Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 દિવસે પણ મ્યુનિ.કમિ.નો એક જ જવાબ 'તપાસનો વિષય':એમ.નાગરાજને કહ્યું-નાસીરનગર ડિમોલિશન કોણે કર્યું મને નથી ખબર, તપાસમાં સમય લાગે તે લાગવાનો જ છે

    19 hours ago

    એક તરફ સુરતના ભૂતિયા ડિમોલિશને SMC અને SOGની ઉંઘ ઉડાડી દીધી છે. ત્યાં બીજી તરફ જેના લીધે આ આખો ખેલ ખેલાયો તે બિલ્ડર બેફામ બન્યા છે. એક તરફ 13 દિવસથી 100 પરિવાર ઘરવિહોણા બની ગયા છે તો બીજી તરફ આ બેફામ બિલ્ડરોનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સૌથી શંકાસ્પદ વાત એ છે કે કોઈ પણ મંજૂરી વગર કામ ચાલુ કર્યું હોવા છતાં SMC માત્ર બિલ્ડિંગના બેઝમેન્ટ/પાયાનાં ખોદાણમાં માટી પુરાણ કરવાની નોટિસ આપી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે SMCને કામ બંધ કરાવવામાં આટલો ડર કેમ લાગે છે? આ બધા વચ્ચે ભાજપના જ MLA વિનુ મોરડિયાએ SMC વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું છે કે બિલ્ડરોને છાવરવા આખો ખેલ કરાયો છે. જ્યારે કમિશનરે ના પાડી તો સુજલ પ્રજાપતિ અને રામજીવાલાને સસ્પેન્ડ કેમ નથી કરાતા? માર્શલોની મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી નાસીરનગર ડિમોલિશન અંગે મ્યુનિસિપલ કમિશનરને મીડિયા દ્વારા પૂછવામાં આવતા મ્યુ. કમિશનર એમ. નાગરાજન અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના કેમેરા જોઈ ભાગ્યા હતા અને કોન્ફરન્સ હોલનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. મીડિયાકર્મીઓ જ્યારે કોન્ફરન્સ હોલમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન માર્શલો દ્વારા મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. SMCની નોટિસે વિવાદને વધુ ઘેરો બનાવ્યો સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તાજેતરમાં થયેલા ચકચારી 'ભૂતિયા ડિમોલિશન'ને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના 100થી વધુ મકાનો પર કોઈ પણ પ્રકારની કાનૂની પૂર્વ સૂચના આપ્યા વિના રાતોરાત બુલડોઝર ફેરવી દેવાના આ પ્રકરણે હવે એક નવો વળાંક લીધો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવેલી એક નોટિસે સમગ્ર વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે, જેના કારણે વહીવટી તંત્રની મિલીભગત અને ભ્રષ્ટાચારની આશંકાઓ મજબૂત બની રહી છે. આ પણ વાંચો: નાસીરનગરમાં માનવતાને શર્મસાર કરતી તસવીરો નોટિસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો કોઈ ઉલ્લેખ નથી મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિભાગ દ્વારા એક નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસ અનુસાર, સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં. 07, નોંધ નં. 1267, 1267/3, 1268 વાળી મિલકતમાં સુરત મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી કે પરવાનગી લીધા વિના સ્થળ પર ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ નોટિસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કે જવાબદારો સામે કડક કાનૂની પગલાં લેવાનો કોઈ ઉલ્લેખ નથી. બેઝમેન્ટ/પાયાનાં ખોદાણમાં માટી પુરાણ કરી જમીન લેવલે લાવવા સૂચના નોટિસમાં જણાવાયું છે કે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લેતા આપના તરફથી કરવામાં આવેલ બેઝમેન્ટ/ખોદાણ/પાયાનું ખોદાણવાળા ભાગમાં પાણી ભરાવવાનો, રોગચાળો ફેલાવવાનો કે જમીન ધસી પડવા અંગેનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુસર બેઝમેન્ટ/પાયાનાં ખોદાણમાં માટી પુરાણ કરી જમીન લેવલે લાવવી, આથી જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં ચૂક થશે તો ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિ તેમજ લાગુ મિલકતોને થનાર જાનહાનિ સહિતનાં તમામ પ્રકારના નુકસાનની જવાબદારી આપના શીરે રહેશે. શું મનપા માત્ર ચોમાસું પૂરું થવાની રાહ જોઈ રહ્યું છે? આ નોટિસ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકા માત્ર એક કાગળનો ટુકડો પકડાવીને પોતાની જવાબદારીમાંથી સંતોષ માની રહી છે. જે જગ્યાએ સરેઆમ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે અને કરોડો રૂપિયાનો ખેલ ખેલાઈ રહ્યો છે, તેને રોકવા માટે મનપા કેમ સક્રિય એક્શન લેતી નથી? શું મનપા માત્ર ચોમાસાની ઋતુ પૂરી થવાની રાહ જોઈ રહી છે? TP વિભાગની કામગીરી રોડ વિભાગના સુજલ પ્રજાપતિએ કેવી રીતે કરી? નાસીરનગર ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં સૌથી મોટો કાનૂની અને વહીવટી સવાલ અધિકારીઓની કામગીરી પર ઊભો થયો છે. મનપાના નિયમોનુસાર, કોઈપણ જમીન કે મિલકતનું ડી-માર્કિંગ (જગ્યા નક્કી કરવી) કે લાઈન દોરી કરવાની સત્તાવાર અને કાનૂની જવાબદારી ટાઉન પ્લાનિંગ (TP) વિભાગ હસ્તક હોય છે, પરંતુ આ કેસમાં કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે કામગીરીમાં તેમની કોઈ ભૂમિકા જ નહોતી, તેવા રોડ વિભાગના અધિકારી સુજલ પ્રજાપતિ અને સેન્ટ્રલ ઝોનના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે લાઈન દોરી કરવા પહોંચી ગયા હતા.આને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. TP વિભાગને અંધારામાં રાખી આ પ્રવૃત્તિ કરવા પાછળનો આશય શું હતો? જે વિભાગ અને જે અધિકારીઓના કાર્યક્ષેત્રમાં આ કામ આવતું જ નથી, તેમને અચાનક એવો તે કેવો શોખ જાગ્યો કે તેઓ પોતે ડી-માર્કિંગ કરવા પહોંચી ગયા? શું આ અધિકારીઓ કોઈ મોટા બિલ્ડર અથવા રાજકીય આકાઓના ઈશારે કામ કરી રહ્યા હતા? સત્તાવાર રીતે ટાઉન પ્લાનિંગ વિભાગને અંધારામાં રાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરવા પાછળનો આશય શું હતો? SMC કેમ કોઈ સત્તાવાર માહિતી આપતું નથી હાલ આ સમગ્ર મામલો ગરમાયો છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાઈપાવર તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ મૌન સાધીને બેઠા છે. મહાનગરપાલિકા એ માહિતી આપવા પણ તૈયાર નથી કે તે દિવસે ડી-માર્કિંગ કરવા માટે કોઈ સત્તાવાર નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી કે નહીં? કે પછી કોઈ પણ પ્રકારની આગોતરી વહીવટી તૈયારી વિના જ આ આખું 'ભૂતિયા ઓપરેશન' પાર પાડી દેવામાં આવ્યું? બિલ્ડરના પ્રોજેક્ટ માટે રસ્તો ખોલ્યાનો આક્ષેપ સ્થાનિક રહીશોના આક્ષેપ છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ માટે 40 ફૂટનો રસ્તો ખુલ્લો કરવાના બદઈરાદાથી, અધિકારીઓએ મિલીભગત કરીને સાદા કપડામાં આવેલા લોકો અને જેસીબી મશીનો દ્વારા ગરીબોના આશિયાના ઉજ્જડ કરી નાખ્યા. હવે જ્યારે પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે, ત્યારે માત્ર ચોમાસામાં પાણી ભરાવાના ભયનું બહાનું આગળ ધરીને નોટિસની રમત રમાઈ રહી છે. ડિમોલિશન પહેલાં રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીની હાજરી શા માટે? રોડ ડિપાર્ટમેન્ટના અધિકારી સુજલ પ્રજાપતિ ડિમોલિશનના સ્થળ પર શું કરી રહ્યા હતા, તે અત્યારે એક મોટો પ્રશ્ન બની ગયો છે. સામાન્ય રીતે ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ રોડ બનાવવાનું કામ શરૂ થતું હોય છે, પરંતુ અહીં ડિમોલિશન પહેલાં જ સુજલ પ્રજાપતિ શા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા? હાલમાં તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ DCP નકુમ સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ હાથ હલાવીને DCPને દરેક જગ્યા બતાવતા સ્પષ્ટ જોઈ શકાય છે. DCP સાથેનો વીડિયો અને કોન્ટ્રાક્ટર સાથેની તસવીર વાઇરલ એક તરફ DCP નકુમ અને સુજલ પ્રજાપતિનો આ વીડિયો સામે આવ્યો છે, તો બીજી તરફ એક નવો વળાંક પણ જોવા મળ્યો છે. આ ડિમોલિશન માટે જે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે મશીનરી મંગાવી હતી, તેની સાથે પણ સુજલ પ્રજાપતિની એક તસવીર સામે આવી છે. અધિકારીની આ શંકાસ્પદ ભૂમિકાને કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તેજુ રાજપૂત, જે કોન્ટ્રાક્ટર છે અને જેણે ડિમોલિશન માટે મશીનરી મંગાવી હતી, તે તસવીરમાં સુજલ પ્રજાપતિ સાથે દેખાય છે. સાથે SOGના DCP રાજદીપસિંહ નકુમ સાથે પણ સુજલ વીડિયોમાં દેખાય છે. કમિશનરે ના પાડી તો સુજલ પ્રજાપતિ-રામજીવાલાને સસ્પેન્ડ કેમ નથી કરાતા: વિનુ મોરડિયા તો આ મામલે હવે ભાજપના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ સામે સીધો મોરચો ખોલ્યો છે. વિનુ મોરડિયાએ સુરત મહાનગરપાલિકા પર ઓન રેકોર્ડ મોટો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જ્યારે કમિશનરે પોતે સ્વીકાર્યું છે કે કોર્પોરેશને કોઈ ડિમોલિશન કરાવ્યું નથી, તો પછી રોડ વિભાગના કાર્યપાલક અધિકારી સુજલ પ્રજાપતિ અને રામજીવાલા ત્યાં કઈ હેસિયતથી પહોંચ્યા હતા? જો આ બંને અધિકારીઓ પોતાની મરજીથી, બિનઅધિકૃત રીતે ત્યાં ગયા હતા તો આટલા દિવસો વીતી જવા છતાં કમિશનર દ્વારા તેમને સસ્પેન્ડ કેમ કરવામાં નથી આવ્યા? આ સમગ્ર ઘટનાક્રમ શંકાના દાયરામાં છે અને વહીવટી તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા કરે છે. ‘સુજલ પ્રજાપતિ અને રામજીવાલાની શંકાસ્પદ ભૂમિકા’ ધારાસભ્ય વિનુ મોરડિયાએ રોડ વિભાગના અધિકારીઓની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. સામાન્ય રીતે વહીવટી નિયમ મુજબ, જ્યારે કોઈ સત્તાવાર ડિમોલિશન કે રોડ બનાવવાની કામગીરી નક્કી થઈ હોય ત્યારે જ સંબંધિત અધિકારીઓએ સ્થળ પર હાજર રહેવાનું હોય છે, પરંતુ નાસીરનગરમાં ડિમોલિશન શરૂ થયું તે પહેલા જ સુજલ પ્રજાપતિ અને રામજીવાલા ત્યાં હાજર હતા. વિનુભાઈએ સવાલ ઉઠાવ્યો કે, કોર્પોરેશન વગર તે લોકો ત્યાં શું કરવા ગયા હતા? આખી દુનિયા જાણે છે કે ડિમોલિશન આ બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ થયું છે. હવે તેઓ બચાવ કરી રહ્યા છે કે અમે માત્ર માર્કિંગ કરવા ગયા હતા, પણ સોશિયલ મીડિયાના વીડિયોમાં તેમનો હાથનો ઈશારો અને હાજરી સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ છે. આનાથી વધારે મજબૂત પુરાવા કમિશનરને કયા જોઈએ છે? સુજલ રોડ વિભાગના અધિકારી છે તો શા માટે ઘટનાસ્થળે પહોચ્યા? ‘વાઇરલ વીડિયો પાછળ મને દબાવવાનું મોટું ષડયંત્ર’ પોતાની સામે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા પ્રચાર અંગે ધારાસભ્યએ ખુલ્લેઆમ આક્રોશ ઠાલવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ડિમોલિશન પાછળના અસલી માસ્ટરમાઇન્ડ અને કેટલાક તત્વો પોતાના પાપ છુપાવવા માટે અને પોતાને બચાવવા માટે વીડિયો બનાવીને વાઇરલ કરી રહ્યા છે. વિનુભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ વીડિયો મારફતે મને માનસિક રીતે દબાવવાનો અને ઝુકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ગમે તેવા વીડિયો ફરતા કરવામાં આવે, પણ હું કોઈ પણ પ્રકારના દબાણમાં આવવાનો નથી. જે લોકો મને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ પોતે જ આ સમગ્ર કૌભાંડના અસલી લાભાર્થીઓ છે. ‘બિલ્ડરોના રોટલા શેકવા માટે આખો ખેલ રચાયો’ આ વિવાદ પાછળ કોઈ રાજકીય ઈરાદો હોવાની વાતને નકારી કાઢતા ધારાસભ્યએ બિલ્ડર લોબી સામે સીધી આંગળી ચીંધી છે. વિનુ મોરડિયાએ આક્ષેપ કર્યો છે કે, આમાં કોઈ રાજકીય રોટલો નથી શેકાઈ રહ્યો, પરંતુ બિલ્ડરોનો મોટો આર્થિક રોટલો શેકાઈ રહ્યો છે. કોના લાભાર્થે આ ગેરકાયદેસર ડિમોલિશન કરાવવામાં આવ્યું તે હવે જગજાહેર થઈ ગયું છે. રાત્રિના સમયે કોની-કોની ગાડીઓ કોના ઘરે પાર્ક થતી હતી તેની વિગતો પણ મીડિયા દ્વારા સામે આવી છે. વધુમાં તેમણે સવાલ કર્યો કે, જે લોકો 40 વર્ષથી આ જગ્યા પર શાંતિપૂર્વક વસવાટ કરી રહ્યા હતા, ત્યાં અચાનક આ પ્રકારની ઉતાવળી પ્રક્રિયા કોના ઈશારે કરવામાં આવી? આ બિલ્ડરોને છાવરવા માટે આખું તંત્ર કામે લાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ‘ગમે તેટલું દબાણ આવે, ન્યાય ન મળે ત્યાં સુધી જંગ જારી રહેશે’ પોતાના વલણને વધુ મજબૂત કરતા ધારાસભ્ય વિનુ મોરડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે આ લડત કોઈ પણ સંજોગોમાં અધવચ્ચે અટકશે નહીં. તેમણે છેલ્લે ઉમેર્યું કે, મારી ઉંમરલાયક માતાજીને આગળ ધરીને પણ કેટલાક લોકો ગંદી રમત રમી રહ્યા છે, જેની સામે મારે કોઈ વાત જ કરવી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે મને જ્યાં પણ જરૂર જણાશે ત્યાં, મુખ્યમંત્રી સુધી કે ઉચ્ચસ્તરે પણ હું લેખિત અને મૌખિક રજૂઆતો કરીશ. ગમે ત્યાંથી અને ગમે તેટલું મોટું રાજકીય કે આર્થિક દબાણ આવે, જ્યાં સુધી આ ગરીબ પીડિતોને ન્યાય નહીં મળે અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી અને આ વિષયને મુક્ત કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ડિમોલિશન બાદ અધિકારી માનસિક દબાણમાં હોવાનો દાવો નાસીરનગરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી અને તેના 13 દિવસ બાદ સેન્ટ્રલ ઝોનના એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયક દ્વારા જાહેર કરવામાં આવેલો વીડિયો હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 100થી વધુ પરિવારોના ઘર તોડી પાડ્યા બાદ હવે અધિકારીઓ પોતે માનસિક તણાવમાં હોવાનો દાવો કરી રહ્યા છે. ડિમોલિશન સંપૂર્ણપણે અધિકૃત હતું: SMC 30 મે, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા નાસીરનગર વિસ્તારમાં રોડ ખુલ્લો કરવા અને ડિમાર્કેશનની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીના લગભગ બે સપ્તાહ બાદ, ઝોનના વડા અને એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે એક વીડિયો નિવેદન જારી કરીને તંત્રનો પક્ષ રજૂ કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, નાસીરનગરમાં કરવામાં આવેલી કામગીરી સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓ અને પ્રવર્તમાન નિયમોને આધીન હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નહોતું અને આ માટે કોર્પોરેશન સંપૂર્ણપણે અધિકૃત હતું. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વિભાગનો પણ સહયોગ લેવાયો હતો. ‘માનસિક દબાણમાં અધિકારીઓ રજા પર ઉતરી ગયા’ જોકે, વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક સ્થાનિક આગેવાનો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ ખાતર આ મુદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને બિનઅધિકૃત મીડિયા માધ્યમો દ્વારા અધૂરી તથા એકતરફી માહિતી પ્રસારિત કરીને પાલિકાની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સતત જાહેર આક્ષેપો અને માનસિક દબાણને કારણે SMCના કર્મચારીઓ ભારે તણાવનો સામનો કરી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ આરોગ્યના કારણોસર રજા પર ઉતરી જવા મજબૂર બન્યા છે. ‘વીડિયો માત્ર ભૂલો પર પડદો પાડવા માટે તૈયાર કરાયેલો એક સ્ક્રિપ્ટેડ ડ્રામા’ બીજી તરફ, આ વીડિયો સામે આવતા જ સ્થાનિક પીડિતો અને પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો માત્ર સોશિયલ મીડિયાના પ્રચારથી એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ માનસિક તણાવમાં આવી જતા હોય, તો જે 100 પરિવારોના આશિયાના છીનવાઈ ગયા છે તેમની સ્થિતિ શું હશે? કાળઝાળ ગરમી, તડકો અને ખુલ્લા આકાશ નીચે ઘરબાર વગર બેઠેલા નાના બાળકો અને મહિલાઓના માનસિક તણાવની ચિંતા કોણ કરશે? જનતા વતી એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે અધિકારીનો આ વીડિયો માત્ર પોતાની ભૂલો પર પડદો પાડવા માટે તૈયાર કરાયેલો એક સ્ક્રિપ્ટેડ ડ્રામા છે. સવાલના જવાબ PRO આપશે: આશિષ નાયક આ અંગે પૂછવા માટે જ્યારે ભાસ્કરના રિપોર્ટર એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકની કેબિનમાં ગયા તો તેમણે મળવાનો ઈન્કાર કરી PRO પાસે મોકલ્યા હતા. બાદમં PROને પૂછતા તેમણે કહ્યું કે હું જવાબદાર અધિકારી નથી, બાદમાં ફરી આશિષ નાયકને ફોન કરતા તેમણે કહ્યું કે હું કોઈ જવાબ આપવાનો નથી તમે મીનાબેન ગજ્જરને મળો, જે અત્યારે તપાસ ટીમ બની છે તેના અધ્યક્ષ છે. આમ આશિષ નાયક મીડિયા સામે આક્ષેપો કરી જવાબ આપવાની ભાગ્યા હતા. ગેરકાયદેસર થતું કામ ક્યારે અટકાવાશે? મહાનગરપાલિકાના કોઈપણ વિસ્તારમાં એક ઈંટ ગેરકાયદેસર રીતે મુકાઈ હોય તો મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થઈ જાય છે ત્યારે અહીંયા તો આખી બિલ્ડીંગ ઉભી થઈ રહી છે. ગેરકાયદેસર રીતે થતાં આ બાંધકામ માટે હજુ સુધી પીવીસી પણ લેવામાં આવ્યું નથી ત્યારે મહાનગરપાલિકાના આ અધિકારીઓએ માત્ર એક નોટિસ આપી સંતોષ માન્યો છે પણ કામ ક્યારે અટકાવશે તે જોવું રહ્યું. જવાબદાર અધિકારીઓ ક્યારે સસ્પેન્ડ થશે? આ આખી ઘટનાએ સુરત મહાનગરપાલિકાની છબી ખરડી નાખી છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન અને સ્લમ એરિયાના ડિમોલિશનમાં સરકારી તંત્રનો આ પ્રકારે દુરુપયોગ એ વહીવટી સડો દર્શાવે છે. અત્યારે જનતા અને પીડિતો સવાલ પૂછી રહ્યા છે કે શું માત્ર માટી પુરાણની નોટિસ આપી દેવાથી ગેરકાયદે બાંધકામ કાયદેસર થઈ જશે? સત્તા બહાર જઈને લાઈન દોરી કરનાર અધિકારી સુજલ પ્રજાપતિ અને તેમના સાથીદારો સામે સસ્પેન્શન જેવા કડક પગલાં ક્યારે લેવાશે? ગરીબોના તોડી પડાયેલા મકાનોનું વળતર કોણ ચૂકવશે?
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ચાંદલોડિયા ડિમોલિશનથી સ્થાનિકોમાં રોષ, બાળકો સહિતના રસ્તા પર, ચોથા માળેથી ખાબકેલા મહાવીર સિંધવના CCTV
    Next Article
    સાબરકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સભામાં કમિટી રચના મુલતવી:અધિકારીઓની ફેરસુપ્રત સહિત ત્રણ મહત્વના મુદ્દા પર નિર્ણય નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment