Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું:ફ્લાવર બેડના દંડના હપ્તા માટે અરજન્ટ દરખાસ્ત લવાતા વિપક્ષનો હોબાળો, 10 મિનિટમાં જ ધડાધડ 14 દરખાસ્તો મંજૂર કરી દેવાઈ

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાન હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે યોજાયેલું અંતિમ અને ખાસ જનરલ બોર્ડ ધારણા મુજબ જ અત્યંત તોફાની રહ્યું હતું. 11 માર્ચના રોજ વર્તમાન પદાધિકારીઓની મુદત પૂરી થઈ રહી હોવાથી ઉતાવળે બોલાવવામાં આવેલા આ ખાસ બોર્ડમાં વિરોધપક્ષે ભ્રષ્ટાચાર, પક્ષપાત અને નિયમ વિરુદ્ધ કામગીરીના ગંભીર આક્ષેપો સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં ફ્લાવર બેડના નામે થયેલા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટેના દંડની કરોડો રૂપિયાની રકમમાં હપ્તા કરી આપવાની દરખાસ્ત અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામોના મુદ્દે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું હતું. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ 'મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનનું ગેરકાયદે બાંધકામ' લખેલા બેનરો દર્શાવી આક્રમક દેખાવો કર્યા હતા. ફ્લાવર બેડ દંડમાં હપ્તા પદ્ધતિનો વિવાદ અને બિલ્ડરોને મોટી રાહત રાજકોટમાં બિલ્ડરો માટે આજે બોર્ડમાં સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ સત્તા મંડળ અને કેબિનેટના ખાસ કિસ્સામાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને રાજકોટ મહાપાલિકા દ્વારા નવી હપ્તા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી બહુમાળી ઇમારતોમાં ફ્લાવર બેડના નામે કરાયેલા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે બિલ્ડરોએ કરોડો રૂપિયાનો દંડ એકસાથે ભરવો પડતો હતો, જે ભરવામાં અનેક બિલ્ડરો પાછીપાની કરી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં બિલ્ડરોને આર્થિક રાહત આપવા માટે નવા નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ હપ્તા પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ બિલ્ડરે 50 લાખ સુધીનો BU (બી.યુ.) ચાર્જ ભરવાનો હોય, તો તેઓ ચેક દ્વારા સીધી ચુકવણી કરી શકશે. પરંતુ, જો દંડ કે ચાર્જની રકમ 50 લાખ થી વધુ થતી હોય તેવા કિસ્સામાં, બિલ્ડરોને 1 વર્ષના સમયગાળામાં ત્રણ-ત્રણ મહિનાના અંતરે કુલ 4 સરખા હપ્તામાં નાણાં ભરવાની છૂટ આપવામાં આવશે. કમિશનરના ઈન્કાર બાદ પદાધિકારીઓ વિશેષાધિકારનો ઉપયોગ કરી દરખાસ્ત લાવ્યા નોંધનીય છે કે મનપા કમિશનર તુષાર સુમેરાએ આ પ્રકારની દરખાસ્ત કરવાનો અગાઉ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હોવા છતાં, પદાધિકારીઓએ તેના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ મામલે અર્જન્ટ દરખાસ્ત લાવી તેને બહાલી આપી દીધી હતી. આ નિર્ણયથી બિલ્ડરોને 5 કે 10 કરોડ જેવી મસમોટી રકમ ચૂકવવામાં મોટી સુવિધા મળશે. જેને લઈને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આ મામલે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. અને શાસકોએ જીપીએમસી એક્ટનાં નિયમોનું ઉલ્લંઘન કરી બિલ્ડરોને લાભ અપાવવા અરજન્ટ દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું. વિપક્ષના ગંભીર આક્ષેપો: GPMC એક્ટના ઉલ્લંઘનનો દાવો વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા આજે પૂરી તૈયારી સાથે જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. તેઓ જીપીએમસી (GPMC) એક્ટની બુક સાથે રાખીને સત્તાધારી પક્ષ પર તૂટી પડ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કાયદાના નિયમો મુજબ ખાસ બોલાવવામાં આવેલા બોર્ડમાં આવી કોઈપણ અર્જન્ટ દરખાસ્તો લાવી શકાય નહીં. સાગઠીયાએ મેયરને ઉદ્દેશીને પત્ર પાઠવ્યો હતો અને બોર્ડમાં પણ ચેતવણી આપી હતી કે, જો નિયમ વિરુદ્ધ જઈને દરખાસ્ત પસાર કરવામાં આવશે, તો તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે અને મેયરે કોર્ટમાં જવાબ આપવો પડશે. સાગઠીયાએ માત્ર કાયદાકીય જ નહીં પણ વ્યક્તિગત આક્ષેપો પણ કર્યા હતા. તેમણે વોર્ડ નંબર 8 માં પંચવટી સોસાયટી શેરી નં-2 માં બગીચાની નજીક સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા માર્જિનની જગ્યા રાખ્યા વગર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મેં પોતે સ્થળ પર જઈ તપાસ કરી ત્યારે ત્યાંના મજૂરોએ સ્વીકાર્યું હતું કે આ મકાન જયમીન ઠાકરનું છે. જો તેઓ આ મકાન તેમના બહેનનું હોવાનું કહીને બચાવ કરતા હોય, તો શું તેમના બહેનને પણ નિયમો નેવે મૂકી ગેરકાયદે બાંધકામ કરવાની છૂટ છે? આ અંગે સાગઠિયાએ લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. વિપક્ષના આ આક્ષેપોને પગલે બોર્ડમાં ભારે ચકમક ઝરી હતી. સ્ટેન્ડિંગ ચેરમેનનો વળતો પ્રહાર અને સફાઈ પોતાના પર લાગેલા ગેરકાયદે બાંધકામના આરોપો અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અત્યંત આત્મવિશ્વાસ સાથે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા પત્નીના નામે પ્લોટ છે જે સંપૂર્ણપણે કાયદેસરનો છે. હું વ્યવસાયે બિલ્ડર છું અને બાંધકામ ક્ષેત્રના તમામ નિયમોથી સંપૂર્ણ વાકેફ છું. મેં 1 ફૂટનું પણ ગેરકાયદે બાંધકામ કર્યું નથી. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે નવા ટાઉન પ્લાનિંગ એક્ટના GDCR મુજબ પૂરતું માર્જિન છોડવામાં આવ્યું છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી તેઓ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. ઠાકરે પડકાર ફેંકતા કહ્યું કે તેઓ એક જવાબદાર ટેક્સપેયર છે અને જાહેરમાં પોતાના ટેક્સના આંકડા અને તમામ પુરાવાઓ રજૂ કરવા તૈયાર છે. તેમણે વિપક્ષના વિરોધને 'અભ્યાસ વિનાનો' ગણાવ્યો હતો. માત્ર 10 મિનિટમાં 14 દરખાસ્તો મંજૂર કરી બોર્ડની કામગીરી પૂર્ણ જાહેર કરાઈ ભારે હોબાળો, નારેબાજી અને બેનરો વચ્ચે પણ સત્તાધારી પક્ષે પોતાની વ્યૂહરચના મુજબ કામગીરી ચાલુ રાખી હતી. માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં એજન્ડા પરની 12 દરખાસ્તો અને અન્ય 2 અર્જન્ટ દરખાસ્તો મળી કુલ 14 કામોને બહુમતીથી મંજૂરી આપી દેવામાં આવી હતી. આજના બોર્ડમાં લેવાયેલા મહત્વના નિર્ણયો: * નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ: વર્ષ 1998 થી ચાલતા આ મેદાનના વિવાદમાં હવે પૂર્ણવિરામ મુકાયું છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખીને, આ મેદાન પ્લેગ્રાઉન્ડના હેતુ માટે જ રહેશે અને ત્યાં કોઈ બાંધકામ કરી શકાશે નહીં તેવી શરતે સ્કૂલના બાળકોને રમવા માટે સોંપવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. * ધાર્મિક અને સામાજિક હેતુ માટે ગ્રાઉન્ડ ફાળવણી: બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંપ્રદાયને મહોત્સવ માટે કાલાવડ રોડ પર આવેલું રેસકોર્સ ગ્રાઉન્ડ નિઃશુલ્ક આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથોસાથ રાજકોટ જૈન સમાજને નાત જમણ માટે પણ રેસકોર્સ ગ્રાઉન્ડ નિઃશુલ્ક આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આચારસંહિતા પૂર્વે આ કામો કરવા જરૂરી હોવાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું. * પ્લોટ વેચાણ અને દસ્તાવેજ: અમીન માર્ગ પર કોર્પોરેશન દ્વારા રૂ. 106 કરોડમાં વેચવામાં આવેલા પ્લોટના દસ્તાવેજ કરવાની મંજૂરી અપાઈ હતી. બોર્ડની મંજૂરી વિના આટલી મોટી રકમનો દસ્તાવેજ થઈ શકે તેમ નહોતો. * કર્મચારી હિતના નિર્ણયો: ભાજપના જ નગરસેવક નેહલ શુક્લએ કર્મચારીઓના હિતમાં રજૂઆત કરી હતી. આશરે 70 જેટલા કર્મચારીઓને 'નોશનલ પગાર'નો લાભ આપવાની દરખાસ્તમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી તેમને નિવૃત્તિ સમયે આર્થિક નુકસાન ન થાય. આ રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. * જમીન માલિકી અંગે સ્પષ્ટતા: નેહલ શુક્લએ અન્ય એક પ્લોટ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે જે જમીનની માલિકી કોર્પોરેશનને બદલે રૂડા (RUDA) હસ્તક હોવાનું માલૂમ પડ્યું છે. આ મામલે કમિશનરને કાયદાકીય માર્ગદર્શન મેળવી આગળ વધવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાના આ ખાસ બોર્ડમાં વિપક્ષની રજૂઆતોને સદંતર અવગણીને શાસક પક્ષે તમામ 14 દરખાસ્તોને ગણતરીની મિનિટોમાં મંજૂર કરી દીધી હતી. ટર્મ પૂર્ણ થતી હોવાથી આચારસંહિતાની અસર પડે નહીં તે માટે પદાધિકારીઓએ ઉતાવળ કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું. વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ અંતે ફરી એકવાર આક્ષેપ કર્યો હતો કે શાસકો બિલ્ડરોના હિતમાં નિયમો તોડી રહ્યા છે. બીજી તરફ, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને આ તમામ નિર્ણયોને શહેરના વિકાસ અને લોકહિતના ગણાવ્યા હતા. બોર્ડ પૂર્ણ થતાની સાથે જ મનપામાં હવે ચૂંટણીનો માહોલ અને વહીવટી શાસન તરફની તૈયારીઓ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સંજીવકુમાર ઓડિટોરિયમને 23 કરોડના ખર્ચે રિનોવેટ કરાશે:11 વર્ષ પહેલાં 20 કરોડમાં બન્યું હતું, સોના કરતા ઘડામણ મોંધુ!
    Next Article
    હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સંમેલન:વિવિધ ક્ષેત્રની 26 મહિલાનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment