Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાતમીદારે કહ્યું- એ ગુમ નથી થઇ, હત્યા થઇ છે:જેને દુનિયા અકસ્માત માનતી હતી તેની હકીકત કંઇક જુદી જ નીકળી, લગ્નના 4 મહિનામાં શું બની ગયું?

    1 day ago

    તાજેતરમાં પૂણેના ચકચારી કેતન અગ્રવાલ મર્ડર કેસમાં તેની મંગેતર સિયા ગોયલ અને પ્રેમી ચેતન ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. સિયાએ પોતાના પ્રેમી ચેતનને પામવા માટે અને કરોડપતિ ફિયાન્સ કેતનને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું રચ્યું હતું. આ માટે તેણે અલગ અલગ પ્લાન બનાવ્યા હતા. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યાં છે પણ આના જેવો જ એક કિસ્સો અમદાવાદમાં બની ગયો હતો. જેની શાહી પણ સૂકાઇ ગઇ અને કોઇને જાણ પણ નહોતી થઇ પરંતુ અમદાવાદ પોલીસની સતર્કતાના પગલે આ ઘટના 9 વર્ષ પછી સામે આવી છે. પૂણે અને અમદાવાદની ઘટનામાં ફેર એટલો છે કે તેમાં ફિયાન્સીએ હત્યા કરી હતી. જ્યારે અમદાવાદની ઘટનામાં એક પતિએ જ પત્નીને પતાવી દીધી હતી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો એ સનસનીખેજ કિસ્સો.... 26 જૂન, 2017 કોઇ આપઘાત કરવા નદીમાં કૂદે કે કંઇ બીજી ઇમરજન્સી જરૂર પડે તો તરત જ બચાવી શકાય તે માટે અમદાવાદ ફાયર વિભાગની એક ટીમ સાબરમતી નદીમાં બોટથી પેટ્રોલિંગ કરી રહી હતી. હજુ આગલા જ દિવસે ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી હતી. સાંજના સમયે જ્યારે રથ નિજ મંદિરે પરત ફરી રહ્યાં હતા ત્યારે માણેકચોક અને ઘી કાંટા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદ રાત્રે પણ શરૂ રહ્યો હતો. આવામાં નદીમાં કોઇની લાશ તરતી હોવાનો મેસેજ મળતાં જ ફાયર વિભાગની ટીમના એક જવાને પોતાની બોટ એ તરફ ભગાવી. જઇને જોયું તો લાશ 20 વર્ષની લાગતી કોઇ યુવતીની હતી. તેણે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી કારણ કે પોલીસ સ્ટેશનની રીતે બે ભાગોમાં વહેંચાયેલી સાબરમતી નદીનો આ ભાગ વેસ્ટ પોલીસ સંભાળતી હતી. થોડી જ વારમાં પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ગઇ. લાશના ફોટો પાડીને બાકીની કાગળની કાર્યવાહી કરીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી. પોલીસે લાશની ઓળખ મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. કોઇ વાલીવારસ આવે તે માટે ઘણા દિવસો સુધી રાહ જોઇ પણ મૃતક યુવતીનું કોઇ વાલીવારસ આવ્યું નહીં. જ્યારે કોઇ લાશ મળે અને 7 દિવસમાં તેના વાલીવારસ ન આવે તો સરકારી નિયમ પ્રમાણે તેના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવે છે. આ યુવતીની લાશનું પણ કંઇક આમ જ થયું. યુવતીની લાશ મળી એ પહેલા અને પછી પણ સાબરમતી નદીમાંથી ઘણી લાશો મળતી રહી હતી એટલે પહેલી નજરે જોતાં આ ઘટના સામાન્ય લાગતી હતી પણ હકીકત તેનાથી કંઇક જુદી જ હતી. આ કેસ પણ ફાઇલોના ઢગલામાં ક્યાંક દબાઇ ગયો. લોકો અને પોલીસ એમ માની બેઠા કે હવે આ કેસનો ધ એન્ડ થઇ ગયો છે પણ વર્ષોના વહાણા વિતી ગયા બાદ યુવતીની લાશ અંગે એક એવું સત્ય બહાર આવવાનું હતું જે કોઇ ફિલ્મી સ્ક્રીપ્ટને પણ ટક્કર મારે તેવું હતું. લાશ મળી, તેના અંતિમ સંસ્કાર થયાને 9 વર્ષ વિતી ગયા. સમયનું ચક્ર ફર્યું અને હવે વર્ષ આવ્યું 2026નું. જૂન મહિનાની શરૂઆત થઇ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં બેઠેલા PSI આર.સી.શર્મા એક કેસની ફાઇલ ઉથલાવી રહ્યા હતા તેવામાં તેમની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો. PSI શર્માએ ઉપર ન જોયું પણ સામેથી જે અવાજ આવ્યો તે એક બાતમીદારનો હતો. બોલ્યો- સાહેબ, એક યુવતી ગુમ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના અવાજમાં થોડી ઉતાવળ અને વધારે અજંપો સ્પષ્ટ વર્તાતા હતા. PSI શર્મા કોઇ રિસ્પોન્સ આપે તેની રાહ જોયા વગર જ તે આગળ બોલ્યો- પણ ખરેખર એની હત્યા થઇ ગઇ છે. આટલું સાંભળીને PSI શર્માએ ઊંચું જોયું અને તેને આખી વાત વિગતવાર કહેવાનું જણાવ્યું. બાતમીદાર બોલતો ગયો અને PSI શર્મા સાંભળતા ગયા. બાતમીદારે કહ્યા અનુસાર પહેલાં કાલુપુરમાં રહેતા મિનેશ સોલંકીએ લગ્નના 4 મહિનામાં જ તેની પત્ની કોમલની સાબરમતી નદીમાં ડૂબાડીને હત્યા કરી નાખી હતી બાદમાં પત્ની ગુમ હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. નવી જાણકારી પ્રમાણે પત્નીની હત્યા કર્યા બાદ મિનેશે બીજા લગ્ન કરી લીધા હતા અને પત્ની, દીકરી, ભાઇ તેમજ માતાને લઇને કાલુપુરથી હાથીજણ રહેવા જતો રહ્યો હતો. આટલી જરૂરી વિગતો જાણીને PSI શર્માએ પોતાના ઉપરી અધિકારી PI જેબલિયાને માહિતી આપી. PI જેબલિયા વર્ષોના અનુભવી હતા. તેમણે આવા કંઇક કેસ જોયેલા હતા. જે માહિતી મળી તેમાં કંઇક સત્ય હોવાનું તેમને લાગ્યું એટલે બાતમીદારની વાત માની એ ટીપ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. પોલીસે સૌથી પહેલા કોમલની માહિતી ભેગી કરી. તેના પરિવારમાં માતા-પિતા અને બહેન હતા. કોમલના પરિવાર વિશે માહિતી મેળવ્યા બાદ પોલીસે કાલુપુર પોલીસ સ્ટેશનમાં મિનેશે પત્ની ગુમ થયાની ફરિયાદ મેળવી. બાતમી પ્રમાણે કોમલની હત્યા સાબરમતી નદીમાં ડૂબાડીને કરવામાં આવી હોવાથી પોલીસે ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન અને વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન એમ બન્ને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી લાશ મળવાની ઘટના અંગે તપાસ કરી. વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાંથી કોમલની લાશના ફોટો મળી આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલીક કોમલના પરિવારને બોલાવ્યો. ટેબલ પર મૂકાયેલો એ 9 વર્ષ જૂનો ફોટો જોતાં જ કોમલના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. એ ફોટો બીજો કોઇનો નહીં પણ તેમની વ્હાલસોયી દીકરી કોમલનો જ હતો. પિતાએ તેને ઓળખી લીધી. તે પોલીસની સામે જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. અત્યારસુધી કોમલનો પરિવાર એવું જ માનતો હતો કે કોમલ ક્યાંક જતી રહી છે પણ આ તસવીરોએ 9 વર્ષ પહેલાંની એ ભયાનક વાસ્તવિકતા તેમની સામે લાવી દીધી હતી. આટલા વર્ષો પછી પરિવારને ખબર પડી કે પોતાની વ્હાલસોયી દીકરી ક્યાંય જતી નહોતી રહી પણ તેની તો હત્યા થઇ ગઇ હતી. કોમલના પિતા ફોટો ઓળખી ગયા એટલે ક્રાઇમ બ્રાન્ચને પણ ખ્યાલ આવી ગયો કે કોમલની હત્યા જ કરવામાં આવી છે અને આ બાતમી સાચી છે. હવે વારો ગુનેગારને સકંજામાં લેવાનો હતો. મિનેશ પહેલા દિવસથી જ પોલીસના રડારમાં હતો. પોલીસે તેના પર વોચ રાખી તે ક્યાં જાય છે? શું કરે છે? તે જાણવાનું શરૂ કર્યું. ભૂતકાળને પાછળ છોડીને મિનેશ હવે સામાન્ય જીવન જીવવા લાગ્યો હતો. તેને ખબર નહોતી કે તેની ગતિવિધિઓ પોલીસની નજરમાં છે. એવો અણસાર પણ નહોતો કે 9 વર્ષ પહેલાં તેણે પાણીમાં ડૂબાડેલું પાપ હવે સામે આવી ગયું છે. પોલીસે તક મળતાં જ તેને ઉઠાવી લીધો. પોલીસ સ્ટેશન લાવીને તેની પૂછપરછ શરૂ કરી. પોલીસે પહેલો જ ધારદાર સવાલ પૂછ્યો- તારી પહેલી પત્ની કોમલ ક્યાં છે? આ સવાલમાં પહેલી અને કોમલ આ 2 શબ્દો એવા હતા જેનાથી મિનેશનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના કપાળે પરસેવો વળી ગયો. એક ક્ષણ માટે તો તે કંઇ બોલી ન શક્યો પણ તરત જ વાતને વાળવા માટે તેણે કહ્યું- સાહેબ, મને ખબર નથી. એ તો ક્યાંય જતી રહી છે. મને મુકીને. સામે બેઠેલા પોલીસ અધિકારીએ એક ભેદી સ્મિત સાથે પૂછ્યું- એમ? મિનેશ સ્પષ્ટતાના સૂરમાં આગળ બોલ્યો- મેં તો ફરિયાદ પણ નોંધાવી હતી, સાહેબ. આ વખતે પોલીસ પાસે માત્ર સવાલો નહોતા. 9 વર્ષ જૂના પુરાવા પણ હતા. આ તમામ સવાલોનો જવાબ મળશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ પાર્ટ-2માં.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા:સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર; અમરેલીના 7 ડેમ ઓવરફ્લો, આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાયા:બે દિવસ થયા છતાં કોઈ નિકાલ નહી, વિદ્યાર્થીનીએ કહ્યું-મચ્છર ખૂબ થઈ જતા ઇન્ફેક્શન થવાની શક્યતા વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment