Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના રાષ્ટ્રીય નેતા સામે સુરત મનપા સરેન્ડર, 2-કલાકની ગેમના CCTV:બાબુ જેબલિયાના ફ્લેટના ગેરકાયદે બાંધકામના પતરા પહેલા હટાવ્યા ને તુરંત પાછા મૂકી ગયા

    1 day ago

    સુરત મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક વહીવટ અને ગેરકાયદેસર બાંધકામો સામેના બુલડોઝર મોડેલ માટે ચર્ચામાં રહે છે. પરંતુ કતારગામ ઝોનમાંથી એક તંદ્રાઅવસ્થામાં કામ કરતા તંત્રની 'નમૂનારૂપ' કામગીરી સામે આવી છે. જેણે મનપાની આબરૂના લીરેલીરા ઉડાવી દીધા છે. કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં મનપાની ટીમે પહેલાં તો ઉત્સાહભેર જઈને એક ગેરકાયદેસર પતરાંનું બાંધકામ તોડી પાડ્યું અને સામાન ગાડીમાં ભરીને જપ્ત કરી લીધો. પરંતુ, પડદા પાછળ કંઈક એવા રાજકીય ખેલ ખેલાયા કે માત્ર 1 કલાક અને 51 મિનિટની અંદર એ જ સરકારી ગાડી જપ્ત કરેલો સામાન એ જ જગ્યાએ પાછો મૂકી ગઈ! જો કે ભાસ્કરે તપાસ કરતા મનપાએ જે ફ્લેટમાંથી પતરાનું બાંધકામ તોડ્યું હતું એ ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાનો હોવાનું સામે આવ્યું છે. નાસીરનગરમાં ગરીબોના મકાન તોડનારી મનપાએ બાબુ જેબલિયા સામે નાક રગડ્યું છે. સામાન્ય લોકો સામે આંખ બતાવતી અને બેફામ બનતી મનપા ભાજપના નેતાના ચરણોમાં આળોટવા લાગી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં હવે કતારગામ ઝોનના ટાઉન પ્લાનિંગ અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મોં છુપાવતા ફરી રહ્યા છે અને ગોળ-ગોળ જવાબો આપીને પોતાની ચામડી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કિરણભાઈ સુમરાએ લેખિત ફરિયાદ કરી કતારગામ ઝોન હેઠળ આવતા સિંગણપોર ગામમાં પાલવ પાર્ક-2 સોસાયટીની બિલકુલ બાજુમાં કૃપા રેસીડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગના ફ્લેટ નંબર 104ના રહીશ દ્વારા સોસાયટી અને બિલ્ડિંગના નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે પતરાંનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામના કારણે આસપાસના રહીશોને મુશ્કેલી પડતી હોવાથી, બાજુમાં જ રહેતા જાગૃત નાગરિક કિરણભાઈ સુમરાએ કતારગામ ઝોન વચેટીયા કચેરીમાં સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધાવી હતી. 2 જૂને મનપાનો મજૂરો સાથેનો કાફલો અચાનક કૃપા રેસિડન્સી પહોંચ્યો આ ફરિયાદના આધારે કતારગામ ઝોનનો સ્ટાફ એક્શનમાં આવ્યો અને 2 જૂન 2026ના રોજ, મનપાના કર્મચારીઓનો કાફલો સરકારી વાહન સાથે કૃપા રેસિડેન્સી ખાતે પહોંચ્યો હતો. મનપાના મજૂરોએ ફ્લેટ નંબર 104માં મારેલા ગેરકાયદેસર પતરાં તોડી પાડ્યા હતા. આ પતરાં જપ્ત કરીને મનપાની ગાડીમાં ભરવામાં આવ્યા હતા. આસપાસના લોકોએ વિચાર્યું કે મનપાએ કાયદાનું પાલન કરાવ્યું, પરંતુ અસલી ડ્રામા તો ત્યાર પછી શરૂ થયો હતો. સોસાયટીના ફૂટેજ ચેક કર્યા ને ગેમ ઓવર થઈ સામાન્ય રીતે સુરત મનપા જ્યારે કોઈ સામાન જપ્ત કરે છે, ત્યારે તેને છોડાવવા માટે દંડ ભરવો પડે છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ક્યારેક તો મહિનાઓ સુધી ધક્કા ખાવા પડે છે. પરંતુ આ કેસમાં મનપાએ જે સુપરફાસ્ટ સ્પીડ બતાવી તે ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં પણ અશક્ય લાગે તેવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા મનપાની પોલ ખુલી ગઈ છે. બપોરના 1.33 વાગ્યે પતરા ભરી ગાડી રવાના થઈ ને 3.24 વાગ્યે પાછી ફરી 2 જૂનના રોજ બપોરે 01:33 કલાકે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કાયદેસરની કાર્યવાહી કરીને ગેરકાયદેસર પતરાં પોતાની સરકારી ગાડીમાં ભરીને રવાના થાય છે. બપોરે 03:24 કલાકે માત્ર 1 કલાક અને 51 મિનિટ બાદ, એ જ સરકારી ગાડી કૃપા રેસિડેન્સીના દરવાજે પાછી આવીને ઊભી રહે છે. ગાડીમાંથી ઉતરેલા કર્મચારીઓ જે પતરાં જપ્ત કર્યા હતા, તે જ પતરાં પાછા લાવીને જ્યાંથી ઉપાડ્યા હતા ત્યાં જ ગોઠવી દે છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો પણ માથું ખંજવાળતા થઈ ગયા કે, આ મનપાની દબાણ હટાવો ઝુંબેશ હતી કે પછી પતરાં સાફ કરી આપવાની કોઈ મફત સરકારી સેવા? મનપાની રિટર્ન ગિફ્ટ પાછળ મોટા ‘આશીર્વાદ’ જ્યારે આટલી ઝડપી રિટર્ન ગિફ્ટ મનપા તરફથી મળી હોય, ત્યારે તેની પાછળ કોઈ મોટો આશીર્વાદ હોવા જરૂરી છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, મનપાએ જે કૃપા રેસિડેન્સીના ફ્લેટ નં.104ના ગેરકાયદે પતરા હટાવ્યા એ ફ્લેટની માલિકી બીજા કોઈની નહીં પણ તે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાનો હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બાબુભાઈ જેબલિયા ભાજપના પીઢ નેતા છે અને દિલ્હી સુધી તેમનો પ્રભાવ છે. હાલમાં આ ફ્લેટ તેઓએ ભાડે આપેલો છે. આ મકાન બાબુભાઈ જેબલિયા કરીને છે એનું છે: ઉષાબેન આ અંગે ઉષાબેન ગુજરીયાએ જણાવ્યું હતું કે, હું પાલવ પાર્ક સોસાયટીમાં બે નંબરમાં રહું છું. મારા ઘર પાછળ ગેરકાયદેસર દુકાન છે અને એની ઉપર પાછા પતરા નાખવામાં આવ્યા છે. અમે અરજી કરેલી, કોર્પોરેશનવાળા તોડી ગયા. તોડીને પછી પાછા સામાન પણ મૂકી ગયા અને અત્યારે પાછું બધું રીપેર કામ કરી ગયા છે. આ મકાન બાબુભાઈ જેબલિયા કરીને છે એનું છે અને તેમાં રહેતા ક્રિષ્ના પટેલ કહે છે કે હું ભાડુઆત જ છું, ઘડીક કહે મને દાન આપેલું છે, શું એ લોકો રાંધે છે એ એને ખબર. ગેરકાયદેસર બાંધકામ હોવાથી કાર્યવાહી કરી હતી: કાર્યપાલક ઇજનેર જ્યારે કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશભાઈ વસાવાને પૂછવામાં આવ્યું કે સરકારી ગાડી પતરાં કેમ પાછા મૂકી આવી? ત્યારે તેમણે ઘસીને ના પાડી દીધી કે, આ બાબતે મને કોઈ જ માહિતી નથી. હા, અમે ગેરકાયદેસર બાંધકામ હોવાથી કાર્યવાહી ચોક્કસ કરી હતી. પરંતુ પતરાં પાછા કેમ મૂકી આવ્યા તે તો અમારો ટીપી વિભાગ જ જાણી શકે, આ અમારું કામ નથી. હા, એ પતરાં તો અમે જ હટાવ્યા હતા: ટીપી વિભાગના અધિકારી કાર્યપાલક ઇજનેરે જેમના પર ટોપી ઢોળી હતી તે ટીપી વિભાગના અધિકારી જીગ્નેશભાઈ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે સાંભળીને કાયદાનું ભણતર પણ શરમાઈ જાય. જીગ્નેશભાઈએ જણાવ્યું કે, હા, એ પતરાં તો અમે જ હટાવ્યા હતા. પરંતુ એ જે તે વ્યક્તિ ખૂબ જ મધ્યમ વર્ગના હોવાથી અમારી પર તેમનો ફોન આવ્યો હતો અને તેમણે આજીજી કરી હતી કે સાહેબ આ પતરાં પાછા આપી દો, અમે હવેથી ફરી ક્યારેય આવું ગેરકાયદેસર બાંધકામ નહીં કરીએ. એટલે માનવતાના ધોરણે અમે પતરાં પાછા મૂકી આવ્યા છીએ. ભાસ્કરના આ સવાલોથી ચૂપ થઈ ગયા ટીપી વિભાગના અધિકારી ત્યાર બાદ દિવ્ય ભાસ્કરે વેધક સવાલ કર્યો શું સુરત શહેરના તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરે અને પકડાઈ જાય, ત્યારે સુરત મનપા આ જ રીતે હોમ ડિલિવરીની સેવા પૂરી પાડે છે ખરી? શું સામાન્ય લારી-ગલ્લાવાળાઓનો સામાન તમે આ રીતે ફોન પર પાછો આપો છો? ત્યારે જીગ્નેશભાઈ પાસે કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ થઈ ગઈ હતી અને તેઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા. ઓર્ડર સહિતના દસ્તાવેજો આપવાનો સાફ ઇનકાર કરી દીધો જ્યારે અમે ટીપી વિભાગ પાસે આ સમગ્ર કાર્યવાહીનો જપ્તી મેમો, સત્તાવાર નોટિસ અથવા પતરાં પાછા આપવાનો ઓર્ડર માંગવામાં આવ્યો, ત્યારે અધિકારી જીગ્નેશભાઈ પટેલે દસ્તાવેજો આપવાનો સાફ ઇનકાર કરી દીધો. તેમણે વહીવટી રૂઆબ બતાવતા કહ્યું કે, અમે આ રીતે સીધી કોઈ નોટિસ કે કાગળો તમને ન આપી શકીએ. તમારે જો આ બધું જોઈતું હોય તો નિયમ મુજબ આરટીઆઈ કરો અથવા સત્તાવાર અરજી કરો, ત્યાર બાદ જ વિચારીશું. દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી અધિકારીઓનો આ આક્રમક અને અસહકારભર્યો વલણ જ સાબિત કરે છે કે દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. જો કાર્યવાહી ન્યાયિક અને નિયમબદ્ધ હોત, તો સરકારી કાગળો બતાવવામાં આટલો ડર કેમ લાગી રહ્યો છે? સુરત મનપાની આ 'પતરાં લીલા' એ કતારગામ જ નહીં પરંતુ સમગ્ર સુરત શહેરમાં ચર્ચા જગાવી છે. આ ઘટનાથી મનપાના વહીવટ સામે કેટલાક ગંભીર સવાલો ઊભા થાય છે. કયા કાયદા હેઠળ ફોન આવતા જ સામાન પાછો આપી દેવાયો? બેવડું ધોરણ કેમ? જો કોઈ ગરીબ શાકભાજીની લારીવાળો રસ્તા પર ઊભો રહે તો મનપા તેનો સામાન જપ્ત કરીને હરાજી કરી નાખે છે અથવા હજારો રૂપિયાનો દંડ વસૂલે છે. તો આ કેસમાં કયા કાયદા હેઠળ ફોન આવતા જ સામાન પાછો આપી દેવાયો? પગાર, ગાડીનું ડીઝલ અને જનતાના ટેક્સમાંથી આવે છે સરકારી સંસાધનોનો દુરુપયોગ મનપાના કર્મચારીઓનો પગાર, ગાડીનું ડીઝલ જનતાના ટેક્સના પૈસામાંથી આવે છે. બે કલાકમાં જ સામાન લાવવા-લઈ જવા માટે સરકારી વાહનનો ઉપયોગ કોના આદેશથી થયો? આ ડીઝલનો ખર્ચ કયા અધિકારીના પગારમાંથી કપાશે? આ બાબતે સાહેબને કશી જ ખબર નથી: જેબલિયાના પીએ આ મામલે જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા બાબુભાઈ જેબલિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમનો ફોન તેમના પીએ એ ઉપાડ્યો હતો. જ્યારે પીએને સવાલ કરવામાં આવ્યો કે, તમારા સિંગણપોરવાળા ફ્લેટમાં ગેરકાયદેસર પતરાં નંખાયા હતા અને મનપાએ તે પાછા આપ્યા છે, આમાં સાહેબની શું ભૂમિકા છે? ત્યારે પીએએ બચાવ કરતા જણાવ્યું હતું કે, આ બાબતે સાહેબ (બાબુભાઈ જેબલિયા)ને કોઈ જ પ્રકારની ખબર નથી. આ ભાડૂઆતનો અંગત વિવાદ છે. સાહેબે તેમના ભાડૂઆતને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જે પણ ગેરકાયદેસર બાંધકામ હોય તે તાત્કાલિક હટાવી લેજો. ભલે નેતાજી અજાણ હોવાનો દાવો કરતા હોય, પરંતુ સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે નેતાજીના નામનો ઉપયોગ કરીને વહીવટી તંત્ર પર પ્રેશર લાવવામાં આવ્યું હતું, જેના કારણે અધિકારીઓએ કાયદાના લીરેલીરા ઉડાડી દીધા. કોણ છે બાબુભાઈ જેબલિયા? સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા બાબુભાઈ જેબલિયા ગુજરાતના સંગઠનમાં ટોચના નેતાઓમાંના એક છે. સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત ન હોય પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમાપાસુ છે. તેઓ કાઠી-ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો પણ છે. બધાને સાથે રાખીને ચાલવાની તેમની છબિ છે. તેઓ એક સમયે પાટીલ પછી ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાની પણ રેસમાં હતા. જો કે બાદમાં આ પદ જગદીશ વિશ્વકર્માને આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકા એકાએક કેવી રીતે ગુમ થઇ?:બીજા દિવસે અડધો બળેલો મૃતદેહ મળ્યો, કેનાલ પાસેની ઝાડીઓનું દૃશ્ય જોઇ બાળકોની ચીસ નીકળી ગઇ
    Next Article
    BJPમાં રિસામણા-મનામણા અને ડ્રામા:સચિવાલયના ભોંયતળિયામાં ભડાકા થયા; કોંગ્રેસના નેતા સ્ટેજ ઉપર ભેંકારા તાણીને રડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment