Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશનો સૌથી ‘ફેમસ’ સિરિયલ કિલર ‘ઑટો શંકર’:6 હત્યા, 5 પત્ની, બે વેશ્યાગૃહો ચલાવ્યા, નેતાઓને સ્ત્રીઓ સપ્લાય કરી, જેલ તોડી છેલ્લે ફાંસીએ ચડ્યો

    8 hours ago

    29 મે, 1988 મદ્રાસ (ચેન્નઈ નામકરણ થવાને હજુ આઠ વર્ષની વાર હતી). મદ્રાસના તિરુવન્મિયુર વિસ્તારમાં રાત શાંત હતી. તે જ રાત્રે વિજયા નામની એક મહિલા પારાવાર ચિંતામાં તિરુવન્મિયુર પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચઢી રહી હતી. તેની આંખોમાં આંસુ હતાં, હાથ ધ્રૂજતા હતા. રડતાં રડતાં તેણે ઇન્સ્પેક્ટરને કહ્યું કે તેનો પતિ સંપત એક અઠવાડિયાથી ગાયબ છે. તે કેટલાક હિસાબ ચૂકવવા માટે ઓટો શંકર નામના માણસના ઘરે ગયો હતો. અને ત્યારથી તે ગુમ છે. પોલીસે તેની ફરિયાદ ગંભીરતાથી લેવાને બદલે એમ કહીને કાઢી મૂકી કે, ‘ક્યાંક ગયો હશે, આવી જશે પાછો.’ પરંતુ વિજયાને અંદરખાને અગમ્ય અણસાર આવી ગયો હતો કે એના પતિ સાથે કંઇક ભયંકર ખરાબ થયું છે. નિરાશ થઇને એ પોતાના પાડોશમાં રહેતા એક પત્રકાર પાસે ગઈ. પોલીસે તો ફરિયાદ ન લીધી, પરંતુ પત્રકારે અખબારમાં એક રિપોર્ટ પબ્લિશ કર્યો કે ત્રણ લોકો ભેદી રીતે ગાયબ થઈ ગયા છે અને તે ત્રણેયના ગાયબ થવાના તાર કોઇક રીતે ‘ઑટો શંકર’ નામના માણસ સાથે જોડાયેલા છે. *** નેતાઓને છોકરીઓ સપ્લાય કરતો સિરિયલ કિલરઃ ઑટો શંકર આજના ‘ખાખી કવર’માં વાત કરીએ ભારતના સૌથી ખતરનાક અને સૌથી અનોખા સિરિયલ કિલર ‘ઑટો શંકર’ની, જેણે 70 અને 80ના દાયકાઓમાં હત્યાઓ કરીને તમિલનાડુ પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી. એનાં કારસ્તાન એટલાં ભયાનક હતાં કે આજે ચાર-પાંચ દાયકા પછીયે તેના પર ફિલ્મો, વેબ સિરીઝ, ડૉક્યુમેન્ટરી, પુસ્તકો પ્રકાશિત થતાં રહે છે. તે ખુલ્લેઆમ ડોનની જેમ ફરતો, વેશ્યાગૃહો ચલાવતો મસમોટા અધિકારીઓ-નેતાઓને છોકરીઓ સપ્લાય કરતો, અને પોતાના વિરોધીઓને કાયમ માટે શાંત કરી દેતો. *** અખબારમાં રિપોર્ટ આવ્યો પછી પોલીસ જાગી એ જમાનામાં અખબારનો દબદબો હતો. ન્યૂઝ પેપરમાં રિપોર્ટ પ્રકાશિત થતાં ઇન્સ્પેક્ટર જનરલે ટેબલ પર અખબાર પછાડ્યું અને પોતાની ટીમને તાત્કાલિક તપાસ આદરવાના આદેશ આપ્યા. ઘરનાં આંગણાંમાંથી સડેલી-બળેલી લાશો નીકળી જુલાઈ, 1988 લીડ્સને આધારે પોલીસે મદ્રાસના પેરિયાર નગરના એક ઘરના આંગણામાં ખોદકામ કર્યું. તેમાંથી જે નીકળ્યું તે જોઇને આખું મદ્રાસ થથરી ઊઠ્યું. જમીનની અંદરથી સડેલા મૃતદેહો, બળી ગયેલાં હાડકાં અને પુરાવા જે એક માણસ તરફ ઈશારો કરતા હતા, જેને લોકો ફક્ત એક સામાન્ય ઓટો ડ્રાઈવર માનતા હતા. એ માણસનું નામ હતું ગૌરી શંકર. પરંતુ મીડિયાએ તેને નામ આપ્યું ‘ઑટો શંકર’, જેના નામે છ કન્ફર્મ્ડ હત્યાઓ બોલતી હતી. જ્યારે બીજી નવ છોકરીઓ એણે ગાયબ કરી નાખી હતી. જ્યારે એની ડાયરીમાં તમિલનાડુના અગ્રણી રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓનાં નામ હતાં. વેલ્લોરથી મદ્રાસ: એક ગુનેગારનો જન્મ ગૌરી શંકરનો જન્મ 21 જાન્યુઆરી, 1954ના રોજ તમિલનાડુના વેલ્લોર જિલ્લાના કંગનલ્લુર ગામમાં થયો હતો. બાળપણથી જ તેને ફિલ્મો પ્રત્યે ખૂબ જ લગાવ હતો. પરંતુ તેને હીરોમાં નહીં, પણ વિલનમાં, ખલનાયકોમાં રસ હતો. દોસ્તારો સાથે પણ જ્યારે એ ‘ફિલ્લમ ફિલ્લમ’ રમતો, ત્યારે એ કાયમ વિલનની જ ભૂમિકા ભજવતો. કોઈ અગમ્ય કારણોસર એને નઠારાં કામો કરતા લોકો પ્રત્યે અનેરું આકર્ષણ થતું. એક સમયે એના પિતા ઘર અને પરિવારજનોને છોડીને ક્યાંક જતા રહ્યા. એની માતાએ એકલે હાથે મજૂરી કરીને બાળકોને ઉછેર્યાં. 1974માં ગૌરી શંકર જીવનનિર્વાહની શોધમાં વેલ્લોરથી 137 કિલોમીટર દૂર આવેલા મેટ્રો સિટી મદ્રાસમાં પહોંચ્યો. સરકારે દારૂબંધી લાદી, તો બૂટલેગર બની ગયો પહેલાં તો એણે એક પેઇન્ટર તરીકે કામ કર્યું, પછી સાયકલ રિક્ષા ચલાવી, અને પછીથી એક ઓટો ખરીદી. તે જ વર્ષે, તમિલનાડુ સરકારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો. આ એક એવો ટર્નિંગ પોઇન્ટ હતો, જેણે તેનું જીવન બદલી નાખ્યું. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઈ વસ્તુ પર પ્રતિબંધો મુકાય છે, ત્યારે તેની દાણચોરી-તસ્કરી શરૂ થાય છે. દારૂનું પણ એવું જ છે. જોખમ લઇને, શોર્ટ કટથી પૈસા કમાવા માટે શંકરે દારૂની હેરાફેરી ચાલુ કરી. બૂટલેગિંગના આ ધંધામાં પોલીસના ચોપડે એનું નામ નોંધાવાનું ફિક્સ હતું. તેનો પહેલો ગુનો મહાબલીપુરમથી ઓટો દ્વારા તાડીની હેરાફેરી કરવાનો અને મદ્રાસમાં વેચવાનો હતો. તેણે તેના નાના ભાઈ મોહનને પણ આ કામમાં સામેલ કર્યો. થોડા જ સમયમાં તે સારા પૈસા કમાવા લાગ્યો. મોંઘાં કપડાં, મોંઘી ઘડિયાળો, મોટરસાયકલ… ફિલ્મોમાં જે કંઈ પણ તેણે જોયું હતું તે હવે તે વાસ્તવિકતામાં અફોર્ડ કરી શકતો હતો. દારૂબંધી હટી, તો વેશ્યાઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું 1981માં તમિલનાડુમાં સરકાર બદલાઈ અને દારૂ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. ચારેકોર દારૂ છૂટથી મળતો થઈ ગયો. એટલે શંકરનો દારૂનો ધંધો લગભગ બંધ પડી ગયો. પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનો ‘પ્લાન B’ પહેલેથી જ નક્કી કરી લીધો હતો. ઓટો ચલાવતી વખતે તે અનેકવાર વેશ્યાઓને તેમના દલાલો પાસેથી તેમના ગ્રાહકો સુધી પહોંચાડતો હતો. તેને દેખાયું કે દેહ વેપારના આ ધંધામાં નફો ઘણો વધારે છે અને એને પોતાને કોઈ કામ કરવાનું નહોતું. વળી, જો એ યોગ્ય લોકોને પોતાની સાથે રાખે તો જોખમ ઓછું હતું. ધમધમતાં વેશ્યાગૃહોનો માલિક, નેતા-ફિલ્મ સ્ટાર્સ પણ તેની ‘સર્વિસ’ લેતા તેણે પોતાના ભાઈ મોહન, સાળા એલ્ડીન (ઉર્ફે આલ્બર્ટ) અને કેટલાક અન્ય લોકો શિવાજી, જયવેલુ, રાજારામન, રવિ, પલાની અને પરમશિવમ વગેરેની એક ગેંગ બનાવી અને પેરિયાર નગરમાં સરકારી જમીન પર એક વેશ્યાલય ખોલ્યું. પછી એલબી રોડ પરના એક લોજમાં બીજું. આ બંને સ્થળોએ ‘સર્વિસ’ લેવા આવનારાઓમાં સામેલ હતા સ્થાનિક રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને કેટલાક તમિળ ફિલ્મ સ્ટાર્સ! પૈસા આપો, મોઢાં બંધ કરાવો, ન માને તો બ્લેકમેલ કરો શંકરની રણનીતિ સિમ્પલ હતી: પૈસા આપો અને મોઢું બંધ કરાવી દો. પોલીસ અધિકારીઓને બે હાથે લાંચ મળતી હતી. જે ​​લોકોએ લાંચ લેવાની ના પાડતા તેમને બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. તેની પાસે તેના વેશ્યાલયમાં કેદ કરાયેલા હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ અને વીડિયોટેપ્સ હતાં. આ તેની ‘ઇન્શ્યોરન્સ પોલિસી’ હતી. શંકર દારૂ અને સ્ત્રીઓથી ભરેલી DIGની કાર ચલાવતો હતો અને કોઈ બોલતું ન હતું. આના પરથી જ ખ્યાલ આવી જાય છે કે તેનો પ્રભાવ કેવો હશે. પેરિયાર નગરનો અનઓફિશિયલ કિંગ સ્ત્રીઓના દેહ વેચી વેચીને એણે પેરિયાર નગરની ગાંધી સ્ટ્રીટમાં એક વૈભવી ઘર બનાવ્યું. ઘરની વાસ્તુ પૂજામાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ હાજર રહ્યા હતા. શંકર હવે એક ઑટો ડ્રાઇવર નહોતો, એ પેરિયાર નગરનો અનઓફિશિયલ કિંગ બની ગયો હતો. સ્થાનિક લોકો પોતાના વિવાદો ઉકેલવા માટે પોલીસને બદલે તેની પાસે જતા હતા. જે વેશ્યા ગમી જાય તેને પત્ની બનાવીને રાખી લે! નાનપણથી જ ક્રિમિનલ મેન્ટાલિટી ધરાવતા અને સ્ત્રીઓને માત્ર ઉપભોગ તથા કમાણીનું સાધન ગણતા શંકરની પોતાની પર્સનલ લાઇફ પણ એટલી જ વેરવિખેર હતી. શંકરે પહેલાં જગદીશ્વરી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં. તેનાથી તેમને ચાર બાળકો થયાં હતાં. પરંતુ જ્યારે પણ એના વેશ્યાલયમાં કોઈ સુંદર યુવતી આવતી, ત્યારે તે તેને પોતાની પાસે રાખી લેતો. તેની સાથે વિધિસર લગ્ન પણ કરી લેતો. આ રીતે એણે એક-બે નહીં, પણ પાંચ-પાંચ લગ્ન કર્યાં. એ પણ પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વિના, તેની પરવા કર્યા વિના. પ્રથમ પત્ની કેરોસીન છાંટીને બળી મરી આખરે જ્યારે તેની પહેલી પત્ની ત્રાસી ગઈ અને એણે વિરોધ કર્યો ત્યારે એણે જગદીશ્વરીને મારી, ગળું પકડીને મારી નાખવાની ધમકી આપી. પતિનો આ ત્રાસ જગદીશ્વરી સહન કરી શકી નહીં. એક દિવસ એણે પોતાના શરીરે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી. પોતાની પત્ની, તેનાં ચાર સંતાનોની માતા બળીને મરી ગઈ, તેનો શંકરને રત્તીભાર પણ અફસોસ થયો નહોતો. ત્રીજી પત્ની સાથે વાંકું પડ્યું તો ડામ દઇને કરડી ખાધી ત્રીજા નંબરની પત્ની વિજયા સાથે એણે જે કર્યું એ પણ એવું જ પાશવી કૃત્ય હતું. કોઇક વાતે એને વિજયા સાથે વાંકું પડ્યું તો એણે વિજયાના આખા શરીર પર અને ગુપ્તાંગો પર સિગારેટના ડામ દીધા અને આખા શરીરે જ્યાં ત્યાં કરડી ખાધું. આ વખતે વિજયા કારમી પીડાથી ચીસો પાડતી, તે જોઇને શંકરને પિશાચી આનંદ આવતો. આખરે વિજયા કંટાળીને શંકરની ચુંગાલમાંથી ભાગી ગઈ. શંકરનો કશો ફરક ન પડ્યો. શંકરના ત્રાસથી ગળે આવી ગયેલી તેની બીજી એક પત્ની મધુ પણ આ જ રીતે ભાગી છૂટી હતી. કેબરે ડાન્સરને જોઈ અને પ્રેમમાં પડી ગયો 1986માં શંકરે માઉન્ટ રોડ પર ‘દેવી’ થિયેટર પાસે ‘પેલ્સ કેબરે’માં લલિતાને જોઈ. લલિતા એક કેબરે ડાન્સર હતી. તેને જોઇને જ શંકરની આંખમાં રહેલાં વાસનાનાં સાપોલિયાં સળવળવા માંડ્યાં. એણે કોઇપણ રીતે લલિતાને ફોસલાવીને પોતાના પ્રેમમાં પાડી અને તેને પોતાની પત્ની બનાવી લીધી. જોકે આ જ લલિતા પાછળથી શંકરના પતનનું કારણ બની અને કમનસીબે તેનો પહેલો ભોગ પણ બની. ‘મારી લલિતાએ પોતાનું વેશ્યાગૃહ ચાલુ કર્યું?’ લલિતા સ્માર્ટ હતી. તે શંકરની પ્રકૃતિ બરાબર ઓળખી ગઈ હતી. એણે શંકરના ખાસ માણસ સુદાલાઈમુત્તુ સાથે મળીને પોતાનું વેશ્યાલય શરૂ કર્યું. જ્યારે શંકરને ખબર પડી કે લલિતા અને સુદાલાઈએ તેની સાથે વિશ્વાસઘાત કરીને પોતાનો ધંધો શરૂ કર્યો છે ત્યારે તેનું લોહી ઊકળી ઊઠ્યું. દારૂ પીવડાવીને કેબરે ડાન્સરને લાકડીના ફટકાથી પતાવી નાખી ઓક્ટોબર 1987. શંકરે કોમન મિત્રોને કહીને સમાધાનના બહાને લલિતાને પેરિયાર નગરના એક મકાનમાં મળવા બોલાવી. લલિતા આવી. શંકરે પોતાનાથી શક્ય એટલા મીઠા અવાજ અને વર્તનથી તેને આવકારી. મોંઘામાંનો દારૂ ઓફર કર્યો અને એક પછી એક પેગ ભરતો રહ્યો. જ્યારે લલિતા દારૂના નશામાં ચકચૂર થઈ ગઈ, ત્યારે શંકરે પોતાનો અસલી રંગ બતાવ્યો. એણે એક વજનદાર લાકડી લીધી અને લલિતાના માથા પર એક પછી એક જોરદાર પ્રહાર કરીને તેની ખોપરી ફાડી નાખી. લલિતા કોઈ પ્રતિકાર કરવાની સ્થિતિમાં નહોતી. શંકરના પાશવી પ્રહારથી તે ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામી. શંકરે લલિતાની લાશ ઘરના મેદાનમાં ખાટો ખોદીને દાટી દીધી. એ પછી ઘરની સાફસફાઈ કરાવીને એક વૃદ્ધ વિધવાને તે મકાન મહિને દોઢસો રૂપિયાના ભાડે આપી દીધું. લલિતા વિશે પૂછનારને પણ મારી નાખ્યો, રાખ દરિયામાં વહાવી દીધી જ્યારે એના સાથીદાર સુદલાઈએ શંકરને લલિતા વિશે પૂછ્યું ત્યારે શંકરે બહાનું કાઢ્યું કે લલિતા એક VIP ક્લાયન્ટ સાથે ઓલ ઇન્ડિયા ટુુર પર ગઈ છે. બે મહિના પછી શંકરે સુદલાઈને પણ ડિનર માટે આમંત્રણ આપ્યું. તેણે સુદલાઈને પણ ચિક્કાર દારૂ પીવડાવ્યો. જ્યારે સુદલાઈ દારૂના નશામાં પોતાના હોશ ખોઈ બેઠો ત્યારે એણે સુદલાઈનું ગળું દબાવીને તેને મારી નાખ્યો. તેની લાશ સળગાવી દીધી અને મદ્રાસના કિનારે ઘૂઘવતા બંગાળની ખાડીના દરિયામાં તેની રાખ પધરાવી દીધી. જેણે જેણે ગાયબ થયેલા વિશે પૂછ્યું, એની હત્યા કરી નાખી હવે સુદલાઈ ગાયબ થયો એટલે તેના એક મિત્ર રવિએ તેની પૂછપરછ શરૂ કરી. છેલ્લે તે શંકરને જ મળવા જવાનો હતો, એટલે એણે શંકરને સુદલાઈ વિશે પૂછ્યું. એણે રવિને પણ આ જ રીતે પતાવી દીધો અને પેરિયાર નગરના પ્લોટમાં ખાડો ખોદીને દાટી દીધો. કોઇએ પૂછ્યું તો કહ્યું કે અહીં એણે ગેરકાયદે દારૂ દાટ્યો છે. શંકરની ધાક એવી હતી કે બીજું કોઈ તેની સામે ચૂં કે ચાં કરી શકે તેમ નહોતું. 1988ના એ સમયમાં જ્યારે રૂપિયો ગાડાના પૈડા જેવડો મોટો હતો ત્યારે શંકર પાસે બહુમાળી મકાન, ગાડીઓ, મોટર સાઇકલો અને ચિક્કાર સંપત્તિ હતી. ત્રણ હરીફ ગુંડાઓને મારી, દાટી ને માથે મકાન ચણી લીધું 29 મે, 1988. શંકરની હરીફ ગેંગના ત્રણ માણસો સંપત, મોહન અને ગોવિંદરાજ એકાએક શંકરના વેશ્યાલયમાં ઘૂસી આવ્યા. શંકર ત્યાં બેઠો બેઠો સિગારેટ ફૂંકતો હતો. ત્રણેયે શંકરને ધમકી આપી કે તારા કોઠાઓમાં જેટલી છોકરીઓ કામ કરે છે તેને સલામત રાખવી હોય તો અમને પૈસા આપ, અને તારી પાસેથી બાકી લેણાં રૂપિયા નીકળે છે એ પણ આપ. ગુસ્સે થવાને બદલે શંકર ખંધું હસ્યો અને કહ્યું, ‘ઠીક છે, ચાલો મારા અડ્ડા પર, બાત કરતે હૈ.’ શંકરે ત્રણેયને પોતાના અડ્ડે લઈ ગયો, જ્યાં શંકરની ટોળકી ટાંપીને તૈયાર જ બેઠી હતી. ભારેખમ લાકડીઓ લઇને તેઓ આ ત્રણેય જણા પર તૂટી પડ્યા. ત્રણેય જણા કશું સમજે કે પ્રતિકાર કરે તે પહેલાં તો તેમનાં માથાં ફાટી ગયાં હતાં અને શરીર નિષ્પ્રાણ થઈ ચૂક્યાં હતાં. ત્રણેયની લાશને શંકરે પેરિયાર નગરના એ જ પ્લોટમાં દાટી દીધી. એટલું જ નહીં, તેના પર તાત્કાલીક મકાનોનું ચણતર કામ પણ કરાવી દીધું! પોલીસે ફરિયાદ ન લીધી, તો પત્રકાર વહારે આવ્યો અઠવાડિયા સુધી જ્યારે તે ત્રણમાંનો એક એવો સંપત ઘરે પાછો ન ફર્યો ત્યારે તેની પત્ની વિજયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ. એણે બબ્બે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, પણ કોઈએ તેની ફરિયાદ ન લીધી, કારણ કે ઑટો શંકરે બધા જ પોલીસવાળાઓને ચિક્કાર પૈસા ખવડાવીને તેમનાં મોં બંધ કરી દીધાં હતાં. પરંતુ વિજયાએ હાર ન માની. એણે પોતાના પાડોશેમાં રહેતા એક પત્રકારની મદદ લીધી અને તે પત્રકારે ત્રણ જણાના ગાયબ થવાનો, તેના તાર શંકર સાથે જોડાતા હોવાનો અને પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાનો રિપોર્ટ પોતાના અખબારમાં છાપી દીધો. આ રિપોર્ટ શંકરની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ બન્યો. ગુમ થયેલી છોકરીઓનું શું થયું? ઇન્સ્પેક્ટર જનરલે તપાસના આદેશ આપ્યા અને પોલીસે તપાસ શરૂ કરી. જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધતું ગયું તેમ તેમ વધુ પીડિતોનાં નામ પણ બહાર આવવા લાગ્યાં. તે ઉપરાંત બીજું પણ એક ભયાનક સત્ય બહાર આવ્યું. 1988માં તિરુવન્મિયુર અને આસપાસના વિસ્તારોમાંથી નવ કિશોરીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. મદ્રાસ જેવડા મોટા શહેરમાં ગરીબોની છોકરીઓ ગાયબ થવાને ‘રૂટિન’ અને સંયોગવશ ઘટનાઓ માનીને પોલીસે ખાસ ધ્યાન આપ્યું નહીં. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ શંકર તરફ આંગળીઓ ઊઠવા લાગી. ‘એ છોકરીઓ મેં નેતાઓ માટે સપ્લાય કરેલી’ શંકર જ્યારે જેલમાં પોતાના આખરી દિવસો ગણતો હતો ત્યારે પત્રકારોને એણે એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. તેમાં એણે શૉકિંગ ખુલાસો કર્યો હતો કે, ‘એ નવ છોકરીઓને મેં ગાયબ નહોતી કરી, પરંતુ તમિલનાડુના કેટલાક અગ્રણી રાજકારણીઓની વાસના સંતોષવા માટે તેમનું અપહરણ કરાવ્યું હતું. જ્યારે તેમનું ‘કામ’ પૂરું થઈ ગયું ત્યારે તે રાજકારણીઓના કહેવાથી જ તે તમામ છોકરીઓને મેં મરાવી નાખી હતી અને તેની લાશોનો કાયમ માટે નિકાલ કરી નાખ્યો હતો.’ આ સ્ટેટમેન્ટ બહાર આવતાં જ આખા દેશમાં ખળભળાટ મચી ગયો. મદ્રાસમાં પોલિટિકલ ભૂકંપ આવ્યો. મીડિયામાં આ માટે જવાબદાર રાજકારણીઓનાં નામો એક પછી એક બહાર આવવા લાગ્યાં. એક મુખ્ય રાજકીય પક્ષના ટોચના નેતાઓ પર આરોપ મૂકવામાં આવ્યા. પણ શું થયું? કંઈ નહીં. કોઈ તપાસ નહીં, કોઈ નેતા સામે કોઈ કાર્યવાહી નહીં. એ નવ છોકરીઓ કાયમ માટે ઇતિહાસનાં પાનાંમાં દફન થઈ ગઈ. ‘હા, મેં છ હત્યાઓ કરી છે’ આખરે જુલાઈ 1988માં પૂરતા પુરાવા એકઠા કર્યા પછી પોલીસે શંકરની ધરપકડ કરી. ઇન્ટરોગેશન દરમિયાન શંકરે પોતે કરેલી તમામ છ હત્યાઓની કબૂલાત કરી અને જ્યાં તેમની લાશો દફનાવી હતી તે લોકેશન પણ પોલીસને કહી આપ્યાં. જ્યારે પોલીસે તે સ્થળોએ ખોદકામ કર્યું, ત્યારે તેમને સડી ગયેલા મૃતદેહો મળી આવ્યા. શંકરની ડાયરીમાં વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓ સાથેના તેના ફોટોગ્રાફ્સ હતા. શંકરની ધરપકડ બાદ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને એક DSPને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા. સમગ્ર મદ્રાસમાં ભય અને ગુસ્સો ફેલાઈ ગયો. મીડિયાએ આ હત્યારાને ‘ઑટો શંકર’ ઉપનામ આપ્યું કારણ કે તેઓ પોતાના દરેક આડા-અવળા કામ અને ટ્રાન્સપોર્ટેશન માટે ઓટોરિક્ષાનો ઉપયોગ કરતો હતો. પાંચ હત્યારા ચેન્નઈની જેલમાંથી ભાગી છૂટ્યા જેલમાં ગયા પછી પણ શંકર રાજાની જેમ જીવતો હતો. સિગારેટ, દારૂ, ચિકન બધું જ તેને ઉપલબ્ધ હતું. તેણે પોતાના પૈસાનો ઉપયોગ જેલ સ્ટાફને લાંચ આપવા માટે કર્યો. જે લોકોએ શંકરની વાત માનવાનો ઇનકાર કર્યો, તેમની ક્રાઇમમાં સામેલગીરી કોર્ટ સમક્ષ ઉઘાડી પાડી દેવાની ધમકી આપી. 20-21 ઓગસ્ટ, 1990ની રાત. જેલના દરવાજાને જાણીજોઇને તાળું મારવામાં નહોતું આવ્યું. શંકરના ચાર સાગરીતો એલ્ડિન, શિવાજી, મોહન અને સેલ્વરાજ પણ આ જ સેલમાં હતા, જે જેલના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન હતું. બ્લોકના મુખ્ય દરવાજા પરની રેલિંગ વાંકી વાળી દેવામાં આવી હતી. આ પાંચેય રીઢા ગુનેગાર દોરડાની મદદથી પાર્ક રેલવે સ્ટેશન તરફની દીવાલ પર ચડ્યા અને ઊતરીને અંધારામાં ઓગળી ગયા. આઝાદી પછી મદ્રાસ સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ ભાગી ગયા હોય તેવો આ પહેલો બનાવ હતો. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે પાંચેય માણસો દોરડાની મદદથી પાર્ક રેલ્વે સ્ટેશન તરફની દીવાલ પર ચઢીને ગાયબ થઈ ગયા. ખુદ મુખ્યમંત્રીએ તપાસમાં ઇન્વોલ્વ થવું પડ્યું આ ઘટનાના જબરદસ્ત પ્રત્યાઘાતો પડ્યા. 12 જેલ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીજા દિવસે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ આ કેસ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખવાની શરૂ કરી. શંકર પાસે એટલા બધા રાજકીય રહસ્યો હતાં કે એક સમયે તો એવું લાગતું હતું કે તે ક્યારેય પકડાશે નહીં. પરંતુ હવે મદ્રાસ પોલીસ માટે નાકનો સવાલ હતો. તેમણે ચારે દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા અને માત્ર 10 દિવસમાં જ ઓરિસ્સાના રાઉરકેલાથી શંકર, એલ્ડિન અને શિવાજીની ધરપકડ કરી. મોહનને 25 જૂન, 1992ના રોજ પુણેથી અને સેલ્વરાજની 20 ઓગસ્ટ, 1993ના રોજ મુંબઈથી ધરપકડ કરવામાં આવી. ‘ફિલ્મોને કારણે હું ખૂની બન્યો’ ડિસેમ્બર 1990માં ચેંગલપટ્ટુ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ. તેમાં 134 સાક્ષીઓ, નવ મેજિસ્ટ્રેટ, પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને 1,100 પાનાંની ચાર્જશીટ રજૂ થઈ. શંકરે કોર્ટમાં કબૂલ્યું કે તેણે છ હત્યાઓ કરી છે, પરંતુ તેણે એક વિચિત્ર દલીલ પણ રજૂ કરી: ‘આ માટે ફિલ્મો જવાબદાર છે. ફિલ્મોએ મને ખૂની-શેતાન બનાવી દીધો છે.’ અલબત્ત, આ દલીલ તેને બચાવી ન શકી, પરંતુ તેણે એક મોટી ચર્ચા જગાવીઃ શું સિનેમા ગુનેગારોને પ્રેરણા આપે છે? તમિલનાડુના ADGP કે. વિજય કુમારે ‘ક્રાઈમ એન્ડ મીડિયા’ વિષય પર એક સેમિનારમાં ખુલ્લેઆમ જણાવ્યું હતું કે સિનેમા શંકર જેવા ગુનેગારોને પેદા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સઝા-એ-મૌત 31 મે, 1991ના રોજ ચુકાદો આપવામાં આવ્યો. ન્યાયાધીશે તેને ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કેસ જાહેર કર્યો. ગૌરી શંકર, એલ્ડિન અને શિવાજીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. જયવેલુ, રાજારામન, રવિ, પલાની અને પરમશિવમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. પકડાયા બાદ મોહન અને સેલ્વરાજને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જેલમાંથી આત્મકથા લખી, છપાઈ તો હાહાકાર મચી ગયો જેલમાં હતો ત્યારે શંકરે પોતાની આત્મકથા લખી, જેનું એક તમિલ મેગેઝિનમાં શ્રેણીબદ્ધ પ્રકાશન શરૂ થયું. તેમાં તેણે રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સનાં નામ આપ્યાં હતાં જેમને તેણે છોકરીઓ પૂરી પાડી હતી. તમિલનાડુ સરકારે તેના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો. આ કેસ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને ભારતીય કાનૂની ઇતિહાસમાં આર. રાજગોપાલ વિરુદ્ધ તમિલનાડુ સ્ટેટ (1994) તરીકે નોંધાયો. સુપ્રીમ કોર્ટે અમેરિકન ‘વાણી સ્વતંત્રતાના સિદ્ધાંત’ને ટાંકીને પ્રેસ સ્વતંત્રતાની તરફેણમાં ચુકાદો આપ્યો. મીડિયા કાયદા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સંદર્ભમાં આજે પણ આ કેસ ટાંકવામાં આવે છે. ફાંસી: 27 એપ્રિલ, 1995, પણ પ્રશ્નો હજી બાકી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બંનેએ મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું. શંકર, એલ્ડિન અને શિવાજીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્મા સમક્ષ દયા અરજીઓ દાખલ કરી. રાષ્ટ્રપતિએ ત્રણેય અરજીઓ ફગાવી દીધી. શંકરે ફાંસી આપવાનાં થોડાં અઠવાડિયાં પહેલાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો હતો. અહેવાલો દર્શાવે છે કે તેના અંતિમ સમય સુધી, તેને વિશ્વાસ હતો કે કોઈ રાજકીય નેતા તેને બચાવી લેશે. પરંતુ કોઈએ ફોન પણ ન કર્યો. 27 એપ્રિલ, 1995ના રોજ ગૌરી શંકર ઉર્ફે ‘ઓટો શંકર’, એલ્ડિન અને શિવાજીને સેલમ સેન્ટ્રલ જેલમાં એકસાથે ફાંસી આપવામાં આવી. મદ્રાસનો તે લોહિયાળ રાક્ષસ કાયમ માટે શાંત થઈ ગયો. પણ તે નવ છોકરીઓ? તે નેતાઓ? તે સત્ય? આ સવાલો આજ સુધી અનુત્તરિત છે. કિલર ફાંસીએ ચડ્યો, પણ નેતાઓ-અધિકારીઓ બચી ગયા ફિલ્મો, વેબ સિરીઝ અને પુસ્તકો: મનોરંજન બનતા ગુના ઓટો શંકરની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. 2019 માં, ZEE5 એ ‘ઓટો શંકર’ નામની એક વેબ સિરીઝ રજૂ કરી, જેમાં અપ્પાની સરથે શંકરની ભૂમિકા ભજવી હતી. આ શ્રેણી ખૂબ જ સફળ રહી હતી અને તમિળ દર્શકો દ્વારા તેને વ્યાપકપણે જોવામાં આવી હતી. ઓટો શંકરનો કેસ ‘રેડ-હેન્ડેડ: 20 ક્રિમિનલ કેસ ધેટ શૂક ઈન્ડિયા’ જેવાં પુસ્તકોમાં પણ ડિટેલમાં સમાવવામાં આવ્યો છે. જેલમાંથી શંકરની આત્મકથાનું પ્રકાશન ભારતમાં પ્રેસ સ્વતંત્રતાને આકાર આપતી એક સીમાચિહ્નરૂપ કાનૂની લડાઈ બની. ‘જો શંકર જીવતો હોત તો ડોન હોત, અથવા રાજકારણી હોત’ ઓટો શંકર બીજા સિરિયલ કિલર્સ કરતાં અલગ હતો. તેની દરેક હત્યાનો એક હેતુ હતો. એણે એક ગદ્દાર, એક હરીફ, એક વિશ્વાસઘાતી, પોતાના માટે જોખમરૂમ બનેલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા. તે કોઈ સાયકો કે રેન્ડમ કિલર નહોતો. તે એક સુનિયોજિત, વ્યૂહાત્મક ગુનેગાર હતો. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું શંકર એકલો હતો? તેનાં વેશ્યાગૃહોમાં રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ આવતા હતા. તેનાં ખિસ્સાંમાં તેમના ફોટા હતા. તે DIGની કારમાં દારૂ અને મહિલાઓ લઈ જતો હતો. તે જેલમાંથી ભાગી ગયો અને જેલના કર્મચારીઓએ તેને ભાગવામાં મદદ કરી. આ બધું હોવા છતાં ફક્ત શંકરને ફાંસી આપવામાં આવી. બાકીના મોટાં માથાંને બચાવી લેવામાં આવ્યાં. એક નિવૃત્ત પોલીસ અધિકારીએ એક વાર કહ્યું હતું કે, ‘જો આજે શંકર જીવતો હોત, તો કાં તો તે મોટો ડોન હોત અથવા મંત્રી હોત.’ આ વાક્ય ઘણું બધું કહી જાય છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં પરિવર્તન યાત્રા શું BJPને જીત અપાવશે:ભીડ ઓછી, લોકો બોલ્યા- BJPને વોટ આપીએ પરંતુ બોલવામાં જીવનું જોખમ
    Next Article
    Explained, in three charts: How India became so dependent on LPG imports

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment