Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP ચૌધરી અસલમની પત્નીએ 'ધૂરંધર'ની કમાણીમાં ભાગ માગ્યો:કહ્યું- આદિત્ય રૂ.25 કરોડ આપે; રહેમાન ડકૈતની ધમકી, દાઉદ કનેક્શન, લ્યારી વિશે નૌરિન ચૌધરીની સ્ફોટક વાતો

    20 hours ago

    બોલિવૂડની ફિલ્મ ધૂરંધર હાલમાં ભારત અને પાકિસ્તાન એમ બંને દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સંજય દત્તે પાકિસ્તાનના ખુંખાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એસપી ચૌધરી અસલમનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ શું ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે બધું જ સાચું છે? લ્યારીમાં થતી ગેંગવોર, તાલિબાનની ધમકીઓ અને દહેશત વચ્ચે ચૌધરી અસલમનું અંગત જીવન કેવું હતું? દિવ્ય ભાસ્કરે ચૌધરી અસલમની પત્ની નૌરિન ચૌધરી સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે ફિલ્મની ભૂલો, દાઉદ સાથેના સંબંધોની સત્યતા અને રહેમાન ડકૈત સામેના ઘર્ષણ વિશે એવા ખુલાસા કર્યા છે જે અત્યાર સુધી દુનિયાથી સાવ અજાણ હતા. તેમણે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર પાસે 25 કરોડ રૂપિયાની માગ કરી છે, એ પણ પાકિસ્તાની ચલણમાં. વાંચો, નૌરિન ચૌધરીનો વિસ્ફોટક ઇન્ટરવ્યૂ. દિવ્ય ભાસ્કર: ફિલ્મમાં તમારા પતિનું પાત્ર જોઈને તમને શું લાગ્યું? નૌરિન ચૌધરી: કેરેક્ટર તો ખૂબ સરસ છે. સંજય પર સેટ પણ થાય છે. સંજય દત્તે મારા પતિ ચૌધરી અસલમનું કેરેક્ટર ખૂબ સારી રીતે નિભાવ્યું છે. પણ સ્ટોરીમાં કેટલાક વાતો ખોટી દર્શાવવામાં આવી છે. દિવ્ય ભાસ્કર: કઈ વાતો અલગ બતાવી છે? નૌરિન ચૌધરી: ચૌધરી અસલમનું કેરેક્ટર ખૂબ મોટું છે પણ એટલું દર્શાવવામાં નથી આવ્યું. એમનું કામ માત્ર લ્યારી પુરતું સિમિત નહોતું. એમણે કરાચીમાં ઘણા ઓપરેશન પાર પાડ્યા હતા. જેટલા પણ એકાઉન્ટર થયા એમાં એમણે ક્યારેય મેદાન છોડ્યું નથી. લ્યારીને જે રીતે બતાવવામાં આવ્યું છે એવું હકીકતમાં નથી. લ્યારી તો કરાચીનો નાનકડો વિસ્તાર છે. દિવ્ય ભાસ્કર: ફિલ્મમાં ચૌધરી અસલમની સ્ટાઈલ બતાવી છે એમાં ફિલ્મ બનાવનાર કેટલા સફળ રહ્યા છે? નૌરિન ચૌધરી: સ્ટાઇલમાં તો એ લોકોએ 95 ટકા કોપી કરી છે. જ્યારે સંજય દત્ત લ્યારીમાં બેસીને ચા પીવે છે, ગાડીમાં આંખ ઉપર ઉઠાવીને જુઓ છે એ.. ગેટઅપ.. બધુ જ જોરદાર છે. મારા બાળકોએ ફિલ્મ નથી જોઈ. તેઓ કહે છે કે પિતાને બહુ ક્રૂર બતાવવામાં આવ્યા છે. મેં કહ્યું કે સંજય દત્તની એક્શન જ જોઈ લ્યો, તમને લાગશે તે તમારા પિતા જ છે. દિવ્ય ભાસ્કર: સંજય દત્ત વિશે ચૌધરી અસલમનું શું માનવું હતું? નૌરિન ચૌધરી: એ તો સંજય દત્તને ખૂબ પસંદ કરતા હતા. જ્યારે એમણે ખલનાયક ફિલ્મ જોઈ ત્યારે સંજય દત્તના ખૂબ વખાણ કર્યા હતા. બોલિવૂડની એક ફિલ્મ છે મેરે બાપ… આ ફિલ્મ તેમણે સાતથી આઠ વખત જોઈ છે અને જ્યારે પણ જોતા ત્યારે રડતા હતા. દિવ્ય ભાસ્કર: શું તમે વિચાર્યુ હતું કે ચૌધરી અસલમ પર ફિલ્મ બનશે? નૌરિન ચૌધરી: મેં તો આવું નહોતું વિચાર્યું. પણ મારા પતિ ચૌધરી અસલમે કહ્યું હતું કે એક દિવસ મારા પર ફિલ્મો બનશે. દિવ્ય ભાસ્કર: કયો એવો સીન છે જે જોઈને તમને ચૌધરી અસલમની યાદ આવી ગઈ? નૌરિન ચૌધરી: ત્રણ-ચાર સીન એવા હતા જ્યારે મને લાગ્યું કે મારી નજર સામે મારા પતિ અસલમ જ છે. પણ જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય છે ત્યાંથી મેં ફિલ્મ જોવાની છોડી દીધી. હું આગળ જોઈ ન શકી. એક સીન ખોટો છે જ્યારે તેઓ બલોચના બાળકોને મારે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે અસલમ બલોચોનો દુશ્મન છે પણ હકીકતમાં એવું નથી. તેઓ જેટલા પણ ક્રિમિનલ છે એમની વિરોધમાં હતા. બાળકો સાથે તેમણે ખોટું વર્તન જીવનમાં ક્યારેય નથી કર્યું. દિવ્ય ભાસ્કર: તમારી ક્યારેય રહેમાન ડકૈત સાથે વાતચીત થઈ હતી? નૌરિન ચૌધરી: જરૂરી હતું કે ફિલ્મ બનાવતા પહેલાં મને એમના કેરેક્ટર વિશે પૂછવામાં આવ્યું હોત. તો ઘણી બધી અજાણી વાતો પણ સામે આવી શકી હોત. તેઓ જેલમાં ગયા હતા ત્યારે બહારનું બધુ હું ડીલ કરતી હતી. હું રહેમાન ડકૈતના એરિયામાં પણ ગઈ છું. ત્યારે મારો પીછો કરવામાં આવ્યો હતો. એટલે હું અને મારો ડ્રાઇવર ગાડી લઈને ભાગી નીકળ્યા. ઘણી બધી બાબતો તો મેં પણ ચૌધરી અસલમને નહોતી જણાવી. એક રાત્રે મને રહેમાન ડકૈતે ધમકી આપી હતી. રહેમાન સાથે રૂબરૂમાં વાતચીત નથી થઈ, પણ ચૌધરી અસલમે રહેમાનને પકડીને મારા ઘરના મેઇન ગેટ પર હાજર કર્યો હતો. ત્યારે એને જોયો હતો. જ્યારે ચૌધરી અસલમ જેલમાં હતા ત્યારે રહેમાને મને કોલ કર્યો હતો. તેણે પોતાની ઓળખ આપી. ત્યારે મને લાગ્યું કે મારો ડ્રાઇવર પ્રેન્ક કરી રહ્યો છે. આજે પાકિસ્તાનની સેના અને સિંધ પોલીસ અમારી સુરક્ષામાં લાગેલી છે. દિવ્ય ભાસ્કર: રહેમાન ડકૈતના એન્કાઉન્ટર વખતનો ઘટનાક્રમ શું હતો? ઘરે આવ્યા ત્યારે શું કહ્યું? નૌરિન ચૌધરી: એમણે એન્કાઉન્ટર પહેલાં કેટલાક કોલ ટ્રેસ કર્યા હતા. તેઓ આ પ્લાનને અંજામ આપવા માટે ચાર-પાંચ દિવસ પહેલાં જ ઘરેથી નીકળી ગયા હતા. તેઓ ઇરાનથી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જંગલ જેવા વિસ્તારમાં સાતેક પોલીસ જવાનો સાથે તેમણે રહેમાન ડકૈતને ઘેર્યો હતો. આ સમયે તેમની તબીયત ખરાબ થઈ ગઈ. તેમણે મને ફોન કરીને કહ્યું કે મારાથી નહીં થાય, હું ઘરે આવી જાઉં છું. પણ મેં કહ્યું, ધીરજ રાખો. મને તમારા પર ભરોસો છે. લગભગ છઠ્ઠા દિવસે તેમણે રહેમાનનું એન્કાઉન્ટર કરી નાખ્યું. પછી કાયદાકીય કામ પતાવીને તેઓ બીજા દિવસે ઘરે આવ્યા. ત્યારે ખૂબ ખુશ હતા. મને આવીને કહ્યું, અલ્લાહે મારી ઇજ્જત બચાવી લીધી. ચૌધરીને જે ટાસ્ક મળ્યો એ પુરો કર્યો. 1993-94થી ચૌધરી અસલમે ઓપરેશન કરવાનું શરૂ કર્યું હતું. દિવ્ય ભાસ્કર: રહેમાન ડકૈતના પરિવારથી તમને હજુ પણ ધમકી મળે છે? નૌરિન ચૌધરી: હા… થોડા સમય પહેલાં ધમકી આપી હતી. કરાચીમાં ઘણા બધા ગ્રુપ છે. એટલે ધમકીઓ તો મળે છે. દિવ્ય ભાસ્કર: તમારી એવી કઈ વાત જે ચૌધરી અસલમ માનતા ન હતા? નૌરિન ચૌધરી: એમની કામગીરી વિશે મેં ઘણા ટોક્યા છે. હું કહેતી હતી કે ઓછું કામ કરો. તેઓ દર ત્રીજા-ચોથા દિવસે ઓપરેશન પાર પાડતા હતા. પણ મારા મોઢા પર હા પાડીને ફરી પોતાના મનની વાત કરતા હતા. બધી વાતો માનતા હતા પણ એમના કામકાજ બાબતે હું હારી ગઈ. દિવ્ય ભાસ્કર: શું તમને પણ ચૌધરી અસલમે બંદૂક ચલાવવાની અને હેન્ડ ગ્રેનેડની ટ્રેનિંગ આપી હતી? નૌરિન ચૌધરી: એમણે મને 9MM પિસ્તોલ સહિત બે ત્રણ ગનની ટ્રેનિંગ આપી હતી. અત્યારે પણ મારી પાસે હથિયારો છે. બધા હથિયાર લાયસન્સવાળા છે. મને એમને ફાયરિંગ કરતા અને નિશાન લગાવતા શિખવાડ્યું હતું. દિવ્ય ભાસ્કર: તમે પણ શિખવા માટે રાજી થઈ ગયા હતા? નૌરિન ચૌધરી: ના… મેં તમને શરૂઆતમાં ના પાડી કે મારે બંદૂક નથી ચલાવવી. શું તમે મને ફૂલન દેવી બનાવવા માગો છો? તો તેમણે કહ્યું, ચૌધરીની પત્ની કોઈપણ સ્થિતિમાં ગભરાય નહીં, મારા મૃત્યુ પછી પણ એના મનમાં ડર ન રહેવો જોઈએ. બધાને ખબર હોવી જોઈએ કે નૌરિનખાન કોણ છે. દિવ્ય ભાસ્કર: એક વખત તમારા ઘરે પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એ ઘટનાક્રમ શું હતો? નૌરિન ચૌધરી: એક વખત સવારે સાત વાગ્યાના સુમારે મારા ઘર પર પણ 350 કિલો વિસ્ફોટક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. હું ત્યારે ઘરે એકલી હતી. મેં આગલી રાત્રે ચૌધરી અસલમને ફોન કર્યો હતો, રાતના લગભગ બે વાગ્યા હશે. મેં કહ્યું તમે સમયસર ઘરે આવી જજો. તો તેમણે કહ્યું હતું કે મને ટીપ મળી છે કે ક્યાંક અમેરિકા અથવા સઉદીની એમ્બેસી પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. હું પેટ્રોલિંગમાં છું. પરંતુ ચૌધરી અસલમ એ વાતથી અજાણ હતા કે ખરેખરમાં બોમ્બ તો અમારા ઘરે જ ફૂટવાનો છે. સવારના સાત વાગીને 28 મિનિટે હું મારા બાળકોને ઉઠાડીને નાસ્તો બનાવતી હતી, ત્યારે મારા ઘર પાસે જ બ્લાસ્ટ થયો. જમીનમાં 30 ફૂટ ઊંડો ખાડો પડી ગયો. અંદરથી પાણીનો ફૂંવારો છૂટ્યો. થોડા સમય માટે ઇન્ટરનેટ પણ બંધ થઈ ગયું હતું. આ બ્લાસ્ટમાં અમારા 3થી 4 ગનમેન, એક પડોશી અને એક શિક્ષકનું મોત થયું હતું. મારા ઘરની આસપાસ ગાડીઓ હંમેશા ગોઠવાયેલી રહેતી હતી. જેમ ફિલ્મોમાં બ્લાસ્ટ પછી ગાડીઓ હવામાં ઉછળે છે એમ ઉછળીને દૂર ફેંકાઈ ગઈ હતી. દિવ્ય ભાસ્કર: આ બ્લાસ્ટ કોણે કરાવ્યો હતો એ ખબર પડી? નૌરિન ચૌધરી: હા… તહરિક-એ-તાલિબાને બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. દિવ્ય ભાસ્કર: ચૌધરી અસલમે ક્યારેય બુલેટ પ્રૂફ જેકેટ નહોતુ પહેર્યું? નૌરિન ચૌધરી: હું હંમેશા કહેતી કે બુલેટ પ્રૂફ જેકેટ પહેરો પણ તેઓ માનતા ન હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે તો ઘણી જીદ કરી હતી. પણ એ દિવસે ઘરેથી નીકળ્યા પછી થોડે દૂર જઈને જેકેટ કાઢી નાખ્યું હતું. કહેતા કે ચૌધરી આવી રીતે જેકેટ ન પહેરી શકે. મારે કોઈ એક્સ્ટ્રા ડિફેન્સની જરૂર નથી. એના કરતા તો મરી જવું સારું. તેઓ ઓપરેશન સમયે ક્યારેય ગાડીમાં નહોતા બેસી રહેતા. ફોર્સમાં તેઓ સૌથી આગળ રહેતા. દિવ્ય ભાસ્કર: અસલમ ચૌધરીનું મૃત્યું થયું એ વખતનો ઘટનાક્રમ કેવો હતો? નૌરિન ચૌધરી: મારા મામાના દીકરાનો ફોન આવ્યો કે ટીવી ચાલુ કરો, મોટા સમાચાર આવી રહ્યા છે. મેં ટીવી પર જોયું તો ચૌધરી અસલમનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. મને ખબર પડી કે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. એટલે હું તરત ત્યાં પહોંચી. એ દિવસે કરાચીમાં શટરડાઉન જેવી સ્થિતિ હતી. આખા શહેરમાં હંગામો મચી ગયો હતો. દિવ્ય ભાસ્કર: તમને લાગે છે કે અસલમ ચૌધરીનું મોત રાજકીય ષડયંત્રના કારણે થયું? નૌરિન ચૌધરી: ના… મને ચૌધરી સાહેબ કહેતા હતા કે હું ક્યારેય ગોળીથી નહીં મરું. મારા પર બોમ્બ બ્લાસ્ટ થશે, ત્યારે જ મરીશ. એમણે તાલિબાનો વિરુદ્ધ ઘણા ઓપરેશન પાર પાડ્યા. તહરીક-એ-તાલિબાને ફોન કરીને કહ્યું હતું કે ચૌધરી અસલમ અમારા રસ્તેથી હટી જાય. તાલિબાનોને કરાચીમાં ચૌધરીથી જ ખતરો હતો. પણ મારા પતિએ વાત ન માની. મારા પતિએ 20 મિનિટ સુધી એ લોકોને ગાળો આપી. ચૌધરી અસલમ જીવનભર રહેમાન ડકૈટથી નથી ડર્યા. જો ડર્યા હોત તો આજે એમની પત્ની અમેરિકા કે ઇંગ્લેન્ડમાં રહેતી હોત. હું તો અત્યારે પાકિસ્તાનની ધરતી પર જ રહું છું ને. દિવ્ય ભાસ્કર: શું તમને લાગે છે કે દાઉદ સાથે પણ તેમની વાતચીત થઈ હતી? નૌરિન ચૌધરી: મેં જીવનભર ચૌધરી અસલમના મોઢે આ નામ સાંભળ્યું જ નથી. અમને દુશ્મનોએ ધમકી આપેલી છે એટલે અમુક વિસ્તારમાં નથી જઈ શકતા. મને અગાઉ પણ આવા સવાલો થયા છે. તેમણે માત્ર મારી સામે શોએબ ખાનનું નામ લીધું છે. જે કરાચીનો ડોન હતો. તેને લાહોર જઈને અસલમ ચૌધરીએ જ ઝડપી પાડ્યો હતો. એ જેલમાં ગયો અને હાર્ટએટેકના કારણે મરી ગયો. મારા પતિ ક્યારેય રૂપિયાની લાલચમાં કોઈની સામે ઝૂક્યા નથી. નવાઝ શરીફ, પરવેઝ મુશર્રફ પણ મારા પતિને અને તેમના કામને જાણતા હતા. તેઓ 300 ગરીબો પરિવારના ઘરમાં રાશન ખૂટવા નહોતા દેતા. દિવ્ય ભાસ્કર: શું આદિત્ય ધરે આ ફિલ્મ બનાવતા પહેલાં તમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો? નૌરિન ચૌધરી: ના… અમારી કોઈ પરમિશન લેવામાં નથી આવી. જ્યારે ટિઝર આવ્યું ત્યારે ખબર પડી કે આવી કોઈક ફિલ્મ આવી રહી છે. તેમણે હવા-હવા સોંગ માટે પાકિસ્તાની કલાકારને ફિલ્મ રિલિઝ થાય એ પહેલાં જ કોપીરાઇટના રૂપિયા આપી દીધા છે. એમણે ચૌધરી અસલમની એન્ટ્રી માટે નાનકડા ગીતના 46 લાખ રૂપિયા આપ્યા છે. હવે મેં નક્કી કર્યું છે કે આ મામલે હું આદિત્ય ધરને ઇન્ટરનેશનલ વકીલ મારફતે નોટિસ મોકલીશ. હું એમની પાસે પાકિસ્તાનની ચલણમાં 25 કરોડ રૂપિયા માગવાની છું. દિવ્ય ભાસ્કર: અત્યારે તમારા પરિવારમાં કોણ-કોણ છે? નૌરિન ચૌધરી: મારા ચાર બાળકો છે. તમામ બાળકો પાકિસ્તાનમાં જ છે. કોઈને વિદેશ નથી મોકલ્યા. મરીશું અથવા મારીશું એ જ ઉદ્દેશ છે. મારા મોટા દીકરાના થોડા સમય પહેલાં જ લગ્ન થયા છે હવે એ પણ પોલીસ ફોર્સમાં જોડાશે. હું 12 વર્ષથી તૈયાર બેઠી છું, જો કોઈ હુમલો કરશે તો એને છોડવામાં નહીં આવે. ચૌધરી અસલમે કોઈ જગ્યા બાકી નથી મૂકી. ઘણા ઓપરેશન પાર પાડ્યા છે. એટલે હવે સિક્યોરિટી જરૂરી છે. દિવ્ય ભાસ્કર: અસલમ પોતાના નામની આગળ ચૌધરી કેમ લગાવતા હતા? નૌરિન ચૌધરી: એમણે ઓપરેશન પાર પાડ્યા પછી એ ઓળખ મળી. તેમણે એન્કાઉન્ટર શરૂ કર્યા ત્યારે મારા કહેવા પર જ સફેદ કુર્તો પહેરવાની શરૂઆત કરી. લોકો સમજે છે કે એ પંજાબી છે પણ તેઓ તો પઠાણ હતા. દિવ્ય ભાસ્કર: બલોચ વિશે ડાયલોગ બોલ્યો હતો, તેના કારણે વિવાદ થયો હતો. હકીકત શું છે? નૌરિન ચૌધરી: મારા પતિ બલોચના વિરોધમાં ન હતા. આજે પણ લ્યારીમાં તેમને માન આપનારા ઘણા લોકો છે. મારા પતિની વરસી વખતે 200 બલોચ મહિલાઓ આવી હતી. તેઓ માત્ર ક્રિમિનલ વિરુદ્ધ હતા, સામાન્ય લોકોને ક્યારેય હેરાન નથી કર્યા, ભલે એ બલોચ હોય કે ન હોય. દિવ્ય ભાસ્કર: અસલમના મોત પછી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો? નૌરિન ચૌધરી: જ્યારે મારા પતિનું આટલું નામ થઈ ચૂક્યું હતું, તેમના ગયા પછી અમારા માટે ખૂબ મુશ્કેલ ભર્યા દિવસો રહ્યા. અત્યારે ઘણી શાંતિ છે. દિવ્ય ભાસ્કર: અગાઉ પાકિસ્તાનના પણ ઘણા લોકો નહોતા ઓળખતા પરંતુ ફિલ્મ આવ્યા પછી ચૌધરી અસલમને વધુ ખ્યાતિ મળી એવું તમે માનો છો? નૌરિન ચૌધરી: ફિલ્મ આવ્યા પછી પણ ઘણી ખરી એમને નામના મળી છે. પણ ફિલ્મમાં એમને થોડા નેગેટિવ બતાવ્યા છે એ ખોટું છે. તેઓ આંતરરાષ્ટ્રીય કેરેકટર રહ્યા છે. પણ આ ફિલ્મ એન્ટિ પાકિસ્તાની છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ સ્થાનિક ચૂંટણી: EVM મશીનોનું ડિસ્પેચિંગ શરૂ:ગોધરાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં મોકલાયા
    Next Article
    Gujarat Weather Updates | આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે | Yellow Alert | News18 Gujarati

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment