Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રહ્મલીન ભારતી બાપુની 5મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી:​ગિરનારની ગોદમાં સંતવાણી, હરિહરાનંદ ભારતીના સાનિધ્યમાં ભવ્ય સંત ભંડારો અને ધાર્મિક મહોત્સવ યોજાયો

    14 hours ago

    ​જૂનાગઢ ગિરનારની પવિત્ર તપોભૂમિ પર આવેલા ભારતી આશ્રમ ખાતે આજે એક આધ્યાત્મિક મંગલમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. વર્ષ 2021 માં બ્રહ્મલીન થયેલા અનંત વિભૂષિત કાશી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય પદના દાવેદાર અને લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન 1008 મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ એટલે કે પૂજ્ય ભારતી બાપુની આજે પાંચમી પુણ્યતિથિ છે. આ પવિત્ર અવસરે આશ્રમના વર્તમાન મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ફાગણ વદ ચૌદશના આ ખાસ દિવસે આશ્રમમાં વહેલી સવારથી જ ગુરુ ભક્તિનો ધોધ વહી રહ્યો છે અને ભક્તો પોતાના આરાધ્ય દેવના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. ​આજના દિવસભરના કાર્યક્રમોની રૂપરેખા વિશે માહિતી આપતા મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવના નિર્વાણ બાદ તેમની સ્મૃતિમાં દર વર્ષે આ રીતે ભક્તિભાવ પૂર્વક પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુ પૂજન અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરના સમયે ગિરનારના રક્ષક ગણાતા રમતા સાધુઓ અને અન્ય સંપ્રદાયના સંતો માટે 'સંત ભંડારો' એટલે કે મહાપ્રસાદનું આયોજન છે. રાત્રિના સમયે ભજન અને ભક્તિના સમન્વય સાથે વિશાળ સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતના નામી-અનામી કલાકારો પોતાની કલાના માધ્યમથી ગુરુ મહિમા અને સનાતન ધર્મની ગાથાઓ રજૂ કરશે. ​બ્રહ્મલીન ભારતી બાપુનું જીવન ચરિત્ર એ સેવા, સાધના અને સમર્પણનો ત્રિવેણી સંગમ સમાન રહ્યું છે. તેમનો જન્મ અમદાવાદના ધોળકા પાસેના અરણેજ ગામે થયો હતો પરંતુ તેમનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત અને ભારત રહ્યું હતું. તેઓ સદાય માનતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આ જ મંત્રને તેમણે પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી સાર્થક કર્યો હતો. ગિરનારની ગુફાઓમાં સાધના કરી રહેલા સંતો હોય કે પછી સામાન્ય જનતા, બાપુનો આશ્રમ દરેક માટે ખુલ્લો રહેતો હતો. તેમણે હરહંમેશ ભજન, ભોજન અને શિક્ષણને સમાજ ઉત્થાનના ત્રણ મુખ્ય સ્તંભ ગણાવ્યા હતા. બાપુ કહેતા કે જ્યાં સુધી માણસનું પેટ ભૂખ્યું હશે ત્યાં સુધી તેને ભજનમાં મન નહીં લાગે, આથી જ તેમણે જૂનાગઢ અને સરખેજ આશ્રમમાં અવિરત અન્નક્ષેત્રો શરૂ કર્યા હતા જ્યાં કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિને સન્માનપૂર્વક ભોજન મળે છે. ​શિક્ષણ પ્રત્યે બાપુનો અભિગમ અત્યંત આધુનિક અને દાર્શનિક હતો. તેઓ સમજતા હતા કે ભવિષ્યની પેઢીને જો સંસ્કારિત કરવી હશે તો તેમને યોગ્ય શિક્ષણ આપવું અનિવાર્ય છે. તેમણે અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ગરીબ બાળકો ભણી શકે તે માટે આડકતરી રીતે પણ મદદ પહોંચાડતા હતા. ભજન એ તેમના જીવનનો પ્રાણ હતો. ગિરનારની તળેટીમાં જ્યારે શિવરાત્રીનો મેળો ભરાય છે ત્યારે ભારતી આશ્રમ ખાતે જામતી ભજનની હેલી બાપુના ભક્તિમય વ્યક્તિત્વની પ્રતીતિ કરાવતી હતી. તેઓ યુવાનોને સનાતન સંસ્કૃતિ સાથે જોડવા માટે હરહંમેશ તત્પર રહેતા અને વ્યસનમુક્તિ માટે પણ પ્રેરણા આપતા હતા. ​હરિહરાનંદ ભારતી બાપુએ ગુરુનો મહિમા સમજાવતા અદ્ભુત વાત કરી હતી કે ગુરુ શબ્દમાં રહેલા 'ગુ' નો અર્થ અંધકાર અને 'રુ' નો અર્થ પ્રકાશ થાય છે. જે આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય તે જ સાચા ગુરુ છે. ભારતી બાપુએ પોતાના શિષ્યો અને ભક્તોના જીવનમાં આ જ કામ કર્યું હતું. આજે તેમની પાંચમી પુણ્યતિથિએ તેમના આશીર્વાદ સૌ પર વરસતા રહે અને સૌ સત્યના માર્ગે ચાલે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. હરિહરાનંદ બાપુએ તમામ ભાવિકોને આખો દિવસ ચાલનારા પૂજન અને રાત્રિના સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે. ગિરનારની આ પવિત્ર ભૂમિ પર આજે ગુરુ ભક્તિનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે જે શ્રદ્ધાળુઓના હૃદયમાં શાંતિ અને નવી ઉર્જાનો સંચાર કરશે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકનાં દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો:5 અનુભવી તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે
    Next Article
    દેવગઢ બારીયામાં 9 રેતીના ડમ્પર ઝડપાયા:₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ, ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment