Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસાના માહોલ વચ્ચે રોગચાળો વકર્યો:રાજકોટમાં માત્ર એક જ સપ્તાહમાં તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીના કુલ 2215 કેસ નોંધાયા, આરોગ્યતંત્ર દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરાઈ

    12 hours ago

    રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડિયાથી ચોમાસુ માહોલ હોવા છતાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી અને હાલ સંપૂર્ણ ઉઘાડ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બેવડી ઋતુ અને ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ 20 જુલાઈથી 26 જુલાઈ સુધીના માત્ર એક જ સપ્તાહમાં સરકારી ચોપડે રોગચાળાના કુલ 2215 કેસ નોંધાયા છે. શહેરમાં હાલ પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સપ્તાહ દરમિયાન નોંધાયેલા કેસોની વિગત મુજબ સામાન્ય તાવના 916 કેસ, શરદી-ઉધરસના 879 કેસ અને ઝાડા-ઉલ્ટીના 417 કેસ સામે આવ્યા છે. આ સિવાય ખોરાક અને પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના 2 કેસ અને કમળાના 1 કેસની અધિકૃત નોંધણી થઈ છે. જ્યારે કોલેરા કે મરડાનો એક પણ કેસ પ્રકાશમાં આવ્યો નથી. રાહતની વાત એ છે કે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાનો એક પણ કેસ ચોપડે નોંધાયો નથી. આમ છતાં, સામાન્ય તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓની સંખ્યા જ બે હજારને પાર પહોંચી જતાં શહેરીજનોમાં ચિંતાનો માહોલ છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કમિશનરની સૂચના હેઠળ આરોગ્ય ટીમ દ્વારા અઠવાડિયા દરમિયાન 294855 જેટલી વસ્તીમાં ઘેર-ઘેર જઈને રોગચાળા અંગેનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય પાણીજન્ય રોગોના અટકાયતી પગલાં તરીકે જરૂરિયાતમંદોને 8200 થી વધુ ક્લોરિન ટેબ્લેટ અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓ માટે 1355 ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની શુદ્ધતા જાળવવા અને સુપર ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા માટે શહેરમાં 3173 સ્થળોએ પાણી વિતરણ સમયે ક્લોરિનની માત્રા ચકાસવામાં આવી છે. બીજી તરફ, ચોમાસા દરમિયાન મચ્છરોની પુનઃ ઉત્પત્તિ ખૂબ ઝડપી થતી હોવાથી વાહક નિયંત્રણની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. મેલેરિયા શાખાના ફિલ્ડવર્કરો દ્વારા સપ્તાહમાં 21223 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા 262 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છરની વધુ ઘનતાવાળા વિસ્તારો, સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર રસ્તાઓ અને વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા સ્થળોએ વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન વડે ફોગીંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત, ડેન્ગ્યુ અને મેલેરિયા અટકાયતી પ્રવૃત્તિના ભાગરૂપે પ્રાઇવેટ પ્રિમાઇસીસ, બાંધકામ સાઇટ, સ્કૂલ અને હોસ્પિટલ સહિત 677 જેટલી મિલ્કતોમાં પોરાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા અને સાફસફાઈમાં બેદરકારી દાખવતા 101 રહેણાંક અને 271 કોમર્શિયલ એકમો મળીને કુલ 372 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી દિવસોમાં તેમની પાસેથી વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સદનસીબે રાજકોટ શહેરમાં ડેંગ્યુ અને મેલેરિયા જેવા રોગો સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જોકે ચોમાસાની આ સિઝનમાં રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગે નાગરિકોને બહારના દૂષિત ખોરાક અને પાણીથી દૂર રહેવા, ઘરની આસપાસ ચોખ્ખું પાણી એકઠું થવા નહીં દેવા તેમજ સ્વચ્છતા બાબતે પૂરતી તકેદારી રાખવા ખાસ સલાહ આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં 108 એમ્બ્યુલન્સમાં જટિલ ડિલિવરી કરાવી:ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી બાળકી અને માતાનો જીવ બચાવાયો
    Next Article
    પૂર્વ કુલપતિના આવ્યા બાદ 80 લાખનો ખર્ચ 4 કરોડ થયો:યુનિવર્સિટીના એકાઉન્ટને બદલે પર્સનલ ખાતામાં ગ્રાન્ટ જતી હોવાનો ABVPનો દાવો, જાણો શું શું માંગ કરી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment