Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના કેસમાં ઘટસ્ફોટ:પડોશી મહિલા જ આરોપી નીકળી, દીકરીના ભાગવામાં હાથ હોવાની શંકાએ વેર વાળવા ષડ્યંત્ર ઘડ્યું

    6 days ago

    સુરતના ઉત્રાણ વિસ્તારના 'શાલીગ્રામ સ્ટેટ્સ' જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જેની પર શંકા હતી એ જ મહિલા આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ભોગ બનનારના પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધી છે. ઉષાબેન મહેન્દ્રભાઇ નાકરાણી (રહે.ફલેટ નં.F/1104, શાલીગ્રામ સ્ટેટસ, ઉત્રાણ) સામે BNS 123 (ગુનાહિત ઈરાદાથી ઝેર વગેરે દ્વારા ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધાયો છે. ગોરધન ડોંડાના પુત્રવધૂએ ત્રણ દિવસ પહેલાં ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમને સામેવાળા પર પહેલેથી જ ડાઉટ હતો, કેમ કે તેમની છોકરીને લઈને મારી સાથે થોડુંક વધારે વેર હતું. તેમની ભાગી ગયેલી છોકરી મને ફોન કરતી હતી, એ એને નહોતું ગમતું.એની છોકરીએ મને સામે ચાલીને ફોન કર્યો હતો, મને તો ખબર પણ નહોંતી. એમને વહેમ છે કે, મેં તેમની છોકરીને ભગાડી છે, એટલે આવું કર્યું. ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 10 એપ્રિલના રોજ પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળીઓ નાખીને ત્યારબાદ ડોંડા પરિવારના ઘરના ઉંબરામાં મૂકી દીધા હતા. ઊંઘની ગોળીઓ લાડુમાં ભળી જતા ડોંડા પરિવારના ગોરધનભાઈ અને તેમની પુત્ર વધુને અસર થઈ હતી. ડોંડા પરિવાર દ્વારા તેમના જ પાડોશી નાકરાણી પરિવાર પર શંકા કરવામાં આવતા પોલીસે આ બાબતે પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઉષાબેન નાકરાણીની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા અને લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવીને મૂકી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરીને ઉષાબેન નાકરાણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી યાદ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ઉષાબેન નાકરાણી ની દીકરી આઠ મહિના પહેલા ઘરેથી ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેમાં ડોંડા પરિવારનો હાથ હોવાની ઉષાબેનને શંકા હતી. ઉષાબેન ની દીકરી પણ ડોંડા પરિવારના પુત્રવધુ કિરણબેનના સંપર્કમાં રહેતી હતી. જેથી તેઓએ આ પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે. 'શાલીગ્રામ સ્ટેટ્સ'માં રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડાના પરિવાર સાથે આ અઘટિત ઘટના બની છે. 10 એપ્રિલના બપોર બાદ ગોરધનભાઈ ઘરે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી. થેલી ખોલીને જોતા તેમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગ કે માનતા પૂરી થતા પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે, જેથી ગોરધનભાઈને કોઈ શંકા ગઈ નહોતી અને તેઓ આ 'પ્રસાદ' સમજીને ઘરમાં લઈ ગયા હતા. ઘરમાં ગોરધનભાઇ અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાની ગણતરીની સમયમાં જ બંનેને તીવ્ર ચક્કર આવવા, સતત ઉલટીઓ થવી, ગભરામણ અને બેચેની થવી અને બેભાન થઈ જવા જેવી અસરો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર જણાતા ત્રણેયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બુંદીના લાડુમાં હતી ઝેરની ગોળીઓ સારવાર દરમિયાન દર્દીઓની હાલત જોતા તબીબોને શંકા ગઈ હતી. જ્યારે બાકી બચેલા લાડુની તપાસ કરવામાં આવી, ત્યારે સૌના હોશ ઉડી ગયા હતા. લાડુની અંદરથી અનાજ સંઘરવા માટે વપરાતી ઝેરની ગોળીઓ મળી આવી હતી. ઝેરનું પ્રમાણ વધુ હોવાને કારણે ગોરધનભાઈની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હતી અને તેઓ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. મારા મમ્મીએ ના પાડી એટલે વધેલી બુંદી પણ હું જ ખાઈ ગઈઃ કિરણબેન હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફરેલા કિરણબેન નિલેશભાઈ ડોંડા (પુત્રવધુ)એ જણાવ્યું કે, આ બધું 10 તારીખે બન્યું હતું. બપોરે મારા સસરા ઘરે આવ્યા ત્યારે નીચે પેસેજમાં કોઈ 'પ્રસાદી' જેવું મૂકી ગયું હતું. હવે આપણને તો એમ જ હોય કે કોઈ પ્રસાદી આપી ગયું હશે, એટલે તે અંદર લઈને આવ્યા અને પ્રસાદી માનીને ખાધી. તેઓ ખાઈને નીચે ગયા, પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં પણ થોડી ચાખી. મેં મારા મમ્મીને પણ ખાવા કહ્યું, પણ તેમણે ના પાડી એટલે એ પણ મેં જ ખાઈ લીધી. ‘મારાથી ઊભું પણ નહોતું થવાતું’ થોડી વાર પછી ફોન આવ્યો કે, પપ્પાને કંઈક તકલીફ થઈ છે. મેં ફોન મૂક્યો ત્યાં તો મને પણ તેની અસર થવા માંડી હતી. તે દિવસે આમ પણ મારી તબિયત સારી નહોતી, પણ પછી તો હું સાવ ઢળી જ ગઈ. હું ઊભી થવા માંગતી હતી પણ મારાથી ઊભું પણ નહોતું થવાતું. મારી દીકરીએ પછી તેના પપ્પાને ફોન કર્યો અને અમે 108 દ્વારા કિરણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પડોશી સામે જ શંકા વ્યક્ત કરી જે સાચી નીકળી જ્યારે મારી દીકરીએ અને મેં અંદર જોયું ત્યારે ખબર પડી કે આમાં તો ગોળીઓ જેવું કંઈક છે, પણ ત્યાં સુધીમાં તો અમે તે ખાઈ લીધું હતું. પછી મારી છોકરીએ વધેલા લાડું કચરામાં નાખી દીધા. પછી પાછો એ લાડવો બહાર કાઢીને ફોટો એના પપ્પાને મોકલ્યો.આટલા વર્ષ થયા અમારે કોઈના સાથે દુશ્મની નથી. ‘વધારે ખાધા હોત તો મરી જ જાત’ મારા ઘરની એણે પથારી ફેરવી નાખી! એને કરવું હતું તો મને લાફા મારી ગયા હોત, પણ આવું ન કરાય ને. આ તો ઠીક છે વધારે નહોતો ખાધો, બાકી તો અમે મરી જ જાત. અમારે પહેલા રિલેશન બહુ જ સારા હતા, પણ હવે આ રીતનું થયું એટલે બંધ થઈ ગયા. ‘મેં અને પુત્રવધુએ એક એક બટકું ખાધું ને કલાકમાં અસર શરૂ થઈ’ ગોરધનભાઈ ડોંડાએ જણાવ્યું હતું કે, 10 તારીખે 3 વાગ્યે ઘરે આવ્યો એટલે હું લાડું પ્રસાદી સમજીને ઘરમાં લઈ ગયો અને ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું. પછી મેં આમાંથી એક બટકુ ખાધું અને મારી દીકરાની વહુએ એક બટકુ ખાધું. ત્યાર પછી કલાકે મને અસર થઈ. તે પછી તો હું નીચે ગયો હતો અને તબિયત બગડી હતી. મારી સાથે જે બધા બેઠા હતા એ મને દવાખાને લઈ ગયા. મારા બન્ને છોકરાઓ ફેક્ટરીએ હતા, એમને ફોન કર્યો કે, ગોરધનભાઈને આમ થયું છે. એમની સાથે અમારે કોઈ જાતનું વેરઝેર નથી. બે વર્ષથી અમારે એની સાથે કોઈ જાતનો સંબંધ નથી, તો શું કામ મારી સાથે આવું કર્યું? એ મને નથી ખબર. હવે મારે ફ્લેટ ખાલી કરીને જવું પડશે અને અથવા એને ફ્લેટ ખાલી કરીને જવું પડશે. મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળીઃ ઈશા ઈશા નિલેશભાઈ ડોંડા (દીકરી)એ જણાવ્યું કે, દાદા બાદ 5 વાગ્યાની આસપાસ મારા મમ્મીએ લાડવો ખાધો હતો. થોડો ટાઈમ થયો એટલે મમ્મીને ચક્કર આવવા લાગ્યા. તરત જ મારા કઝીન આંટીનો ફોન આવ્યો કે, બાપુજીને આવું થયું છે અને હાર્ટ-એટેકની અસર લાગે છે, તે પડી ગયા છે. એટલે પછી મમ્મીએ કીધું કે, ચક્કર તો મને પણ આવે છે. પછી મને ડાઉટ ગયો, એટલે પછી મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળી. પછી મેં તરત પપ્પાને કીધું અને પપ્પાએ મને ફોટો મોકલ. મેં ફોટો મોકલ્યો. પછી પપ્પા કહે કે, એને તું મૂકી દે, એમાં ડ્રગ્સ જેવું લાગે છે. પછી મમ્મીને બહુ ચક્કર આવવા મંડ્યા અને ઉભી નહોતી રહી શકતી નહોંતી. પછી એમ્બ્યુલન્સ બોલાવીને અમે એને કિરણ હોસ્પિટલમાં લઈ ગયા. હવે આપણે કોઈની ઉપર શંકા ન કરી શકીએ. પોલીસવાળાએ હજી અમને કીધું નથી કે કોણે કર્યું છે? કહે છે કે ઇન્વેસ્ટિગેશન ચાલે જ છે. હવે મારું તો કહેવું એમ છે કે, ગમે તેટલા સારા પાડોશી હોય પણ એની ઉપર ભરોસો ન કરાય. આવું બની જાય પછી આપણું આખું મન ઉતરી જાય કોઈ પણ માણસ ઉપરથી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી એરપોર્ટ પર આકાસા એર અને સ્પાઈસજેટના વિમાન અથડાયા:પાર્કિંગ એરિયામાં અકસ્માત, બંને પ્લેનને નુકસાન પરંતુ મુસાફરો સુરક્ષિત
    Next Article
    MLA Yogesh Patel's Video Viral | વડોદરા ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ આંતરિક જૂથવાદ ચરમસીમાએ |BJP | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment