક કિસ્સા કર્ણાટકમાં લોકપ્રિય બનતા ગયા. અચાનક તેમણે 2019માં નોકરી છોડી દીધી અને પોતાના વતન તમિલનાડુ પાછા ફર્યા. ઑગસ્ટ 2020માં તેઓ ભાજપમાં જોડાયા. માત્ર 11 મહિના પછી જ તેમને પ્રદેશ પ્રમુખ બનાવી દેવાયા. તમિલનાડુમાં પોતાના પગભર થવા મથી રહેલી ભાજપને એક મોટા ચહેરાની જરૂર હતી અને અન્નામલાઈને એક મોટા પ્લેટફોર્મની. 6 વર્ષ પછી 2 જૂન, 2026ના રોજ આ સાથ છૂટી ગયો. આ દરમિયાન અન્નામલાઈને પ્રમુખ પદ છોડવું પડ્યું. તેમને ભાજપ અને AIADMKનું ગઠબંધન તૂટવાનું મુખ્ય કારણ માનવામાં આવ્યા. પાર્ટીમાં તેમને હાંસિયામાં ધકેલી દેવાયા. ચૂંટણીમાં ટિકિટ પણ ન મળી. આ પછી તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને 5 જૂને એક નવા અભિયાનની જાહેરાત કરી દીધી. આને તેમણે લીડરશિપ મૂવમેન્ટ ગણાવ્યું. તેને નામ આપ્યું- 'ઇધુ નમ્મા ઇયક્કમ'. જેનો અર્થ થાય છે 'આ અમારું આંદોલન છે'. અન્નામલાઈ આ આંદોલનને રાજકીય પક્ષમાં બદલીને 2031ની વિધાનસભા ચૂંટણી લડશે. હવે 4 સવાલો… અન્નામલાઈનું આ આંદોલન રાજકીય પક્ષમાં ક્યારે બદલાશે? શું તેમના રાજીનામા પછી તમિલનાડુમાં ભાજપ વેરવિખેર થઈ જશે? શું અન્નામલાઈના આંદોલનની પાછળ આખી રમત ભાજપની જ છે? શું અન્નામલાઈનો પક્ષ થલાપતિ વિજયની TVK જેવો કમાલ કરી શકશે? અને તેના જવાબો… 1. અન્નામલાઈનું આ આંદોલન રાજકીય પક્ષમાં ક્યારે બદલાશે? ભાજપ છોડ્યા બાદ અન્નામલાઈએ wetheleader.org પોર્ટલ બનાવ્યું છે. 5 જૂનથી આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમણે કહ્યું કે પહેલા હું લોકોને આ આંદોલન સાથે જોડીશ, ત્યારપછી તેમને ટ્રેનિંગ આપીને રાજકીય પક્ષ બનાવીશ. 10 જૂન સુધીમાં 17 લાખથી વધુ લોકો આ આંદોલન સાથે જોડાઈ ચૂક્યા છે. ભાજપના ભૂતપૂર્વ સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ અને અન્નામલાઈના સમર્થનમાં ભાજપ છોડનારા કરુ નાગરાજન કહે છે, 'વી ધ લીડર્સ તમિલનાડુના લોકોનું આંદોલન છે. અમારા પ્રમુખ અન્નામલાઈએ સામાન્ય લોકોને, ખાસ કરીને યુવાનોને જોડાવા માટે વિનંતી કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં લોકો સભ્યો બની ચૂક્યા છે. અમારો પ્લાન છે કે 3 થી 4 મહિનાની અંદર આ લોકોને કોઈમ્બતૂરમાં તાલીમ આપીને ભવિષ્યના નેતા બનાવવામાં આવે. આ જ લોકોમાંથી અમે પક્ષ માટે નેતૃત્વ તૈયાર કરીશું.' શું પક્ષ બનાવવાની કોઈ સમયમર્યાદા નક્કી છે? નાગરાજન જવાબ આપે છે, 'જૂનના અંત સુધી સભ્યપદ અભિયાન ચાલશે. જ્યારે અમારી પાસે સભ્યોનો મોટો આંકડો આવી જશે, ત્યારે અમે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરીશું. ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે અમે રાજકીય પક્ષ બનાવવાની દિશામાં આગળ વધી જઈશું.' 2. શું અન્નામલાઈના રાજીનામા પછી તમિલનાડુમાં ભાજપ વેરવિખેર થઈ જશે? અન્નામલાઈએ રાજીનામું આપતા પહેલા દાવો કર્યો હતો કે તેઓ પક્ષના હાઈકમાન્ડને છેલ્લા 18 મહિનાથી મતભેદો વિશે જણાવી રહ્યા હતા. 5 ડિસેમ્બર 2025ના રોજ જ તેમણે પક્ષ છોડવાની માહિતી આપી દીધી હતી, પરંતુ દિલ્હીથી એવો મેસેજ મળ્યો હતો કે તમે મે મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રોકાઈ જાઓ. 20થી વધુ પુસ્તકો લખી ચૂકેલા તમિલનાડુના રાજકીય વિશ્લેષક માલન નારાયણન આ અંગે કહે છે, 'ભાજપમાં હતા ત્યારે અન્નામલાઈએ DMKના મંત્રીઓ અને સાંસદો પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. તેમણે રાજ્યપાલને 'DMK ફાઇલ્સ' સોંપી હતી. કેન્દ્ર સરકારે આ બાબતે આંખ આડા કાન કર્યા. ભાજપે DMK સામે એટલી આક્રમકતાથી કામ ન લીધું, જેટલું તેણે AAP અને TMC સામે લીધું હતું.' '6 મે 2022ના રોજ પ્રદેશ પ્રમુખ તરીકે અન્નામલાઈએ મોટા ફેરફારો કર્યા હતા. તેમણે RSS સાથે જોડાયેલા લોકોને નિયુક્ત કરવાની પરંપરાથી હટીને દ્રવિડિયન વિચારધારાવાળા પક્ષોમાંથી આવેલા લોકોને સામેલ કર્યા. ભૂતપૂર્વ AIADMK સાંસદ શશિકલા પુષ્પા, એજી સંપત, ભૂતપૂર્વ DMK ધારાસભ્ય વીપી દુરાઈસામી આના ઉદાહરણો છે. આ નિર્ણયથી RSS ખુશ નહોતું.' અન્નામલાઈના રાજીનામા પછી પક્ષમાં બીજા નંબરના નેતા રહેલા કરુ નાગરાજન સિવાય પ્રદેશ સચિવ સુમતિ વેંકટેશ અને અન્ય 14 હોદ્દેદારો ભાજપ છોડી ચૂક્યા છે. કરુ નાગરાજન કહે છે, 'ભાજપમાં હોવા છતાં અન્નામલાઈની છબી એક જનતાના નેતા જેવી હતી. વર્તમાન પ્રમુખ નૈનાર નાગેન્દ્રન અને કેન્દ્રીય મંત્રી લોગનાથન મુરુગન જેવા મોટા નેતાઓ પક્ષમાં માત્ર બ્રાન્ચ મેનેજરની જેમ કામ કરી રહ્યા છે.' 'તમિલનાડુના લોકો અન્નામલાઈની કાર્યપદ્ધતિ જાણે છે. તેઓ ભાજપને તમિલનાડુમાં છેક નીચેથી ઉપર સુધી લઈ આવ્યા. તેમણે પક્ષ છોડ્યો, એટલે તેમની વિચારધારાથી પ્રભાવિત અન્ય નેતાઓએ તેમને સમર્થન આપ્યું. આગળ જતાં તમે જોશો કે માત્ર ભાજપ જ નહીં, પરંતુ DMK-AIADMK અને અન્ય પક્ષોના નેતાઓ પણ અમારા આંદોલનમાં જોડાશે.' 3. શું અન્નામલાઈના આંદોલનની પાછળ આખી રમત ભાજપની જ છે? તમિલનાડુ કોંગ્રેસનું તો એવું જ માનવું છે. પક્ષના સાંસદ મણિકમ ટાગોર કહે છે, 'અન્નામલાઈનું આ આંદોલન ભાજપ અને RSSનો પ્લાન-B છે. અન્નામલાઈએ ભલે પોતાને ભાજપથી અલગ કરી લીધા હોય, પરંતુ પડદા પાછળથી તેમને કેન્દ્રીય નેતૃત્વનું સમર્થન મળતું રહેશે.' વરિષ્ઠ પત્રકાર રાજસંગીથન આ અંગે કહે છે, 'અન્નામલાઈનું રાજીનામું અને નવો પક્ષ બનાવવો એ ભાજપના એક મોટા પ્લાનનો ભાગ લાગે છે. જો ભાજપ પડદા પાછળથી અન્નામલાઈને મદદ કરતું દેખાય, તો નવાઈ પામવા જેવું નહીં હોય. તેના બીજા સ્તરના નેતાઓ પણ ધીમે-ધીમે આ નવા પક્ષમાં જઈ શકે છે.' 4. શું અન્નામલાઈનો પક્ષ થલાપતિ વિજયની TVK જેવો કમાલ કરી શકશે? રાજકીય વિશ્લેષક માલન નારાયણનના મતે, આ સમયે તમિલનાડુના બંને મોટા દ્રવિડિયન પક્ષો DMK અને AIADMK નબળા પડ્યા છે. લોકો નવો વિકલ્પ શોધી રહ્યા છે. આથી, અન્નામલાઈની નવી શરૂઆત માટે આ સમય એકદમ યોગ્ય છે. વરિષ્ઠ પત્રકાર ઉમા સુધીરના જણાવ્યા મુજબ, અન્નામલાઈના આંદોલન સાથે ત્રણ પ્રકારના લોકો જોડાઈ રહ્યા છે: અન્નામલાઈની આક્રમકતા અને લોકપ્રિયતા જોઈને તેમને પોતાના હીરો માનનારા લોકો. જેઓ એવું માને છે કે તમિલનાડુમાં ભાજપને મજબૂત કરનાર એકમાત્ર અન્નામલાઈ જ હતા. ભણેલા-ગણેલા યુવાનો, જેઓ એ જાણવા માગે છે કે અન્નામલાઈ આગળ શું કરવાના છે. ઉમા આગળ કહે છે, 'અન્નામલાઈના આંદોલનની પાછળ થલાપતિના પક્ષ TVKની સફળતા પણ છે. તેઓ કહી ચૂક્યા છે કે તેઓ ગ્રાસરૂટ લીડરશિપ તૈયાર કરશે. આનાથી સમજાય છે કે તેમનો ફોકસ સામાન્ય માણસ સુધી પહોંચીને એવો પક્ષ બનાવવાનો છે, જેને આગળ જતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈને વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ઉતારી શકાય.' 'તમિલનાડુના રાજકારણમાં હવે નવી પેઢીનો જ દબદબો રહેવાનો છે. DMKમાં સ્ટાલિનની ઉંમર થઈ ગઈ છે, તેઓ ઉધયનિધિને આગળ કરી રહ્યા છે. AIADMKમાં પલાનીસ્વામી પછી નવા યુવા ચહેરાની શોધ છે. અન્નામલાઈ અત્યારે 42 વર્ષના છે. 2031ની ચૂંટણી વિજય vs ઉધયનિધિ vs અન્નામલાઈ વચ્ચે જંગ બની શકે છે.' ભાજપે કહ્યું- અન્નામલાઈના જવાથી કોઈ ફેર નહીં પડે અન્નામલાઈએ સાથ છોડવા અંગે તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રવક્તા નારાયણન તિરૂપતિ કહે છે, 'અમારું સંગઠન એટલું મજબૂત છે કે કોઈના આવવા કે જવાથી કોઈ ફેર પડતો નથી. અન્નામલાઈને પક્ષે પ્રમુખ બનાવ્યા અને તેમણે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. તેમને લાગ્યું કે પક્ષ છોડવો છે, તો નેતૃત્વએ તેમના નિર્ણયનું સન્માન કરીને રાજીનામું સ્વીકારી લીધું. તેમના જવાથી સંગઠનમાં કોઈ મતભેદ નથી.' 'કોઈપણ પક્ષમાંથી જ્યારે મોટો નેતા બહાર જાય છે, ત્યારે તેના સમર્થકો પણ તેની સાથે જતા રહે છે. આવું આવવા-જવાનું સ્વાભાવિક છે. આ હલચલથી પક્ષમાં ભંગાણ પડવાની કોઈ આશંકા નથી.'
    Click here to Read More
    Previous Article
    કમઠણ:સિંધરોટ મુલાકાત બાદ મ્યુનિ. કમિશનરનો દાવો, 20 દિવસ સુધી ચાલે તેટલું પાણી છે
    Next Article
    Teacher suspended days after she joined ‘Cockroach Janta Party’ protest in Delhi

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment