Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર બોર્ડર પર 'નોટિસ રાજ' થી ખેડૂતોમાં વનવિભાગ સામે રોષ:ગીરના 1 કિમી વિસ્તારમાં હોમસ્ટે મુદ્દે સરકાર અને ખેડૂતો આમને-સામને, 'અમને વિકાસના નામે ફરી ઝૂંપડામાં ન ધકેલો' આંદોલનની ચીમકી

    1 week ago

    ​એક તરફ રાજ્ય સરકાર ગુજરાતને વિશ્વ કક્ષાનું પ્રવાસન હબ બનાવવા માટે નવી હોમસ્ટે અને ઇકો-ટૂરિઝમ પોલિસીના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ ગીરના જંગલની બોર્ડર પર વસતા ધરતીપુત્રો તંત્રની કનડગતથી તોબા પોકારી ગયા છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી ગામોમાં ખેતીની સાથે નાનો-મોટો હોમસ્ટેનો વ્યવહાર ચલાવતા ખેડૂતો અત્યારે વન વિભાગ અને સરકારી નોટિસોના ચક્રવ્યૂહમાં ફસાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ઇકો સેન્સિટિવ ઝોનના નામે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ​'0 થી 1' કિલોમીટરમાં હોમસ્ટેની મંજૂરી માટે ઉગ્ર માંગ ​ગીર જંગલની સરહદથી 0 થી 1 કિલોમીટરના અંતરમાં આવતા ખેતરોમાં અનેક ખેડૂતોએ પોતાના ગુજરાન માટે 5-6 રૂમ ધરાવતા નાના હોમસ્ટે બનાવ્યા છે. ખેડૂતોની માંગ છે કે આગામી દિવસોમાં જ્યારે નવી ટૂરિઝમ પોલિસી બની રહી છે, ત્યારે આ 'બફર ઝોન'માં આવતા સ્થાનિકોને કાયદેસરની મંજૂરી આપવામાં આવે. અત્યારે સ્થિતિ એવી છે કે બાંધકામ જંગલની બહાર હોવા છતાં વન વિભાગ દ્વારા અવારનવાર 'ખોટી' નોટિસો ફટકારી ખેડૂતોને ગુનેગારની જેમ જોવામાં આવે છે. ​વન્યપ્રાણી બચ્યા છે તો તેમાં ખેડૂતોનો સિંહફાળો છે: ફાર્મ હાઉસ માલિક ​ફાર્મ હાઉસના માલિક સુધીર ઝાલાએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથથી સાસણ અને જૂનાગઢનો જે ટૂરિઝમ કોરિડોર બની રહ્યો છે તે આવકારદાયક છે. પરંતુ તંત્રએ એ ન ભૂલવું જોઈએ કે જો આજે ગીરમાં જંગલ, પર્યાવરણ અને સિંહ બચ્યા છે, તો તેમાં ખેડૂતોનો બહુ મોટો સિંહફાળો છે. તેને વધુમાં કહ્યું કે, જો સ્થાનિક યુવાનોને હોમસ્ટે કે એગ્રો-ટૂરિઝમ દ્વારા રોજગારી નહીં મળે, તો તેઓએ મજબૂરીમાં રાજકોટ કે અન્ય શહેરોના કારખાનામાં નોકરી કરવા જવું પડશે. 0 થી 1 કિમીમાં જ સૌથી વધુ બાગાયતી ખેતી છે જે પર્યાવરણને ટકાવી રાખે છે. આ ખેડૂતો જ વન વિભાગના સાચા ખબરી છે; વન્ય પ્રાણી બીમાર હોય કે નવા બચ્ચાનો જન્મ થાય, તેની પ્રથમ માહિતી ખેડૂતો જ અધિકારીઓને આપે છે. તો પછી તેમને જ કેમ હેરાન કરવામાં આવે છે ? ​'શું સરકાર અમને ફરી ઝૂંપડામાં ધકેલવા માંગે છે?' ​દેવળીયા નજીક ખેતી ધરાવતા 56 વર્ષીય વરજાંગભાઈ આજાભાઈ ડોડિયાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 10 વર્ષ પહેલા મેં કંટાળીને મારા ખેતરના 150 આંબા કાપી નાખ્યા હતા, કારણ કે વાંદરા અને નીલગાય પાક રહેવા દેતા નહોતા અને આર્થિક આવક નહોતી. પણ જ્યારે હોમસ્ટેનો વિચાર આવ્યો ત્યારે મેં ફરી આંબા વાવ્યા છે. હવે વન વિભાગ કહે છે કે 0થી 1 કિમીમાં ધાબાવાળા મકાન કે હોમસ્ટેને મંજૂરી નહીં મળે. જો અમને અહીં કામ કરવા નહીં દેવાય તો અમારા છોકરાઓ ભૂખે મરશે.અમે મહેનત કરીને નળિયાવાળા ઝૂંપડામાંથી પાકા મકાન બનાવ્યા છે, શું સરકાર અમને ફરી ઝૂંપડામાં ધકેલવા માંગે છે ? પર્યટકો આવશે ક્યાં જો હોમસ્ટે જ નહીં હોય?: ખેડૂત ​જલંધર ગામના ખેડૂત રામશીભાઈ ગોવિંદભાઈ ચૌહાણે તંત્રની કામગીરી પર પ્રહાર કરતા કહ્યું કે, અમે દેવળીયા પાર્કની બાજુમાં હોમસ્ટે ટાઈપનું વ્યવસ્થાપન કરીએ છીએ. કલેક્ટર અને વન વિભાગ તરફથી વારંવાર નોટિસો આવે છે. વન વિભાગ NOC આપવામાં ઠાગાઠૈયા કરે છે. જો અહીં રહેવાની વ્યવસ્થા જ નહીં હોય, તો પ્રવાસીઓ સાસણ કે દેવળીયા શું કામ આવશે ? સરકારના ઉચ્ચ અધિકારીઓ હકારાત્મક છે, પણ સ્થાનિક વન વિભાગ ખેડૂતોને સહકાર આપવા તૈયાર નથી. ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ગીરના આ પંથકમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતોનો સીધો આરોપ છે કે વન વિભાગ ઇકો સેન્સિટિવ ઝોનના નિયમોનો હવાલો આપીને માત્ર નાના ખેડૂતોને જ ટાર્ગેટ કરી રહ્યું છે. જો સરકાર આગામી પોલિસીમાં 0થી 1 કિમીના વિસ્તારમાં હોમસ્ટેને કાયદેસરની મંજૂરી નહીં આપે,તો ગીરના તમામ ગામોના ખેડૂતો એકત્ર થઈને ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગીરનું પર્યાવરણ જાળવવું જેટલું જરૂરી છે, તેટલું જ અનિવાર્ય ત્યાંના સ્થાનિકોનું ગુજરાન છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર "નોટિસ રાજ" ખતમ કરીને ખેડૂતોને આર્થિક આઝાદી આપે છે કે પછી વિકાસની વાતો કાગળ પર જ રહી જાય છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં કોંગ્રેસે નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી:પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આગેવાનો સાથે બેઠક યોજી
    Next Article
    રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક મતદાર યાદીઓ જાહેર કરી:15 મનપા, 84 ન.પા., 34 જિલ્લા ને 260 તા.પંચાયતની મતદાર યાદી જાહેર, 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment