Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી મંદિર વિવાદ મામલે રવિવારે પણ તપાસનો ધમધમાટ:પૂજારી સહિત 26ના નિવેદનો લેવાયા; ઘરેણાં અને દબાણોની પણ તપાસ થશે, રિપોર્ટ તૈયાર કરી કલેકટરને સોંપાશે

    1 day ago

    જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રવિવારે પણ કચેરી ધમધમી: 26 લોકોના નિવેદનો નોંધાયા જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. આજે વહેલી સવારથી જ પ્રાંત કચેરી ખાતે પૂછપરછનો દોર શરૂ થયો હતો. મંદિરમાં સેવા આપતા અને વહીવટ સાથે જોડાયેલા 11 મુખ્ય વ્યક્તિઓ સહિત કુલ 26 શખ્સોને હાજર રહેવા જણાવાયું હતું. પ્રાંત અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ તમામ લોકોની પૂછપરછ કરી ઘટના પાછળનો આશય શું હતો અને કયા સંજોગોમાં આ પ્રવૃત્તિ થઈ તે જાણીને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તંત્ર દ્વારા સ્થળ પર જ પંચરોજકામની કામગીરી પૂર્ણ કરાઈ આજે વહેલી સવારે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે ગિરનાર પર્વત પર અંબાજી મંદિરની રૂબરૂ મુલાકાત લીધી હતી. વીડિયોમાં જે જગ્યા દેખાઈ રહી હતી તે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સ્થળ પર જ પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે જગ્યાએ આ પાર્ટી થઈ હતી તે સ્થાનની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં કોની અવરજવર હતી તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. પૂજારીઓના પગારની વિગતો મગાવી ઊંડાણપૂર્વક તપાસ કરાશે મહંત બ્રહ્મલીન ધનસુખગીરી બાપુના નિધન બાદ મંદિરની પૂજા-અર્ચનામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તંત્રએ અગાઉના પૂજારીઓને જ જવાબદારી સોંપી હતી અને તેમના પગાર-ભથ્થા પણ નક્કી કર્યા હતા. હવે તપાસ દરમિયાન મામલતદાર પાસેથી એવા પૂજારીઓ અને સ્ટાફનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે જેઓ તંત્ર પાસેથી પગાર મેળવે છે. આ લોકોની સાથે અન્ય કયા બહારના લોકો મંદિરમાં આવતા-જતા હતા તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સાધન-સામગ્રી, ઘરેણાં અને વસ્ત્રોની યાદી તૈયાર કરી ખરાઈ કરાશે આ વિવાદની સાથે મંદિરની સંપત્તિનો મુદ્દો પણ તપાસના દાયરામાં આવ્યો છે. ખાસ કરીને નવાબી કાળનો 45 તોલાથી વધુ સોનાનો હાર અને અન્ય કિંમતી ઘરેણાંઓ અંગે પૂછતા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, ધનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ મામલતદાર દ્વારા જે સાધન-સામગ્રી, ઘરેણાં અને વસ્ત્રોની યાદી તૈયાર કરવામાં આવી હતી, તે યાદી મગાવીને હાલની સ્થિતિ સાથે તેની ખરાઈ કરવામાં આવશે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કડક સુરક્ષા અને વ્યવસ્થાના પગલાં લેવાશે તપાસના અંતે જે પણ વ્યક્તિ દોષિત જણાશે તેની સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધવા માટે તંત્ર સચોટ પુરાવાઓ એકત્ર કરી રહ્યું છે. આ ઉપરાંત, મંદિરની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો અને જે બિનજરૂરી ભાગોને દૂર કરી શકાય તેમ છે તે અંગે પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવશે. આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કડક સુરક્ષા અને વ્યવસ્થાના પગલાં લેવામાં આવશે. સમગ્ર તપાસનો રિપોર્ટ તૈયાર કરી ટૂંક સમયમાં કલેક્ટરને સોંપવામાં આવશે, જેના આધારે જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાશે. 'અભિષેકે સોડામાં મિક્સ કરી મને દારૂ પીવડાવ્યો હતો' આ સમગ્ર વિવાદમાં દારૂ અને નોનવેજની પાર્ટીના વીડિયોમાં દેખાતા સગીર યુવકે ભૂતકાળની એ ઘટનાનું વર્ણન કરતા મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સગીરે જણાવ્યું હતું કે, આ ઘટના બેસતા વર્ષની સાંજે બની હતી. હું મારા મિત્ર અભિષેકસિંહ ચૌહાણના કહેવાથી ત્યાં રોકાવા ગયો હતો. જે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતો હતો. 'અન્ય શખસો મને ઉશ્કેરતા હતા અને મારો વીડિયો ઉતાર્યો' અભિષેક પોતે જ દારૂ લાવ્યો હતો અને તેણે સોડામાં મિક્સ કરી મને પીવડાવી દીધો હતો. નશાની હાલતમાં અન્ય શખસો મને ઉશ્કેરતા હતા અને મારો વીડિયો ઉતાર્યો હતો. સગીરના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે, 7થી 8 લોકોની હાજરી હોવા છતાં માત્ર સગીરને જ નિશાન બનાવી વીડિયો વાઈરલ કરવા પાછળ કોઈ મોટું રાજકીય ષડયંત્ર હોઈ શકે છે. આ પણ વાંચો: અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી મામલે સગીરનો ચોંકાવનારો ખુલાસો 'ચોરીના આક્ષેપો પાયા વિહોણા': ​પૂજારી દુષ્યંતગીરી આક્ષેપોનો જવાબ આપતા દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથીએ જણાવ્યું હતું કે, હું ભીડભંજન મહાદેવ તથા ગિરનાર અંબાજી માતાજી મંદિરમાં વર્ષોથી આરતી-પૂજા કરું છું. તનસુખગીરી બાપુ મારા સગા મોટા બાપુ છે. એટલે વર્ષોની અમારી પરંપરા આ પરિવાર સાથે જોડાયેલી છે. જે CCTV વાઇરલ થયા છે, તેમાં ભીડભંજનનો ઉલ્લેખ કરી કહેવાયું છે કે 'ભીડભંજન આવનાર યાત્રિકોને તમે મોઢા તોડી લ્યો છો, જેવું તેવું વર્તન કરો છો' તે તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે. આ પણ વાંચો: ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી, 10 પૂજારી સહિત 11ની હકાલપટી 'હું કોઈ દિવસ મા જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી' કારણ કે આજ શનિવારે અમારે ત્યાં ભીડભંજનના આશ્રમે સનાતનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, જે વ્યક્તિ વીડિયો વાઇરલ કરે છે તેણે જ આ કાર્યક્રમ ગોઠવ્યો હતો અને અમે તેને બધું જ પ્રોવાઈડ કર્યું હતું. વાઇરલ વીડિયોમાં જે કહે છે કે, દુષ્યંતગીરી અને કુંદનગીરીનો વીડિયો છે', તો મારું નામ દુષ્યંતગીરી છે પણ હું કોઈ દિવસ મા જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી. 'કોઈપણ અમને દક્ષિણા આપે તો અમે લઈ શકીએ છીએ' જે કુંદનગીરીએ પૈસા લીધા છે તે બાબતે જણાવું કે અમને આદિ અનાદિથી અમારો ધર્મ છે. કોઈપણ અમને દક્ષિણા આપે તો અમે લઈ શકીએ છીએ, તો એમાં શું વાંધો? અને જ્યારે અમારા ગુરુજી દેવલોક પામ્યા અને તંત્રના હાથમાં વહીવટ આવ્યો, ત્યારે લીગલી અત્યારે અમે 10 પૂજારીઓના નામ ચોપડા ઉપર છે. બાકી અન્ય છે તે અમારા રિસીવરમાં છે. 26 લોકોનું જે લિસ્ટ સામે આવ્યું છે તે માત્ર રોપ-વેમાં અવરજવર કરવા માટેનું લિસ્ટ છે. આ પણ વાંચો: ગિરનાર પર અંબાજી મંદિરની દાનપેટીમાંથી રૂપિયાની થેલી ભરી, દારૂ-નોનવેજ પાર્ટી પછી કોંગ્રેસે શુદ્ધિકરણ કર્યું 'અમે બંને પરિવારના થઈ વહીવટ કરીએ છીએ':​ કુંદનગીરી કુંદનગીરી અર્જુનગીરી અપારનાથીએ પરંપરા અંગે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, હું મોટા પીર બાબા તનસુખગીરી બાપુનો નાનો ભાઈ છું. અમારી પરંપરામાં બે પરિવાર છે. ભીડભંજન પરિવાર અને નીલકંઠ પરિવાર. અતીત બાવાઓનો હિન્દુ ધર્મ મુજબ મા જગદંબા અને મહાદેવની પૂજા-સેવા કરવી એ અમારો હક છે. અમે બંને પરિવારના થઈ વહીવટ કરીએ છીએ. 'એમને પૂજા કરવાનો હક નથી' કિશોરસિંહ, ભાર્ગવસિંહ, અભિષેકસિંહ, ભરતસિંહ, રાજેશસિંહ, પ્રિન્સસિંહ અને ધર્મેન્દ્રસિંહ જેવા લોકોની નિમણૂક કરવામાં આવી છે. અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય એવું લખેલ નથી કે આ લોકો કાયદેસર સેવા-પૂજા કરી શકે. એમને પૂજા કરવાનો હક નથી. 'અમે પાંચેય સીધી લીટીના વારસદાર છીએ' નીલકંઠ પરિવારમાંથી હિમાંશુગીરી બાપુ, યોગેશગીરી બાપુ અને તેમના પરિવારના સભ્યો છે. જ્યારે અમારા પરિવારમાંથી હું પોતે કુંદનગીરી, કાંતિગીરી, દુષ્યંતગીરી, હર્ષગીરી અને મલયગીરી અમે પાંચેય સીધી લીટીના વારસદાર છીએ. જેમાં માત્ર કાંતિગીરી જ મામલતદાર ઓફિસમાંથી પગાર લેતા હતા, અમે ચારેય પગાર લેતા નહોતા. 'પ્રાંત અધિકારી SDMની નિમણૂક કરાઈ': અધિક કલેકટર આ મામલે જૂનાગઢના નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડે જણાવ્યું હતું કે, આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને લાખો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો છે. આ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અહેવાલ તૈયાર કરવા માટે પ્રાંત અધિકારી SDMની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ કલેક્ટરની સૂચના મુજબ મંદિર અપૂજનીય ન રહે તે માટે મામલતદાર કક્ષાએથી 11 પૂજારીઓ દ્વારા પૂજાની વ્યવસ્થા કરાઈ હતી. 'SDMના રિપોર્ટ બાદ આગળના પગલાં લેવાશે' હાલ તાત્કાલિક ધોરણે બે પૂજારીઓને પૂજાની કામગીરી સોંપવામાં આવી છે. આ એક કામચલાઉ વ્યવસ્થા છે. ત્યાં સીસીટીવી કેમેરા પણ છે અને જો તપાસમાં કોઈ બાબત ધ્યાન પર આવશે તો ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે. SDMના રિપોર્ટ બાદ આગળના પગલાં લેવાશે."
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન:તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન, આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન; 4 મેના રોજ તમામ પરિણામ
    Next Article
    ગાંધીના ગુજરાતમાં ગોડસેના વંશજનો કાર્યક્રમ!:સુરતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ પહેલા બેનરો હટાવાયા હવે 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ રદ્દ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment