Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '4000ના ગેસ સિલિન્ડર કરતા લાકડા લઈએ તો એક વર્ષ ચાલે’:'મતદાન હોય ત્યારે કોર્પોરેટર આવે બાકી દેખાતા નહીં', ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી ખુદ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર ત્રસ્ત

    1 week ago

    ચોમાસામાં વરસાદ આવે ત્યારે મારા કાર્યાલય પાસે પણ કેડસમા પાણી ભરાઈ જાય છે…. આ શબ્દો છે રાજકોટના વોર્ડ નંબર 17ના ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુ ઘવાના. આનંદનગર, વાલકેશ્વર, સાધના સોસાયટી, ગુલાબનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વિરાટ નગર, આશાપુરા નગર અને હરિ ઘવા માર્ગ પરની ન્યૂ સુભાષ સહિતની 52 સોસાયટીના 50,000થી વધુ મતદારો ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે. મનપાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભાસ્કરની ટીમ વોર્ડ-17માં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને સ્થાનિકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. 'લોકોના જીવની ચિંતા રાજકીય નેતાઓને નથી' આશાપુરાનગરમાં સ્થાનિક વેપારીએ તો બળાપો કાઢતા કહ્યું કે, અહીં માત્ર અડધો કલાક વરસાદ પડે તો પણ 3 કલાક સુધી રસ્તા પર નદીઓ વહે છે. જ્યારે આનંદનગરમાં પીવાનું દૂષિત પાણી જોખમી બન્યું છે તો ગટર ઉભરાવવાને લીધે ભારે ગંદકી ફેલાય છે. આ વોર્ડમાં આવેલા બાબરીયા ક્વાર્ટર અતિ જર્જરિત હાલતમાં છે, છતાં અહીં રહેતા લોકોના જીવની ચિંતા નેતાઓને નથી. આ વચ્ચે ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા હોસ્પિટલ બનાવવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાનું પ્લાનિંગ જાહેર કર્યું છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ભાજપ નિષ્ફળ ગયુ હોવાનો આક્ષેપ કરાયો છે. 'અડધી કલાકના વરસાદમાં રસ્તા પર નદી વહે' કિશોરભાઈ પાનેલીયાએ જણાવ્યુ હતુ કે, આશાપુરાનગરમાં છેલ્લા 10 વર્ષથી મારી બાર્બર શોપ છે. અમારે અહીં માત્ર અડધી કલાક વરસાદ વરસે તો રસ્તા પર ત્રણ કલાક નદી વહે છે. કોઠારીયા રિંગ રોડ ઉપરનું પાણી અહીં આવવાને કારણે આ સમસ્યા થાય છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ ઉપરાંત ગટર ઉભરાવવાની સમસ્યા છે, જેથી આ વખતની ચૂંટણીમાં મેં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપવાનું નક્કી કર્યું છે. કોર્પોરેટર કોઈ દિવસ આંટો મારવા આવ્યા નથી તો સ્થાનિક દક્ષાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, અહીં કચરો લેવા પણ કોઈ આવતું નથી. અમારે કચરો ઉપાડીને દૂર સુધી નાખવા જવું પડે છે. આ ઉપરાંત અમુક વખત પીવાનું પાણી ગંદુ આવે છે. આ વિસ્તારના કોર્પોરેટર અમારે ત્યાં કોઈ દિવસ આંટો મારવા પણ આવ્યા નથી. આ ઉપરાંત વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું કે, આશાપુરાનગરમાં મારી પાનની દુકાન આવેલી છે. અહીં ખરાબ રસ્તા અને ખાડાના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે. અહીં મતદાન હોય ત્યારે કોર્પોરેટર આવે છે અને ત્યાર પછી દેખાતા નથી. અહીંના કોર્પોરેટર કોણ છે એ પણ ખબર નથી. સારા કામો કરશે તેને મત આપશું. 'પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવે છે' યુવાન શાહિદ અંસારીએ જણાવ્યું હતું કે, હું બાબરીયા વિસ્તારમાં રહું છું. અહીંના ક્વાર્ટર ખૂબ જર્જરિત છે અને ગમે ત્યારે પડી શકે છે. અહીં અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી સ્કૂલ નથી. વધુમાં રચના ચાવડાએ જણાવ્યુ કે, અહીંયા પીવાનું પાણી દૂષિત એટલે કે ગટરનું મિક્સ થઈને આવે છે. કોર્પોરેશનમાં ફોન કરી એ તો ગટરમાંથી કચરો કાઢીને જતા રહે છે. અહીં મીનાબેન અંબાસણાએ જણાવ્યું કે, શેરીમાં સફાઈ કર્મચારીઓ આવે છે, તો એવું કહે છે કે અમે ધૂળ ન ભરીએ. 'વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવો જરૂરી' જ્યારે ચંપાબેને જણાવ્યું હતું કે, દરરોજ પીવાનું પાણી ખૂબ જ ધીમા ફોર્સથી આવે છે. સફાઈનો પણ પ્રશ્ન છે, પરંતુ અમારા વિસ્તારના કોર્પોરેટર અહીં કોઈ દિવસ આવ્યા નથી. વધુમાં ચંપાબેને જણાવ્યું હતું કે સમસ્યા તો ઘણી છે, અત્યારે તો ગેસના બાટલાની. લેવા જઈએ તો ચાર હજારનો બાટલો કહે છે. એના કરતા ચાર હજારના લાકડા લવ તો આખુ વર્ષ નીકળી જાય. અન્ય આરતીબેને કહ્યું કે, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છે, જેથી રોડ ઊંચો કરવામાં આવે અથવા વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે. તો શોભનાબેને જણાવ્યું હતું કે, અહીં ગટરની કુંડીનો કચરો બહાર કાઢી જાય છે અને ત્યારબાદ સફાઈ કરતા નથી, જેને લીધે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે. 'યોગ્ય રીતે સફાઈ અને પાણીની સુવિધા મળી' ન્યૂ સુભાષ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, રસ્તાઓ, પાણી અને આરોગ્ય વિષયક સારી સુવિધાઓ છે. અમે ભાજપને મત આપશું કારણકે મોદીની જેમ કોઈ બીજું રાજ કરી શકે તેમ નથી. તો સ્થાનિક રમેશ રામાણીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 17ના કોર્પોરેટર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે. તે પુરા રાજકોટમાં કોઈપણ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું નથી. રેગ્યુલર પાણી અને સફાઈ કામદારો આવે છે. આ વિસ્તારમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હોલ નવો બનાવવામાં આવેલો છે. લોકોને પૂછવું પડે છે તમારા વિસ્તારમાં લાયક કોર્પોરેટર કોણ છે? 'કરોડોના વિકાસ કામો પ્રગતિમાં છે' વોર્ડ નંબર 17ના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુ ઘવાએ જણાવ્યુ હતું કે, આખા રાજ્યમાં ન હોય તેવા રમત ગમતના ગ્રાઉન્ડનું રૂ.20 કરોડના ખર્ચે અમારા વિસ્તારમાં નિર્માણ થઈ રહ્યુ છે. આ ઉપરાંત રૂ.25 કરોડના ખર્ચે ફાયર બ્રિગેડ બની રહ્યું છે. જ્યારે રૂ.7 કરોડના ખર્ચે વિનોદભાઈ શેઠ હોલ તૈયાર થઈ ગયો છે. જ્યાં માત્ર ફર્નિચરનું કામ બાકી છે. આ ઉપરાંત રૂ.6 કરોડના ખર્ચે હરિભાઈ આરોગ્ય કેન્દ્ર નવું બનાવવામાં આવ્યું છે. 'વિરોધ કરવાવાળા બે-ત્રણ હોય એનાથી ફરક ન પડે' જ્યારે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવા બાબતે તેમણે જણાવ્યું કે, ગોંડલ રોડ ઉપર પંચશીલ સોસાયટીમાં આવેલા ભરત ચોકનું પાણી અહીં સુધી આવે છે. વરસાદ હોય ત્યારે અહીં 25 વર્ષથી સ્થિત મારી ઓફિસ પાસે પણ કેડ સમા પાણી ભરાઈ જાય છે. જેના માટે 2 વર્ષ પૂર્વે પાઇપલાઇન નાખવામાં આવી છે. જોકે હવે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે માટે પાઈપલાઈન નાખવાનું પ્લાનિંગ છે. મારી ઓફિસ અને મકાન બંને છેલ્લા 25 વર્ષથી આ જ વોર્ડમાં આવેલા છે. મારા ભાઈઓ પણ આ જ વિસ્તારમાં રહે છે. અડધી રાત્રે પણ કોઈને જરૂર પડે તો તે મારી ઓફિસે અથવા ઘરે આવી શકે છે. આ વિસ્તારમાં 24 કલાક કાર્યરત રહે તેવી આરોગ્ય હોસ્પિટલ બનાવવાનું મારું સ્વપ્ન છે. મેં મારા વિસ્તારમાં રૂબરૂ જઈને કામો કરેલા છે અને કોઈ વ્યક્તિ એમ કહે કે આ વિસ્તારમાં કામો નથી થયા તો એવા વિરોધ કરવાવાળા આલિયા, માલિયા અને જગમાલિયા બે - ત્રણ હોય. તેનાથી મને કોઈ ફેર પડતો નથી. પીવાના પાણીની ગંભીર સમસ્યા: રસિકભાઈ ભટ્ટ આ ઉપરાંત વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબેન ભટ્ટના પતિ રસિકભાઈ કે જેઓને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે, મારા પત્ની જ્યારે કોર્પોરેટર તરીકે હતા ત્યારે આયુષ્યમાન કાર્ડ, વિધવા પેન્શન, રાશન કાર્ડ અને આરોગ્યનો છે અનેક લોકો ઉપયોગી કામો કર્યા છે. ચોમાસામાં વરસાદી પાણી જ્યારે ભરાઈ જાય ત્યારે એન્જિન મુકીને પાણીનો નિકાલ કરેલો છે. આ વિસ્તારમાં પીવાના દૂષિત પાણીની સૌથી મોટી સમસ્યા છે. જેનું કારણ એ છે કે ગટરની બાજુમાંથી જ પીવાના પાણીની પાઇપલાઇન નીકળે છે. વોર્ડ નંબર 17ના કોંગ્રેસ પ્રમુખ રાજુ ચાવડાએ જણાવ્યું હતું કે, અહીં દર વર્ષે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાઈ જતા જમીનથી મકાનનું લેવલ ઊંચું લાવવા માટે અનેક લોકોએ લોન લઈને નવા મકાનો બનાવવા પડ્યા છે. તો કોંગ્રેસ સત્તાપર આવશે તો મહિલાઓ માટે સીટી બસમાં ફ્રી મુસાફરીની સવલત આપશે અને 70 વારથી ઓછા મકાનો હોય તેઓને વેરામાં 50% માફી આપશે. પરિવર્તનનો પડકાર આપું છું:AAPના ઉમેદવાર જ્યારે AAPના ઉમેદવાર પ્રણવ ગઢવીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં આ વોર્ડનો દસ વર્ષથી સમાવેશ કરવામાં આવ્યો છે અને અહીં 52 જેટલી સોસાયટીઓ આવેલી છે. અમે જ્યારે ડોર ટુ ડોર સંપર્ક માટે નીકળ્યા ત્યારે લોકો પાસેથી જાણવા મળ્યું કે અહીં પીવાના પાણીનો ફોર્સ ખૂબ જ ઓછો આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એક યુવા ઉમેદવાર તરીકે હું તેને પડકાર આપું છું અને અહીં પરિવર્તન લાવીશ. ભાજપથી ત્રાહિમામ છે લોકો:સરોજબેન જ્યારે AAPના આ જ વોર્ડના મહિલા ઉમેદવાર તરીકે જાહેર થયેલા સરોજબેન ખૂંટે જણાવ્યુ હતુ કે, અમે જ્યારે પ્રચાર માટે સમક્ષ જઈએ છીએ ત્યારે તેઓ કહે છે કે અમે હવે ભાજપથી ત્રાહીમામ પોકારી ગયા છીએ. અહીં ખરાબ રસ્તા, ટ્રાફિક અને પીવાના દૂષિત પાણીનો પ્રશ્ન છે. અમે જ્યારે પ્રચાર માટે જઈએ છીએ ત્યારે લોકોને વચન આપીએ છીએ કે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશું. અમને એક મોકો આપો.
    Click here to Read More
    Previous Article
    1 રન, 3 વિકેટ...પ્રફુલ્લ હિંગે ‘વોન્ટેડ’નો સલમાન બની ગયો:જે કહ્યું હતું એ કરી બતાવ્યું, વૈભવને પહેલાં જ બોલ પર આઉટ કર્યો, મેચ દરમિયાન સંદીપ-જુરેલ અથડાયા, મોમેન્ટ્સ
    Next Article
    ‘તું ગમે તે હોય બોલતો નહીં પાડી દઈશ’:રાજકોટમાં બા બગડ્યાં, સ્નેહલતા સ્ટાઇલમાં કહી દીધું 'હાલતીનો થા', તડકામાં તમ્મર ચઢે એવો વિરોધ, ભાજપના નેતાઓ ભાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment