Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગળા નીચે કોળિયો નહોતો ઉતરતો, ધડાકા સાંભળી ફફડી જતાં':યુદ્ધ વચ્ચે ફસાયેલા ગુજરાતી દંપતીની વ્હારે આવ્યું અબુધાબીનું BAPS મંદિર, 2 કલાકમાં જ ટેન્શન દૂર થયું

    13 hours ago

    જ્યારે તમે મહિનાઓથી સાત સમુદ્ર પાર ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હો અને ત્યાં પહોંચીને તમારો ઉત્સાહ અને ઉમંગ જીવના જોખમ અને આર્થિક તંગીમાં ફેરવાઇ જાય તો…? આવું જ કંઇક અમદાવાદના દંપતી કમલેશભાઇ વાળંદ અને ગીતાબેન સાથે બન્યું છે. તેઓ હોંશે હોંશે દુબઇ ફરવા માટે તો ગયા પણ જ્યારે ભારત પાછું આવવાનું હતું ત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુબઇનું એરપોર્ટ બંધ થઇ ગયું. ભયાનક પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા દંપતી પાસે નહોતા રહેવાના પૈસા કે નહોતી ખાવાની સગવડ. બીજી બાજું હોટલના ભાડા વધ્યાં અને ટ્રાવેલ એજન્સીએ હાથ ઊંચા કરી દીધા. ભૂખ, તરસ અને બ્લાસ્ટના અવાજો વચ્ચે ફસાયેલા આ ગુજરાતી પરિવારની વ્હારે અબુધાબીનું BAPS મંદિર અને બ્રહ્મવિહારી સ્વામી આવ્યા. વાંચો પારકા દેશમાં કેવી રીતે માનવતા અને સંસ્થાના સહયોગથી એક દંપતી હેમખેમ અમદાવાદ પરત પહોંચ્યું? 6 મહિના પહેલાં પ્લાનિંગ કર્યું કમલેશભાઇ અને તેમના પત્નીએ 6 મહિના પહેલાં વિદેશ ફરવા જવાનું નક્કી કર્યું હતું. લાંબી ચર્ચા વિચારણા બાદ તેમણે દુબઇ જવાનું પસંદ કર્યું. જેના પછી દુબઇના પેકેજ વિશે 2-3 જગ્યાએ તપાસ કરી. જે દરમિયાન તેમને જાણવા મળ્યું કે રાજ ટ્રાવેલ્સમાં સારું પેકેજ છે એટલે તેમણે ત્યાં જ પેકેજ બુક કરાવ્યું હતું. દુબઇમાં બીજા 30 લોકોનો સાથ મળ્યો આ દંપતી એક અઠવાડિયાની ટ્રિપ માટે 23મી ફેબ્રુઆરીએ અમદાવાદથી દુબઇ જવા નીકળ્યું હતું. અહીંથી ગયા ત્યારે પતિ-પત્ની બે એકલા જ હતા. લગભગ સાંજના સમયે તો તેઓ દુબઇ પહોંચી ગયા હતા. દંપતી જ્યારે દુબઇ એરપોર્ટથી મીના બજારમાં આવેલી હોટલમાં પહોંચ્યું ત્યારે તેમની સાથે અન્ય 30 લોકો પણ હતા. અહીં બધાને રાતના સમયે ક્રૂઝથી માંડીને સાઇટ સીન પર લઇ જવાયા હતા. છેલ્લા દિવસે જ્યાં દર્શન કર્યાં ત્યાંથી જ મદદ મળી ટ્રિપના છેલ્લા દિવસે બધા અબુધાબીમાં BAPS મંદિરે ગયા અને ત્યાં દર્શન કર્યાં હતા. અહીં સુધી તો બધું સારૂં અને આનંદદાયક રહ્યું પણ ખરી મુશ્કેલી હવે શરૂ થવાની હતી. કાર રોકીને કહ્યું એરપોર્ટ બંધ છે કમલેશભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ભારત પાછા આવવા માટે જ્યારે અમે હોટલથી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે અત્યાર સુધી દુબઇમાં વિતાવેલા દિવસોની ખુશી અને ઉત્સાહ ચિંતામાં ફેરવાઇ ગયો. કેમ કે એરપોર્ટ પર અમારી કાર રોકીને કહેવામાં આવ્યું કે અહીં યુદ્ધના એંધાણ છે જેથી એરપોર્ટ બંધ કરાયું છે. દંપતી હોટલ પર પાછું ગયું એરપોર્ટ બંધ થઇ જતાં આ દંપતી હવે આગળ શું કરવું તેની મૂંઝવણમાં મૂકાયું. તેમણે જણાવ્યું કે, આવા સમયે વિચાર આવવા લાગ્યો કે એક બાજુ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. બીજીતરફ એટલા પૈસા પણ નથી આવામાં જવું ક્યાં? જો અહીં અધવચ્ચે ઉતરી જઇશું તો ક્યાં રહીશું? જે હોટલમાં રોકાયા હતા ત્યાં સુધી પાછા કેવી રીતે પહોંચીશું? એટલે અમે કારવાળા ડ્રાઇવરભાઇને કહ્યું કે અમને પાછા એ જ હોટલ પર ઉતારી દો. પાણીની એક બોટલના 125 રૂપિયા કમલેશભાઇ અને ગીતાબેન જ્યારે હોટલ પર પાછા પહોંચ્યા ત્યારે હોટલે ભાડું પણ વધારી દીધું હતું. તેઓ કહે છે કે, અમે હોટલ પર પહોંચ્યાં અને વાત કરી તો હોટલવાળાએ ભાડામાં વધારો કરી દીધો હતો. હોટલવાળા દિવસ દરમિયાન 2 જ બોટલ પાણી આપતાં હતા. એ પછી વધારે પાણી જોઇએ તો 5 દિરહામ (અંદાજે 125 રૂપિયા) ચૂકવવા પડતાં હતા.બીજીતરફ રાજ ટૂરે પણ એવું કહ્યું કે તમારી ટ્રીપ અહીંયા પૂરી થઇ ગઇ છે અને ફ્લાઇટની ટીકિટના પૈસા જ્યારે તમે પાછા આવશો ત્યારે તમને પરત કરી દઇશું. બાકી તમારી રીતે તમને જ્યાં સસ્તું લાગે ત્યાં રહો અને જમો. આવી સ્થિતિમાં તેમની પાસે પૈસા ખૂટી પડ્યાં હતા. ગ્રુપના બાકીના લોકોએ તેમના માટે 2 દિવસ સુધી હોટલ બૂકિંગથી લઇને ભોજન સુધીની વ્યવસ્થા કરી દીધી. જો કે તેમને એવું પણ કહ્યું કે બાકીના દિવસની વ્યવસ્થા તમે કરી લેજો. ભારત પાછા આવવાની કોઇ આશા નહોતી વાતને આગળ વધારતાં કમલેશભાઇએ કહ્યું, આવા સમયે અમારા એક દૂરના સંબંધીને વાત કરીને તેમની પાસે પણ મદદ માગી. મેં કહ્યું કે જ્યારે હું ભારત પરત ફરીશ એ પછી તમને પૈસા પાછા આપી દઇશ એટલે તેમણે બાકીના 2-3 દિવસની સગવડ કરી આપી. આમ કરતાં-કરતાં અમારા ચારેક દિવસ તો જેમ-તેમ કરીને નીકળી ગયા પણ હજી સુધી ભારત ક્યારે પરત ફરીશું તેની કોઇ આશા દેખાતી નહોતી. બીજીવાર કોઇની પાસે કેવી રીતે હાથ લંબાવવો તેની પણ મનમાં સતત ચિંતા ચાલતી હતી. ગળામાંથી એક કોળિયો પણ નહોતો ઉતરતો કે ન તો પાણી પીવું ગમતું હતું કેમ કે અમારી પાસે દુબઇનું નાણું જ નહોતું બચ્યું. માત્ર ભારતના પાંચેક હજાર રૂપિયા જ બચ્યાં હતા. સવાર-સાંજ ધડાકા સંભળાતા દુબઇ ટૂર દરમિયાનના અનુભવો અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે વાત કરતાં કમલેશભાઇએ કહ્યું, અમને રોજ સવાર-સાંજ ધડાકા સંભળાતા હતા. જેવો ઘડાકાનો અવાજ સંભળાય એટલે અમે ટેન્શનમાં આવી જતાં હતા. જો કદાચ અમારા પર મિસાઇલ પડશે તો શું થશે? તેવો વિચાર આવતો હતો. 'રાતના સમયે ફોનમાં મેસેજ આવતાં એટલે હોટલના રૂમમાંથી બહાર નીકળીને હું નીચે પૂછવા જતો કે આ મેસેજ શેના આવી રહ્યાં છે? ત્યારે ત્યાંનો સ્ટાફ કહેતો કે અહીં જે પરિસ્થિતિ છે તે જોતાં સૂચના અપાઇ રહી છે કે તમે જે પણ મકાનમાં હો ત્યાંથી બહાર નીકળી જાવ અને ત્યાંથી દૂર જતા રહો. જેથી કોઇ હુમલો થાય તો સુરક્ષિત રહી શકાય.' મુશ્કેલીના આ સમયમાં અબુધાબીનું BAPS મંદિર તેમની મદદે આવ્યું. કેવી રીતે મંદિરનો સંપર્ક થયો અને ત્યાંથી શું-શું મદદ મળી તેની વાત કમલેશભાઇએ વિગતે કહી. અમદાવાદના ઋષિરાજ સ્વામીએ સાંત્વના આપી તેમણે જણાવ્યું કે, અમને સમાચાર મળ્યાં કે અબુધાબીનું BAPS મંદિર દુબઇમાં ફસાયેલા લોકોને મદદ કરી રહ્યું છે પણ મારી પાસે મંદિરનો નંબર નહોતો એટલે મેં મારા સગા ભાઇને કહ્યું કે તું શાહીબાગ BAPS મંદિરમાં જા. મારા ભાઇએ શાહીબાગ મંદિરે પહોંચીને મારી હોટલનું કાર્ડ અને પરિસ્થિતિ વિશે ઋષિરાજ સ્વામીને વાત કરી. ઋષિરાજ સ્વામીએ કમલેશભાઇના ભાઇને સાંત્વના આપીને કહ્યું કે હું તેમની વિગતો બ્રહ્મવિહારી સ્વામીને પહોંચાડી દઉં છું. તેઓ હાલ અબુધાબીમાં જ છે. 2 કલાકમાં જ બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યો આ અંગે કમલેશભાઇ કહે છે કે, મારી વિગતો જેવી પહોંચાડી કે તેના 2 જ કલાકમાં મારા પર બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યો. સ્વામીએ કહ્યું કે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું અહીંના હરિ ભક્તોને કહું છું. એ તમને લેવા આવશે અને તમારી બધી જ વ્યવસ્થા થઇ જશે. બ્રહ્મવિહારી સ્વામી સાથેની વાતચીતના થોડા જ સમયમાં એક હરિભક્ત કાર લઇને કમલેશભાઇ અને તેમના પત્નીને લેવા હોટલ પર પહોંચ્યા હતા અને એક સારા મકાનમાં રહેવા-જમવાની સુવિધા કરી આપી હતી. જેના કારણે દંપતીને રાહત થઇ. અમદાવાદ આવવાની ટિકિટ કરાવી દીધી તેઓ કહે છે કે, હરિભક્તે 3 દિવસ સુધી સતત અમારા ભોજનથી લઇને રહેવા અને દવાની જરૂરિયાતનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખ્યું હતું. ત્રીજા દિવસના અંતે તો અમને કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ પણ અમે કરાવી દીધી છે આટલું સાંભળતા જ અમે ખૂબ જ રાજી થઇ ગયા હતા. હરિભક્તો એરપોર્ટ સુધી મૂકી ગયા કમલેશભાઇ અને તેમના પત્ની જ્યારે ભારત પાછા આવી રહ્યાં હતા ત્યારે 2 હરિભક્તો તેમને કારમાં લેવા આવ્યા હતા અને એરપોર્ટ સુધી મૂકી ગયા હતા. આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે, હરિભક્તો અમારા માટે ભોજન પણ લઇને આવ્યાં હતા. જ્યારે અમને એરપોર્ટ ઉપર ઉતાર્યા અને અમે અંદર જતાં હતા ત્યારે પણ ખૂબ જ સહજભાવે હરિભક્તોએ કહ્યું કે અમે અહીં બહાર જ ઊભા છીએ. તમારી બધી પ્રોસેસ પૂરી થઇ જાય એ પછી જ અમે અહીંથી જઇશું. અમે એરપોર્ટમાં ગયા જે બાદ અમારી બધી પ્રોસેસ પૂર્ણ થઇ ગઇ પછી અમે તે હરિભક્તોને જાણ કરી અને અમારો ફોટો પણ તેમને મોકલી આપ્યો. આટલી વાત કહેતાં જ કમલેશભાઇને ડૂમો ભરાઇ ગયો. થોડીક ક્ષણ માટે તેઓ ચૂપ થઇ ગયા અને કહ્યું આ લોકો અમારી મદદે ન આવ્યાં હોત તો અમારું શું થાત? અમે દુબઇથી સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર આવ્યાં. દીકરી અને જમાઇ અમને લેવા આવ્યાં હતા. બહાર આવતાં જ મેં તેમને કહ્યું કે પહેલાં તમે અમારો ફોટો પાડો અને સ્વામીને મોકલો કે અમે શાંતિથી પહોંચી ગયા છીએ. BAPS મંદિરે કરેલી મદદને આ દંપતી ક્યારેય ભૂલી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, જ્યાં કોઇ સગા ન હોય ત્યાં અમને BAPS જેવી સંસ્થાએ મદદ કરી હતી એટલું જ નહીં અહીં પાછા આવવા માટે મોંઘામાં મોંઘી ટિકિટ કરી આપી. અમારા માટે તો એ લોકો ભગવાનના રૂપમાં હતા તેવું લાગ્યું. કેટલીક સંસ્થાઓ ત્યાં મદદ માટે કહેતી હતી પણ આવી કોઇ સુવિધા કરતી નહોતી પણ આ લોકોએ ખરેખર અમને સારી રીતે મદદ કરી. કમલેશભાઇ સાથે વાતચીત કર્યા બાદ દિવ્ય ભાસ્કરે તેમના પત્ની ગીતાબેન પાસેથી તેમનો અનુભવ જાણ્યો. ગીતાબેને કહ્યું કે, જ્યારે એરપોર્ટ બંધ કરી દેવાયું ત્યારે ચિંતામાં ને ચિંતામાં મારું બ્લડ પ્રેશર અને ડાયાબિટિશ હાઇ થઇ ગયું, શરીર વીક થઇ ગયું અને ચક્કર આવવા લાગ્યાં હતા. અમે રડીને રાતો વિતાવી છેઃ ગીતાબેન 'અમારે ટૂર સિવાયના વધારાના પાંચેક દિવસ ત્યાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન મને ઠંડી લાગી અને તાવ આવ્યો હતો. અમે હોટલવાળાને રિક્વેસ્ટ કરી હતી કે ઓઢવાનું એકસ્ટ્રા આપો. તેમણે ઓઢવાનું તો આપ્યું પણ હોટલનું ભાડું વધારી દીધું. હું સતત રડ્યાં જ કરતી હતી જેના કારણે મારા શરીર પર પણ તેની અસર પડી રહી હતી. ધડાકાના અવાજ સાંભળીને અમારા ધબકારા એકદમથી વધી જતાં હતા. બપોરે કે રાતે ઊંઘ પણ નહોતી આવતી. આખી આખી રાતો અમે રડીને કાઢી હતી.' પાછા આવ્યા ત્યારે હાશકારો થયો ગીતાબેને ઉમેર્યું કે, જ્યારે પાછા આવવા માટે અમારી ટિકિટ બૂક થઇ અને અમે પાછા આવ્યાં ત્યારે અમને હાશકારો થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ફિલ્મ નિર્માતાની શંકાના વમળમાં હસતો-રમતો પરિવાર હોમાયો!:દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડથી નારાજ, પત્ની પર આડા સંબંધનો આરોપ; એક્ટર કમલનું 'થ્રિલર ફિલ્મી' જીવન
    Next Article
    મંત્રીએ પુછ્યું ગુજરાતના CM કોણ?, જવાબ મળ્યો ‘મોદીજી’:અધિકારી ‘BF-GF’ બોલ્યા ને ચર્ચામાં આવી ગયા; ગેસની અછત પર વોટ્સએપમાં જબરા મેસેજ ફરતા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment