Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભર ઉનાળે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીનો 90% પાક જમીનદોસ્ત:'કેસર'ના ગઢ મેંદરડામાં ઇજારેદારોને રાતા પાણીએ રડવાનો વારો, કેસરના ભાવ આસમાને જાય તેવી શક્યતા

    1 week ago

    જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં ગઈકાલે અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ તેમજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. મેંદરડા પંથકના આંબાના બગીચાઓમાં જાણે કુદરતે કહેર વર્તાવ્યો હોય તેમ ભારે પવનના કારણે તૈયાર થવા આવેલી કેરીઓ ખરી પડી છે. અગાઉ પ્રતિકૂળ હવામાનને કારણે માત્ર 50% જેટલા જ મોર આંબા પર આવ્યા હતા અને ફળનું બંધારણ પણ ઓછું હતું, ત્યાં અચાનક આવેલા આ માવઠાએ ઇજારેદારોના સપનાઓ રોળી નાખ્યા છે. આ પરિસ્થિતિને કારણે ચાલુ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચશે અને મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ ચાખવો કદાચ દુર્લભ બની જશે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે મેંદરડા પંથકના બગીચાઓમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. લાખો રૂપિયાના ખર્ચે ઉછેરેલી કેરીઓ જાણે કે ઈઝારેદારોના સપનાઓ બની જમીન પર વેરવિખેર પડી હતી. ઇજારેદારો ભારે હૈયે જમીન પર પડેલી આ કેરીઓ ભેગી કરી રહ્યા હતા, કારણ કે હવે તેમની આવક શૂન્ય થવાને આરે છે. 'સાત લાખનું રોકાણ પણ પાછું આવે તેમ નથી': ઇજારેદાર મેંદરડાના નાજાપુર ગામના બગીચાના ઇજારેદાર પિયુષભાઈ મકવાણાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, 'મેં અહીં આંબાનો બગીચો ઇજારા પર રાખ્યો છે, જેમાં કુલ 400 આંબા છે. ગઈકાલે આવેલા કમોસમી વરસાદ અને ખાસ કરીને અતિશય ભારે પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે. અત્યારે હાલત એવી છે કે માત્ર 5 ટકા જ પાક આંબા પર બચ્યો છે. 'કુદરતની થપાટ અમને આર્થિક રીતે તોડી નાખે છે' અમે જ્યારે આંબાના બગીચા રાખ્યા ત્યારે તેમાં મધ્યા સહિતના અલગ-અલગ રોગના કારણે તેની માવજત કરવા માટે દવા, ખાતર અને પૂરતા પાણી માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ 400 આંબાનો બગીચો મેં સાત લાખ રૂપિયામાં રાખ્યો હતો, પરંતુ હવે લાગે છે કે આ સાત લાખ રૂપિયાની મુદ્દલ રકમ પણ અમને પાછી મળશે નહીં. છેલ્લા પાંચ વર્ષથી અમારી આ જ કફોડી સ્થિતિ સર્જાઈ રહી છે. દર વર્ષે કમોસમી વરસાદ પાકને નિષ્ફળ બનાવે છે. 12 મહિના અમે આશા રાખીએ છીએ કે પાક સારો આવશે અને પરિવારનું ગુજરાન ચાલશે, પણ કુદરતની આ થપાટ અમને આર્થિક રીતે તોડી નાખે છે. હવે આ ખરી પડેલી કેરીઓ બજારમાં વેચવા જઈશું, જો તેના કોઈ ભાવ આવે તો ઠીક છે, નહીંતર મોટું નુકસાન નિશ્ચિત છે. 'આવી સ્થિતિ રહી તો બગીચા રાખવાનું બંધ કરી દઈશું': ઈજારેદાર નાજાપુર ગામના અન્ય એક ઇજારેદાર મનીષ મકવાણાએ જણાવ્યું હતું કે, 'મેં 200 આંબાનો બગીચો રાખ્યો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આંબાના બગીચાઓમાં સતત નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ઇજારેદારો આંબાના બગીચા રાખવાનું જ બંધ કરી દેશે. જ્યારે અમે બગીચા રાખીએ છીએ ત્યારે આંબામાં રોગ આવે છે અને ત્યારબાદ કુદરતી આફત ત્રાટકે છે. ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે કેરીનો પાક સાવ વેરવિખેર થઈ ગયો છે. પહેલા જ માત્ર 50% પાક હતો, તેમાંથી હવે માત્ર 20થી 25 ટકા જેવો જ પાક બચ્યો છે, અને હજુ પણ વરસાદની આગાહી છે. મેં આ બગીચો 1,45,000માં રાખ્યો હતો અને દવા-ખાતર પાછળ અન્ય 2,00,000થી વધુનો ખર્ચ કર્યો છે. ખેડૂતોને અમે અગાઉ જ પૈસા ચૂકવી દીધા હોય છે, હવે અમારી હાલત અત્યંત કફોડી બની છે. 'સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય જાહેર કરે' મેંદરડા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હમીરભાઇ માડમે આ ગંભીર સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે વાવાઝોડા સાથે જે ભારે પવન ફૂંકાયો, તેમાં આંબાના બગીચાઓમાં ભારે તારાજી સર્જાઈ છે. અંદાજે 90% જેટલી કેરીઓ ખરી પડી છે. મેંદરડા તાલુકાના 42 ગામો આ પવનના કારણે પ્રભાવિત થયા છે. અહીં વરસાદ ભલે ઓછો પડ્યો હોય, પણ પવન એટલો તેજ હતો કે તેણે પાકને જમીનદોસ્ત કરી દીધો છે. ઇજારેદારોએ ખેડૂતોને 80 થી 90 ટકા રકમ ચૂકવી દીધી હોય છે, ત્યારે આ મજૂર વર્ગના ઇજારેદારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આંબામાં મધ્યાનો રોગ પણ મોટો અવરોધ છે, જેના કારણે 50% મોર તો પહેલેથી જ સુકાઈ ગયા હતા. હવે જે બાકી હતું તે પવને સાફ કરી દીધું છે. મારી સરકારને વિનંતી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ઇજારેદારોને સહાય ચૂકવવામાં આવે. સાથે જ ખેડૂતોને પણ મારી અપીલ છે કે જે ઇજારેદારોએ લાખો રૂપિયા ચૂકવ્યા છે, તેમને પણ થોડી રાહત આપે જેથી તેમનું અસ્તિત્વ ટકી રહે. 'આ વર્ષે 10 કિલો કેરીના ભાવ 1500થી 2500 થાય તેવી શક્યતા': વેપારી કેરીના વેપારી મુન્નાભાઈ ફ્રુટવાળાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 40 વર્ષથી ફ્રુટ નો વેપાર કરું છું. જેમાં દર વર્ષે કેસર કેરી ખૂબ મોટા પ્રમાણમાં વહેંચીએ છીએ, પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેરીનો પાક ઓછો આવતા લોકોને સમયસર અને યોગ્ય કેરી ખાવા મળતી નથી. પરંતુ આ વર્ષે જે કોમોસમી વરસાદ વાવાઝોડું અને ભારે પવનના કારણે કેરીના પાકમાં નુકસાન થયું છે. કેરી વધુ પ્રમાણમાં ખરી પડી છે, જેને લઇ જે દર વર્ષે 10 કિલો કેરીના ભાવ 1,000 આસપાસ હોય છે તે આ વર્ષે 1500થી 2500 થાય તેવી શક્યતા છે. કારણ કે આ વર્ષે આંબાના બગીચામાં ઘણું નુકસાન થયું છે. રિટેલર વેપારીઓને પણ વેચવા માટે મોંઘી કેરી ખરીદવી પડે છે. જેને લઇ સ્વાદ રસિકોને આ વર્ષે કેરી મોંઘી ખરીદવી પડશે અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને કેરી ખાવી મુશ્કેલ બનશે. આ કુદરતી આફતની સીધી અસર બજાર પર જોવા મળશે. પાક ઓછો હોવાથી અને જે પાક બચ્યો છે તેની ગુણવત્તા પર અસર પડવાથી આ વર્ષે કેરીના ભાવ 200થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જવાની શક્યતા છે. મેંદરડા પંથકના બગીચાઓમાં અત્યારે પૂરતા પ્રમાણમાં કેરીઓ દેખાતી નથી, જેને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવો અત્યંત મુશ્કેલ બનશે.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસનું ‘ઓપરેશન ઝારખંડ’:રૂ.50 માટે હત્યા કરી 18 વર્ષથી ફરાર ખૂંખાર આરોપીને પકડવા પોલીસે આદિવાસીનો વેશ ધારણ કર્યો, ગાઢ જંગલોમાંથી દબોચી લીધો
    Next Article
    દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી:સુરત, નવસારી અને ડાંગમાં ખેતી પાકોને વ્યાપક નુકસાન, ખેડૂતોની સર્વે માટે માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment