Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશમાં પહેલી વખત ઈચ્છામૃત્યુ મેળવનાર હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ:13 વર્ષથી કોમામાં હતા, સુપ્રીમ કોર્ટે 13 દિવસ પહેલા આપી હતી મંજૂરી

    5 days ago

    હરીશ રાણાએ મંગળવારે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. PTIએ સૂત્રોને ટાંકીને તેની પુષ્ટિ કરી છે. 31 વર્ષના હરીશ 13 વર્ષથી કોમામાં હતા. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. આ દેશનો પહેલો કિસ્સો છે, જેમાં કોઈને ઇચ્છામૃત્યુ આપવામાં આવ્યું છે. 14 માર્ચે હરીશને દિલ્હી AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. AIIMS પ્રશાસને 16 માર્ચે હરીશ રાણાની ફીડિંગ ટ્યુબ હટાવી દીધી હતી. AIIMSમાં હરીશને પેસિવ યુથેનેશિયા આપવામાં આવ્યું. એનો અર્થ એ થાય છે કે કોઈ ગંભીર રીતે બીમાર દર્દીને જીવતો રાખવા માટે જે બાહ્ય લાઇફ સપોર્ટ કે સારવાર આપવામાં આવી રહી છે, તેને રોકી દેવામાં આવે કે હટાવી લેવામાં આવે, જેથી દર્દીનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. 11 માર્ચે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ઇચ્છામૃત્યુ કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે 13 વર્ષથી કોમામાં રહેલા 31 વર્ષીય યુવક હરીશ રાણાને ઇચ્છામૃત્યુ (પેસિવ યુથેનેશિયા)ની મંજૂરી આપી હતી. નિર્મલા દેવીએ નિર્ણય બાદ કહ્યું હતું કે, 'પુત્રની સારવાર માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. મોટી-મોટી હોસ્પિટલોમાં બતાવ્યું અને ઘણા ડોકટરો પાસેથી સારવાર પણ કરાવી, પરંતુ આશાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હવે તો બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે તેને આ પીડામાંથી જલ્દી મુક્તિ મળે.' 2013નો એ અકસ્માત…હરીશ કોમામાં ચાલ્યા ગયા દિલ્હીમાં જન્મેલા હરીશ રાણા ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બીટેક કરી રહ્યા હતા. વર્ષ 2013માં છેલ્લા સેમેસ્ટરના અભ્યાસ દરમિયાન હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયા હતા. અકસ્માત બાદ તેમના આખા શરીરમાં લકવો થઈ ગયો અને તેઓ કોમામાં ચાલ્યા ગયા. ત્યારથી તેઓ ન તો બોલી શકતા હતા અને ન તો કોઈ વસ્તુ અનુભવી શકતા હતા. ડોકટરોએ હરીશને ક્વાડ્રિપ્લેજિયા નામની ગંભીર બીમારીથી પીડિત ગણાવ્યા હતા. આ સ્થિતિમાં દર્દી સંપૂર્ણપણે ફીડિંગ ટ્યુબ (ખાવા-પીવાની નળી) અને વેન્ટિલેટરના સહારે જીવતો રહે છે. 2013માં થયેલા એક અકસ્માત બાદ હરીશ રાણા કોમામાં જતા રહ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેમનું જીવન કૃત્રિમ સાધનોના સહારે જ ચાલી રહ્યું હતું. સમય વીતતો ગયો, પણ હાલતમાં કોઈ સુધારો થયો નહીં. પરિવાર આશા અને હકીકત વચ્ચે ઝૂલતો રહ્યો. આખરે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને એક ઐતિહાસિક નિર્ણયમાં હરીશને ઈચ્છામૃત્યુની પરવાનગી મળી ગઈ. હરીશના ઘરેથી એક ભાવુક વીડિયો સામે આવ્યો આ પહેલાં હરીશના ઘરેથી એક ભાવુક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં બ્રહ્માકુમારી સંસ્થાના સદસ્ય તેમને આધ્યાત્મિક રીતે વિદાય આપવાની તૈયારી કરતા જોવા મળે છે. આ બ્રહ્માકુમારીના બહેનો છે. હરીશના માતા-પિતા બ્રહ્માકુમારીના અનુયાયી છે. વીડિયોમાં જોયું કે લવલી બહેનના એક હાથમાં ચંદનની નાની ડબ્બી છે જ્યારે બીજો હાથ હરીશના માથા પર છે. હરીશના ઓશીકા પાસે જમણી તરફ બ્રહ્માકુમારીના વધુ એક બહેન ઉભા છે. હરીશના કપાળ પર ચંદનનું તિલક લાગી ચૂક્યું છે. પહેલા સાત સેકન્ડ સુધી લવલી બહેન પોતાનો એક હાથ હરીશના માથા પર રાખીને હસતા મોઢે બસ તેને નિહાળતા રહે છે. હરીશની બંને આંખો ખુલ્લી છે. સતત પાંપણો પણ ઝબકી રહી છે. મોઢું ખુલ્લું છે. વચ્ચે એક વાર તેઓ ગળાથી શ્વાસ એવી રીતે ઉપર-નીચે કરે છે જાણે તેમને તરસ લાગી હોય. અત્યાર સુધી તેમની પાંપણો બસ ઊંચી-નીચી થઈ રહી હતી. પણ જેવી લવલી બહેન પહેલો શબ્દ બોલે છે કે તરત જ હરીશની આંખોમાં હલચલ થાય છે અને તેઓ આંખો ફેરવીને હવે સીધું લવલી બહેનને જોવા લાગે છે. જે રીતે 7 સેકન્ડની શાંતિ બાદ પહેલી વાર લવલી બહેને પહેલો શબ્દ બોલ્યો અને તે શબ્દ સાંભળતા જ જે રીતે હરીશે પોતાની આંખો ફેરવી, તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે તેઓ સાંભળી શકતા હતા. કદાચ સાંભળી રહ્યા હતા. શું ખબર લવલી બહેન જે કહી રહ્યા હતા તે સમજી પણ રહ્યા હોય. જો ખરેખર હરીશ સાંભળી અને સમજી રહ્યા હતા, તો તેઓ ચોક્કસપણે જાણી પણ ગયા હશે કે હવે બસ તેઓ મૃત્યુ પામવાના છે. ભારતના બંધારણમાં ઈચ્છામૃત્યુ અંગે શું કાયદો છે? વર્ષ 2005માં 'કોમન કોઝ' નામની એક NGOએ પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના અધિકારની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજી પર 9 માર્ચ 2018ના રોજ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) દીપક મિશ્રાની આગેવાની હેઠળની 5 જજોની બેન્ચે ઈચ્છામૃત્યુને કાયદેસરની માન્યતા આપી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે: "જો કોઈ દર્દી અસાધ્ય રોગથી પીડાતો હોય અથવા વેજિટેટિવ સ્ટેટમાં હોય (માત્ર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ જીવિત હોય), તો કુદરતી રીતે મૃત્યુ મેળવવા માટે તેની સારવાર બંધ કરી શકાય છે. તેને ઈચ્છામૃત્યુ નહીં, પરંતુ સન્માન સાથે મૃત્યુ પામવાનો અધિકાર માનવામાં આવશે." આ અધિકાર ભારતીય બંધારણની કલમ 21નો ભાગ છે, જે સન્માનપૂર્વક જીવવાના અધિકારની સાથે સન્માનપૂર્વક મૃત્યુ પામવાનો અધિકાર પણ આપે છે. ઈચ્છામૃત્યુ અંગેના નિયમો શું છે? 2018માં પેસિવ યુથેનેશિયાને કાયદેસરતા આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ માટે બે પ્રકારના નિયમો બનાવ્યા હતા: 1. જ્યારે દર્દીએ પહેલેથી ‘લિવિંગ વિલ’ લખી રાખી હોય: જ્યારે દર્દી માનસિક રીતે સ્વસ્થ હોય ત્યારે જ પોતાની ઈચ્છા મુજબ 'લિવિંગ વિલ' તૈયાર કરે છે. આ વિલમાં સ્પષ્ટપણે લખવામાં આવે છે કે જો દર્દીની બીમારી અસાધ્ય બની જાય અને તે ક્યારેય સાજો ન થઈ શકે તેવી સ્થિતિમાં હોય, તો તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ માટે પણ કેટલાક નિયમો નક્કી કર્યા છે: 18 વર્ષથી વધુ ઉંમરની અને સ્વસ્થ વ્યક્તિ જ લિવિંગ વિલ લખી શકે છે. દર્દીએ બે સાક્ષીઓની હાજરીમાં લિવિંગ વિલ પર સહી કરી હોવી જોઈએ. દસ્તાવેજોની ખરાઈ (વેરિફિકેશન) જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હોવી જોઈએ. સારવાર કરનાર ડોક્ટર, હોસ્પિટલનું મેડિકલ બોર્ડ અને જિલ્લા સ્તરના એક બાહ્ય મેડિકલ બોર્ડની મંજૂરી લેવી અનિવાર્ય છે. બંને બોર્ડની મંજૂરી બાદ જ વેન્ટિલેટર જેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરી શકાય છે. આ સમગ્ર પ્રક્રિયા વિશે પરિવારને જાણ કરવામાં આવે છે. કોઈ પણ વિવાદની સ્થિતિમાં હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. 2. જ્યારે કોઈ લિવિંગ વિલ ન હોય: જ્યારે દર્દી ભાનમાં હોય ત્યારે લિવિંગ વિલ નથી બનાવતો, તો તેનો પરિવાર અથવા નજીકના સંબંધીઓ આ નિર્ણય લઈ શકે છે. જોકે, આ પ્રક્રિયા એટલી સરળ નથી. આ માટે 2018માં સુપ્રીમ કોર્ટે બનાવેલા નીચે મુજબના નિયમોનું પાલન કરવું પડે છે: હોસ્પિટલના ડોક્ટરોનું એક બોર્ડ દર્દીની સ્થિતિ તપાસીને રિપોર્ટ તૈયાર કરે છે. ત્યારબાદ કલેક્ટર 3 થી 5 નિષ્ણાતોનું બીજું મેડિકલ બોર્ડ બનાવે છે, જે આ રિપોર્ટની તપાસ કરે છે. બંને બોર્ડ સહમત થાય પછી આ નિર્ણયને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે મોકલવામાં આવે છે. મેજિસ્ટ્રેટ દર્દીને મળીને અંતિમ નિર્ણય લે છે. જો આમાં કોઈ વિવાદ થાય, તો હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. શું અગાઉ આવો કોઈ કિસ્સો બન્યો છે? હરીશ રાણાનો કેસ ભારતમાં પેસિવ યુથેનેશિયાનો એવો પ્રથમ કિસ્સો છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ખરેખર તો, 2018ના 'કોમન કોઝ' ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિયમો બનાવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તે કોઈ કેસમાં લાગુ થયા નહોતા. હરીશનો કેસ પ્રથમ છે જેમાં આ નિયમોનો અમલ થઈ રહ્યો છે. 11 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી AIIMSને આદેશ આપ્યો છે કે તેઓ એક બીજું મેડિકલ બોર્ડ બનાવે જે હરીશ રાણાની સ્થિતિની તપાસ કરે. આ કેસમાં પ્રાઈમરી અને સેકન્ડરી મેડિકલ બોર્ડની પ્રક્રિયા કોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે. જોકે, 2011ના અરુણા શાનબાગ કેસે પેસિવ યુથેનેશિયાને પ્રથમ વખત કાયદેસર બનાવ્યું હતું, જે 2018ના 'કોમન કોઝ' કેસનો આધાર બન્યું હતું. અરુણા શાનબાગ કેસ: 1973માં મુંબઈની KEM હોસ્પિટલમાં 42 વર્ષની નર્સ અરુણા શાનબાગ પર એક વોર્ડ એટેન્ડન્ટે હુમલો કર્યો અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો. આ હુમલામાં મગજની ગંભીર ઈજાઓને કારણે અરુણા કોમામાં ચાલી ગઈ હતી. તેમની ગંભીર હાલતને જોતા વર્ષ 2009માં પત્રકાર પિંકી વિરાણીએ અરુણા વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં અરુણાના લાઈફ સપોર્ટ મશીનો હટાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી તેમનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. આ મામલે સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુને કાયદેસરનો અધિકાર ગણાવ્યો હતો, પરંતુ અરુણાને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી નહોતી, કારણ કે તે સમયે તેઓ મશીનો વગર પણ થોડા અંશે શ્વાસ લઈ શકતા હતા. ત્યારબાદ 2015માં અરુણા શાનબાગનું કુદરતી રીતે અવસાન થયું હતું. --------------------------------------- આ સમાચાર પણ વાંચો હરિયાણામાં રેલવે ટ્રેક કિનારેથી ઇન્ટરનેશનલ એથ્લેટનો મૃતદેહ મળ્યો:ગઈકાલે જ ખેલો ઇન્ડિયામાં 3 મેડલ જીત્યા; ચંદીગઢથી ભિવાની પરત ફરી રહ્યા હતા હરિયાણાના ભિવાની જિલ્લાના 70 વર્ષીય આંતરરાષ્ટ્રીય એથ્લેટ ફૂલ કુંવરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેમનો મૃતદેહ સોમવારે સોનીપતના રાઠધાના અને નરેલા સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકના કિનારેથી મળી આવ્યો. શરીર પર ઈજાના ઘણા ઊંડા નિશાન હતા. માહિતી મળતા જ રેલવે પોલીસ (જીઆરપી) ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. માહિતી મળતા જ પરિવારના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર'નો ડોંગા ધ્રુવ રાઠી પર ભડક્યો:યુટ્યુબરે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી હતી, નવીન કૌશિકે ફિલ્મને નફરતનું સાધન ન બનાવવાની સલાહ આપી
    Next Article
    વિધાનસભામાં UCC બિલ રજૂ થતા જ અમદાવાદમાં વિરોધ:લાલ દરવાજા વિસ્તારમાં SDPI બાદ AIMIMનું વિરોધ પ્રદર્શન, મહિલાઓએ કહ્યું- મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાયો, સંવિધાનની વિરૂદ્ધનું કામ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment