Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્મીમેન વૃદ્ધ પર છરી પાઈપ લઈને તૂટી પડ્યો:​બંને હાથ-પગ ભાંગીને ગટરમાં નાખીને ત્યાંથી નાસી છૂટ્યો'તો; શખસની ધરપકડ

    1 week ago

    કેશોદ તાલુકાના જોનપુર ગામ પાસે એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં બામણાસા ઘેડ ગામના એક આર્મીમેને જૂની અદાવતનો ખાર રાખીને 62 વર્ષના વયોવૃદ્ધ પર લોખંડના પાઇપ, સરિયા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હિંસક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને લશ્કરમાં નોકરી કરતા હુમલાખોર આરોપીની ધરપકડ કરી લીધી છે. આર્મીમેન વૃદ્ધ પર છરી પાઈપ લઈને તૂટી પડ્યો ઘટનાની વિગત એવી છે કે બામણાસા ઘેડના રહેવાસી 62 વર્ષીય દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા કેશોદ કોર્ટમાં ચાલી રહેલા એક કેસની તારીખ ભરીને છકડો રિક્ષામાં બેસીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન જોનપુર અને જવાહર નગર ગામની વચારે વીડી પાસેના વિસ્તારમાં, કેશોદ રહેતા અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા ઇન્દ્રેશ અર્જનભાઈ વડીયાતરે પોતાની મોટરસાયકલ રિક્ષા આડી ઊભી રાખી દીધી હતી. આરોપીએ રિક્ષાને રોકીને દેવાભાઈને બળજબરીપૂર્વક નીચે ખેંચી લીધા હતા અને લોખંડના પાઇપ તથા સરિયા વડે આડેધડ બેરહેમીથી માર મારવાનું શરૂ કરી દીધું હતું. ​બંને હાથ-પગ ભાંગી ગયા, માથામાં હેમરેજ થઈ ગયું આ આંધળાઝીંક હુમલાના કારણે વૃદ્ધ દેવાભાઈના બંને હાથ અને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયા હતા અને તેમનો આખો પગ ભાંગી ગયો હતો. આટલાથી પણ મન ન ભરાતા આરોપી ઇન્દ્રેશ વડીયાતરે પોતાના નેફામાંથી છરી કાઢીને વૃદ્ધના માથાના ભાગે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમને માથામાં હેમરેજ થઈ ગયું હતું અને કાનના ઉપરના ભાગે ટાંકા આવ્યા હતા. ઈજાગ્રસ્તને ગટરમાં નાખીને ત્યાંથી નાસી છૂટ્યો હતો આરોપી વૃદ્ધને મનફાવે તેમ મારીને રસ્તા પાસે આવેલી ગટરમાં નાખીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા દેવાભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ કેશોદ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ ગંભીર હાલત હોવાના કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામેવાળા આરોપી સાથે તેમને અગાઉથી જ મનદુઃખ ચાલતું હતું ​આ ઘટના અંગે ભોગ બનનારના પુત્ર લલિતભાઈ દેવરાજભાઈ માકડીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લલિતભાઈના જણાવ્યા અનુસાર સામેવાળા આરોપી સાથે તેમને અગાઉથી જ મનદુઃખ ચાલતું હતું. આરોપી ઇન્દ્રેશ જ્યારે પણ મિલિટરીમાંથી રજામાં ઘરે આવે છે ત્યારે પોતાની લુખી દાદાગીરી અને પૈસાનો પાવર બતાવીને ગામના લોકોને દબાવતો તથા ધમકાવતો રહે છે. ગઈકાલે પણ તેણે કોર્ટમાંથી પરત ફરી રહેલા તેના પિતાને ટાર્ગેટ કરીને જાનથી મારી નાખવાના ઇરાદા સાથે જ આ ઘાતકી કૃત્ય આચર્યું હતું. 'ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરવાના ઇરાદાથી જીવલેણ હુમલો કર્યો' ​ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ વિગતો આપતા જણાવ્યું કે આ સમગ્ર ગુનાનું મૂળ એકાદ વર્ષ જૂની અદાવતમાં રહેલું છે. અગાઉ ભોગ બનનાર દેવાભાઈ માકડીયાએ આરોપી આર્મીમેન ઇન્દ્રેશ વડીયાતરના પિતા અર્જનભાઈ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસ બાબતે કોર્ટમાં સમાધાન કરી લેવા અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરવાના ઇરાદાથી જ આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ હુમલાખોર આરોપી સામે અગાઉ પણ મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે લલિતભાઈની ફરિયાદના આધારે ઇન્દ્રેશ વડીયાતર વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, પીએસઆઈ જે. આર. વાજાએ આગળની તપાસ હાથ ધરી આરોપીને જેલભેગો કરી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ સાઇકલ દિવસ પર 15 કિમીની રાઈડ:ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ બંસલે કરાવી શરૂઆત; ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા ACB સ્ટાફ પણ રેલીમાં જોડાયો
    Next Article
    'I Was A Struggling Actor': Vikram Bhatt On Being 'Broke' While Dating Sushmita

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment