Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જિંદગીના 12 દિવસ નહીં ભુલાય, એક રાત સૂતો નથી':'મારી સામે બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું, લાગતું નહોતું જીવતો પરત ફરીશ', બહેરીનથી પરત ફરેલા ગુજરાતીની આપવીતી

    21 hours ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે લાખો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે, ત્યારે વડોદરાના સંદીપ પટેલ કંપનીના કામથી બહેરીન ગયા હતા અને 15 દિવસે પરત ફર્યા છે. સંદીપભાઈ બહેરીનમાં 12 દિવસ રોકાયા હતા અને ત્યાંની ભયાવહતા દિવ્ય ભાસ્કર સમક્ષ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, મારી જિંદગીના આ 12 દિવસ હું ક્યારે નહીં ભૂલી શકું. આ 12 દિવસ હું એકપણ રાત ઊંઘી શક્યો નહોતો. જ્યારે પણ ઊંઘવાનો પ્રયત્ન કરૂં ત્યારે જ મિસાઈલોના ઇન્ટરસેપ્ટ થવાનો ભયાનક અવાજ સંભળાતો અને ઊંઘ ઉડી જતી. મને હતું જ નહીં કે હું જીવતો ભારત પરત આવીશ. મારી કંપનીએ મને પરત લાવવા તમામ પ્રયાસ કર્યા અને ઘરે પરત લાવી, બાકી ભારત સરકારે કોઈ પ્રયાસો કર્યા નહીં. મારી સાંજની ફ્લાઈટ હતી ને સવારે મિસાઈલ હુમલો થયો વડોદરાના સંદીપ પટેલે જણાવ્યું હતું કે, ગત 25 ફેબ્રુઆરીના રોજ હું જ્યાં કામ કરું છું, એ કંપનીના કામ માટે બહેરીન ગયો હતો. મારું કામ 28 ફેબ્રુઆરીએ પૂરું થઈ ગયું હતું અને તે જ દિવસે સાંજે 5:30ની મારી પરત આવવાની ફ્લાઈટ હતી, પરંતુ તે દિવસે સવારે 10:30 વાગ્યાથી જ અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઈલ હુમલા શરૂ થઈ ગયા હતા. બહેરીનમાં અમેરિકાનો નેવી બેઝ હોવાથી ઈરાને ત્યાં મિસાઈલ છોડી હતી, જેના કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું અને મારી સાંજની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી. મારી હોટલથી માત્ર 200 મીટરના અંતરે અમેરિકન નેવી બેઝ હું જે હોટલમાં રોકાયો હતો, તેનાથી માત્ર 150થી 200 મીટરના અંતરે જ અમેરિકન નેવી બેઝ હતો. મિસાઈલ હુમલાને કારણે અમારી હોટલની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે હોટલવાળાઓએ અમને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા અને અમે એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં આશરો લીધો હતો. મેં ઇન્ડિયન એમ્બેસીમાં ફોન કર્યો પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો મેં 28 ફેબ્રુઆરીથી લઈને 11 માર્ચ સુધી સતત પ્રયત્નો કર્યા હતા. મેં ઈન્ડિયન એમ્બેસીને ફોન કર્યા અને મેઈલ પણ કર્યા પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, ભારત સરકાર કે એમ્બેસી તરફથી મને કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી. તેઓ ફક્ત 'સુરક્ષિત રહો' તેમ કહીને વાત ટાળતા હતા. બહેરીનથી ભારત આવવા માટે સરકારે કોઈ ફ્લાઈટની વ્યવસ્થા કરી નહોતી. 'મને બહેરીનથી સઉદી અરેબિયા બાય રોડ મોકલ્યો' આ મુશ્કેલીના સમયમાં મારી કંપની અને મારા મેનેજરોએ મને ખૂબ સપોર્ટ કર્યો. તેમણે જોખમ ઉઠાવીને મને બહેરીનથી સઉદી અરેબિયા બાય રોડ મોકલ્યો. પહેલા હું સાઉદી અરેબિયાના દમ્મામ પહોંચ્યો અને પછી જેદ્દાહ પહોંચ્યો હતો. જેદ્દાહમાં પણ ફ્લાઈટ હાઉસફૂલ હોવાથી મારે 3 દિવસ હોટલમાં રોકાવું પડ્યું. અંતે જેદ્દાહથી મુંબઈ અને ત્યાંથી અમદાવાદ અને હવે હું વડોદરા મારા ઘરે પહોંચ્યો છું. '12 દિવસ હું એક પણ રાત ઊંઘી શક્યો નથી' તેઓએ વેદના સાથે કહ્યું કે, મારી જિંદગીના આ 12 દિવસને હું ક્યારેય નહીં ભૂલી શકું. આ 12 દિવસ દરમિયાન હું એક પણ રાત ઊંઘી શક્યો નથી. જ્યારે ઊંઘવાનો પ્રયત્ન કરું, ત્યારે જ મિસાઈલોના ઇન્ટરસેપ્ટ થવાનો એટલો ભયાનક અવાજ આવે કે ઊંઘ ઉડી જાય. ત્યાં ડરનું વાતાવરણ એટલું બધું હતું કે લોકો હોટલ અને એપાર્ટમેન્ટ્સ છોડીને બહાર નીકળી જતા હતા. અમે પણ હોટેલ છોડીને ભાગ્યા હતા. ઈરાન ડ્રોન દ્વારા હોટલ અને એપાર્ટમેન્ટ્સને ટાર્ગેટ કરતા હતા. 'મારી નજર સામે એક બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું' મેં મારી નજર સામે જોયું છે કે મારી હોટલથી માત્ર 50-60 મીટર દૂર આવેલી એક બિલ્ડિંગના ઉપરના માળે ડ્રોન પડ્યું અને આખેઆખો ફ્લોર ખતમ થઈ ગયો હતો. તેઓ ખાસ કરીને ઇઝરાયેલ અને અમેરિકાના નાગરિકો જ્યાં રોકાયા હોય, તે સ્થળને ટાર્ગેટ કરતા હતા, પણ એમાં નિર્દોષ ઇન્ડિયન, પાકિસ્તાની, નેપાલી અને બંગાળી ભાઈઓ પણ ભોગ બનતા હતા. 'મનમાં એક જ વિચાર આવતો જીવતો ભારત પાછો નહીં જઈ શકાય' મેં મારી નજર સામે લગભગ 70થી 80 મિસાઈલો અને 20થી 25 ડ્રોન જોયા હતા. મિસાઈલોને ઘણીવાર હવામાં જ તોડી પાડવામાં આવતી, પણ ડ્રોન મોટાભાગે બિલ્ડિંગો પર જઈને ફૂટતા હતા. એક હોટલ પર પણ હુમલો થયો હતો, જેમાં ઘણું નુકસાન થયું હતું. મનમાં એક જ વિચાર આવતો કે કદાચ હવે જીવતા ભારત પાછા નહીં જઈ શકાય. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગમે ત્યારે ગમે તે થઈ શકતું હતું. 'વડોદરાના સાંસદને અમે વિગતો મોકલી પણ મદદના નામે શૂન્ય' અમે ઇન્ડિયન એમ્બેસીનો વારંવાર સંપર્ક કર્યો, પણ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળતો નહોતો. વડોદરાના સાંસદને પણ અમે વિઝા અને પાસપોર્ટની વિગતો મોકલી હતી, પણ મદદના નામે શૂન્ય હતું. બહેરીનમાં એક વાત સારી હતી કે, આવી પરિસ્થિતિમાં પણ ખાવા-પીવાની કોઈ તકલીફ નહોતી પડી. ગ્રોસરી અને પાણીની બોટલો અમે ઓનલાઇન ઓર્ડર કરતા અને તેઓ ઘરે આવીને સપ્લાય કરી જતા. કોઈએ ભાવ વધારો પણ કર્યો નહોતો, જે ઘણી રાહતની વાત હતી. 'અત્યારે ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ વધી ગયા' બહેરીનમાં લગભગ 4 લાખ ભારતીયો છે, જેમાંથી અંદાજે 30% ગુજરાતીઓ છે. મોટાભાગના લોકો રિફાઈનરીઓમાં કામ કરે છે. તેઓ પાછા આવવા માંગે છે, પણ અત્યારે ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ વધી ગયા છે. એક ટિકિટ 280 દિનાર (લગભગ 60,000 રૂપિયા)ની મળે છે. જો 4 સભ્યોનો પરિવાર હોય, તો 3 લાખ રૂપિયા તો ફક્ત ટિકિટમાં જ જતા રહે. આટલા પૈસા લાવવા ક્યાંથી? એ મુખ્ય પ્રશ્ન છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચે બંગાળ પછી કેરળમાં અધિકારીઓ બદલ્યા:5 IAS-IPSની બદલી; ભાજપે બંગાળ-કેરળમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
    Next Article
    કુબેરનગરમાં રાત્રે 3 વાગ્યે ટોળાનો આતંક, CCTV:બૂમો પાડી કહ્યું- 'બાબા અને આકાશને ચેટીચાંદ સુધીમાં પતાવી દઈશું', ફરિયાદીના ઘર પર પથ્થરમારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment