Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તક્તીનો વિવાદ:દાતાએ 15 લાખ ખર્ચ્યા, સ્ટેજ પર તત્કાલીન કુલપતિએ નાગીન ડાન્સ કર્યો છતાં RTIમાં જવાબ- માહિતી ઉપલબ્ધ નથી!

    2 days ago

    જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક કે બીજા કારણોસર સતત વિવાદમાં રહે છે. તાજેતરમાં પ્રોફેસરે વિદ્યાર્થીઓને મોસ્ટ IMP આપી હતી. તેમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાયાં હોવાની વાત સામે આવતાં ભારે હોબાળો થયો હતો.આ ઘટનાની તપાસ કરવા કમિટિ રચાઇ હતી. હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ભગવાન ધન્વંતરિની મૂર્તિ પાછળ મૂકાયેલી દાતાની તક્તી અને દાન બાબતે પ્રશ્નો ઊભા થયા છે. આ અંગે RTI એક્ટ હેઠળ અરજી થઇ હતી. જેમાં પૂછાયેલાં પ્રશ્ન અંગે યુનિવર્સિટીએ એવો જવાબ આપ્યો કે માહિતી ઉપલબ્ધ નથી. જેથી વિવાદ થયો છે. આ આખો મામલો શું છે તે વિગતવાર સમજો. 10થી 15 લાખના ખર્ચે રિનોવેશન કરાવ્યું ડૉ. રાજેશ પટેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે 1970થી 1975માં અહીંથી B.A.M.S.ની ડિગ્રી મેળવી હતી. પૂર્વ વિદ્યાર્થી હોવાના નાતે તેમણે યુનિવર્સિટીના ચાણક્ય ભવન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર ભગવાન ધન્વતંરિની પ્રતિમાનું પૂનઃસ્થાપન કરાવ્યું હતું અને ત્યાં 10થી 15 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. જે બદલ રાજેશ પટેલ અને તેમના પત્ની ઉષાબેનના નામની તક્તી લગાવવાની હતી. આ કાર્યક્રમ 15મી જાન્યુઆરી, 2023ના રોજ સવારે 11:30 વાગ્યે યોજાયો હતો. RTIના જવાબમાં કહેવાયું માહિતી ઉપલબ્ધ નથી! આના પછી આ અંગે એક RTI થઇ હતી. જેમાં આ તક્તી અનાવરણ માટે કઇ કઇ ઓથોરિટીની મંજૂરી લેવાઇ હતી તેની માહિતી મંગાઇ હતી. ઉપરાંત આ મૂર્તિની સ્થાપના સંદર્ભે કન્સ્ટલટન્ટ તરીકે કોની નિમણૂંક કરાઇ હતી વગેરે જેવી 10 વિગતો માગવામાં હતી. જો કે યુનિવર્સિટીના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી એસ.એચ.બારાઇએ આપેલા જવાબમાં કહ્યું હતું કે આ માહિતી ઉપલબ્ધ નથી. નવાઇ અને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દાન મળ્યું છે કે નહીં તેની માહિતી રેકર્ડ પર ઉપલબ્ધ નહીં હોવાનો સૂર છેડ્યા કરે છે પણ હકીકત એ છે કે તક્તી લગાવવાના આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા પણ બનાવાઇ હતી. તત્કાલીન કુલપતિ મુકુલ પટેલે નાગીન ડાન્સ કર્યો હતો એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ અને હાલના નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARBISM) ના પ્રમુખ વૈદ્ય મુકુલ પટેલ, કેન્દ્ર સરકારના આયુષ વિભાગના સચિવ પદ્યશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, પૂર્વ કુલપતિ વૈદ્ય સંજય ઓઝા, ITRAના નિયામક વૈદ્ય પ્રો. અનુપ ઠાકર, કાર્યકારી કુલસચિવ હર્ષવદનસિંહ પી. ઝાલા અને જામનગર સહજ ક્રિએશન્સ આર્કિટેક્ટ સચિન વ્યાસ ઉપરાંત જામનગર અક્ષર શિલ્પના પ્રોજેક્ટર નૈષધ ટાંકનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં ખુદ તત્કાલીન કુલપતિ મુકુલ પટેલ જ સ્ટેજ પર રૂમાલ સાથે નાગીન ડાન્સ પણ કરતા નજરે પડે છે. આ કાર્યક્રમ યોજાયો ત્યારે કુલપતિપદે મુકુલ પટેલ હતા. તેમના પછી નરેશ જૈન કુલપતિ બન્યા હતા. હમણાં થોડા જ દિવસ પહેલાં નરેશ જૈનના બદલે નવા કુલપતિની નિમણુંક કરાઇ હતી. ધન્વંતરી મૂર્તિ પાછળ મૂકાયેલા દાતાની તક્તી અને દાનની બાબત બોર્ડ ઓફ ગર્વનન્સ (BOG)ની 26 જુલાઇ, 2025ની મિટિંગમાં થનારી ચર્ચાના મુદ્દા નંબર-3માં સામેલ હતી. પરંતુ ત્યારે પણ કોઇ કાર્યવાહી થઇ ન હતી. ત્યારબાદ BOGની મિટિંગ પણ યોજાઇ નથી. આમ યુનિવર્સિટીમાં તક્તી અને દાનના મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સત્ય શું જાણવા માટે દિવ્ય ભાસ્કરને સંબંધિત સત્તાધીશોને પૂછ્યું હતું. મેં કેશ કે ચેકથી દાન નથી આપ્યુંઃ દાતા ડૉ. રાજેશ પટેલે આ વિવાદ અંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ગુલાબ કુંવરબા લાયબ્રેરીમાંથી ભગવાન ધન્વંતરિની મૂર્તિનું યુનિવર્સિટીના ચાણક્ય ભવનમાં પૂનઃ સ્થાપન કરવાથી માંડીને તે જગ્યાનું ખોદકામ મેં કરાવ્યું હતું. આ ઉપરાંત ત્યાં આવેલી પાણી તેમજ ગટરની પાઇપ લાઇનો બદલીને ટાઇલ્સ લગાવવાથી માંડીને સીનિયર સિટીઝનના બેસવા માટેની વ્યવસ્થા અને લાઇટિંગ પણ કરાવ્યું હતું. જેની પાછળ મેં અંદાજે 10થી 15 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ બધું કામ યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ મુકુલ પટેલની મંજૂરીથી કર્યું હતું. યુનિવર્સિટી સાથે કોઇ આર્થિક વ્યવહાર થયો નથી. મેં યુનિવર્સિટીને કોઇ કેશ કે ચેકથી દાન આપ્યું નથી. યુનિવર્સિટીની જગ્યા તથા મંજૂરી સિવાય તમામ ખર્ચ મેં ભોગવ્યો હતો. તે બદલ યુનિવર્સિટીએ મારી તક્તી મૂકી છે. આમાં કોઇ ગોલમાલ થઇ નથી. મને કોઇ ખ્યાલ નથીઃ તત્કાલીન કુલપતિ નરેશ જૈન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ નરેશ જૈને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં ડૉ. રાજેશ પટેલ તથા તેમના પત્ની ઉષાબેનની તક્તી લગાવવા બદલ દાન આપ્યું હોવાનો મને કોઇ ખ્યાલ નથી. જૂના જે વાઇસ ચાન્સેલર હશે તેને ખબર હશે અથવા યુનિવર્સિટીની જે એડમિનિસ્ટ્રેટિવ વિંગ છે તેને ખબર હોય. કોઇ દાન આવે છે તો સામાન્ય રીતે તેની નોંધ દાન રજિસ્ટરમાં થાય છે. તેમાં દાન કોના તરફથી મળ્યું છે વગેરે લખાતું હોય છે. રજિસ્ટ્રારને પાસે જવાબ દેવાનો સમય નથી જયારે તક્તી લગાવવાના સમારંભની આમંત્રણ પત્રિકામાં કાર્યકારી કુલસચિવ તરીકે હર્ષવદનસિંહ પી. ઝાલાનો ઉલ્લેખ હતો. તેઓ હાલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે. તેમની પાસેથી સત્ય જાણવા માટે અમે તેમને સતત ફોન કર્યા હતા. એટલું જ નહીં પરંતુ મેસેજ પણ કર્યા હતા પરંતુ તેમણે કોઇ જવાબ આપવાની તસ્દી લીધી નહોતી. જેથી તેમને કેટલાંક પ્રશ્નો મોકલ્યા હતા તેનો પણ તેમના તરફથી કોઇ જવાબ અપાયો નહોતો. હવે નીચે આપેલા ગ્રાફિક્સના માધ્યમથી સમજો કે યુનિવર્સિટીમાં આવતા દાન વિશે શું નિયમો હોય છે? આમ યુનિવર્સિટીના નિયમમાં દર્શાવેલી જોગવાઇ અનુસાર કોઇ દાન કે ભેટ આવે તે રેકર્ડ પર લેવું પડે છે. મહારાજાની મૂર્તિ પણ રદ્દી ફાઇલો સાથે મૂકી દેવાઇ હતી દુઃખની વાત તો એ છે કે જેમણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી માટે જમીન દાનમાં આપી હતી. તેમના પૂર્વજ મહારાજા જુવાનસિંહજીની મૂર્તિ મૂકવાનો યુનિવર્સિટી પાસે સમય નથી કે પછી ઇરાદો નથી તે ચર્ચાનો વિષય છે. આ પ્રતિમા અત્યારે ક્યાં હશે તે પણ એક પ્રશ્ન છે. મૂર્તિને કચરા અને રદ્દી ફાઇલો સાથે મૂકી દીધી હોવાના સમાચાર જાન્યુઆરી મહિનામાં સ્થાનિક અખબારમાં પ્રસિદ્ધ થયા હતા. RTI ના જવાબમાં માહિતી નથી કહીને છટકી જતાં સત્તાધીશો, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કાર્યક્રમના ફોટા અને દાનની નોંધણી વગર મુકાયેલી તક્તીઓ. આ તમામ ઘટનાઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વહીવટ સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્ન ઊભો કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ અંગે કોઇ નક્કર તપાસ થાય છે કે પછી આ મામલો અભેરાઇએ ચઢી જશે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓને મળશે 50-50 હજાર રૂપિયા:ચૂંટણી પહેલા 20 હજારનો હપ્તો પછી 10-10 હજારની સહાય, યોગી સરકારની તૈયારી
    Next Article
    છોટાઉદેપુરમાં વાસી દિવાસાએ ઢીંગલા-ઢીંગલીના લગ્ન યોજાયા:કરશન ગામે લોકસંસ્કૃતિના જતન સાથે નદીમાં વિસર્જન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment