Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂલકાઓના સ્વાસ્થ્યના હિતમાં નિર્ણય:હીટવેવને પગલે શાળાના બાળકોને 12 વાગ્યા પહેલા છોડી દેવાશે

    2 days ago

    રાજકોટમાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક શાળાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. હાલમાં રાજકોટમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે, જે દરમિયાન ખાસ કરીને બપોરે 12.30 થી 1.30 વાગ્યાના સમયગાળામાં, જ્યારે શાળાઓ છૂટતી હોય છે, ત્યારે ગરમીનું પ્રમાણ તેની ચરમસીમાએ હોય છે. આ જોખમી પરિસ્થિતિને ટાળવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી છૂટછાટનો ઉપયોગ કરી અનેક શાળાઓએ હવે બપોરે 12 વાગ્યા પહેલા જ ભૂલકાઓને રજા આપવાનું શરૂ કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા બપોરે 1 થી 5 દરમિયાન બહાર ન નીકળવાની ગાઈડલાઈન જાહેર કરાયા બાદ વાલીઓ અને અનેક શાળા સંચાલકોએ સંકલન સાધીને આ સ્વેચ્છિક નિર્ણય લીધો છે જેથી માસૂમ બાળકોને લૂ લાગવાની ઘટનાઓથી બચાવી શકાય. શાળાઓના આ નિર્ણયથી રાજકોટના હજારો વાલીઓએ રાહત અનુભવી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સૂર્યનારાયણ આકરા પાણીએ છે. સામાન્ય દિવસોમાં શાળાઓનો છૂટવાનો સમય બપોરે 12.30 થી 1.30 વચ્ચેનો હોય છે, જે ગરમીનો પીક સમય ગણાય છે. આથી, શાળાઓએ હવે સવારનો સમય વહેલો કરીને અથવા પિરિયડ્સની લંબાઈમાં ઘટાડો કરીને બાળકોને 11.30 થી 12.00 વાગ્યા સુધીમાં ઘરે મોકલી દેવાની વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને પ્રાયમરી અને પ્રી-પ્રાયમરીના બાળકો માટે આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે જે-તે શાળા પોતાની ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક તાપમાનને ધ્યાનમાં રાખીને વિવેકબુદ્ધિથી સમયમાં ફેરફાર કરી શકશે. જિલ્લા શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગના મતે, બાળકોની શારીરિક ક્ષમતા પુખ્ત વયના લોકો કરતા ઓછી હોવાથી તેઓ હીટ સ્ટ્રોકનો શિકાર જલ્દી બની શકે છે. બપોરે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ અને હીટ ઈન્ડેક્સ વધુ હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, બપોરે 12 થી 4 દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ અને હીટ ઈન્ડેક્સ સૌથી વધુ હોય છે. રાજકોટ જેવા સૂકા વિસ્તારમાં પવનની ગતિ ઓછી હોય ત્યારે ‘હીટ ટ્રેપ’ સર્જાય છે. જો બાળકો આ સમયે લાંબો સમય મુસાફરી કરે તો ડિહાઈડ્રેશન અને ચક્કર આવવાની સમસ્યા વધી શકે છે. આથી જ, આરોગ્ય વિભાગે 1 થી 5 નો સમય ‘રેડ ઝોન’ જાહેર કર્યો છે, જેની સીધી અસર શાળાના સમયપત્રક પર પડી છે. બાળકોને ગરમીથી સુરક્ષિત રાખવા વાલીઓએ આટલું કરવું 1 બાળકોને શાળાએ મોકલતી વખતે પાણીની બોટલમાં લીંબુ શરબત અથવા ઓઆરએસ (ORS) આપવું. 2 બાળકોને સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરાવવા. 3 શાળાએથી પરત આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાને બદલે શરીરનું તાપમાન સામાન્ય થવા દેવું. 4 બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને તરબૂચ, છાશ જેવા પ્રવાહીનું સેવન વધારવું. 5 પાર્ક કરેલી કાર કે બંધ વાહનમાં બાળકોને એકલા ક્યારેય ન છોડો. 6 જો અસહ્ય માથાનો દુખાવો, ચક્કર કે ઉબકા આવે તો વિલંબ કર્યા વગર તુરંત તબીબી સારવાર અથવા 108ની મદદ લો.
    Click here to Read More
    Previous Article
    મૌનનું મહાત્મ્ય:રાજકોટમાં ગૌ ધામ શિવ કથામાં મૌન, ભસ્મ અને ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો મહિમા સમજાવાયો
    Next Article
    દુર્ઘટના:રાજકોટ ડીસીબીએ પીછા કરતાં દારૂ ભરેલી રીક્ષા પલટી મારી ગઇ, બુટલેગરને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment