Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક મેસેજ આવ્યો ને રાતે રણમાં ઓપરેશન શરૂ થયું:7 કલાકનો જીવ સટોસટનો જંગ, બચાવવા ગયેલી પોલીસની ગાડી પણ ફસાઇ

    2 days ago

    શનિવારે રાત્રે સાડા નવની આસપાસ પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા રૂટિન પ્રકિયામાં હતા ત્યાં અચાનક એમના ફોનમાં વોટ્સએપ મેસેજ આવ્યો. તેમણે મોબાઇલ હાથમાં લીધો. સ્ક્રીન પર એક નોટિફિકેશન હતું. 'કચ્છના નાના રણમાં માણસો ફસાઇ ગયા છે.' નોટિફિકેશન જોતાં જ જયદીપસિંહ સફાળા બેઠા થઇ ગયા. તરત જ આખો મેસેજ વાંચ્યો. તેમને મળેલો મેસેજ નીચે પ્રમાણે હતો. 'કચ્છના નાના રણમાં માણસો ફસાઇ ગયા છે. રસ્તો મળતો નથી. કુલ 9 જણ છે. ફસાયેલા લોકો સાથે પલાસવા ગામના 2 લોકો છે. આ બધા ટીકરથી પલાસવા આવતા હતા. રાતના અંધારામાં રસ્તો ભૂલી ગયા છે. અત્યારે ફોન લાગે છે પણ એમને રસ્તો મળતો નથી, દિશા ભૂલી ગયા છે. પોલીસ તંત્રને નમ્ર વિનંતી કે ભૂલા પડેલા લોકોને રસ્તો મળી જાય અને તે બધા સલામત રીતે પલાસવા ગામમાં પહોંચી શકે તેવું કરે. તેમની પાસે પીવાનું પાણી પૂરું થઇ ગયું છે, જમવાનું પણ નથી. એ લોકો મોબાઇલમાં વાત કરી શકે છે. તેમને પલાસવા-વેણુ ગામની દિશા મળતી નથી. જે રણના ભોમિયા હોય એ તાત્કાલીક 9 માણસોનો સંપર્ક કરીને એમને કચ્છના નાના રણમાંથી બહાર કાઢે તેવી નમ્ર વિનંતી છે. તેમની પાસે બોલેરો પીકઅપ ગાડી છે.' આ મેસેજમાં એક મોબાઇલ નંબર પણ આપેલો હતો. જેના પર કોન્ટેક્ટ કરવાનું કહેવાયું હતું. મેસેજ વાંચ્યા બાદ હેડ કોન્સ્ટેબલ જાડેજાએ તરત જ સાથી કર્મચારીઓને જાણ કરી. વોટ્સએપના જમાનામાં ક્યાંક અફવાઓ પણ ફેલાતી હોય છે એટલે તેમણે આ મેસેજની ખરાઇ કરવા માટે પલાસવા ગામે રહેતા સકતાભાઇ ભરવાડને ફોન કર્યો હતો. જયદીપસિંહ જાડેજાઃ સકતાભાઇ, આ શું મેસેજ આવ્યો છે? સકતાભાઇઃ હા સાહેબ, 9 લોકો ટિકરથી પલાસવા આવવા નીકળ્યા હતા પણ હજુ પહોંચ્યા નથી. રણમાં ક્યાંક ભટકી ગયા છે. આ સંવાદ બાદ શરૂ થઇ રાતના અંધારામાં અફાટ રણમાં ભૂલી પડેલી 9 માનવ જિંદગીઓને બચાવવાની કસોટી. રાત્રે 9:30 વાગ્યે શરૂ થયેલી કવાયત બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પૂરી થઇ અને આડેસર પોલીસે 9 લોકોને હેમખેમ બચાવી લીધા. દિવ્ય ભાસ્કરે આડેસર પોલીસ સ્ટેશન પીઆઇ વી.એન.સેંગલ અને રણમાં ફસાઇ ગયેલા રામભાઇ ભરવાડ સાથે આ ઘટના અંગે વાત કરી હતી. 7 લોકો ટીકરથી પલાસવા ગામે કપાસ વીણવા આવવાના હતા. જેમને લેવા માટે પલાસવાના રામભાઇ પોતાની બોલેરો પિકઅપ ગાડી લઇને ગયા હતા. રામભાઇ ખેતી અને પશુપાલન કરવાની સાથોસાથ ડ્રાઇવિંગ પણ કરે છે. શોર્ટ કટમાં 30થી 40 કિલોમીટર થાય આડેસર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એ.સેંગલે કહ્યું કે, ટીકરથી પલાસવા જવા માટે રણમાં શોર્ટ કટ રસ્તો છે. જે 30થી 40 કિલોમીટરનો થાય છે. જો ફરીને જઇએ તો લગભગ 150 કિમી થાય. ચોમાસામાં આ શોર્ટ કટ રસ્તો બંધ થઇ જાય છે. સાંજે 7:30 વાગ્યે રસ્તો ભટક્યા રામભાઇ પલાસવાના જ રહેવાસી હોવાથી તે આ શોર્ટ કટ રસ્તા વિશે જાણતા હતા. તેઓ સાંજે ટિકરથી નીકળ્યાં હતા અને રણમાં ભટકી ગયા એ સમયે લગભગ 7:30 વાગ્યા હતા. આના પછી તેમણે પોતાની જાતે જ રસ્તો શોધવાના ઘણા પ્રયત્નો કર્યા. એમની પાસે મોબાઇલ હતો પણ તેમાં નેટવર્ક નહોતું આવતું. રસ્તો ન મળ્યો તો ઊભા રહી ગયા જ્યારે કવરેજ આવ્યું ત્યારે પલાસવાના લોકલ માણસને જાણ કરી કે અમે આ રીતે રસ્તો ભટકી ગયા છીએ. અમને તાત્કાલીક મદદની જરૂર છે. આના પછી એ લોકલ માણસે હેડ કોન્સ્ટેબલ જાડેજાને જાણ કરી અને હેડ કોન્સ્ટેબલે પીઆઇ સેંગલને માહિતી આપી હતી. આ દરમિયાન નવેય લોકો એક જગ્યાએ ઊભા રહી ગયા હતા. પોલીસે 2 ટીમ બનાવી પીઆઇ કહે છે કે, અમે તરત જ પોલીસની 2 ટીમો બનાવી. એક ટીમમાં હું, મારા જમાદાર અને એક ડ્રાઇવર હતા. બીજી ટીમમાં જમાદાર બાબુભાઇ ચૌધરી, જમાદાર જયદીપસિંહ, વનરાજસિંહ હતા. એ લોકો બીજી ગાડી લઇને પલાસવા ગામે ગયા. મેસેજ મળ્યો ત્યારે ખબર હતી કે એ લોકો ભૂખ્યા-તરસ્યા હશે. જેથી તૈયારીના ભાગરૂપે અમે સ્ટાફને કહ્યું હતું કે રણમાં જે ગાડી જાય એની સાથે પાણી, ખોરાક લઇ જવો. કોઇ નિશાની નહોતી પોલીસ સામે ફક્ત રણમાં ભૂલા પડેલા લોકોને જ શોધવાનો પડકાર નહોતો, બીજો એક પડકાર પણ હતો. પીઆઇ સેંગલે જણાવ્યું કે, રણમાં ભૂલા પડવાનો પ્રશ્ન ઘણો પેચીદો હોય છે. આ રણ 300 કિલોમીટરનું મેદાન છે જેમાં માણસને શોધવાનો હોય છે. રણમાં કોઇ પર્વત, ડુંગર, ઝાડ નથી હોતા એટલે કઇ દિશામાં જવું છે અથવા ભૂલો પડેલો માણસ ક્યાં હશે એ જાણી શકાતું નથી. પહેલો પ્રશ્ન એ હતો કે જો આ લોકો નહીં મળે તો બીજા દિવસે સવારે તેમને ડિહાઇડ્રેશન શરૂ થઇ જશે કેમ કે સીધો તડકો અને સફેદ રણ શરીરને અસર કરે છે. કેવી રીતે શોધખોળ શરૂ કરી? પોલીસે પોતાની સાથે સ્થાનિક રસ્તાના જાણકાર હોય તેવી 3 વ્યક્તિઓને અલગ અલગ ગાડીમાં રાખ્યા હતા. આ 3 વ્યક્તિઓના ખેતર રણની બાજુમાં જ હતા. બધાએ સાથે મળીને નક્કી કર્યું હતું કે જેમને પણ ખોવાયેલા લોકો મળે તે બીજાને સાઇન આપે. બન્ને ટીમે પ્લાન અનુસાર ચારેય દિશામાં ફરવાનું હતું. પહેલા સીધા જઇને ડિસ્ટન્સ કવર કરીને મોટો યુ ટર્ન લઇને પાછા આવે. ફરી પાછા એ જ રીતે નિકળે. આમ આખો વિસ્તાર કવર કરતાં હતા. શોધખોળ દરમિયાન પોલીસની ગાડી ફસાઇ પીઆઇ સેંગલે જણાવ્યું કે, અમે પાંચેક કલાક સુધી એ લોકોને શોધ્યા હતા. રાત સુધી ન મળે તો વહેલી સવારથી ડ્રોન ઉડાડવાની પણ અમારી તૈયારી હતી. જો કે પલાસવાથી ત્રીસેક કિલોમીટર રણમાં અંદર ગયા ત્યારે રાત્રે અઢી-ત્રણ વાગ્યે આ લોકો અમને મળી ગયા હતા. અમે અલગ-અલગ દિશાઓમાં અંદર ફર્યા હતા ત્યારે સૌથી પહેલાં જમાદારની ટીમને મળ્યા હતા. એ લોકોની ગાડી નહોતી ફસાઇ પણ પોલીસની ગાડી ફસાઇ ગઇ હતી. જેને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. અંતે તેમણે કહ્યું કે, અમારા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ બહુ જ ખુશ થઇ ગયા હતા અને મને કહ્યું કે સર, આ લોકો મળી ગયા એ સારું થયું. નહીં તો બીજા દિવસે બહુ જ ખરાબ હાલત થાત. દિવ્ય ભાસ્કરે આ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ હેડ કોન્સ્ટેબલ બાબુભાઇ સાથે પણ વાત કરી હતી. તેમણે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કેવી મુશ્કેલી પડી તેની માહિતી આપી. વીડિયો કોલ કરીને લોકેશન મોકલવા સમજાવ્યું તેઓ કહે છે કે,અમે રણમાં ગયા પણ મોબાઇલ નેટવર્કનો ઇશ્યૂ હતો. જે વ્યક્તિનો નંબર મળ્યો હતો તેનો કોન્ટેક્ટ નહોતો થતો. કોન્ટેક્ટ થાય તો અવાજ કપાય, વ્યવસ્થિત વાતચીત નહોતી થતી. ભૂલા પડેલા લોકો ભણેલા નહોતા, તેમને વોટ્સએપની એટલી સમજણ પડતી નહોતી એટલે કરંટ લોકેશન કેવી રીતે મોકલવું તે વીડિયો કોલ કરીને સમજાવ્યું. એક તો અંધારું હતું, રસ્તો મળતો નહોતો. વરસાદના લીધે કાદવ કીચડ હતું. કઇ બાજુ જવું એ દિશા નહોતી સૂઝતી. જ્યારે પોલીસની ટીમને લોકેશન મળ્યું ત્યારે જોયું તો એવો કોઇ રસ્તો નહોતો કે તેમના સુધી પહોંચી શકાય. કાદવના કારણે ગાડી પણ સ્લીપ થઇ જતી હતી. રસ્તામાં પોલીસની ગાડી જ્યારે ફસાઇ ત્યારે તેને બહાર કાઢવામાં એકથી દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. ટોર્ચની લાઇટે બચાવ્યા બાબુભાઇએ કહ્યું કે, પલાસવા ગામના લોકો સાથે અમે આગળ ચાલતા ગયા. ટોર્ચનું અજવાળું એમની તરફ કરીને કહ્યું કે તમને કોઇ લાઇટ દેખાય છે ત્યારે તેમણે સામેથી લાઇટની ડીપર મારી. જેથી અમને ખબર પડી કે અહીં કોઇ માણસો છે એટલે અમે ત્યાં જઇને બધાને બચાવ્યા. રામભાઇ ભરવાડે રણમાં ભૂલા પડવાની ઘટના અંગે દિવ્ય ભાસ્કરને માંડીને વાત કરી. તેમણે કહ્યું કે, ટિકર ગામના પટેલ ખેડૂતને ત્યાં કામ પૂરૂં થઇ ગયું હતું એટલે તેમણે મને કહ્યું કે તમારે કાલા વીણવા શ્રમિકો જોઇતા હોય તો લઇ જજો. હું આ રણના રસ્તેથી ટેવાયેલો જ હતો. ટિકરથી સાંજે 5:30 વાગ્યા આસપાસ નીકળ્યા હતા. મને એમ હતું કે અંધારૂં થશે તો પણ હું પહોંચી જઇશ પણ હું રસ્તો ભટકી ગયો. મારૂં મગજ ભટકી ગયું હતુંઃ રામભાઇ રસ્તો ભટકી ગયાની કેવી રીતે ખબર પડી તે અંગે તેમણે કહ્યું કે, સાંજે 6:30 કે 6:45 વાગ્યા આસપાસ અમે સામે કાંઠે જવા માટે કોશિષ કરતાં હતા પણ કાનમેર તરફ નીકળી ગયા. કઇ બાજુ જવું એ સૂઝ્યું જ નહીં.રણ કયું હતું એ મને ખબર નહોતી, પાટણ બાજુનું હતું કે કાનમેર બાજુનું હતું કે પલાસવા બાજુનું હતું? મારૂં મગજ ભટકી ગયું. રામભાઇએ હવે નક્કી કરી લીધું છે કે તેઓ રાત્રે ક્યારેય રણમાં નહીં જાય. તેમણે કહ્યું કે, અમે તો 7 વર્ષથી અવરજવર કરીએ છીએ પણ આ રસ્તો કેમ ભૂલ્યો એ ખબર નથી. પહેલાં પણ હું અંધારામાં ગયો છું પણ આવું પહેલીવાર આવું થયું છે. હવે મેં નક્કી કર્યું છે કે રણમાં દિવસે જ જવું, ક્યારેય રાત્રે જવું નહીં. અત્યારે બધા શ્રમિકો પલાસવામાં મારા ખેતરમાં છે.
    Click here to Read More
    Previous Article
    એક ગોદડી, બે લાશ અને લોહીના નિશાન:પ્રેમી-પ્રેમિકાની બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી, ખિસ્સામાંથી મળેલી એક ચિઠ્ઠીથી કેસમાં વળાંક આવ્યો
    Next Article
    પાલનપુરમાં મહિલા સુરક્ષા માટે પોલીસનું અભિયાન:થિયેટરમાં વીડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment